September 13, 2014

એકલતાના કિનારામાં લગ્ન વિશેના વિચારો

'એકલતાના કિનારા' નવલકથામાંથી લગ્ન વિશેના વિચારો:

[1]

કોઈ કોઈ વાર મને વિચાર આવતો કે હું એવી છોકરીને પરણીશ, જે વાળ ટૂંકા રાખતી હશે અને હોઠ પર ઘેરી લિપસ્ટિક લગાવતી હશે, એ ખૂબ આધુનિક હશે અને પોતાની મેળે કમાતી હશે અને મારી સાથે નહીં ફાવે તો તલાક લઈ લેશે. ઘણી વાર મને વિચાર આવતા કે અમે ખૂબ મજા કરીશું અને ખૂબ ઝઘડશું અને અમે દિવસ-રાત અંગ્રેજીમાં જ વાતો કરીશું.

મારા વિચારો આવતા અને મારા આચરણ પર કોઈ જ અસર મૂક્યા વિના ખરી પડતા. (પૃ.13) 


[2]

રામા મારી ખૂબ જ પાસે હતી - ડાબો હાથ લંબાવું એટલી પાસે. પણ મારો ડાબો હાથ મેં એક જ છોકરી માટે રાખ્યો હતી; મને પરણનારી છોકરી માટે...

હું માનતો હતો કે મારી પત્ની એવા છોકરાને પરણવાની હતી કે જેનું શરીર તાજું હશે, એ શરીર પર કોઈ છોકરીના હાથ ફર્યા નહીં હોય, એણે કોઈ પણ છોકરીનો ઉપયોગ કરી લેવાના આશયથી એની શક્તિ અને હોંશિયારીનો ઉપયોગ નહીં કર્યો હોય - હું એ જ છોકરીના શરીર પર હાથ ફેરવવાનો હતો જેને પરણવાની મારી તૈયારી હતી. નાદાન છોકરીઓ સાથે ખૂણાઓમાં અને અંધારામાં અડપલાં કરી લેવાનું વીરત્વ મારામાં હતું નહીં અને લગ્નની રાતે હું મારી પત્નીને વ્યક્તિત્વ અને શરીરની ભેટ આપવાનો હતો...કે જેથી એને લાગે કે દુનિયામાં એક અકબંધ શરીર એનું પોતાનું હતું, જેને એ જિંદગીનો એક દિવસ પ્યાર કરી શકે.

રામા જેવી ભૂખી છોકરી પણ નિરાશ થઈ જાય એવા પ્રસંગો બની ગયા. છેવટે એને મારા પર નફરત થઈ ગઈ. મારો પણ પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. (પૃ. 41) 

[3]

નાઈટલૅમ્પના પ્રકાશથી ટેવાઈ ગયેલી આંખોને બધું જ ઝાંખું ઝાંખું પણ સ્પષ્ટ દેખાતું અને અમારા ઘરમાં બાર બાય દસના ક્ષેત્રફળમાં જ સાંસારિક સ્વપ્નો આવી જતાં હતાં. (પૃ.58) 

[4]

લગ્નની શરૂઆતના દિવસોમાં જ હું એક વિચિત્ર વિવશતામાં ફસાઈ ગયો. મેં મારી બધી જ સમસ્યાઓના ઈલાજ તરીકે લગ્નને સ્વીકાર્યું હતું, પણ લગ્ન મારે માટે નવા નવા પ્રશ્નો પેદા કરી રહ્યું હતું. જેની મેં કલ્પના કરી ન હતી અને તૈયારી પણ રાખી ન હતી. નીરા ઠંડી છોકરી હતી. એ એનો પ્રેમ એક છોકરાને આપી ચૂકી હતી અને એ છોકરો એના જીવનમાંથી ચાલ્યો ગયો હતો; નિરાશાનો, પરાજયનો ધુમાડો છોડીને અને થોડી મીઠી મીઠી સ્મૃતિઓનો ભાર મૂકીને. મને લાગ્યું, મારે વાસ્તવિકતા સ્વીકારવાની હતી, એક અનિવાર્યતા, એક લાચારી, એક દુ:ખ જે મારા પૂરા ભવિષ્યને ઘેરી વળ્યું હતું. માનસિક ગ્રંથિઓથી નાસીપાસ થઈ જાઉં એ પ્રકારનો હું ન હતો, પણ મારી અતૃપ્ત ઈચ્છાઓ મને કોરી રહી હતી અને મને અમારી વચ્ચેના વધતા જતા અંતરનું ભાન થતું જતું હતું.

નીરાને હું બે પ્રસંગોએ બરાબર સમજી શકતો - એ વખતે એ, મેં વર્ષો સુધી સેવેલા આદર્શને અનુરૂપ બની જતી : બહાર ફરતી વખતે અને રાત્રે પથારીમાં. એની ઈચ્છાઓ સ્વતંત્ર રીતે બહાર આવતી, એનું સ્વત્વ સળવળી ઊઠતું. મને થતું, એના વ્યક્તિત્વમાં ચેતન આવી જતું અને એ મુંબઈની નીરા વકીલ બની જતી. પણ એ બધું થોડા સમય માટે ટકતું અને ફરી એ શાંત પડી જતી. મારો ઉત્સાહ ઠરી જતો અને એના પર માનસિક કે શારીરિક 'બળાત્કાર' કરતાં હું અચકાઈ જતો. એ સમજતી અને મને લાગ્યા કરતું કે એ મને જીતી લેવાની કોશિશ કરતી ન હતી. એની પાસે પ્રયત્ન કે ઈચ્છા જ ન હતી. એની ભૂખ ભાગ્યે જ ઊઘડતી અને ત્યાં સુધીમાં મારી ગરમી તરફડીને ઠંડી પડી જતી. એ બધું દુ:ખદ હતું. એમાં શારીરિક અતૃપ્તિ અને માનસિક એકલતા હતી અને પારાવાર નિરાશા હતી. નિરાશામાંથી ગુસ્સો પેદા થતો અને ગુસ્સો જુદાઈ લાવતો અને જુદાઈ ધીરે ધીરે નિરાશામાં પરિણમતી. (પૃ. 64) 

[5]

હંમેશા અમે સિનેમા જોઈને બહાર નીકળતાં અને હું પૂછતો, 'કેમ, ચિત્ર કેવું લાગ્યું?' 

એ એક ક્ષણ થોભીને મારો ચહેરો સમજીને મને ફરી ફરીને એક જ સવાલ કરતી, 'તને કેવું લાગ્યું?' હું ચૂપ થઈ જઈ મનમાં સમસમી જતો કે એક ચિત્રના અભિપ્રાયને પણ એ કેટલી ભીરુતા અને સંભાળથી જોઈ રહી હતી. એમાં એના અસ્થિર વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડતું હતું અને મને એની સાથે વિશેષ પ્રશ્નોત્તર કરવાની ઈચ્છા મરી જતી. એ પણ કંઈ જ ન બન્યું હોય એમ ચુપચાપ ચાલ્યા કરતી. (પૃ. 65)

No comments:

Post a Comment