March 27, 2013

ધાર્મિક પ્રવચન : દાઢી, ઉદાહરણ અને શબ્દની માયા....

ધાર્મિક કથાઓ અને પ્રવચનો લોકપ્રિય હોવાનું એક કારણ એ છે કે લોકો નિરક્ષર છે. જે સ્ત્રીને વાંચતાં આવડતું નથી એને માટે કથા સાંભળવા બેસી જવું એ બીજો શ્રેષ્ઠ માર્ગ છે! જેમને થોડું પણ વાંચતાં આવડે છે એમને ક્યારેક વાંચવાનો કંટાળો આવે છે અને જેમને ઘણું વાંચતા આવડે છે એમને વાંચવા માટે પુસ્તકો મળતાં નથી! આજે ગુજરાતી ભાષામાં રામાયણ કે મહાભારતના દરેક શ્લોકનો સમશ્લોકી અનુવાદ હોય એવા ગ્રંથો મળતા નથી. એટલે કે ગુજરાતીમાં કરોડોપતિઓ છે, મહાત્માઓના સોના-ચાંદીમાં વજન કરી આપનારા અબુધ ભાવકો છે, ટ્રસ્ટો છે, અબજો રૂપિયા છે...પણ સંપૂર્ણ મહાભારત કે રામાયણ મુંબઈના બજારમાં સંસ્કૃત-ગુજરાતીમાં મળતું નથી. અમેરિકન કે રશિયન સરકાર કે ઈંગ્લંડ કે જર્મનીના કોઈ વિશ્વવિદ્યાલયે હવે આવાં મહાભારત કે રામાયણ પ્રકટ કરવાં જોઈએ....! 

ત્યાં સુધી આપણે સાધુ મહાત્માઓને ધર્મની સિઝનમાં સાંભળીને ધર્મ-લાભ પ્રાપ્ત કરવો જોઈએ. દરેક ધાર્મિક ગુરુ કે ગોડમેન મહાન વક્તા હોય છે. એ એના ધંધા માટે જરૂરી છે, જેમ હાઈકોર્ટના વકીલ પાસે સરસ અંગ્રેજી હોવું જરૂરી છે એમ! મને એક બીજી વાત પણ સમજાઈ છે કે ધર્મની વાત કરનાર માટે દાઢી બહુ જરૂરી છે. દાઢી મૂછ વગરના ક્લીન શેવ સાધુ જામતા નથી. દાઢી સાધુના યુનિફોર્મનો એક ભાગ છે.

લગભગ દરેક સફળ સાધુ અદભુત વક્તા હોવો જોઈએ અને હોય છે. એની વાગ્ધારા અસ્ખલિત વહેવી જોઈએ. અને ધારા સતત રહે અને રસિક રહે એ માટે સાધુની વાત પ્રયત્ન વિના સમજાય એવી હોવી જોઈએ. દરેકની બોલવાની પોતાની રીત હોય છે. પણ દરેક સાધુ હંમેશાં ઉદાહરણનો ભરપૂર ઉપયોગ કરે છે! ઉદાહરણ વિનાની, તદ્દન અમૂર્ત ધર્મકથા ભાગ્યે જ હોય છે. એક દલીલ એવી છે કે જ્યારે તમને શુદ્ધ તર્કથી સાબિત કરતાં આવડે નહિ ત્યારે તમારે ઉદાહરણ કે દ્રષ્ટાંત આપવું પડે છે. જે શ્રોતા ઉદાહરણથી જ સમજી શકે છે એનું માનસિક સ્તર સામાન્યથી નીચું હોવું જોઈએ! ઉદાહરણનો આશ્રય એટલા માટે લેવો પડે છે કે શ્રોતાઓ ગંભીર વાત તરત સમજતા નથી અને એક વાત ચોક્કસ છે કે ઉદાહરણ આપવાથી શ્રોતા તરત અને ચોક્કસ સમજી શકે છે.

ઉદાહરણને ભાષ્યની જરૂર નથી. ઉદાહરણ કે દ્રષ્ટાંત સ્વયં પોતાનું ભાષ્ય છે!

એકવાર સરકારી સાધુ ધીરેન્દ્ર બ્રહ્મચારીએ માયા વિશે સમજાવતાં બે દ્રષ્ટાંતો આપ્યાં હતાં. માયાને શબ્દોમાં સમજાવવી એ અઘરું કામ છે. અઘરું બોલવું સહેલું છે પણ સહેલું બોલવું અઘરું છે. એ જ રીતે અઘરું લખવું સહેલું છે પણ સહેલું લખવું બહુ અઘરું છે. (કંટાળીને કવિ બની ગયેલા દરેક ગુજરાતીના પ્રોફેસરને આ વાતની ખબર છે.) સરળ શબ્દોમાં દ્રષ્ટાંત આપો તો આવા ગહન વિષયને આસાનીથી સમજાવી શકાય. નહિ તો પછી કેવી સ્થિતિ થાય છે? એકને કહી. દુજેને સુની...ગુરુ નાનક કહે દોનો ગ્યાની ! મેટા-ફિઝિક્સ અથવા પરા-ભૌતિકવાદ વિશે એકવાર ડૉ. રાધાકૃષ્ણને ફ્રેંચ દાર્શનિક વોલ્તેયરનું વાક્ય ટાંક્યું હતું. મેટા-ફિઝિક્સ એટલે એ વિજ્ઞાન જેમાં સાંભળનારો કંઈ જ સમજતો નથી અને... બોલનારો તો સમજતો નથી જ! જ્યાં આ સ્થિતિ હોય એ શાસ્ત્રને મેટા-ફિઝિક્સ કહે છે.

બ્રહ્મચારીએ ઉદાહરણ આપ્યું હતું. માયા કોને કહેવી? માયાનો અંત શું હોય? એક કમળના ફૂલ પર એક ભમરો બેઠો હતો. સાંજ પડી અને કમળ ધીરે ધીરે બિડાવા લાગ્યું. ભમરો બિડાતા કમળની માયા છોડી શક્યો નહિ. અંતે કમળ બિડાઈ ગયું. જે ભમરો લાકડું કોતરીને બહાર નીકળી શક્યો હતો એ કમળ ભેદીને બહાર નીકળતો નથી. એ વિચારે છે કે રાત પૂરી થશે સવાર પડશે અને કમળ આપોઆપ ખૂલી જશે. ત્યાં સુધી આ આહલાદક અવસ્થા ચાલુ રહેવી જોઈએ.... અને પ્રાત: પહેલાં જ હાથીઓનું એક ઝૂંડ આવે છે. એક હાથી સૂંઢથી કમળ તોડીને ગળી જાય છે... ભમરો હાથીના પેટમાં....અંત પામે છે....! 

આ માયાની સ્થિતિ છે.

બીજું ઉદાહરણ વધારે સચોટ છે. એક સાપના મોઢામાં દેડકો પકડાઈ ગયો. અડધો દેડકો સાપના મોઢામાં ફસાયેલો હતો અને અડધોઅડધ બહાર હતો. બહાર મચ્છરો ઊડતા હતા અને અડધો ફસાયેલો દેડકો ઝડપથી મોઢું ફેરવી ફેરવીને શક્ય એટલા વધારે મચ્છરો પકડવામાં મગ્ન હતો. પોતે મૃત્યુના મુખમાં હોય ત્યારે પણ પ્રાણીને શરીરના ભોગમાંથી મુક્તિ નથી... અને જીવનની માયા છૂટતી નથી !

માયા વિશે હજારો લીટીઓ ભારતીય દર્શનશાસ્ત્રોમાં લખાઈ છે. કબીરદાસે માયાને માટે 'મહા ઠગની' શબ્દો વાપર્યા છે.

માયાને મન સાથે સંબંધ છે. ઉપનિષદકારે મનને એક ઉદાહરણથી સમજાવ્યું છે. મન મહાસમુદ્ર જેવું છે. એની સપાટી પર મોજાઓની સતત ભરતી-ઓટ છે. પણ મહાસમુદ્રની અંદર પાણી સ્થિર છે. મનને પણ બે સતહો છે. એક ઉપરી જે ચંચળ છે અને બીજી અંદરની જે શાંત અને સ્વસ્થ છે.

ઘણીવાર ઈન્દ્રિયો વેદના આપે છે, ઈન્દ્રિયો સુખ આપે છે, એવું સામાન્ય રીતે મનાય છે, પણ ઈન્દ્રિયો ક્યારેક અનાયાસે હાનિ કરે છે એવું વિવેક-ચુડામણિમાં લખ્યું છે. આ કયા પ્રકારની હાનિ છે? દરેક ઈન્દ્રિય માટે એક દ્રષ્ટાંત કે ઉદાહરણ આપ્યું છે. 'સાંભળવા'થી ક્ષતિ થઈ શકે છે. અવાજ સાંભળીને હરણ કાન ઊંચા કરીને દોડે છે અને શિકારીનું નિશાન બની જાય છે! એ જ રીતે માદાનો 'સ્પર્શ' નર હાથીને ઉત્તેજીત કરી મૂકી છે અને આ ઉત્તેજનાને લીધે એ દિશાભાન ભૂલે છે અને પકડાઈ જાય છે! ત્રીજી ઈન્દ્રિય છે 'દ્રષ્ટિ'. પતંગિયું પ્રકાશ સમજીને દીપકની જ્યોતમાં પડે છે... અને એની પાંખો સળગી જાય છે. ચોથી ઈન્દ્રિય 'સ્વાદ' છે. માછલી કાંટામાં ફસાયેલી વસ્તુ ખાવા જાય અને કાંટૉ એ માછલીનું તાળવું ચીરીને એને પકડી રાખે છે અને માછલી મૃત્યુને શરણ થાય છે. પાંચમી ઈન્દ્રિય છે 'વાસ'ની, જેમાં મધની ખુશ્બૂ મધમાખીને આકર્ષે છે, એ મધ પર બેસે છે અને એના પગ ચોંટી જાય છે...આ પણ બધાં માયાનાં પરિણામો છે.

રૂપકો, દ્રષ્ટાંતો, ઉદાહરણો આપીને જેમ પ્રવચન આપી શકાય એમ પ્રસિદ્ધ શબ્દોના શબ્દાર્થ અને વ્યુત્ત્પત્તિ આપીને પણ સ્વીકાર્ય થઈ શકાય છે. એવાં થોડાં નામો જોવાં જોઈએ.

શબ્દોની ઉત્પત્તિનું શાસ્ત્ર વિરાટ છે. આપણાં કેટલાંક મહાન પાત્રોનાં નામો એવાં શા માટે પડ્યાં એ  જાણવાનો રસ પડશે.

યુધિષ્ઠિર એટલે? યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં સ્થિર.

કબીરનો અર્થ અરબીમાં મહાન કે શ્રેષ્ઠ થાય છે. કબીરના પુત્રનું નામ કમાલ હતું.

હનુમાન નામની પાછળ એક વાર્તા છે. વાર્તા એવી છે કે પાર્વતીએ અંજનીના કાનમાં કહ્યું હતું એટલે ગર્ભાધાન થયું હતું. માતા અંજની અને પવનના એ પુત્ર હતા. હનુ વજ્રથી એમની દાઢી તૂટી ગઈ હતી એટલે એમનું નામ હનુમાન પડ્યું હતું!

દશરથ એટલે દસ ઈન્દ્રિયો રૂપી ઘોડાઓને કાબૂમાં રાખે એ દશરથ.

અયોધ્યા એટલે એ સ્થાન જ્યાં યુદ્ધ ન થાય !

વિશ્વામિત્ર માટે પાણિનિએ વ્યાખ્યા આપી છે. અર્થ થાય છે વિશ્વના મિત્ર. અને પાણિનિએ જે વ્યાખ્યા આપી છે એ આ પ્રમાણે છે: વિશ્વમિત્રયસ્ય સ: મિત્ર !

ઈન્દ્રિયોને વશમાં રાખવા માટે એક મહાઋષિ વશિષ્ઠ  કહેવાતા હતા. કહેવાય છે કે કામ અને ક્રોધ એમના પગ દબાવતા હતા.

વેદમાં સૂર્યને 'સવિતા'નું નામ અપાયું છે. સવિતા એટલે જે જન્મ આપે છે એ.

અભિમન્યુ મહાભારતનું પ્રસિદ્ધ પાત્ર છે. મન્યુ એટલે? મન્યુ એટલે અન્યાયને સહન ન કરનારો ક્રોધ!

સીતા એટલે ધરતી. જેને અંગ્રેજીમાં 'ફરો'  (furrow) કહે છે. 

કૃષ્ણ એટલે ખેંચનારો, આકર્ષણ કરનારો ! સંપૂર્ણ આકર્ષક એ કૃષ્ણ છે. કૃષ્ણનો એક અર્થ એવો પણ થાય છે જે આપણું પાપનું આવરણ ઉતારી આપે છે.

અર્જુન એટલે સરળ કે ઋજુ સ્વભાવનો.

અને મંત્ર એટલે? મંત્ર એટલે મનને મુક્ત કરે છે એ! અહીં 'ત્ર'નો અર્થ થાય છે મુક્ત કરવું.

શિક્ષિત સ્ત્રીઓ અને પુરુષોના વિશ્વમાં મુક્તિ અંતિમ શબ્દ છે.

(ગુજરાત સમાચાર : 1985)

(પુસ્તક: ગુજરાતી: ભાષા અને સાહિત્ય- 2)

1 comment:

  1. અરે વાહ! બક્ષીબાબુ ને સમર્પિત બ્લોગ,સારુ કામ કરો છો. :)

    ReplyDelete