September 13, 2014

હું + ચાલાકી + વાચકની વફાદારી = ગુજરાતી પ્રવાસ વર્ણન

"આભંગ" પુસ્તકમાંથી પ્રવાસ વર્ણનો વિશેના અવલોકનો:

[1]

હમણાં હમણાં ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ-વર્ણનોનો ઉપદ્રવ વધ્યો છે. યાતાયાતનાં સાધનો અને પ્રવાસની સગવડો વધ્યાં છે. ગુજરાતી લેખકોને એરોપ્લેનોમાં બેસીને વિદેશયાત્રાઓ કરવાની તકો વધી છે. લેખક માટે પ્રવાસ ઘણીવાર 'ક્રૅશ કોર્સ' કે 'રિફ્રેશર કોર્સ'નું કામ આપે છે. જૂના જાળાં સાફ થઈ જાય છે, નવી દ્રષ્ટિ ખૂલે છે. થોડું અભિમાન કે અભિજ્ઞાન પણ આવી શકે છે. વળી ચાર-પાંચ વર્ષો સુધી લખ્યા કરાય એવું ભાથું મળી જાય છે. ફલત: સાહિત્યમાં પણ હિન્દી ફિલમની જેમ હવે 'ફોરેઈન'ની ચમત્કારિક અસર આવી છે. લેખક હોય, પ્રવાસ કર્યો હોય, વાચકો મોઢું ફાડીને બેઠા હોય પછી વર્ણનો પાછળ રહી શકે નહિ. એ ખોટું પણ નથી, સાહિત્યનું એક નવું ક્ષેત્ર ખેડાય છે. પણ દરેક પ્રવાસી સારો પ્રવાસ વર્ણન લેખક બને એ જરૂરી નથી. ઘણી વાર લેખકને માટે - સજાગ લેખકને માટે - એક વિકટ પ્રશ્ન એ હોય છે કે શેના વિશે ન લખવું? સારા સાઉન્ડ રેકર્ડિસ્ટ અથવા ફિલ્મ એડિટરની આ સમસ્યા હોય છે - કઈ કઈ વસ્તુઓ પર ક્રૂરતાથી કેંચી ચલાવી દેવી? પ્રવાસવર્ણનો લખનારને માટે શું શું ન લખવું ને શું લખી નાખવું કરતાં વધુ મહત્વનું હોવું જોઈએ, એવું મારું માનવું છે. નહિ તો પ્રવાસવર્ણન લેખક પેરિસનું સોં સેલીઝે વર્ણવતો હોય અથવા સ્વિટઝરલેન્ડના ઝ્યુરિકમાં ફરતો હોય અને વાચકને કંટાળાનાં બગાસાં આવ્યા કરતાં હોય. પ્રવાસ વર્ણન પ્રામાણિક, રસિક વાચ્ય તો હોવું જ જોઈએ. કહેનારને વાત કહેતા આવડવી જોઈએ. સારુ પ્રવાસવર્ણન એરલાઈન કંપનીનું બ્રોશર નથી, સંવાદદાતાએ લખી મોકલેલો અખબારી રિપોર્ટ નથી, ભણવા ગયેલા વિદ્યાર્થીનો વિદેશથી આવેલો અને સંમોહિત અવસ્થામાં લખાઈ ગયેલો પત્ર નથી, પૈસા કમાવા માટે વર્તમાનપત્રો-સામયિકોમાં ઢસડેલી દંભી હપ્તાબાજી નથી. બે પગ નીચે ખૂંદેલી ધરતી અને બે આંખોથી પીધેલી દુનિયાને કલાકારની તુલિકા દ્વારા ઉપજાવેલી પ્રતિચ્છાયામાં ઓગાળવી એ પ્રવાસવર્ણનોનો હેતુ છે.

અંશત: દરેક સુવાચ્ય પ્રવાસવર્ણન દર્શકની આંખોમાં પડેલું પ્રતિબિંબ છે. વ્યક્તિગત છે. જ્યાં ખંડિયેરોના લીલ બાઝેલા પથ્થરો કરતાં બગીચામાં તડકો ખાતી વૃદ્ધાના ચહેરાની ઝુર્રીઓ વધુ 'ઐતિહાસિક' છે, કોઈ કોઈ વખત. (પૃ. 183-184) 

[2]

વચ્ચે ગુજરાતી સાહિત્યમાં આત્મકથાઓ લખવાની સીઝન હતી. ગઠરિયાં બાંધીને કંઈક નીકળી પડ્યા હતા. હમણાં પ્રવાસ વર્ણનોની ફેશન છે. પ્રવાસ વર્ણન આત્મ કથાનું એક નિર્દોષ અંગ છે અથવા કહો કે આત્મકથાનો 'સ્ટંટ' ભાગ છે. હું + ચાલાકી + વાચકની વફાદારી = ગુજરાતી પ્રવાસ વર્ણન એવું કોષ્ટક બેસી શકે. કોઈ નીલ ગગનની નીચેની વાતો કરે છે. કોઈક કોતરો અને કંદરાઓમાં ગાઈડેડ ટુર કરાવી રહ્યા છે, ક્યાંક અલગારીઓ રખડપટ્ટી - કાગળ, પેન્સિલ લઈને - કરી આવ્યા છે. વિદેશના પ્રવાસ વર્ણનમાં ઘણી મજા છે. વાચકને મૂઢમાર જેવી અસર થઈ જાય છે. અંગ્રેજી ઉચ્ચારો પણ સાચા ન બોલનારા, ફ્રેંચ ઉચ્ચારો સાચા કેમ થાય એ વિશે લખે છે અને આપણું જ્ઞાન વધવાનો ભય પેદા થાય છે. વિદેશમાં જોવા જેવું ઘણું છે એની ખાતરી થઈ જાય છે. આ ફેશન જરા વધારે ચાલી તો આપણે વિદેશીઓ કરતાં પણ વિદેશ વિશે વધુ ઘણા જ્ઞાની થઈ જઈશું એવી શક્યતા છે. કદાચ બાપદાદાઓએ કરેલાં પુણ્યને કારણે આપણે પણ વિદેશ જવાનું થાય તો આપણને એ સુખદ આશ્ચર્ય થશે કે આપણે જે વિદેશ વિશે વાંચ્યું હતું એ વિદેશ ક્યાં ખોવાઈ ગયો? પણ ગમે તે હોય, પ્રવાસ થયો તો એનું વર્ણન લખવું જ જોઈએ. વાર્તાઓ, નાટકો લખીને, પ્રવચનો આપી આપીને પણ લેખક કંટાળે છે ત્યારે આ પ્રવાસ લખાણો ફાવે છે. (પૃ. 201-202)

No comments:

Post a Comment