November 19, 2013

પ્રિયકાન્ત મણિયાર વિશે...

એ દિવસો હતા જ્યારે લૉ ગાર્ડનની બહાર આટલી રંગરેલિયા ન હતી. અમદાવાદના રાતના રાજાઓ અને રાતની રાણીઓ આઈસક્રીમ ખાવા માણેકચોકમાં ઊતરતાં. અડધી અડધી આઈસ્ક્રીમોની જ્યાફતો ઊડતી. એક વાર અમદાવાદના તત્કાલીન કવિસમાજમાં કિલાવરના એક્કા જેવા પ્રતિષ્ઠિત મિત્રકવિ પ્રિયકાન્ત મણિયાર મને રાત્રિના બીજા પ્રહરે માણેકચોકમાં આઈસ્ક્રીમ ખાવા લઈ ગયા હતા. આઠ આઈસ્ક્રીમવાળાઓનાં વિવિધરંગી સર્જનોનાં પૂરા લિસ્ટ વાંચીને નવમા પર પ્રિયકાન્તે કળશ ઢોળ્યો હતો - મને પૂછ્યું હતું: મિત્ર, અડધો, અડધો લઈશું? મેં આર્દ્ર સ્વરે કહ્યું હતું: હા, મિત્ર! અને અમે બંને એ અડધા અડધાનું સેવન કરીને તૃપ્ત થયા હતા. એ પછી કિલાવરના એક્કામાં કિલાવરીનો અટેક આવ્યો હતો: મિત્ર, બીજો અડધો અડધો થઈ જાય...! બીજો અડધો ખાવાનો અમદાવાદી લુત્ફ મુંબઈના પામર ગુજરાતીઓ શું સમજશે? પ્રિયકાન્ત મણિયારનો અવાજ કોમલસરસ હતો. કોમલસરસ એટલે? ઉમાશંકરભાઈ જોષીના ઝીણા તારસપ્તક સ્વરમાં યશવંત (શુક્લ કે દોશી ગમે તે ચાલે) ભાઈની જાડી હૂંફ ઉમેરો, પછી એમાં હરીન્દ્રભાઈ દવેની નર્મ કુમાશ છાંટો, અને સુરેશભાઈ દલાલની આંખોની સિન્થેટિક ચકળવકળતાથી જરા પૉલિશ કરી લો, પછી એમાં ભોળાભાઈ પટેલનો કાંકરિયો ગડબડાટ ચાળી લો અને હલકે હાથે કુમારપાળભાઈ દેસાઈની કમનીય નજાકત ચોપડી લો એટલે જે ધ્વનિ થાય એ પ્રિયકાન્ત મણિયાર જેવો કોમલસરસ થાય! આઈસક્રીમ ખાવાથી અવાજ સરસ થાય છે. પ્રિયકાન્ત મારા બહુ જૂના દોસ્તાર થાય.

(સમકાલીન : જુલાઈ 1987) 

(વિદેશ)


November 12, 2013

જગતભરમાં લતા શબ્દનો એક જ અર્થ થાય છે: હિન્દુસ્તાન, હિન્દુસ્તાન, અપનિયત, અપનિયત, હમઝુબાની, હમઝુબાની.

લતા મંગેશકરનો સ્વભાવ બહુ મિલનસાર છે. અમારે ત્યાં આવે ત્યારે, લંડનની પાસેના લેસ્ટરના મિત્ર ચંદુભાઈ મટાણી કહી રહ્યા હતા, લતાબહેન રસોડામાં જઈને રોટલી વણાવવા લાગે. બહુ જ સાદાઈ છે. વર્ષો પહેલાં એક ઈન્ટરવ્યુમાં લતા મંગેશકરે કહ્યું હતું: હા, અમારા ઘરમાં બધા જ માંસાહારી છે, મારી માતા અને મારા ભાઈ સિવાય. પ્રશ્નકર્તાએ પ્રશ્ન પૂછ્યો હતો: તમે રસોઈ ક્યાં શીખ્યાં હતાં? લતા મંગેશકરનો ઉત્તર: ઘરમાં. હું ક્યારેય ક્યાંય જમવા જાઉં અને એકાદ વાનગી ગમી ગઈ હોય તો, નિસ્સંકોચ પૂછી લઉં કે આ કેવી રીતે બનાવી? દ્રષ્ટાંત રૂપે, મજરૂહ સુલતાનપુરીના ઘરમાં શ્રેષ્ઠ યુ.પી. ખોરાક પકાવવામાં આવે છે. એમની પત્નીએ મને કેટલીક વાનગીઓ શીખવી છે. લગભગ બધા જ શાસ્ત્રીય ગાયકો શ્રેષ્ઠ રસોઈયાઓ હતા. સાઈગલસાહેબ બહુ જ સરસ રસોઈ બનાવતા. બડે ગુલામ અલી પણ બહુ સરસ રસોઈ બનાવતા. મને મરાઠી ખોરાક બનાવવાનો શોખ છે... હું મારા ગળા માટે ખાસ કોઈ જ તકેદારી રાખતી નથી. હું ખૂબ જ આઈસ્ક્રીમ ખાઉં છું અને ગરમ મરચાં ખાઉં છું. મને લાગે છે કે મરચાંને લીધે મારો અવાજ વધારે સારો લાગે છે (હસે છે). જો કે, મુંબઈનું હવામાન એવું છે કે હું મુંબઈમાં ઠંડું પાણી પીતી નથી.

દરેક કલાકાર એક વિરોધિતાને જીવનમાં રાખીને જીવે છે. લતા મંગેશકર એક જીવંત દંતકથા છે. રાજકપૂર કે સત્યજિત રાય કે લતા મંગેશકર કે સુનીલ ગાવસ્કર કે રવિશંકર કે રાધાકૃષ્ણન જેવાં નામો એક પેઢી કે એક જાતિ કે એક કાલખંડમાં બંધ રહી શકતાં નથી, એ સમસ્ત પ્રજાની વિરાસત છે અને એ નામો દૂર રહેતાં હોય છે, દૂરતા માણસના માથાની પાછળ એક આભા પ્રકટાવે છે. અને આ "હેલો" અથવા આભામાંથી દંતકથા જન્મે છે. નાના ટુકડાઓમાંથી એ વ્યક્તિનું વ્યક્તિત્વ ઊભરે છે. હરીશ ભીમાણી જે લતાજીના સંગીતના સાથી અને સાક્ષી રહ્યા છે, લખે છે કે મંચ પર ગાતી વખતે લતા મંગેશકર ચપ્પલ પહેરતાં નથી. ગુલઝાર જણાવે છે કે લતાજી જ્યારે ગાતાં હોય ત્યારે કે રેકૉર્ડિંગ વખતે કોઈનું સાહસ હોતું નથી કે સિગારેટ પીએ. દીદી આવે છે એ સમાચાર સાથે જ સિગારેટો બુઝાવા માંડે છે.



દંતકથાઓને સમજવી અઘરી છે. ઈન્ડિયા ટુડેના દસ વર્ષ પૂર્વના એક લતા મંગેશકર વિષેના લેખમાં લખ્યું હતું: "લતા મંગેશકર સ્તબ્ધ કરી મૂકે એવી સરળતાથી બધું કરે છે. ઘણાં ખરાં ગીતો એ રિહર્સલ વિના ગાય છે અને ફિલ્મની સાઉન્ડ-ટ્રેકમાં સીધું જ ગાઈ નાખે છે અને રિ-ટેક થતો નથી. 1977માં દીર્ઘ વિદેશપ્રવાસમાંથી સીધા આવીને રાજ કપૂરના સત્યમ શિવમ સુન્દરમ માટે થીમ-સોંગ ગાઈ નાખ્યું હતું. ફક્ત દસ મિનિટ લક્ષ્મીકાંત-પ્યારેલાલની વાત સાંભળી અને સીધા જ રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં. અને ધૂન બે વર્ષ સુધી શીર્ષસ્થ રહી હતી."

ગુલઝાર જુદી વાત લખે છે: "રેકોર્ડિંગ માઈકની સામે પ્રસ્તુત થતાં પહેલાં (લતાજી)એ ગીત પૂરેપૂરું પોતાના હસ્તાક્ષરોમાં હિન્દીમાં લખે છે.... હાંસિયામાં પોતાની નોંધો ટપકાવે છે. ક્યાં ઉતારચઢાવ કરવો કે આરોહઅવરોહ લાવવો એ વિષે નિશાનો કરે છે. એ રિહર્સલોમાં માને છે. રેકૉર્ડિંગ વખતે એ બિલકુલ પ્રોફેશનલ હોય છે. કોઈ જ લાસરિયાપણું ચલાવી લેતાં નથી. છેલ્લા ટેઈકને સાંભળી લીધા પછી તરત જ એ એમની ફિયેટકારમાં બેસીને નીકળી જાય છે."

હા, આ બંને વાતો, વિરોધી વાતો, એ પાત્રની છે, જેને "જીયા બેકરાર હૈ..." ગીત માટે 200 રૂપિયા મળ્યા હતા. એ "બરસાત" ફિલ્મનું ગીત દેશભરમાં મશહૂર થયું હતું. વર્ષો સુધી લતા મંગેશકરના ગીતનો ભાવ 400 રૂપિયા હતો. આજે લતા મંગેશકરનો ભાવ, કમાણી, કિંમત પ્રતિ કલાક ગણાય છે, પ્રતિ મિનિટ ગણાય છે. વિશ્વમાં, ભારતવર્ષમાં, રેકર્ડોમાં, રોયલ્ટીમાં, કોઈને ખબર નથી લતા મંગેશકરની કમાણી શું છે? અને કોઈને ખબર નથી એ રૂપિયા ક્યાં, કેવી રીતે ખર્ચાય છે. એક અફવા એવી છે કે આ દંતકથા અત્યંત કંજૂસ છે. બીજી દંતકથા એવી છે કે ગુપ્તદાનોમાં આ ધનરાશિ વપરાય છે.

પણ આ અવાજ વીસમી સદીના સૌથી કર્ણપ્રિય અવાજોમાંનો એક છે. કરાંચીની હોટેલમાં ગુંજ્યો છે. ડરબનના ડ્રોઈંગરૂમમાં સાંભળ્યો છે. મૉસ્કોના કિચનમાંથી આવ્યો છે. લંડનમાં રેડિયોમાંથી નીકળ્યો છે. મેનહટનથી લૉંગ આયલેંડ જતાં ન્યુયૉર્કની કારમાંથી આ અવાજ ખૂલતો ગયો છે. અગિયાર હજાર ફીટ ઉપર, બદરીનાથના મંદિર પાસે, નર અને નારાયણ પર્વતોની તળેટીમાં આ અવાજ પડઘાયો છે. ગોવાની મંડોવી નદીમાંથી પસાર થતી બોટમાં આ અવાજ મળ્યો છે અને ગોવામાં મંગેશી મંદિર પાસે મંગેશકરોના જૂના આદિઘર પાસે ઊભા રહીને મેં વિચાર કર્યો છે: "આ નાદ, આ સ્વર, આ અવાજ, આ હલક, ગળાનો આ જાદુ અહીંથી સ્ફૂટ થઈને વિશ્વમાં ફેલાયો છે. પેરિસનું મે-થોઈલ, ઈંગ્લૅન્ડનો સાઉથ હોલ, પ્રિટોરીઆનું લોડીઅમ, લોસ એન્જેલસનું ગાર્ડન ગ્રોવ... જગતભરમાં લતા શબ્દનો એક જ અર્થ થાય છે: હિન્દુસ્તાન, હિન્દુસ્તાન, અપનિયત, અપનિયત, હમઝુબાની, હમઝુબાની. મને લાગતું નથી કે હું મહાન ગાયિકા છું, લતા મંગેશકર કહે છે. હું કદાચ સર્વોચ્ચ શિખર પર છું તો એ ઈશ્વરની કૃપા છે જેણે મને આ માનને યોગ્ય ગણી છે....

28 ભાષાઓમાં ગીતો ગાઈ ચૂકેલાં લતા મંગેશકરના પ્રિય ગાયક કોણ છે? ઉત્તર: સાઈગલ. કે. એલ. સાઈગલ. હું મારી આંગળી પર એક નવરત્ન વીંટી હંમેશાં પહેરી રાખું છું જે સાઈગલની હતી. એમના બેટાએ મને ભેટ આપી છે. હું ક્યારેય એમને મળી નથી. પણ મને લાગે છે કે એ પ્રથમ વ્યક્તિ હતા જેઓ ગાવામાં ભાવ લાવ્યા.

આ એ જ છોકરી છે જે ગ્રાન્ટ રોડ સ્ટેશનથી ટ્રેનના થર્ડ ક્લાસના ડબ્બામાં ચડીને દાદર, અંધેરી, ગોરેગાંવ, મલાડ જતી હતી. એક વાર નૌશાદ નામના એક સંગીતકારે દિલીપકુમાર નામના એક ઍક્ટર સાથે થર્ડ ક્લાસના ડબ્બામાં લતા મંગેશકર નામની એક ગાયિકાની ઓળખાણ કરાવી. એ લતા મંગેશકર પ્રતિ સપ્તાહ મહાલક્ષ્મીના મંદિરમાં જાય છે. આજે ન્યુયૉર્કના મેડિસન સ્ક્વૅર ગાર્ડનના ફેલ્ટ ફોરમ ઓડિટેરીઅમની 8500 સીટો લતા મંગેશકરના નામથી ભરાઈ જાય છે. લંડનના પેલેડીએમ થિયેટરમાં સંગીત સમારોહ થયો હતો ત્યારે જે રેકર્ડ બની હતી એ પાંચ જ અઠવાડિયામાં 25000 રેકર્ડો વેચાઈ ગઈ હતી. પ્રત્યેક રેકર્ડની કિંમત હતી: 100 રૂપિયા. એ સમય હતો ડિસેમ્બર 1980.

લતા મંગેશકર કહે છે: "પ્રથમ ગીત હતું: 'આપ કી સેવા મેં'... હું મારી રેકર્ડો સાંભળતી નથી. હું રાજકારણ વિષે બોલતી નથી, ફક્ત જે વસ્તુ જાણું છું એ વિષે જ બોલું છું. એ છે સંગીત. મને રાગ ભોપાલી, માલકૌંસ, જયજયવન્તી ગમે છે. બેગમ અખ્તર, ગુલામ અલી, મેંહદી હસન ગમે છે." પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો: નવા ગાયકોને શીખવવાની કોઈ યોજના...? ઉત્તર: હું સ્વયં જ્યારે સંગીતની વિદ્યાર્થીની છું તો હું કોઈને કેવી રીતે શીખવી શકું?

અને આ દંતકથા વિચિત્ર છે. સાત માસ પહેલાં હરીશ ભીમાણીની માતાને ફોન પર નમસ્તે ન કહેવા માટે લતાજી સાત માસ પછી ક્ષમા માગી શકે છે. દિલ્હીના પત્રકાર વિજય દત્ત એમના ઈન્ટરવ્યુ માટે હોટેલથી ફોન કરે છે ત્યારે લતાજી કહી શકે છે કે તમે દિલ્હીથી અહીં આવવાનું કષ્ટ કર્યું છે માટે હું જ હોટેલ પર આવી જઈશ. લંડનના આલ્બર્ટ હૉલ કે દિલ્હીના નેહરુ સ્ટેડિયમ કે ન્યુયૉર્કના મેડિસન પાર્ક કે પેરિસના લા ઝેનિથ ઓડિટોરીઅમમાં કાર્યક્રમો આપનારી ગાયિકાની આ નમ્રતા છે કે બીજું કાંઈક? દંતકથા એક રહસ્ય રહેવી જોઈએ, દંતકથા દંતકથા રહે એ માટે પણ...

લોકો જાણવા માગે છે કે તમે શા માટે લગ્ન કર્યા નથી, એક પ્રશ્ન થયો. એમણે ઉત્તર આપ્યો: મને લાગે છે કે ત્રણ ઘટનાઓ એવી હોય છે જેના પર મનુષ્યનો અંકુશ નથી - જન્મ, મૃત્યુ અને લગ્ન. જ્યારે એ ઘટના ઘટવાની છે ત્યારે કોઈ એ રોકી શકતું નથી.

અને એક પ્રશ્ન, સતત પૂછાતો રહેતો એક પ્રશ્ન, કે તમે નવી ગાયિકાઓને ઉપર આવતાં રોકી છે. બહુ જ મોઘમ રીતે. પણ તમારો અદ્રશ્ય હાથ કેટલાંક લોકો જોઈ રહ્યા છે. નવી ગાયિકાઓ વાણી જયરામ, રુના લૈલા, સુલક્ષણા પંડિત, પ્રીતિ સાગર, હેમલતા... આ પ્રશ્ન 1981માં ગરમાગરમ હતો. એ જ અરસામાં ફિલ્મ બજારમાં એક રમૂજ પણ ચાલતી હતી કે લતાબાઈને ડબલ પૈસા આપો તો એ હીરો અને હીરોઈન બંને માટે ગાઈ આપશે! લતા મંગેશકરે આ પ્રશ્નનો ઉત્તર ટુકડે ટુકડે આપ્યો છે, અમે દરેકે....મુકેશભૈયા, રફી, આશા, હું...અમે બધાંએ સંઘર્ષ કર્યો છે, મજૂરી કરી છે. જ્યારે હું આ ક્ષેત્રમાં આવી ત્યારે મારે સુરૈયા, ઝોહરાબાઈ, અમીરબાઈ (કર્ણાટકી) અને શમશાદ બેગમ સામે ઝઝૂમવું પડ્યું હતું અને કોઈ મને રોકી શક્યું નહીં: મને કોઈ કારણ દેખાતું નથી કોઈને કેવી રીતે રોકી શકાય.

આ એ લતા મંગેશકર છે જે મરાઠી ફિલ્મ "પહિલી"માં માસિક 60 રૂપિયાના પગારથી સ્ટાફ આર્ટિસ્ટ તરીકે જોડાયા હતાં. 1947માં માસ્ટર વિનાયકનું અવસાન થયું ત્યારે એનો પગાર 350 રૂપિયા હતો. લતા મંગેશકરના પોતાના જ સ્વરમાં આ વાત: હું 1945માં મુંબઈ આવી, માસ્ટર વિનાયકની ફિલ્મ કંપની સાથે. એ વખતે મને મહિને 200 રૂપિયા મળતા હતા: "ચલે જાના નહી"...થી "મેરા સાયા સાથ હોગા" સુધી "આયેગા આને વાલા...."

ક્લોઝ અપ:
પ્રશ્ન: તમે ફિલ્મસ્ટારો અને ઍક્ટરોને મળતાં નથી?
લતા મંગેશકર: લગભગ ક્યારેય નહીં.

(સમકાલીન: ઑક્ટૉબર 11, 1989)

("શિક્ષણ"માંથી)

October 25, 2013

ભગવતીકુમાર શર્મા અને લાભશંકર ઠાકર વિશે

ભગવતીકુમાર શર્માને 'અસૂર્યલોક' નવલકથા માટે 1988ના વર્ષના સાહિત્ય અકાદમી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. લાભશંકર ઠાકરને 1982થી 1986 સુધી પાંચ વર્ષના ગાળા દરમિયાન પ્રકાશ પામેલા નાટક વિષયક ગુજરાતી ગ્રંથોમાંથી ચંદ્રકને પાત્ર સર્વોત્તમ ગ્રંથના લેખક તરીકે નર્મદચંદ્રક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 'ગ્રંથ' એમનું નાટક છે: 'પીળું ગુલાબ અને હું'. શર્મા અને ઠાકર બંને મારા જૂના મિત્રો છે. અમને સૌને અને મને હરાવીને પહેલો નંબર લાવવા માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન.

ભગવતીકુમાર શર્મા સુરતના છે, અને લાભશંકર ઠાકરની કર્મભૂમિ અમદાવાદ છે. બંને ગુજરાતી ભાષાના અત્યંત ગંભીર અને પ્રતિબદ્ધ શબ્દકારો છે. એમણે ગુજરાતી ભાષાને શોહરત આપી છે. બંને લેખકો લગભગ મારા હમઉમ્ર છે. બંનેએ પોતાને આપવાનું ઘણું આપી દીધું છે. ભગવતીકુમાર શર્મા સારસ્વત શબ્દની સમીપ આવે છે, લાભશંકર ઠાકર રમ્યઘોષાના કવિ છે. અને એ બંને સાથે દશકો સુધી હમકલામી કરીને, દોસ્તી નિભાવીને હું મારી જાતને ખુશકિસ્મત સમજું છું. ભગવતીકુમાર શર્માની સાથે તમે બેઠા હો ત્યારે એક સ્વચ્છ, પારદર્શક અવાજ સાંભળીને તમે સૌમ્ય અને શાલીન અને સૌજન્ય જેવા શબ્દો અનુભવી શકો છો. લાભશંકર ઠાકરના સાબરમતી કિનારાના ઘરમાં તમે બેસો છો અને બહાર પડછાયાઓ બદલાતા જાય છે, રંગ પકડતા જાય છે, ફર્શ (સીલિંગ), અને ફર્શ (જમીન) પર સાંજ ભરાતી જાય છે અને કવિની દોસ્તાના ખુશ્બૂવાળો અવાજ તમે આંખોથી પીતા રહો છો, છલકાતા રહો છો. ગુજરાતી પ્રજાએ એમના આ બંને કલાકારોને મુઠ્ઠીઓ ભરી ભરીને પ્યાર આપી દીધો છે, એમને હવે ઈનામો-ચંદ્રકો 'એનાયત' કરવાથી બહુ ફર્ક નહીં પડે પણ એ સંબંધિત પ્રતિષ્ઠાનોની વિશ્વસનીયતા પ્રસ્થાપિત થશે.

લાભશંકર ઠાકરે 1981 માટેનો રણજિતરામ સુવર્ણચંદ્રક ઠુકરાવી દીધો હતો. 1988માં મળેલો નર્મદચંદ્રક સ્વીકાર્યો છે. એમના શબ્દોમાં: મેં રણજિતરામ સુવર્ણચંદ્રકનો અસ્વીકાર કર્યો હતો અને હવે નર્મદચંદ્રકનો સ્વીકાર કરું છું. આ...મારામાં વિસંગતિ અને વિરોધાભાસ ઊભો થાય છે તેના પ્રત્યે હું આશ્ચર્યથી જોઉં છું. મને મારા આ વ્યક્તિત્વમાં અજબ રસ પડે છે. આવતી કાલે સંભવ છે હું બીજો ચંદ્રક ન પણ સ્વીકારું. હું ક્ષણેક્ષણમાં જીવું છું. મારી ભાવિ ક્ષણ વિશે હું ખાતરીપૂર્વક કંઈ જ કહી શકું તેમ નથી.

લાભશંકર ઠાકર એકલા જ નહીં, આપણે બધા એમની ચંદ્રકઝૂલતી છાતીને આશ્ચર્યથી જોઈ રહ્યા છીએ! આપણે બધા જ અદભુતના પ્રાંતમાં એમની સાથે સાથે અજબ રસથી પ્રવેશી રહ્યા છીએ. એક વાર સ્વીકારવાની ભૂલ થઈ ગઈ હોય તો બીજી વાર એ સ્વીકારવું જ જોઈએ એવું પણ નથી. સુરેશ જોષીથી એક ઈનામ લેવાઈ ગયું હતું, બીજાનો એમણે અસ્વીકાર કર્યો હતો. (મેં પેરેલિસિસના અડધા ઈનામનો અસ્વીકાર કર્યો હતો, પછી ઝિન્દાનીનું પ્રથમ ઈનામ મિત્ર મહંમદ માંકડના આગ્રહને લીધે લઈ લીધું હતું, પછી 'મહાજાતિ ગુજરાતી' માટેના પ્રથમ ઈનામનો અસ્વીકાર કર્યો હતો. હવે નવા લેખકોને એ આપવું જોઈએ, એ મારો તર્ક હતો. મારે પહેલા ઈનામની જરૂર નથી, એમ મેં કહ્યું હતું). ગુજરાતીમાં ઈનામો હમેશાં ચર્ચાઓ જન્માવે છે. ફરીથી એ જ પ્રશ્ન આવે છે: સાહિત્યનાં ઈનામો લેવાં જોઈએ કે ન લેવાં જોઈએ? 
(વિવિધા ભાગ-2માંથી)

October 24, 2013

ફરીથી સાહિત્યનાં ઈનામો: લેવાં, ન લેવાં, લઈને આશ્ચર્યથી જોવાં

ગુજરાતીમાં ઈનામો હમેશાં ચર્ચાઓ જન્માવે છે. ફરીથી એ જ પ્રશ્ન આવે છે: સાહિત્યનાં ઈનામો લેવાં જોઈએ કે ન લેવાં જોઈએ?

મેં લીધા નથી, હું લેવામાં માનતો નથી. હવે કોઈ આપતું પણ નથી. પણ ગુજરાતની કોલેજના વિદ્યાર્થીઓ, પત્રકારત્વના સંમાનનીય અભ્યાસીઓની કોઈ કમિટી, કોઈ વરિષ્ઠ સાહિત્યિક સંસ્થા જો મને પુરસ્કૃત કરે તો હું જરૂર એ સ્વીકારીશ. માત્ર કૃતિને નહીં પણ લેખકના સમસ્ત જીવનના કૃતિત્વને પુરસ્કૃત કરવું જોઈએ, કારણ કે જીવનભર લખી લીધા પછી તમારું દરેક છપાયેલું પાનું પ્રજાની વિરાસત બની જાય છે. તમારી સમગ્ર ફિલસૂફીનું પ્રજા અભિવાદન કરે તો એ ગર્વ લેવાની વાત છે, કારણ કે એ સમયે તમે ઈનામ-અકરામની લાલસાથી પર થઈ ગયા હો છો. જેમણે જીવન ન્યોછાવર કર્યું છે, જાતને ઘસી નાખી છે એમને સલામ કરીએ છીએ ત્યારે આપણે કૃતકૃત્યતા અનુભવીએ છીએ. ભગવતીકુમાર શર્મા અને લાભશંકર ઠાકરને આપણે એક્સપોર્ટ પ્રમોશનમાં સૌથી વધુ એક્સપોર્ટ કરવા માટે કે વર્ગમાં શ્રેષ્ઠ વર્તણૂક માટે ચાંદ આપ્યો નથી, એમણે આપણી ભાષાને ગરિમા આપી છે માટે આપણે એમનો પુરસ્કાર કર્યો છે.

અને અહીં જ વિસંવાદ, વિરોધિતા, વિસંગતિ પેદા થાય છે. ગુજરાતી ભાષાનાં ઈનામવિતરકો સાચા પડ્યા છે એના કરતાં ખોટા વધારે પડ્યા છે. દર વર્ષે ઈનામોની લહાણી કરવામાં આવી છે અને શિવકુમાર જોષી કે રંભા ગાંધી જેવાને ઈનામો સતત અપાતાં રહ્યાં છે. દિલ્હીની સાહિત્ય અકાદમીએ કાયદાઓ તોડીને, વાળીને, મચડીને, ગેરકાયદે રીતે 1962માં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને, 1964માં ડોલરરાય માંકડને, 1968માં સુંદરમને, 1974માં અનંતરાય રાવળને, 1978માં હરીન્દ્ર દવેને ઈનામો આપ્યાં છે, જે વિશે મેં એકથી વધારે વાર લખ્યું છે અને હજી સુધી મને આ વિષે કોઈએ ઉત્તર આપ્યો નથી, પ્રતિવાદ કર્યો નથી કે મારો આરોપ ખોટો છે. 1979માં જગદીશ રામકૃષ્ણ જોશી જેવા તદ્દન સામાન્ય સ્તરના લખનારને મરણોત્તર ઈનામ અપાવવામાં આવે છે ત્યારે ઈનામોની બંદોબસ્તનીતિ માટે પુરસ્કાર નહીં પણ તિરસ્કાર થઈ જાય છે. આ મુખ્ય કારણ છે કે ઈનામદાર કલાકાર આવાં ઈનામો સ્વીકારવાની ના પાડે છે, ખુરશી પર બેઠેલાને શત્રુ બનાવે છે. પૈસા ન મેળવીને આર્થિક નુકસાન કરે છે અને ગુજરાતી પ્રજાનાં ચરણોમાં માથું ટેકવી દે છે.

ઈનામો કે સન્માન એમ જ પાછાં આપ્યાં છે એવું નથી. આ મહાન ગુજરાતી સાહિત્યમાં અમારા વીર્યવાન પૂર્વજોએ ઈનામો ઠુકરાવી દીધાં છે. નવલરામે સન 1863માં અઢીસો પાનાંની કવિતા લખી હતી અને સાડા સાત મહિના પછી જ્યારે અડધું ઈનામ આવ્યું ત્યારે એમણે એ કબૂલ કર્યું નહીં અને કવિતા પાછી મગાવી લીધી હતી. એ પછી એક સુદીર્ઘ પરંપરા રહી છે ગુજરાતી યોદ્ધા-લેખકની! નાનાલાલે અસ્વીકાર કર્યો હતો. ધૂમકેતુએ 1935માં રણજિતરામ સુવર્ણચંદ્રકનો સ્વીકાર કર્યો હતો. 1958માં રશિયા જવા માટે મળેલા આમંત્રણનો પણ ધૂમકેતુએ સવિનય અસ્વીકાર કર્યો હાતો. ગુજરાતી સાહિત્યે સંભવામિ યુગે યુગેની જેમ હમેશાં પોતાની જ ધરી પર ફરતા ધૂમકેતુઓ પેદા કર્યા છે... અને ઉપગ્રહો તો છે જ, અને આપણા સાહિત્યમાં જે રોશની છે એ ઝળઝળીને ક્ષિતિજો ફાડીને ડૂબી ગયેલા ધૂમકેતુઓની છે, ઉપગ્રહો અને ઉપ-ઉપગ્રહોની નથી. આસપાસ છલાંગો મારતાં રહેતા હૂપ-હૂપગ્રહોની પણ નથી.

ઈનામ પ્રોત્સાહન આપે છે જ્યારે લેખક નવો હોય છે. મને જોસેફ મેકવાન માટે દિલી હમદર્દી એટલા માટે છે કે કેટલા બધા તીનપાટિયા લેખકો એમની હાજરીમાં મહાન મુરબ્બીઓ હોય એવો વર્તાવ રાખે છે! ઈનામ તમને એક સ્થાન આપે છે. આજકાલ તો ગુજરાતી વાચક લેખકનો બની ગયો છે. એ સમજે છે, એ ક્ષીરનીરવિવેક જાણે છે, અને મર્દો અને મસાણિયાઓ વચ્ચેનો ફર્ક ખબર છે એ બતાવવા માટે માત્ર એક સ્મિત જ કરવું પડે છે. વાચકની ત્રીજી આંખ જુએ છે કે ગુજરાતી સાહિત્યના સ્થાનિક ગઠિયાઓ અને ગલ્લાવાળાઓની હાજરીમાં કોઈ નટબોલ્ટ બનાવનારા શેઠિયાના હાથે જાહેરમાં શાલ ઓઢાડી દો અને નાળિયેર પકડાવી દો એ સન્માન ન કહેવાય. એ તો મહાનટ શેઠિયાભાઈઓની સાંજની એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટી કે ઈતર પ્રવૃત્તિ છે. જ્ઞાનપીઠના એવોર્ડ અપાતા હતા ત્યારે આરંભના એક સમારંભમાં ઈન્ડો-એંગ્લીઅન લેખક નીરદ ચૌધરીને બોલાવવામાં આવ્યા હતા. નીરદબાબુનો બોલવાનો વારો આવ્યો ત્યારે એમણે કહ્યું: આ જ્ઞાનપીઠ પુરસ્કાર તો સાહુ-જૈન સિમેન્ટ ફેક્ટરીની બાય પ્રોડક્ટ છે! એ પછી નીરદ ચૌધરી ક્યારેય દેખાયા નહીં... જો કે નીરદબાબુ એમની કર્કશ જીભ માટે હમેશાં કુખ્યાત રહ્યા છે.

મુંબઈના મહાન શેઠ લોકો કે ગુજરાત અથવા દિલ્હીના સરકારી કમિટીવાળા લેખકોનું આપણને ઈનામ આપવાનું ગજું કેટલું? હમણાં દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરના ગુજરાતીઓએ પંડિત નરદેવભાઈ વેદાલંકારને 75 વર્ષની સમાપ્તિ પર એક સમારોહ કરીને ભાવપૂર્વક 23 નવેમ્બર 1988ને દિવસે જાહેરમાં સન્માન કરીને એક થેલી આપી. નરદેવભાઈએ પૂરી જિંદગી દક્ષિણ આફ્રિકામાં હિંદુત્વનો ધ્વજ ઊંચો રાખ્યો છે. એ વિદ્વાન લેખક, શિક્ષક, ચિંતક છે. એમણે ગ્રંથો લખ્યા છે. ડરબનના ગુજરાતીઓએ એમનાં 75 વર્ષો સમાપ્ત થવા પર એમને 75000 રાન્ડ આપ્યા. ગુજરાતી કવિતાકાર ભાઈઓને ગુણાકાર કરવાની તકલીફ ન પડે એ માટે રૂપિયામાં આ કિંમત લખું છું: 4,50,000 (રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા). મુંબઈ નગરીમાં તો આપણે જ બધું ગોઠવવું પડે, ષષ્ટિપૂર્તિ હોય કે અમૃતમહોત્સવ હોય કે સિલ્વર જ્યુબિલી હોય કે વિમોચન હોય, આપણે જ બધો બંદોબસ્ત કરવો પડે. આપણે જ ટર્નર બનવું પડે, આપણે જ ફિટર બનવું પડે, આપણે જ લેથ ઑપરેટર બનવું પડે. જરૂર પડે તો તાળીઓ પાડનારા પણ સપ્લાય કરવા પડે.

અમે કેટલાકે ઈનામો-ચાંદો-અકરામોને લાતો મારી છે માટે ઈનામો-ચાંદો-અકરામોની ઈજ્જત વધી છે. માટે હવે યોગ્ય વ્યક્તિઓ પસંદ કરવી પડે છે, ન છૂટકે પસંદ કરવી પડે છે. માટે ટેબલ નીચી બેઠેલા બિલાડાઓને શું ગુ... કરીને કાઢી મૂકવા પડ્યા છે. માટે સાચા કલાકારોને પાસે ખુરશી પર બેસાડવા પડ્યા છે. 1925માં બર્નાર્ડ શોને સાહિત્ય માટે નોબેલ પારિતોષિક અપાયું ત્યારે બર્નાર્ડ શોએ રોયલ સ્વીડિશ એકેડમીને પત્ર લખ્યો હતો: (તમારું ઈનામ) એ લાઈફબોટ જેવું છે જે તરનાર તરફ ફેંકવામાં આવ્યું છે પણ તરનાર તો કિનારે પહોંચી ચૂક્યો છે! તેહરાન વિશ્વવિદ્યાલયે જ્યારે ડૉ.રાધાકૃષ્ણનને ડી.લીટ.ની ડિગ્રીથી વિભૂષિત કર્યા ત્યારે ડૉ.રાધાકૃષ્ણને એમના જીવનભરના અભ્યાસના પરિપાકરૂપે લખેલાં પુસ્તકો (હું ધારું છું 36 હતાં) તેહરાન યુનિવર્સિટીને ભેટ આપ્યાં. એ વખતે તેહરાન યુનિવર્સિટીના વિદ્વાન ઉપકુલપતિએ લગભગ ભાવુક થઈને કહ્યું: કોણે કોને આપ્યું છે? અમે ડૉ. રાધાકૃષ્ણનને વિભૂષિત કર્યા નથી, એમણે આવા મહાન ગ્રંથો આપીને અમને વિભૂષિત કર્યા છે!

ઈનામો લેવાં જોઈએ કે ન લેવાં જોઈએ? 1981માં પાકિસ્તાનમાં હું મૌલાના એધીને મળેલો અને એમના વિશે વિસ્તારથી લખેલું. ઔલિયો માણસ છે, ખુદાનો સાચો બંદો છે, ચોવીસ કલાક જનતાનો ખિદમતગાર છે. આપણે ફરીથી ઈન્સાનિયતમાં યકીન કરવા લાગીએ એવો માણસ છે. એમને આંતરરાષ્ટ્રીય મેગસાયસાય એવોર્ડ મળ્યો. એક જમાનામાં મૌલાના એધીએ એમની સંસ્થા માટે સદર ઝિયાએ મોકલેલા પાંચ લાખ રૂપિયા પણ પાછા મોકલ્યા હતા, મારો ખુદા મને પૂરી મદદ કરતો રહી છે એમ કહીને! એમણે મેગસાયસાસ એવૉર્ડ સ્વીકાયો, કહ્યું: આ સ્વીકારું છું એટલા માટે કે પૂરી દુનિયાને પાકિસ્તાન વિષે ખબર પડે. મારા દેશનું નામ રોશન થાય છે. હું એમાં નિમિત્ત બનું છું. બસ.

મૌલાના એધીની વાત પછી મને લાગે છે કે મારા પૂરા કૃતિત્વ માટે કોઈ મને પુરસ્કાર આપશે તો હું સ્વીકારીશ. ડરબનના ગુજરાતીઓ જેટલું તો ગજું ન હોય, પણ મુંબઈના શેઠિયાનું જેટલું ગજું હોય એટલું. એ બિચારા પણ પોતાની યથાશક્તિ આપે જ છે. બાકી, ઓડિયન્સ ભેગું કરવા માટે કેટરર્સ તો મળી રહેશે...

ક્લોઝ-અપ:

હવે તો સરકાર તરફથી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ છે. 'ભારતીય સાહિત્ય પરિષદ' કે 'ભારત ભારતી' એવું દેશી નામ રાખવાને બદલે 'સાહિત્ય અકાદમી' એવું ભૂંડું નામ સરકારને કારણે એને ધારણ કરવું પડ્યું. સંસ્થા ગમે તેવી સારી અને કાયદાથી સ્વાયત્ત હોય તોય સરકારના વણાછામાં કોણ જાણે એ તેજસ્વી બનતી જ નથી. સંપત્તિ, સત્તા અને પ્રતિષ્ઠા સરકારના હાથમાં... એક તરફથી એનાથી દૂર રહેવું પોસાય નહીં અને બીજી તરફથી પોતાના ત્રિવિધ પ્રભાવથી એ સરકાર આપણને ખાઈ જાય, એ પણ પોસાય નહીં. એમાંથી વચલો માર્ગ કાઢવો એ તો યોગીની કરામત જેવું અગમ્ય, કષ્ટસાધ્ય અને અદભુત કામ છે.

                                                                                                                             - કાકા કાલેલકર (1959)

હમણાં લાભશંકર ઠાકરે 1982 માટેનો રણજિતરામ ચંદ્રક પાછો ઠેલીને ચકચાર જગાવી...ઠાકરે ફોડ પાડીને સમજાવ્યું છે કે મારી સાહિત્યપ્રવૃત્તિ કેવળ નિજાનંદ અર્થે છે, મારું સર્જન મારું અંગત કાર્ય છે, હું એમાં લીન છું. ચંદ્રક સ્પર્ધામૂલક છે અને હું સ્પર્ધા માટે કવિતા લખતો નથી. મારે માટે એ જરૂરી નથી.

- 'સમકાલીન' (15 જાન્યુઆરી 1984) તંત્રીલેખમાંથી

(સમકાલીન: જાન્યુઆરી 4, 1989)

(વિવિધા ભાગ-2)

ગુજરાતી ફિલ્મો અને ઈનામો

ગુજરાતી ફિલ્મો ગુજરાત સરકારની દાસીઓ હતી. ઢગલેઢગલા ઈનામો, ગણ્યાં વીણાય નહીં, વીણ્યાં વીણાય નહીં એટલાં આપ્યાં. કચ્છી સંસ્થાઓ માધ્યમિક નિશાળમાં પરીક્ષામાં બેઠેલા દરેક કચ્છી બાળકને જેમ નોટબુકો આપે છે (આ અત્યંત સ્તુત્ય વાત છે) એમ જ ગુજરાત સરકારે ગુજરાતી ફિલમોના પચાસ વર્ષોથી નિશાળિયા રહેલા ફિલમી ઈલમીઓને ઈનામોમાં નવડાવી નાખ્યા. પણ પબ્લિક રૂઠી ગઈ, સાંવરિયા ને પાતળિયા અને સાહેબા ને વીરા ને બાવરિયા... બધાય વહ્યા ગયા. ગુજુ સિનેમાનો વેપલો જ બંધ થઈ ગયો. ઈમ ઈનામો આપ્યે ન ચાલે.
(વિવિધા--2, પૃ.23)

September 26, 2013

અંધશ્રદ્ધા અને કાયરો : શુભ-અશુભનું અનુમાનશાસ્ત્ર

જુલાઈ 26, 1987ને દિવસે જયપુરની પાસે જારખંડ મહાદેવ મંદિરમાં જોધપુર જિલ્લાના ફલોદ ગામના 151 પંડિતો ભેગા થયા અને મહારુદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવ્યો. આ યજ્ઞનો આશય વરુણ દેવતાને રીઝવવાનો હતો કે જેથી અકાલગ્રસ્ત રાજસ્થાનમાં વરસાદ પડે. એની સામે કોંગ્રેસી વિરોધીઓએ એ જ મંદિરમાં જુલાઈ 30થી ઓગસ્ટ 1 સુધી પ્રતિ-યજ્ઞ કર્યો જેનું નામ મહાપ્રાજન્ય યજ્ઞ હતું. આ યજ્ઞનું પ્રયોજન હતું એ હતું કે રાજસ્થાનના મુખ્ય મંત્રી હરિદેવ જોષી અને એમના પરિવારે કરેલા યજ્ઞની અસર ખલાસ થઈ જાય!

ઑગસ્ટ 17, 1987ને દિવસે લોકસભામાં કૃષિમંત્રી ગુરદયાલસિંહ ધિલ્લોંએ કહ્યું કે હું હમણાં જયપુર ગયો હતો અને મારો આશય એક હવનમાં ભાગ લેવાનો હતો. આ હવન જયપુરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, અને આ હવનનો આશય વરસાદના દેવતાને રીઝવવાનો હતો.

ડિસેમ્બર 1986માં તામિલનાડુના પશ્ચિમ મમ્બલમ પ્રદેશમાં અશ્વમેધ મંડપમમાં અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં 121 વૈદિક વિદ્વાનો 11 દિવસ સુધી 11 વાર પંચાક્ષરી મંત્રોનું ઉચ્ચારણ કરવાના હતા. ડિસેમ્બર 18થી ડિસેમ્બર 28 સુધી આ મહાયજ્ઞ ચાલ્યો હતો. હોમહવન સાથે શ્રીરુદ્રમ મંત્ર 14,641 વાર બોલાયો હતો. દસ દિવસ સુધી ચંડી-હોમમ થયો હતો. મનુસઃયજાતિને આ હોમહવનથી ખાસ લાભ થવાનો હતો. આ મહાયજ્ઞથી સુખશાંતિ અને સમૃદ્ધિનો યોગ થવાનો હતો.

રાજકોટમાં વરસાદના દેવતાને પ્રસન્ન કરવા માટે એક દિવસનો બંધ પાળવામાં આવ્યો હતો.

મધ્ય પ્રદેશમાં વૃષ્ટિના દેવતાને પ્રસન્ન કરવા માટે એક લાખ પચીસ હજાર લિંગમ બનાવવામાં આવ્યા હતાં કે જેથી વરસાદ પડે. આ સિવાય ગધેડાઓને વિધિવત સમાગમ કરાવવામાં આવ્યો હતો કે જેથી વરસાદ પડે. એક માણસ ઘસડાતો ઘસડાતો 22 કિલોમીટર દૂરના એક મંદિર સુધી ગયો હતો કે જેથી વરસાદ પડે!

જપ-જાપ અને હોમહવન અને તાંત્રિક દાવપેચ માત્ર દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં જોર પર છે. રાજીવ ગાંધીની સરકાર સ્થાયી રહે એ માટે દિલ્હીમાં યજ્ઞ થાય છે અને રાજીવ ગાંધી એમાં પધારે પણ છે. એ વિદેશયાત્રા પર હતા, ત્યારે શુક્રવારની નમાઝ પછી મસ્જિદની બહાર લાઈનસર યતીમો ઊભા રહી ગયા હોય એમ, મંત્રીઓ ઊભા રહી જાય એ જુગુપ્સાપ્રેરક ચિત્ર ઓછું હોય એમ 21મી સદીના કોમ્પ્યુટર વ્હીઝકીડ રાજીવ ગાંધી જમણા બાવડા પર રેશમી લાલ કપડું બંધાવતા, જે તાવીજ હતું! મુસ્લિમોમાં જમણા બાવડા પર આ રીતે તાવીજ બંધાય છે! આ દેશમાં કોમ્પ્યુટરોને પણ રાખડીઓ અને તાવીજો આપણે બાંધવાના છીએ.

વી.કે. કૃષ્ણમેનન 1950ના દશકમાં કહેતા હતા કે આ દેશમાં બે જાતના માણસો જીવે છે: એક જે 'ફર્ટિલાઈઝર્સ' (ખાતર)માં માને છે અને બીજા જે 'એસ્ટ્રોલોજર્સ' (જોષીબાવા)માં માને છે! પણ 1980 આવતાં સુધીમાં જોષીબાવાઓના અનુયાયીઓ વધી ગયા છે. જ્યોતિષ જે ખગોળ અને ગણિતના સંબંધો સમજવાનો એક બૌદ્ધિક વિષય છે એ ફળાદેશથી દૈનિક ભવિષ્ય સુધી આવી ગયો છે. પહેલાં અભણ માણસો અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા, હવે ભણીગણીને માણસ અંધશ્રદ્ધામાં ડૂબી ગયો છે. આ જ કદાચ આધુનિક ભારતીય સમાજનો ફળાદેશ છે....

કોઈપણ વિકાસશીલ દેશ પ્રજાને નાહિમ્મત કરી નાખનારી આટલી મોટી જ્યોતિષીઓની ફૌજ નિભાવતો નથી. એક અનુમાન પ્રમાણે ભારતવર્ષમાં પ્રેક્ટિસિંગ અને જાણકાર જ્યોતિષીઓનો જુમલો છ લાખ સુધી પહોંચે છે. ભિખારી જ ભવિષ્યની વધારે ચિંતા કરે છે. એ પછી ભીરુ અને કાયર ભવિષ્યની વધારે ચિંતા કરે છે. આ દેશમાં ચારસો જેટલાં જ્યોતિષી પંચાગો પ્રતિવર્ષે પ્રકટ થતાં રહે છે એવું પણ એક અનુમાન છે. સરકારી ઑફિસમાં નાનીમોટી ખુરશીઓમાં ચોંટી પડેલા સરકારી નોકરો પણ રાશિ, ગ્રહ, રાહુ-કેતુ, દશા-મહાદશા, મંગળ, શનિ, શુકન, ચોઘડિયું, દિશાશૂળ જેવા ટેકનિકલ શબ્દો વાતવાતમાં વાપરી શકતા હોય છે. અને આ જ્યોતિષબાજી ઓફિસ-ટાઈમનો ફુલ-ટાઈમ જૉબ હોય છે.

જ્યોતિષમાં આંધળો વિશ્વાસ એક પ્રકારની ભીરુ અંધશ્રદ્ધા છે. અને આજે દેશના પ્રથમ અને દ્વિત્તીય નાગરિકોમાં પણ અંધશ્રદ્ધા છલોછલ ભરેલી છે. રાષ્ટ્રપતિ ઝૈલ સિંહની અવધિ સમાપ્ત થતી હતી એનાથી એક દિવસ લંબાવવામાં આવી (આ પણ કેટલું કાયદેસર ગણાય?) આનું કારણ? નવાંગતુક રાષ્ટ્રપતિ રામસ્વામી વ્યંકટરમણ વધારે ધર્મિષ્ઠ માણસ છે. એમનો દુરાગ્રહ કે સત્યાગ્રહ કે આગ્રહ હતો કે અમુક જ શુભ દિવસે એમની શપથવિધિ થાય! એ કાળી શેરવાણી પહેરીને શપથગ્રહણ કરવા આવ્યા હતા, કારણ કે એમના જ્યોતિષીઓએ ખાસ સલાહ આપી હતી કે આ શુભ દિને કાળું જ પહેરવું કે જેથી વિનાશક તત્ત્વોનો નાશ થશે!

મને લાગે છે કે જગતના કોઈ જ આધુનિક દેશમાં આવું બવન્ડર ચાલતું નથી. જે લોકો મનથી આટલા બધા કમજોર છે એમના હાથોમાં સત્તાની ધુરા કેટલી સલામત રહી શકે? પણ મુહૂર્ત, ચોઘડિયું, કુંડળી એ રાજકારણનું સત્ય છે.

હું ક્યારેક વિચાર કરું છું, રામ અને સીતાની જન્મકુંડળી મેળવી હશે અને જો જન્મકુંડળીના ગ્રહો મળતા હોત તો શિવધનુષ્યવાળા નાટકની શી જરૂર હતી? રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત વશિષ્ઠ ઋષિએ કાઢ્યું હતું? જે રાજ્યાભિષેક થયો જ નહીં એનું મુહૂર્ત ખોટું કાઢ્યું હતું? સીતા અને રામનું લગ્નજીવન સુખી હતું કે દુ:ખી? દ્રૌપદી પાંચ પાંડવોને પરણી ત્યારે છ કુંડળીઓ જોવામાં આવી હતી? મંગળનો શબ્દાર્થ 'શુભ' છે પણ કુંડળીમાં મંગળના ગ્રહ શા માટે અશુભ થઈ જાય છે? કદાચ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન નથી, અનુમાન છે અથવા અનુમાનની વિશેષ નિકટ છે.

જ્યોતિષ કરતાં પણ વધારે જટિલ અને પેચીદો પ્રશ્ન છે અંધશ્રદ્ધાનો, વહેમનો, સુપરસ્ટિશનનો, પૂર્વગ્રહનો. વરસાદ જોઈએ છે અને એ માટે એ પ્રશ્નને બુદ્ધિ, વિજ્ઞાન અને શ્રમથી સમજવો પડશે, સુલઝાવવો પડશે. વરસાદ નથી, વરસાદ ઓછો થતો જાય છે, દુકાળની સ્થિતિ સ્વાભાવિક થતી જાય છે. માટે એ વિષે દેશના બુદ્ધિમાનોએ ભેગા થઈને દૂરદર્શી અને દૂરગામી આયોજન માટે સુઝાવ આપવા પડશે, શાસને નિષ્ઠુર થઈને ભ્રષ્ટને શેષ કરવો પડશે અને ન્યાયી વિતરણવ્યવસ્થા ગોઠવવી પડશે. પણ આપણને હોમહવન કરીને વરુણ દેવતાને પ્રસન્ન કરવામાંથી અવકાશ મળતો નથી. આ એક નેગેટિવ હતાશાપ્રેરક ભીરુ વિચારકોણ છે. કદાચ ભારતમાં ઉપર બેઠેલા કે બેસી ગયેલા માણસની ક્વોલિટી જ હલકી છે, અને ડરપોક છે.

ક્લોઝ અપ:

સુદ્ધિ અસુદ્ધિ પરચતં નાન્ગો અન્ગં વિસોધયે.
                                                                    - ધમ્મપદ, બૌદ્ધ ધર્મગ્રંથ
(શુદ્ધિ અને અશુદ્ધિ વ્યક્તિના પોતાના ઉપર નિર્ભર કરે છે. કોઈ માણસ બીજાને શુદ્ધ કરી શકતો નથી.)

(શિક્ષણ, ભાગ-1)

આપણે સમય પ્રમાણે બદલાતા નથી, સમયને બદલતા નથી

સવાર, બપોર અને સાંજ. સવાર શબ્દ ક્યાંથી આવ્યો? સુ અને વાત એટલે સારો પવન? હિન્દી શબ્દ ભોર એટલે સવાર. ભોર એટલે ભૈરવી ગાવાનો સમય? મોંસૂઝણું કે ભાંભાંખળું જેવા જૂના ગુજરાતી શબ્દો હવે પ્રયોગમાંથી ખસતા જાય છે. પરોઢિયું એટલે દૂરથી મોઢું ઓળખી શકાય એવો અર્થ થાય છે? વ્હાણું વાયુને સમુદ્રમાં વહાણ લઈ જવાના સમય સાથે કોઈ સંબંધ છે? મળસકું ક્યાંથી આવે છે? બંગાળીમાં સવાર માટે સકાલ શબ્દ છે, સાંજ માટે બિકાલ છે.

બપોરનું મૂળ છે: બે પહોર! અને પહોર શબ્દ સંસ્કૃત શબ્દ પ્રહર પરથી આવે છે. પ્રહરી શબ્દનો મૂળ અર્થ એ પ્રહર પૂરતી જેની ડ્યુટી હોય એવો સંત્રી. સાધારણત: સવારના અંધારા પ્રહરો વખતે જે પહેરો ભરે એ પ્રહરી ગણાય. પો ફાટ્યાનો અર્થ પણ આસાન છે. જેને આપણે ગુજરાતીમાં બપોર કહીએ છીએ એ હિન્દીમાં દોપહર છે, મરાઠીમાં દૂપારી છે અને બંગાળીમાં દ્વિ-પ્રહર છે. આપણે ગુજરાતીમાં બપોર શબ્દની ઘણી છાયાઓ માટે જુદાજુદા શબ્દો ઉપજાવ્યા છે... પહેલો પહોર, બીજો પહોર, નમતો પહોર, પાછલો પહોર, ચઢતો પહોર! આ સિવાય સંસ્કૃત શબ્દો વાપરીએ છીએ: મધ્યાહન, અપરાહન અને સાયાહન! મધ્યાહન એટલે બપોરે લગભગ બાર વાગ્યાનો સમય, અપરાહન એટલે ત્રણેક વાગ્યાનો સમય અને સાયાહન એટલે સાંજનો સમય! સૂર્યની બદલાતી ગતિ પ્રમાણે કેટલાંક નામો આવતાં ગયાં છે...ઘટિકા, ટાણું, કટાણું, વેળા!

અને સાંજ, અથવા સંધ્યા. મૂળ પ્રાકૃત શબ્દ છે સંઝા, જેના પરથી સાંજ આવી છે. એ સાયંકાળ છે, જેમ સવાર ઉષ:કાળ કે પ્રાત:કાળ છે. ગાયો પાછી ફરવાનો સમય એ ગોરજ કે ગોધૂલિ છે. એક શબ્દ છે આરતી ટાણું અથવા મંદિરમાં આરતી કરવાનો સમય. પથારીમાં બીમાર માણસ પણ આરતી સમયે પથારીમાં બેઠો થઈ જાય, એ સમયે સુવાય નહીં. એક બીજો શબ્દ છે ચાંદરણા ટાણે. અને જૈન સમયશાસ્ત્ર પ્રમાણે જ્યાં સુધી નગ્ન આંખે હથેળી જોઈ શકાય ત્યાં સુધી દિવસ ચાલી રહ્યો છે, ભોજન લઈ શકાય. હથેળી દેખાતી બંધ થાય છે અને રાત્રિ શરૂ થાય છે.

જગતની ઘણી જાતિઓમાં સમય ધરતી, ગાયો કે કૃષિ સાથે સંકળાયેલો છે. પણ બંગાળીમાં એક મજાનો શબ્દપ્રયોગ છે - 'કોને દેખા બેલા', જે સાંજને કે સૂર્યાસ્તને માટે વપરાય છે. કોને દેખા બેલા એટલે કન્યાને દેખવાની વેળા! કન્યા સાંજે જોવી જોઈએ તો તરત પસંદ પડી જાય! માટે જે છોકરાને છોકરી પસંદ કરવામાં તકલીફ પડતી હોય એને છોકરી કોને દેખા બેલા સમયે જ બતાવવી...

ઘડિયાળ આવ્યા પહેલાં સમયની ગણતરી કઈ રીતે થતી હતી? એ વિષે ભિન્નભિન્ન વિચારધારાઓ છે. એક વર્ષ અને બાર મહિના અને એક સપ્તાહ અને દિવસ અને કલાક અને મિનિટ અને સેકંડની કલ્પનાઓ કઈ રીતે આવી? એક વરસાદથી બીજા વરસાદ સુધીના એટલે કે એક વર્ષાથી બીજી વર્ષા સુધીના કાલખંડને આપણે 'વર્ષ' કહેવા લાગ્યા (ભારતવર્ષ શબ્દને આ વરસાદચક્ર સાથે સંબંધ છે?).. આપણે આ બાબતમાં ઘણા જ પ્રગતિશીલ હતા. ઘડી, ઘટિકા, ક્ષણ, પળ, વિપળ અને એથી પણ આગળ સુધી હિન્દુ કલ્પના પહોંચી છે. સમયને ગણિતમાં ભાગતા જવાની પ્રક્રિયામાં હિંદુ બુદ્ધિ અપ્રતિમ હતી.

પશ્ચિમમાં રોમનોએ આદેશ આપ્યો હતો કે સપ્તાહ આઠ દિવસનું રહેશે અને દરેક દિવસના બાર કલાક ગણાશે અને દિવસ સૂર્યપ્રકાશની લંબાઈ પરથી ગણવામાં આવશે. એટલે દેશ પ્રમાણે કાળમાં ફેરફાર થતો ગયો, ઋતુઓનો સમય અસ્થિર ગણાવા લાગ્યો. આ અરાજકતાનો કંઈક અંશે નિકાલ થયો. મધ્યયુગીન યુરોપમાં, કારણ કે મઠોના ખ્રિસ્તી મુનિઓ-ધર્મગુરુઓને રાત્રે પ્રાર્થના કરવા ઊઠવું પડતું હતું અને અમુક ચોક્કસ સમયે ચોક્કસ પ્રાર્થનાઓ કરવાની હતી. માટે એવી યાંત્રિક ઘડિયાળનો જન્મ થયો જે અંધારામાં પણ જોઈ-સમજી શકાય.

સમય જો ચોક્કસ માપી શકાય તો જ પ્રવાસી મનુષ્ય સ્થળ વિષે ચોક્કસ બની શકે. ચૌદમી સદીની ઘડિયાળોએ પંદરમી સદીનાં નાવિક-યંત્રોને જન્મ આપ્યો અને યુરોપીય મનુસઃય એ યંત્રોના માર્ગદર્શન નીચે અજ્ઞાત મહાસમુદ્રોમાં ખોવાતો ગયો. નવા પ્રદેશો શોધાયા, જિતાયા, ખ્રિસ્તી બનાવાયા.

પ્રાચીન જાતિઓનું સમયશાસ્ત્ર જુદું હતું. આપણે ત્યાં પૂછાતું હતું. હજી પુછાય છે: કેટલી દિવાળીઓ જોઈએ છે? આફ્રિકાના સુડાનમાં આજે પણ પ્રશ્ન થાય છે: કેટલા વરસાદ જોયા છે? અને કોઈ બહુ લાંબું જીવ્યો હોય તો કહેવાય છે: એણે ઘણું પાણી પીધું છે! સુડાન લગભગ રણપ્રદેશ છે. સૂર્ય અને ચંદ્રની ગતિ, મનુષ્ય અને પ્રાણીઓના વિચરણ અને ઋતુઓના પરિવર્તન પરથી સમયને માપવામાં આવ્યો છે. અને દરેક પરંપરાવાદી પ્રાચીન સમાજમાં આ જ રીતે કાલખંડનું ગણિત ગોઠવાયું છે. દક્ષિણ-મધ્ય અમેરિકાના નિકારાગુઆની રામા ઈન્ડિયન જાતિ પ્રાણીઓની ખાસિયતો પરથી મહિનાનાં નામ પાડે છે. દાખલા તરીકે માર્ચ મહિનો 'ઈગુઆના' કહેવાય છે. એ માસમાં ઈગુઆના અથવા મગર-જાતીય જળચર સમુદ્ર કે નદીકિનારાની રેતીમાં ઈંડા મૂકવા આવે છે (આપણી હિંદીમાં મગર માટે એક શબ્દ છે 'ઘડિયાળ'!) આ શબ્દને સમયના આવા ઘડિયાળ સાથે કોઈ સંબંધ છે?)

આપણી જેમ જ આફ્રિકાના બુરુન્ડીમાં દિવસના પ્રત્યેક કલાક માટે ગાયો અને કૃષિ પદ આધારિત સમય શબ્દો ઈતિહાસકારોએ શોધ્યા છે. સવારે સાત વાગ્યાનો ગાયો દોહવાનો સમય: આમાકામા! પછી સવારે આઠ વાગ્યે ગાયોને છોડવાનો સમય: માતુરૂકા! એ પછી સવારે નવ વાગ્યાનો સમય જ્યારે સૂર્ય ફેલાવા માંડે છે: કુમુસાસે! આ જ રીતે દસ વાગ્યે સૂર્ય પર્વતો પર ફેલાઈ જાય છે એ સમયનું પણ નામ છે: ઘડિયાળોમાં કલાકોને નંબરો આપ્યા વિના પણ પ્રજાઓ હજારો વર્ષો બહુ જ સુબદ્ધ આયોજન પ્રમાણે જીવી છે.

આધુનિક જગતમાં બાર કલાક માત્ર દૈનિક વ્યવહારમાં અને ઘડિયાળોમાં જ રહી ગયા છે. રેલવે ટાઈમ ટેબલ 24 કલાકનું હોય છે અને આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓ માટે પણ સમય 24 કલાકમાં વિભાજીત કરવામાં આવ્યો છે. આપણી ફ્લાઈટ 13:00 કલાકે ઉપડવાની હોય છે અથવા 23:00 કલાકે ઊતરવાની હોય છે. હવે સમયને ઘડિયાળના ડાયલમાં પૂરી શકવાની આપણી ક્ષમતા પણ રહી નથી. જગતમાં સર્વત્ર સમય એક જ નથી. અને હવે તો એક દેશમાં પણ સમય એક નથી.

આપણે ઈંગ્લંડ-અમેરિકાની આંખે જગતને જોવા ટેવાયેલા છીએ, પણ સમયને ફેરવતા રહેવાની બાબતમાં જડ રહ્યા છીએ. જડતા આપણો રાજરોગ છે. આપણે સમય પ્રમાણે બદલાતા નથી કે ન સમયને બદલીએ છીએ! ઈંગ્લંડનાં ઘડિયાળો ઑક્ટોબરથી માર્ચ સુધી યુરોપનાં ઘડિયાળો કરતાં એક કલાક પાછળ મૂકવામાં આવે છે એટલે ભારત-ઈંગ્લંડનો સમયફર્ક સાડા ચાર કલાકને બદલે આ ગાળા દરમિયાન સાડા પાંચ કલાક રહે છે. ઉનાળામાં 1 એપ્રિલથી યુરોપનાં ઘડિયાળો એક કલાક આગળ કરી દેવામાં આવે છે, અને ઈંગ્લંડના સમયથી આ સમય એક કલાક આગળ રહે છે. એ જ રીતે શિયાળામાં સપ્ટેમ્બર 29થી શિયાળાનો સમય કરી દેવામાં આવે છે એટલે કે ઘડિયાળ એક કલાક પાછળ કરવામાં આવે છે. આ જ રીતે અમેરિકા અને કેનેડા એપ્રિલ 28થી 'લાઈટ-સેવિંગ' ટાઈમ શરૂ કરી દે છે. આઈસલેંડ માત્ર આ રીતે ઘડિયાળ આગળપાછળ કરતું નથી, શ્રીલંકા પણ પ્રતિ જાન્યુઆરી આ રીતે સમય એડજસ્ટ કરે છે કે જેથી સૂર્યનો તડકો શક્ય એટલો વધુ વાપરી શકાય અને ઈલેક્ટ્રીક બત્તીઓ એક કલાક મોડી શરૂ થવાથી કરોડો રૂપિયાનો વિદ્યુત ખર્ચ બચાવી શકાય. ભારત આ વિષયમાં આઈસલેંડને અનુસરે છે. આપણી ઘડિયાળો વર્ષભર એમ જ ટિક ટિક ટિક ટિક કરતી રહે છે...

અમેરિકામાં ત્રણ ટાઈમ-ઝોન કે સમયખંડો છે - પૂર્વ, મધ્ય અને પશ્ચિમ! અને ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે પાંચ-છ કલાકનો સમયફર્ક હોય છે. રશિયા તો એટલું વિરાટ છે કે એમાં અગિયાર સમયખંડો છે! રશિયાના પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ વચ્ચે અગિયાર કલાકનો ફર્ક છે એટલે કે મૉસ્કોમાં સાંજની બત્તીઓ જલવી શરૂ થાય ત્યારે દૂરપૂર્વના ચુકોત્સ્ક દ્વીપકલ્પમાં સૂર્યોદય થઈ જાય છે! માટે કેન્દ્રીય રશિયન રેડિયો 'ગૂડ મૉર્નિંગ!' ક્યારેય કહેતો નથી એવી એક મજાક છે! હિન્દુસ્તાનમાં ગુજરાત કરતાં આસામના લોકો બે કલાક વહેલા ઊઠે છે અને બે કલાક વહેલા સૂઈ જાય છે. કલકત્તામાં પાંચ વાગ્યે અંધારું થઈ જાય છે, મુંબઈમાં સાડાસાત સુધી સૂર્યપ્રકાશ દેખાય છે. પણ આપણે ત્યાં દ્વારકા હોય કે દિબ્રુગઢ હોય, એક જ ઈન્ડીઅન સ્ટેન્ડર્ડ ટાઈમ છે! ખરી રીતે હિન્દુસ્તાનમાં કલકત્તાની ઘડિયાળો દિલ્હીથી અડધો કલાક આગળ અને મુંબઈની ઘડિયાળો દિલ્હીથી અડધો કલાક પાછળ હોવી જોઈએ, કારણ કે સૂર્ય ઈન્ડીઅન સ્ટેન્ડર્ડ ટાઈમ જોઈને આખા ભારતમાં એક જ સમયે સર્વત્ર ઊગી જતો નથી! જાપાન અને દક્ષિણ કોરીઆએ પણ આવી નાની-નાની વાતોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને વિદ્યુત બચાવી છે. આપણે જો બુદ્ધિ વાપરીને 'ડે-લાઈટ સેવિંગ'નો વિચાર કરીને દેશના ત્રણ કે ચાર ટાઈમ-ઝોન કે સમયખંડ કરીએ તો સેંકડો-કરોડો રૂપિયાનો વિદ્યુતખર્ચ બચી જાય! જગતનો દરેક વિકાસશીલ અને પ્રથમકક્ષ દેશ આ કરે જ છે. પણ ભારતવર્ષમાં જાડી ગર્દનોવાળા એન.ડી. તિવારીઓ અને બુટાસિંઘો અને શિવશંકરો છે ત્યાં સુધી આવા કનિષ્ઠ વિચારોના પરપોટા પણ બુદ્ધિની સપાટી પર આવવા એ દ્રોહ છે. જે માણસ દેશની ઘડિયાળોના કાંટાઓ સાથે રમત કરે છે એ દેશને 'ડિ-સ્ટેબિલાઈઝ' કરવાનું ષડયંત્ર કરી રહ્યો છે, એ સીઆઈએ અને કેજીબી બંનેનો એજંટ છે. હિન્દુસ્તાન એક જ છે, અખંડ છે, હિન્દુસ્તાનમાં સમય એક જ રહેશે, અખંડ રહેશે...

ક્લોઝ અપ:

વિશ્વના ત્રણ સનાતન દાર્શનિક પ્રશ્નો - હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હું ક્યાં જઈ રહ્યો છું? માટે ફ્રેંચ કૉમેડિયન પિયરે દાકના ઉત્તરો: હું હું છું, હું ગલીમાંથી આવ્યો છું, અને હું મારે ઘરે જઈ રહ્યો છું...
 
(સમકાલીન: સપ્ટેમ્બર 23, 1987)

(જ્ઞાન-વિજ્ઞાન, ભાગ-2)

September 2, 2013

દોસ્તીમાં પહેલા પેગની, બીજી સ્ત્રીની, ત્રીજા ગિયરની મજા છે

દોસ્તી અઢી અક્ષરનો એક શબ્દ છે...અને શતરંજના મેદાન પર અઢી ઘરની ચાલ ચાલતા ઘોડાની મસ્તી આ શબ્દમાં છે. શતરંજનો હાથી, સીધો ચાલે છે, ઊંટ ત્રાંસો ચાલે છે પણ ઘોડો અઢી ઘર કૂદે છે. બે ઘોડામાં એક વઝીરની તાકાત હોય છે એમ શતરંજના ખેલાડીઓ કહે છે. દોસ્તી આ અઢી ઘરની ચાલ છે, એમાં હિંમત છે, ધસી જવાની વાત છે, બંધનો તોડવાની વાત છે, ખુવાર થઈ જવાની-શહીદ થઈ જવાની વાત છે. દોસ્તીનો વિરોધી શબ્દ દુશ્મની નથી, પણ દગાબાજી છે. દોસ્ત અને દુશ્મન બંનેના ધર્મો વિષે આપણે સતર્ક અને આગાહ હોઈએ છીએ, પણ દગાબાજ સમજાતો નથી. દોસ્તી જિંદગીના હોરમોન્સ બદલી નાખે છે.

મને હંમેશાં લાગ્યું છે કે દોસ્ત તરીકે મુસ્લિમ વધારે સરળ, વધારે વિશ્વસનીય, વધારે ખુલ્લો હોય છે. એ વહી શકે છે, વહી જાય છે. વ્યવહારરૂપે નહીં પણ નિભાવવા માટે એ દોસ્ત બને છે. શરૂથી મુસ્લિમ દોસ્તીનો એક સિલસિલો મારી જિંદગીમાં રહ્યો છું (દુશ્મનીની બાબતમાં પણ હું બહુ જ ખુશકિસ્મત રહ્યો છું. દોસ્તી-દુશ્મની શબ્દોમાં મને એટલી બધી વિરોધિતા પણ દેખાતી નથી. બંને દિલથી થવી જોઈએ. મહોબ્બત કે હિકારત, જે પણ હોય, પણ દિલથી થવી જોઈએ. મહત્ત્વની વસ્તુ છે : દિલ!). દોસ્તોએ બેહિસાબ પ્યાર કર્યો છે. હું આપું એનાથી ઘણું વધારે એમણે મને આપ્યું છે, ખુદા પાસે જઈ કહેવું પડે એવું છે : મેરી ખતાયેં શુમાર કર લે, મેરી સઝા કા હિસાબ કર દે...!

જે દોસ્તીમાં વ્યવહાર અને ફાયદા-ગેરફાયદાનું ગણિત છે ત્યાં ભીની દોસ્તી બનતી નથી, કોરા સંબંધો બને છે. દોસ્તીમાં બે પલ્લાં સરખાં જ હોવાં જરૂરી નથી, તમે વધારે આપો છો અને ઓછું પ્રાપ્ત કરો છો અને ખુશ છો. એક લસ્સી પાઈ હોય તો સામે એક લસ્સી જ મેળવવાની અપેક્ષા નથી. દોસ્તી મુઠ્ઠીઓ બંધ કરીને થતી નથી, હથેળીઓ ખુલ્લી રાખવી પડે છે. વ્યાજખાધનો હિસાબ એમાં ચાલતો નથી. દોસ્ત એ માણસ છે જેની બધી જ ખરાબીઓ અને બધી જ સારાઈઓ તમારી છે. તમે એની પાસે ઊભા છો, બાજુમાં છો, અમદાવાદીઓ કહે છે એમ 'જોડે' છો, અને કાઠિયાવાડીઓ કહે છે એમ 'પડખે' છો! અને અમદાવાદી અને કાઠિયાવાડી દોસ્તીની દોસ્તીમાત્રમાં પણ ફર્ક હોવાનો સંભવ છે.


મિત્રદ્રોહ કે મિત્રઘાત હું ધારું છું જગતનો સૌથી મોટો દોષ હોવો જોઈએ. બેવફાઈ દોસ્તીનું સૌથી મોટું દૂષણ છે. મિત્રદ્રોહથી લગભગ મળતો એક અંગ્રેજી શબ્દ છે : ટ્રેચરી અથવા વિશ્વાસઘાત ! કેટલીક વસ્તુઓ કરવામાં આવતી નથી. જેની સાથે રોટી તોડી હોય, જેના બાળકને પ્યાર કર્યો હોય, જેના દુ:ખમાં એને ખભો આપ્યો હોય, જેનો વિશ્વાસ કર્યો હોય એ માણસ ચાલબાજી કે દગલબાજી કરે તો? કંસનો નાશ કરવો પડે, અર્જુનને જ ઉપદેશ આપી શકાય. એ માણસ મારી જિંદગીમાં પણ આવ્યો હતો - કુત્તા જે વેશ્યા જેવા શબ્દો હું નહીં વાપરું કારણ કે કુત્તાને વફાદારી હોય છે અને વેશ્યાને વિશ્વાસ હોય છે, એ બંને પોતાની નિયત કે ઉદ્દેશ વિષે પક્કા હોય છે - પણ આ માણસ આદર્શ ગર્ભદંભી ગાંધીવાદી ગુજરાતી શિક્ષક હતો, દગાબાજનાં બંને લક્ષણો, કાયરતા અને બેવફાઈ, એનામાં છલોછલ હતાં. કાયર માણસ લુચ્ચા હોવા જોઈએ, આ હતો. જેને જાહેરમાં દેવતા કહ્યો હતો એ માણસે ચારિત્ર્યહનનથી રિશ્વતથી અક્ષમતા સુધીના 42 આરોપો મારી સામે મૂક્યા હતા, સહી કરી હતી, પછી કૉર્ટમાં કહ્યું હતું કે આ સહી જ મારી નથી! અને કૉર્ટે આ બધું જ ફેંકી દીધું, એની બદમાશીની આરપાર જોઈ લીધું, મને નિર્દોષ ગણીને મુક્તિ આપી. દોસ્તી વિષેનો એક બહુ જ મોંઘો સબક તન, મન અને ધન ખુવાર કરી હું શીખી ગયો: ગુજરાતી શુદ્ધમિત્ર બે આંખની શરમ હંમેશા નિભાવે છે. તમે જ્યારે એની સામે ભાવવશ ઝૂકો છો ત્યારે જ એ તમારી પીઠમાં છરો મારે છે. એને બે આંખની શરમ છે.

અને દોસ્તો સાથે કેટલો બધો આનંદ આવ્યો છે? ખુલીખુલી દોસ્તીમાં પહેલા પેગની, બીજી સ્ત્રીની, ત્રીજા ગિયરની મસ્તી છે. મજા છે, દોસ્તી પ્રયત્ન કરવાથી ક્યારેય થતી નથી. દોસ્તી સ્વયંભૂ થાય છે, ચટ્ટાનોની વચ્ચેથી ફૂટેલા જલસ્ત્રોતોની જેમ અને કબરો ફાડીને ઊગેલા જંગલી ફૂલની જેમ એ વહે છે અને વધે છે. દોસ્તીનું વ્યાકરણ કે કોષ્ટક નથી, જગતનો સૌથી હોંશિયાર પુરુષ કે સૌથી સ્વરૂપવાન સ્ત્રી આપણી ઘનિષ્ઠતમ મિત્ર નથી. મારા જેટલો જ મૂર્ખ, ખરાબ, હિંમતવાન કે બેહિંમત, દિલદાર કે બેદિલ, ખુશહાલ કે મનહૂસ માણસ જ મારો મિત્ર બની શકે - અને રેશનિંગની ઑફિસની બહાર લાગેલી કતાર જેટલી મારા મિત્રોની સંખ્યા હોવી જોઈએ એવું હું માનતો નથી. જગતના કરોડો માણસોમાંથી પંદર હજાર કિલોમિટર દૂરના એક નગરના એક માર્ગ પરના એક મકાનમાં રહેતો એક અપરિચિત એકાએક એવી રીતે જીવનભરનો મિત્ર બની જાય છે એ કોઈ રહસ્યવેત્તા સમજાવી શકતો નથી. જીવનમાં મિત્ર અને શત્રુની જો બે અંતિમવાદી સ્થિતિઓનો સ્વીકાર કરી લઈએ તો અમિત્ર કઈ કક્ષામાં આવી શકે છે? અને 'અમિત્ર' નામના શબ્દની પણ, સફેદ અને કાળા વચ્ચેના કરોડો ગ્રે કે એશ કે ભૂખરા સુરમઈ કે સ્લેટીઆ કે રાખોડી રંગની જેમ, પારાવાર રંગછાયાઓ છે...

દોસ્તીને માટે આધુનિક સમાજશાસ્ત્ર એક પ્રયોગ કરે છે : 'પીઆર-ગ્રુપ' અથવા સમવયસ્કો! ભાષા ન બોલનારાં સવા-દોઢ વર્ષનાં બાળકો એકબીજાને ટગરટગર જોઈને અથવા સાથે રડીને મિત્રતા કે હમદમી વ્યક્ત કરે છે. સમ-અનુભવીઓ, સમદુ:ખીઓ, સમસુખીઓ અને સમભોગીઓ જલદી મિત્ર બની શકે છે. સાથે ભણનારા, સાથે ધંધો કરનારા, સાથે સેવા કે બદમાશી કરનારા મિત્રો બની જાય છે એ સ્વાભાવિક છે કારણ કે એ પીઅર છે, હમઉમ્ર છે. એક જ સેક્સવાળી બે વ્યક્તિઓની મૈત્રીનો પ્રકાર બે ભિન્ન સેક્સવાળી વ્યક્તિઓની પૂરક મૈત્રી કરતાં જુદો હોય છે. શ્રીમતી માર્ગારેટ થૅચર અને શ્રીમતી ઈન્દિરા ગાંધી બે સ્ત્રી-પ્રધાનમંત્રીઓ હતી, બંને લોખંડી સ્ત્રીઓ હતી અને બંનેની મૈત્રી પરાકાષ્ઠાએ હતી ત્યારે શ્રીમતી ગાંધીની હત્યા થઈ. એ અરસામાં શ્રીમતી થૅચરે એક વાક્ય લખ્યું હતું : શ્રીમતી ગાંધી સાથે મારી મૈત્રી હતી... વાળ છૂટા કરીને બેસીને નિરાંતે વાતો કરી શકાય એવી એ મિત્ર હતી...

આ પુરુષની ભાષા નથી, પુરુષની અનુભૂતિ નથી. વાળમાંથી પીનો કાઢીને માથું હલાવીને વાળ છૂટા કરીને તડકામાં બેસીને વાતો કરવી એ મૈત્રીની કઈ ચરમસીમા છે એ પુરુષ નહીં સમજે. બે પુરુષોની મૈત્રી શતરંજના બોર્ડ પર આગળ વધતા બે ઘોડાઓની દોસ્તી છે - બંને ઘોડાઓ અઢી ઘરનાં બે વર્તુળોમાં રાજાને શહ આપી શકે છે. એ મૈત્રી રાજાને માત કરી શકે છે.

બે લેખકો વચ્ચે મૈત્રી હોઈ શકે? કઠિન છે કારણ કે પારસ્પરિક વાહવાહના સેતુ પર મૈત્રી કેટલી ટકી શકે? અને લેખક પોતાના મિત્ર પાસેથી પણ પ્રશંશાનો તગાદો કરી લેતો હોય એટલો મોહાંધ હોય છે. એ મોહભંગ ત્યારે જ થાય છે જ્યારે એ સમજે છે કે પ્રશંસા એક એવો પંખો છે જે ફરે છે, રેગ્યુલેટર ફુલ પર છે પણ પાંખો નથી એટલે હવા આવતી નથી! સુજ્ઞ વાચક અને અજ્ઞ લેખક વચ્ચે પણ ગુજરાતી સાહિત્યમાં મૈત્રી જામતી નથી, કારણ? ઘણા ઈનામ-વિજેતા ગુજરાતી લેખકોને વાચકો બુદ્ધિશાળી બની રહ્યાનો ભય રહી રહીને સતાવી રહ્યો છે! ભયથી પ્રીતિ થતી હશે, મૈત્રી થતી નથી. અને વાચક-લેખકનો સંબંધ અદ્રશ્ય મૈત્રી છે, તજુર્બાની સાઝેદારી છે, એક દીર્ઘકાલીન દોસ્તાના છે.

દાંત અને જીભની પણ દોસ્તી હોય છે અને ઢાલ અને તરવારની પણ દોસ્તી હોય છે. અને આંગળી અને નખની પણ દોસ્તી હોય છે. દેશકાળ અને સ્થિતિની પણ માત્રાઓ બદલાય છે. અને એક દોસ્તી છે એસિંહની, અને સિંહના ખુલ્લાં મોઢામાં દાંત વચ્ચે ફસાયેલા માંસની કરચો ચાંચથી ચૂંટી ચૂંટીને પેટ ભરનાર અને સિંહના દાંત સાફ કરી આપનાર પક્ષીની! ક્યાંય દેશ-કાળ અને સ્થિતિની સાથે જરૂરિયાતનું તત્ત્વ પણ દોસ્તીના રસાયણમાં ઉમેરાય છે.

દોસ્તી માટે કહેવતો છે: દોસ્ત વિના દુનિયા અકારી. બીજી એક કહેવત છે : દોસ્ત વગર દિશાઓ સૂની. પોર્ટુગીઝ ભાષામાં દોસ્તી વિશેની કહેવત વધારે સાફ છે - દોસ્ત વિના જીવન જ હોતું નથી! દોસ્તનો હિસાબ દિલમાં હોય છે. અંગ્રેજી કહેવત છે કે દોસ્તી આનંદનો ગુણાકાર કરે છે અને વેદનાનો ભાગાકાર કરે છે. દોસ્તીમાં વિષ પણ ચાખવું પડે છે એવું એક કહેવત કહે છે. ઉત્તર ભારતની એક કહેવત દોસ્તીને માથાના વાળ સાથે સરખાવે છે. એને કાપો, કાપતા રહો, પણ એ જડ છોડતા નથી, એ વધતા જ રહે છે. ચાસણી જેવો મીઠો સ્વભાવ એ દોસ્તીનો ધર્મ નથી, દોસ્તી ખટમિઠ્ઠી હોય છે...

રાજકારણીઓની દોસ્તીમાં કોઈ જ સનાતન મિત્ર કે શત્રુ હોતો નથી. આજનો મિત્ર કાલનો શત્રુ બની શકે છે અને પરમ દિવસે પુનર્મિત્ર પણ બની શકે છે. મૅકીઆવીલીથી બિસ્માર્ક સુધી ઘણા વિચક્ષણ વિચારકોએ કહ્યું છે કે શત્રુનો શત્રુ એ સાચો મિત્ર છે! કારણ કે બંનેનું ધ્યેય એક જ છે, અને મિત્રો સમાનધ્યેયી હોય તો એકસૂત્રી મિત્રતા સરળતાથી જામી શકે છે. જરૂરતમંદ છે એ મિત્ર છે, એવું એક વિધાન છે. અને આનાથી વિપરીત પણ જરા ઉપહાસમાં કહેવાયું છે એમ જે જરૂરતમંદ છે એ મારો મિત્ર નથી! જેને મારી પાસેથી કંઈ પણ લેવું છે એ મિત્રથી દૂર રહેવાનું. પ્રશ્ન પ્રાથમિકતાનો, અને પછી મનુષ્યધર્મનો છે. સિંહાસન પર આસીન, અને ખુરશીના વ્યસનીને દોસ્ત હોય નહીં. બીજા માણસને તરત જ સમજી જનાર બહુ હોશિયાર માણસને દોસ્ત હોય નહીં. જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ થવું પડે છે, દાવપેચ વિનાનું ખડખડાટ હસવું પડે છે અને કુર્તાના ખિસ્સામાંની બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે. દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે.

અને હથેળીઓ સંતાડીને રમનારાઓને એ ફાવતી નથી.

ક્લોઝ અપ:

અગાઉ મુસ્લિમ હુકૂમતમાં નિર્જન મંદિરના અવશેષોમાંથી મસ્જિદ બંધાયાના દાખલા બન્યા છે. એક પ્રસંગ એવો વાંચવામાં આવ્યો છે કે મસ્જિદ બંધાઈ રહી છે. સુલતાન એનું નિરીક્ષણ કરવા જાય છે. સાથે એના અધિકારીઓ છે જેમાં એક પંડિત છે. સુલતાન પંડિતને રૂપાંતરિત મસ્જિદ બતાવે છે. પંડિત ઠંડે કલેજે જડબેસલાક જવાબ આપે છે:

બબીં કરામતે બુત્ખાનએ મરા અય શેખ
કિ ચૂં ખરાબ શવદ ખાન એ ખુદા ગરદદ

(હે શેખ! મારા મંદિરની કરામત જો કે એ બરબાદ થાય ત્યારે ખુદાનું ઘર બને છે)

શૂન્ય પાલનપુરી, મુંબઈ સમાચાર : 4 માર્ચ 1986

(સમકાલીન જુન 28, 1987)

(જ્ઞાન-વિજ્ઞાન: ભાગ-1)

પરિવાર નિયોજન : એક નહિ, બે છોકરાઓ...

આખી દુનિયાને એ વાતની ચિંતા છે. પણ આપણે નિશ્ચિંત થઈ ગયા છીએ. કેટલાં છોકરાં હોવા જોઈએ? થોડા વર્ષો પહેલાં આ મુદ્દા પર કોંગ્રેસ હારી ગઈ હતી... કારણ કે કટોકટીમાં જબરદસ્તી નસબંધી કરાવવાની એણે ભૂલ કરી હતી. ઉત્તર પ્રદેશમાં એ દિવસોમાં એક નારો હતો : ઈન્દિરા હટાવો, ઈન્દ્રિય બચાવો! સ્વ. સંજય ગાંધીને લીધે નિર્વાચનમાં કોંગ્રેસ ડૂબી ગઈ. હમણાં એક રાષ્ટ્રીય અનુસંધાનમાં ખબર પડી કે ભારતમાં સરકાર બે સંતાનોને આદર્શ માને છે, એક છોકરી અને એક છોકરો (સરકારી પ્રસારચિત્રોમાં છોકરી મોટી અને છોકરો નાનો બતાવવામાં આવે છે!) પણ પરિણીત યુગલો ત્રણ સંતાનો ઈચ્છે છે, બે છોકરા અને એક છોકરી! હજી સુધી ઈચ્છા પ્રમાણે છોકરો કે છોકરી પેદા કરી શકાતાં નથી એટલે પહેલાં છોકરા માટે, અને પછી બીજા છોકરા માટે (એક છોકરો મરી જાય તો...?) જે અનવરત પ્રયત્નો થાય છે એના ફલસ્વરૂપ વચ્ચે વચ્ચે છોકરીઓ પેદા થઈ જાય છે અને વસતિ સાયાસ પણ અકારણ વધી જાય છે. જો ઈન્સ્ટન્ટ છોકરાઓ પેદા થતા હોત તો આ સમસ્યા રહેત નહિ.

માદા સંતાન જન્મવાથી હિન્દુસ્તાનમાં આનંદ થતો નથી. આ એક એવો મુદ્દો છે જે આખા દેશમાં એક ભાવનાત્મક ઐક્ય લાવે છે. ગરીબ અને અમીરનો ફર્ક ભૂંસી નાંખે છે. અમીર માણસને પણ છોકરો જ જોઈએ, ગરીબને પણ છોકરો જ જોઈએ છે. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ બધે જ છોકરી જોઈતી નથી. હિંદુ, બૌદ્ધ, શીખ, પારસિક, મુસલમાન, ખ્રિસ્ટાની... બધા જ આ એકસૂત્રી કાર્યક્રમમાં માને છે. પહેલી પુત્રીને લક્ષ્મી સમજીને મન મનાવી લે છે, બીજી આવે ત્યારે સ્તબ્ધ થઈ જાય છે, ત્રીજી આવે છે અને હાહાકાર થઈ જાય છે! ભણેલા અને ગણેલા, અભણ અને ભણતરવાળા આ બાબતમાં બધા એક જ છે : છોકરી નહિ, છોકરો! અને એક નહિ પણ બે છોકરા !

માદા જન્મે ત્યારે આનંદ થાય છે? હા, વેશ્યા અને ગાયને માદા જન્મે તો આનંદ મનાવવામાં આવે છે! કારણ કે એમની માદા સંતાનો ઉપયોગી હોય છે!

છોકરીઓને સરાસર અને બેશરમ અન્યાય કરવો એ તદ્દન સ્વાભાવિક બની ગયું છે. દરેકના જીવનમાં ક્ષણે ક્ષણે પુત્રીને પુત્રીની અપેક્ષા થતો અન્યાય જોવા મળે છે. થોડાં વર્ષો પહેલાં હું એક કૉલેજનો પ્રિન્સિપાલ હતો ત્યારે એક પિતા એમની પુત્રી અને પુત્રને લઈને પ્રથમ વર્ષ વિજ્ઞાનમાં પ્રવેશ માટે મારી પાસે આવ્યા. પુત્રીને બહુ સારા માર્ક હતાં, પુત્રને પૂરા ચાળીસ ટકા પણ માંડ માંડ મળતા હતા. નિયમ પ્રમાણે પુત્રીને પ્રવેશ મળવો જોઈએ. પિતાએ જીદ કરી : સાહેબ, છોકરી નહિ ભણે તો ચાલશે, પણ તમે છોકરાને એડમિશન આપી દો! એક એડમિશન તો તમારે આપવાનું જ છે! છોકરાને આપી દો! મેં એમને સમજાવી શકાય એટલા સમજાવ્યા! આ પસંદગીની વાત નથી. યોગ્યતાની વાત છે. પ્રવેશના કાયદા છે અને છોકરી છે માટે? છોકરાને જો પ્રવેશ મેળવવો હોત તો સારા માર્ક અથવા પ્રવેશ માટેના લઘુત્તમ માર્ક તો લાવવા જ જોઈએ! છોકરી માટે પ્રવેશ લીધા વિના પિતા ખફા થઈને ચાલ્યા ગયા. આ જમાનામાં આટલો નગ્ન અન્યાય થઈ શકે છે એ હકીકત છે.

છોકરી હજી બેનંબરી સંતાન છે. પરિવારમાં એ ગૌણ છે. શિક્ષિત પિતાઓની મન:સ્થિતિમાં ફર્ક પડી રહ્યો છે પણ છોકરી અને છોકરો બંને સમાન હોય એવા પરિવારોની અત્યંત નાની લઘુમતી છે, અને હિન્દુસ્તાનના સમાજમાં માતા જે રીતે પુત્રને બગાડે છે એ અદભુત છે! એવું મનાય છે કે પુત્ર વંશ ચાલુ રાખે છે, અગ્નિસંસ્કાર આપે છે. બુઢાપામાં માતા-પિતાનો ખ્યાલ રાખે છે. જો કે કલિયુગમાં આવું બધું હંમેશાં બનતું નથી...! 

હિન્દુસ્તાનમાં વસ્તીવધારાનું એક મહત્વનું કારણ છે - એક નહિ પણ બે છોકરાંઓની ઈચ્છા! આ દેશમાં બધી જ વસ્તુઓનું આયોજન છે ફક્ત સંતાનો સિવાય. હિંદુસ્તાનમાં એક જ સંતાનવાળા પરિવારનો ખાસ અભ્યાસ થયો નથી. હમણાં સોવિયેત રશિયામાં આ વિષે એક ચર્ચા થઈ હતી જેમાં થોડી મજાની વાત બહાર આવી હતી. (અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે રશિયામાં ધરતી અફાટ છે, પણ લોકો ઓછા છે. બીજા વિશ્વયુદ્ધમાં એક આખી જવાન પેઢી મરી ગઈ. ત્યાંની સરકાર વસતિ વધારવા માટે તરહ તરહની યોજનાઓ અને પ્રલોભનો આપે છે!) એક મહિલાએ કહ્યું કે મારે એક જ સંતાન જોઈએ છે અને હું એને શક્ય એટલી શ્રેષ્ઠ તાલીમ આપીશ. એક પરિવારના ડઝન બચ્ચાં કરતા મારું એક સંતાન સમાજને વધુ ઉપયોગી સિદ્ધ થશે! લેનિનગ્રાદની એક ગૃહિણીએ જુદી વાત કરી. એક સંતાન સામાન્ય રીતે સ્વાર્થી બની જાય છે. પતિ કે પત્ની અથવા પિતા કે માતા તરીકે પણ ઘણી વાર એ અસંતોષી હોય છે. મોટા પરિવારમાં વ્યક્તિને નિસ્વાર્થી બનવું જ પડે છે જ્યારે એક સંતાન સ્વકેન્દ્રી બનવાનો સંભવ વધારે છે! 

રશિયાના સમાજશાસ્ત્ર ઈન્સ્ટિટ્યૂટની વસતિ વિભાગની અધ્યક્ષા ગેલીના કીસેલેવાનું મંતવ્ય હતું કે એક સંતાન ખોઈ નાંખવાનો એક અદ્રશ્ય ભય હંમેશાં રહેતો હોય છે. એમનું કહેવું હતું કે નૃવંશશાસ્ત્રના નિયમોના આધાર પર એવું માનવામાં આવે છે કે પ્રથમ સંતાન હંમેશાં પાછળનાં સંતાનો કરતાં શારીરિક રીતે કમજોર રહેવાનું! એક કહેવત ટાંકવામાં આવે છે કે એક આખી આંબાવાડી ઉગાડવી સહેલી છે પણ એક આંબો ઉગાડવો અઘરો છે! 

અમેરિકામાં લોરેન્સ ઓલસન નામના અર્થશાસ્ત્રીએ હિસાબ કરીને નિષ્કર્ષ કાઢ્યો હતો કે અમેરિકામાં એક બાળકને જન્મથી બાવીસ વર્ષ સુધી મોટું કરવાનો અને ભણાવવાનો ખર્ચ બે લાખ ડૉલર આવે છે.

જે દેશોને વસતિ-વધારાની સમસ્યા છે એ દેશો આનો વૈજ્ઞાનિક હલ કાઢવા માંગે છે. દક્ષિણ કોરિયાની વસતિ જુલાઈ 1983માં ચાર કરોડ થઈ ગઈ ત્યારે ત્યાંની સરકારે લોકો વિદેશગમન કરે એ માટેના કાયદા સરળ બનાવ્યા! અને દક્ષિણ કોરિયાની સ્વાસ્થ્ય-મંત્રી શ્રીમતી કિમ-યુંગ રાયે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં સુધારો કર્યો કે જે દંપતીને બેથી વધારે સંતાનો હોય એમણે દંડ ભરવાનો! વસતિ-વધારો ઘણા દેશો માટે ચિંતાનો વિષય છે અને સરકારો સખ્તમાં સખ્ત કાયદાઓ ઘડે છે.

વસતિ-નિયંત્રણની બાબતમાં સૌથી ગંભીર અને સાહસિક પગલું ચીને લીધું છે : એક પરિવારમાં એક જ સંતાન હોવું જોઈએ! શહેરોમાં આ કાર્યક્રમને સફળતા મળી છે. એક જ સંતાનવાળા દંપતીને સરકાર દર મહિને પાંચ યુઆન આપે છે. (વીસ કિલો ચાવલની કિંમત) એ બાળકને સ્કૂલમાં પ્રવેશ માટે પ્રાથમિકતા મળે છે, દવા, દારૂની બાબતમાં પણ એને પ્રથમ સ્થાન મળે છે! ચીનની અત્યંત નાની લઘુમતીઓને આ એક સંતાનનો કાયદો લાગુ પડતો નથી.

જો બીજું સંતાન થઈ જાય તો સરકાર સખ્ત બની જાય છે! બીજા સંતાનને શહેરમાં રહેવાનો પરવાનો મળતો નથી. ખોરાકના રેશનની કૂપનો મળતી નથી. એના માતા-પિતાને નોકરીમાં પ્રમોશન મળતું નથી. ક્યારેક એમને નીચે પણ ઉતારવામાં આવે છે. ઘણી વાર બીજા સંતાનના જન્મને લીધે એક કે બે હજાર યુઆનનો દંડ થાય છે. (એટલે કે એક અથવા બે વર્ષનો પગાર!)

આ બધું સારું છું કે ખરાબ એ ભવિષ્ય કહેશે પણ ચીને હિમ્મતથી એના બેફામ વસતિ-વધારાને રોકી દીધો છે. એક દંપતી અને એક સંતાન એ ચીનનું સૂત્ર છે.

હિંદુસ્તાનમાં એક સંતાનવાળા પરિવારોને સરકાર શું આપે છે? કંઈ નહિ.

અહીં મર્દો એક સંતાનથી અટકતાં નથી. ખુદા દેતા હૈ તો છપ્પડ ફાડ કે દેતા હૈ! 

(ગુજરાત સમાચાર : સપ્ટેમ્બર, 1985)  

(સમાજ-1)

August 25, 2013

હું ક્વૉલિટી સાથે ક્યારેય સમાધાન નહીં કરું! (પ્રતીક ગાંધી ) (article by Mona Kanakia)

19 ઑગસ્ટ 2013નાં ચિત્રલેખામાંથી સાભાર:


ગુજરાતી રંગભૂમિ પર સબળ ચંદ્રકાંત બક્ષીને સાકાર કરનારો આ કલાકાર એક સશક્ત અભિનેતા ઉપરાંત સાલસ સ્વભાવની વ્યક્તિ પણ છે.

સ્વબળે આગળ આવનારી વ્યક્તિમાં જે કશુંક કરી બતાવવાની ચાહ હોય છે એના કારણે એ વ્યક્તિ ધારે એટલી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આવી જ એક વ્યક્તિ છે પ્રતીક ગાંધી. પ્રતીક ગુજરાતી રંગભૂમિના તોખાર છે. સશક્ત અભિનેતા અને પૅશનેટ વ્યક્તિ. તાજેતરમાં જ રજૂ થયેલા મનોજ શાહ દિગ્દર્શિત અને શિશિર રામાવત લિખિત હું ચંદ્રકાંત બક્ષી નામના નાટકમાં પ્રતીક ગાંધી પોતાના ઉત્કૃષ્ટ અભિનયના બળે દોઢ કલાક સુધી પ્રેક્ષકોને જકડી રાખે છે.


પ્રતીક કહે છે: ‘ગુજરાતી વાચકો ચંદ્રકાંત બક્ષીને સારી રીતે ઓળખે છે. આ આખાબોલા અને પ્રખર વિદ્વાન માણસને મારે સ્ટેજ પર જીવંત બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી, પણ સાચ્ચું કહું, મને ખૂબ મજા આવી રહી છે આ પાત્ર ભજવવામાં.’

છએક મહિના પહેલાં જ્યારે મનોજ શાહ આ નાટક પર કામ કરી રહ્યા હતા ત્યારે પ્રતીકને ખબર પડી કે આ નાટકમાં બીજું કોઈ છે. પ્રતીક કહે છે:

‘મને ખબર પડી એટલે મેં એમને તરત ફોન કર્યો. એ મને કહે કે તને નહીં ફાવે, પણ પછી એવું કશુંક થયું, જેના કારણે મનોજભાઈનો મને સામેથી ફોન આવ્યો... ઍન્ડ હિયર આય ઍમ!’

ત્યાર બાદ પ્રતીક રોજ રાતે નવથી બાર રિહર્સલ કરતા અને સ્ક્રિપ્ટનું વાંચન એની જૉબ પર જવાના સમય દરમિયાન કરતા. તમને વિશ્વાસ નહીં આવે, પણ પ્રતીકે બક્ષીબાબુનું કશું જ વાંચ્યું નથી, કારણ કે પ્રતીકનું માનવું હતું કે જો એ વાંચશે તો પક્ષપાતી થઈ જશે.

પ્રતીક ગાંધીનો જો કે મનોજભાઈ શાહ સાથે કામ કરવાનો આ પહેલો અનુભવ નથી, છતાંય દર વખતે એમની સાથે કામ કરવાની જિજ્ઞાસાવૃત્તિ કોઈ નવોદિત કલાકારને હોય એવી જ પ્રતીકને અનુભવાય છે. કારણ સહજ છે... મનોજભાઈ ઍક્ટરને એટલી બધી ફ્રીડમ આપે છે કે તું જ નક્કી કર તારે શું કરવું છે?

આ પહેલાં પ્રતીક ગાંધીએ મનહર ગઢિયાના બૅનર હેઠળ બહોત નાચ્યો ગોપાલ નાટકમાં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને નાટક ડિરેક્ટ પણ કર્યું હતું. પરેશ રાવલના અતિ પ્રચલિત હિંદી નાટક કિશન વર્સિસ કન્હૈયામાં પણ એમણે અભિનય કર્યો હતો. સૌમ્ય જોશીના નાટક અમે બધા સાથે તો દુનિયા લઈએ માથેમાં પ્રતીકના અભિનયને ટ્રાન્સમિડિયાનો બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો એવૉર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત, અમર ફળ, અપૂર્વ અવસર, ગુજરાતની અસ્મિતા, વગેરે પ્રયોગાત્મક ભૂમિકા પણ ભજવી છે.



મૂળ સુરતના, પણ છેલ્લાં નવ વર્ષથી મુંબઈમાં સ્થાયી થયેલા પ્રતીક ગાંધીનું બૅકગ્રાઉન્ડ કોઈ હિંદી ફિલ્મના સ્ટ્રગલિંગ ઍક્ટર જેવું જ છે. પ્રતીક ઘરમાં સૌથી મોટો પુત્ર. એનાં માતા-પિતા શિક્ષક. પરિણામે પહેલેથી જ પ્રતીકને શિસ્ત અને મહેનત ગળથૂથીમાં જ મળ્યાં. પ્રતીક કહે છે:

‘સ્કૂલ એટલે પૂરેપૂરી ધમાલ. નવ વર્ષનો હતો ત્યારથી જ નાટક કરતાં શીખી ગયેલો. એ વખતે અમારી સ્કૂલ જીવન ભારતીમાં ટીમ પાડવામાં આવતી. બાળકો જ એમાં નાટક લખે, ડિરેક્ટ કરે, ઍક્ટિંગ કરે એટલે તમામ અનુભવ મળે. ૧૩ વર્ષની ઉંમરે ફુલ લેન્થ નૃત્યનાટિકા કલ્લુ બલ્લુ ભજવી. મને ડાન્સ કરવો ખૂબ ગમે. કોઈ ટ્રેનિંગ નહોતી લીધી, પણ જાતે જ બધું શીખ્યો.’

આઠમા ધોરણ વખતે આઝાદીની ગૌરવગાથા નામના નાટકમાં નટખટ જયુ સાથે કામ કરવા મળ્યું. પરિણામે પ્રતીક એક મહિનાનાં રિહર્સલ દરમિયાન એમની પાસે ઘણું બધું શીખ્યો. દસમા ધોરણ પછી પ્રતીકનો નિર્ણય અડગ હતો. એમને એન્જિનિયરિંગમાં જવું હતું. પરિણામે સુરતમાં જ ડિપ્લોમા-મિકેનિકલ કર્યું. આમ ભણતાં ભણતાં જ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ત્રિઅંકી નાટ્યસ્પર્ધામાં કશ્યપ જોશી-આશિયાના ગ્રુપ સાથે જોડાયા, જેમાં અરણ્યરુદન, અંતર વચ્ચે અંતર નાટક કર્યાં. આ બધામાં પ્રતીક ડાન્સ શો પણ કરતાં. નાટકમાં કામ પણ કરતાં અને ભણતાં પણ ખરા.

હવે પ્રતીકના જીવનમાં એક વળાંક આવ્યો. ડિપ્લોમા પૂરો કર્યા બાદ ડિગ્રી કરવામાં પ્રતીકને આર્થિક મુશ્કેલી નડી. પરિણામે પોતાની કૉલેજની ફી પોતે જ ભરશે એવું નક્કી કરી પ્રતીકે ઓળખીતામાં જ નોકરી લીધી. જૉબ હતી સેલ્સપર્સનની અને પગાર હતો પંદરસો રૂ‚પિયા!

અગિયાર મહિનાની નોકરીમાં પ્રતીકને સારા-નરસા ઘણા અનુભવ થયા, પણ દરેક અનુભવમાંથી પ્રતીક કશુંક શીખ્યા. આ બધા વચ્ચે થિયેટરની પ્રવૃત્તિ ચાલુ જ રહી. પ્રતીક કહે છે:

‘હવે સુરતમાંથી ડિગ્રી કરવાનો મારો વિચાર લગભગ મરી જ પરવારેલો. એવામાં જ મને જલગાંવની સંજય ગાંધી કૉલેજમાં ડોનેશન વિના ઍડ્મિશન મળી ગયું, પ્રોડક્શન એન્જિનિયરિંગમાં. એ ચાર વર્ષમાં પણ રજાઓ દરમિયાન મેં અભિનય ચાલુ જ રાખેલો. અત્યારે વિચારું છું કે આ બધું હું કેવી રીતે કરતો, આઈ મીન, ઓહ ગૉડ... કેટલાં ગાંડા કાઢતો હતો આ બધું મૅનેજ કરવામાં!’

પ્રતીકને ડિસ્ટિંક્શન મળ્યું. રિઝલ્ટ લઈને પહેલાં એ મનહર ગઢિયાની ઑફિસમાં આવ્યા અને કહ્યું કે મારે ઍક્ટિંગ કરવી છે. કંઈક કરો મારી માટે... પ્રતીક જૂની યાદ તાજી કરતાં કહે છે:

‘કાજલ ગઢિયા મારા નાના ભાઈની મિત્ર એટલે મારી માટે તો આ પિતા અને પુત્રી જ તારણહાર બન્યાં. બન્નેએ કંઈક ને કંઈક વાતે મારી મદદ જ કરી છે અને હજી પણ ઘણી બધી વાર કરી રહ્યાં છે...’

શરૂ‚આતનાં મુંબઈનાં વર્ષોમાં ઍક્ટિંગક્ષેત્રે કશું જ વળ્યું નહીં એટલે પ્રતીકે નોકરી શોધવાની શ‚રૂઆત કરી દીધી. સદભાગ્યે નૅશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પ્રોજેક્ટ બેઝડ્ કૉન્ટ્રાક્ટમાં પ્રતીકને જૉબ મળી. સાથે નાટકની પણ શ‚આત થઈ. પછી તો ફિરોઝ ભગતના નાટક આ પાર કે પેલે પારમાં કામ કર્યું. ફોરેન ટુર પણ કરી. એની જૉબ પ્રોજેક્ટ બેઝ્ડ હોવાથી પ્રતીકને પૂરતી સ્વતંત્રતા મળી રહેતી અને એ એના અભિનયક્ષેત્રને પ્રાધાન્ય આપી શકતાં.

છેવટે પ્રતીકને રિલાયન્સ ગ્રુપની ઑફર આવતાં એ અત્યારે ત્યાં જૉબ કરી રહ્યા છે. પ્રયોગાત્મક નાટકો સાથે કમર્શિયલ કામ પણ કરી રહ્યા છે. ચિત્રલેખા નાટ્યસ્પર્ધામાં પણ પ્રતીક અચૂક અભિનય કરે છે અને ઘણાં પ્રાઈઝ પણ મેળવી ચૂક્યા છે.

ભવિષ્યની યોજનામાં પ્રતીકને ફિલ્મોમાં કામ કરવું છે. સિરિયલો સારી મળશે તો કરશે. પ્રતીકની પત્ની ભાવિની પણ અચ્છી અભિનેત્રી છે. પ્રતીકનો એક જ મંત્ર અત્યાર સુધી રહ્યો છે: જે પણ કરીશ એ ક્વૉલિટી સાથે કરીશ, કારણ કે ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઈઝ મને ન પોસાય!

August 19, 2013

તમે યાદ આવ્યા – વિનોદ ભટ્ટ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જૂન-2012માંથી સાભાર.]

ચંદ્રકાન્ત બક્ષી અને મારી વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ હતો, લવ-હેટ્રેડનો, પ્રેમ-તિરસ્કારનો, ગમા-અણગમાનો પણ… જોકે બક્ષી પારદર્શક હતા. પોતાના મનોભાવને છુપાવી શકતા નહીં. જે જીભ પર આવે એ બેહિચક બોલી દેતા. એક સભામાં એ વક્તા હતા. હું ઓડિયન્સમાં આગળ બેઠો હતો. મને એમણે જોયો. પ્રવચનની શરૂઆતમાં જ મારી સામે આંગળી ચીંધી એમણે કહ્યું, ‘મારો પ્રિય દુશ્મન વિનોદ ભટ્ટ અહીં હાજર છે….’ અલબત્ત બક્ષીએ ક્યાંક નોંધ્યું છે કે હું રેંજીપેંજીને મારા શત્રુ બનવાનું સ્ટેટસ નથી આપતો. એ સાંભળી મનમાં સહેજ ચચર્યું, પણ મનને મેં આશ્વાસન દીધું કે ચાલો, બક્ષીએ આપણને એમના શત્રુ હોવાનું ગૌરવ તો આપ્યું જ છે ને ?’

કાર્યક્રમ પૂરો થયા બાદ સ્વરુચિ ભોજન લેવાનું હતું. હું હજી ડિશ પીરસી જમવાનું શરૂ કરતો હતો, ત્યાં જ પાસે આવી બક્ષી મને ભેટી પડ્યા. મેં એમની સામે જોઈ દાઢમાં કહ્યું :

‘બક્ષીબાબુ, મને એ કહો કે ક્યો બક્ષી સાચો ? થોડીકવાર પહેલાં ભાઈકાકા હોલમાં મને પ્રિય શત્રુ કહેતો હતો એ કે આ ક્ષણે પ્યારથી ભેટી રહ્યો છે એ ?’

બન્ને બક્ષી સાચા છે, ‘વિનોદબાબુ….’ કહી શરારત ભર્યું હસીને એ આગળ વધી ગયા.

એ દિવસોમાં બક્ષી મુંબઈ રહેતા. એ અમદાવાદ આવે ને નવભારત સાહિત્ય મંદિરની ઑફિસે બેઠા હોય ત્યાંથી મને ફોન કરે કે પ્રકાશક મહેન્દ્ર શાહની સામે બેઠો છું, તમને મળવાનું મન છે, અનુકૂળતા ખરી ? ‘ખરી, આવી જાવ, રાહ જોઉં છું.’ હું કહું ને એની દસ જ મિનિટમાં એ દર્શન આપે. તે બોલે, હું સાંભળું. તેમણે મને એક સારા શ્રોતા બનવાની તાલીમ આપી હતી. એ મારે કબૂલ કરવું જોઈએ. ક્યારેક તો એવું પણ બનતું કે તે મારે ત્યાં આવે ત્યારે ‘આવો બક્ષીબાબુ’ ને દોઢેક કલાક બાદ જાય ત્યારે ‘આવજો બક્ષીબાબુ’ જેવાં રોકડા બે વાક્યો બોલવાનો અવસર મને મળી જતો. બાકીની ખાલી જગ્યા એ ભરી દેતા. પણ એક વાત છે, તેમની કંપનીમાં ક્યારેય બોર ન થવાય.


અને કોઈવાર તેમને ઓચિંતો ખ્યાલ આવતો કે આ વિનોદ ભટ્ટ પણ લેખક છે તો એકાદ સવાલ મારા સાહિત્ય અંગેય તે ઉપકારના ધોરણે પૂછી નાખતા. ઉ.ત. એક દિવસ તેમણે મને પૂછ્યું : ‘વિનોદબાબુ, તમારું કોઈ નવું પ્રકાશન આવ્યું છે ? એ જ દિવસે મારું એક નવું પુસ્તક પ્રગટ થયું હતું. મેં તેમના હાથમાં મૂક્યું. પુસ્તકનાં શરૂઆતનાં પાનાં ફેરવતાં એક પાના પર તે અટકી ગયા – એ પાન પર વિનોદ ભટ્ટનાં બહાર – એટલે કે પ્રકાશકને ત્યાંથી બહાર પડેલાં પુસ્તકોની સાલવાર યાદી હતી – ક્યા વર્ષમાં કયું પુસ્તક પ્રકાશિત થયું એ છાપ્યું હતું. આ સાલવાર યાદી પર આંગળી મૂકી બક્ષીએ મને પ્રશ્ન કર્યો, ‘ગુજરાતી સાહિત્યમાં સાલવાર યાદી છાપવાની શરૂઆત કોણે કરી એ તમે જાણો છો ?’

‘મને ખબર નથી.’ મેં કહ્યું.

‘આ કામ પહેલવહેલું બક્ષીએ કર્યું.’ બક્ષી બોલ્યા.

‘નો ડાઉટ બક્ષીબાબુ’ મેં જણાવ્યું, ‘આ કામ ગુજરાતી સાહિત્યમાં બે જણાએ કર્યું છે, એક તો બક્ષીએ ને ત્યાર પછી નર્મદે….’ જો કે મેં આપેલી માહિતીથી બક્ષી ખાસ પ્રભાવિત નહોતા થયા.

બક્ષી વક્તા પ્રભાવશાળી, કલાક-દોઢ કલાકથી ઓછું ન બોલે, પણ તે બોલતા અટકે ત્યાં સુધી ઑડિયન્સને બાનમાં રાખે. તેમને પાછું એવું ખરું કે વિષય ગમે તે હોય, તેમને બોલવું હોય એ જ બોલે, શરત એટલી કે પ્રેક્ષકોને મજા પડવી જોઈએ. એમનું હૉલમાં બેઠેલું વસૂલ થવું જોઈએ. એક વખત ડૉ. ભોળાભાઈ પટેલ અને બક્ષીજીને સાથે સુરેન્દ્રનગરની કોઈ એક સાહિત્યિક ગોષ્ઠીમાં બોલવાનું હતું. કલકત્તા સાથે જોડાણ હોવાથી બક્ષી-બાબુને શરદબાબુની નવલકથા પર બોલવાનું સૂચવાયેલું. બક્ષીબાબુએ શરૂ કર્યું. ‘શરદબાબુ આજ-કાલ આઉટડેટેડ થઈ ગયા છે. તમને શરદબાબુની વાતોમાં ખાસ ઈન્ટરેસ્ટ નહીં પડે. આજે હું તમને મજા પડે એવા રાઈટર ચન્દ્રકાન્ત બક્ષીની વાત કરીશ. અને લગભગ 70 થી 80 મિનિટ સુધી એમણે પોતાની કેફિયત રજૂ કરી દીધી હતી… બીજી એક બિનસાહિત્યિક સભામાં બક્ષીજીને ફાળવેલ સમય કરતાં ખાસ્સું લાં…બુ તે બોલ્યા. આયોજકો અને ખુદ મુખ્યમંત્રી અકળાયા પણ બક્ષી તો અટકવાનું નામ ન લે. લાંબુ બોલવાને કારણ આપતાં નામદાર રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરે તરફ આંગળી ચીંધી શ્રોતાઓને તેમણે જણાવ્યું પણ ખરું, ‘તમે આ લોકોને નહીં, મને સાંભળવા આવ્યા છો….’ – એ શ્રોતાઓની વચ્ચે બેસવાનું સદભાગ્ય (!) આ લખનારને પણ મળ્યું હતું.

એને ખેલદિલી કહેવાય કે કેમ એની મને જાણ નથી, પણ ઉદારતા તો જરૂર કહેવાય કે એમના પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં તેમણે એકવાર નહીં, બબ્બેવાર વકતા લેખે મને અવળચંડાને બોલાવેલો. તેમનાં પચ્ચીસ પુસ્તકોના લોકાર્પણ વખતે તો સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પણ હતા. અમે બન્ને વક્તા ટીખળ કરવાના મૂડમાં હતા, માત્ર ઑડિયન્સને હસાવવા જ અમે બક્ષીજી પર થોડો વ્યંગ-વિનોદ કર્યો. ઉ.ત. મેં શરૂઆત આમ કરી : ‘મારી બે દીકરીઓ છે, મોટી પુત્રી મોનાએ ગુજરાતી સાથે એમ.એ કર્યું છે ને નાની વિનસે સાઈકૉલૉજી સાથે એમ.એ. કર્યું છે. બન્નેને પી.એચ.ડી. કરવું હતું. મોટી, ગુજરાતીવાળીએ મારી સલાહ માગી : ‘હું શેના પર કરું ?’ મેં તેને જણાવ્યું કે બક્ષીઅંકલે થોકબંધ લખ્યું છે, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો વગેરેમાંથી તું ગમે તે એક સ્વરૂપ પકડ, જરૂર પડે એમાં તું બક્ષીઅંકલની મદદ પણ લઈ શકીશ. સાઈકૉલૉજી સાથે એમ.એ. થયેલી નાની દીકરીએ મને પૂછ્યું : ‘અને હું ?’ ‘બેટા, તારો સબ્જેક્ટ તો સાઈકૉલૉજી છે ને ?’ મેં તેને વિષય આપ્યો, ‘તું બક્ષીઅંકલ ઉપર જ પી.એચ.ડી. કર, બક્ષીઅંકલની મદદ લીધા વગર એ તું કરી શકીશ.’ ઓડિયન્સ બહુ હસ્યું, વધારે પડતું હસ્યું એટલે બક્ષી બરાબરના ખિજાઈ ગયા, એ સમસમી ગયા. એ છેલ્લા વક્તા હતા. આગળના વક્તાઓ સાથેનો હિસાબ બરાબર કરવા એ કાયમ છેલ્લે બોલવાનું પસંદ કરતા. માધવસિંહભાઈ અને મારી સામે જોઈ બક્ષીએ ઓડિયન્સને કહ્યું : ‘હું ધારું તો આ બન્નેને ફક્ત બે જ મિનિટમાં પતાવી શકું, પણ આજે એમ નહીં કરું.’ (થૅન્ક ગોડ કે અમે બન્ને બચી ગયા.)

બક્ષી હિસાબના માણસ હતા. બદલો ભલા બુરાનો, અહીંનો અહીં આપવાનું કદાચ ઉપરવાળો ચૂકી જાય, બક્ષી ના ચૂકે. અટક ભલે બક્ષી હતી, પણ કોઈને માફી બક્ષવાનું તેમને પસંદ નહીં. કવિ સુન્દરમના રૂક્ષ વ્યવહારથી તે નારાજ થઈ ગયેલા. આ નારાજગીનો પડઘો પોતાની આત્મકથા ‘બક્ષીનામા’માં તેમણે આ રીતે પાડ્યો છે : ‘હું એક જ વાર અમદાવાદમાં સુન્દરમને મળ્યો હતો.’ પછી તે આગળ ઉમેરે છે. ‘સુન્દરમને મેં દૂરથી જોયા. પાસે ગયો. કહ્યું : હું ચન્દ્રકાન્ત બક્ષી ! કલકત્તાથી આવ્યો છું ! તમને…. અને જે માણસ સાથે હું સાડાચાર વર્ષથી પત્રવ્યવહાર કરતો હતો એણે કબરમાંથી ઊભા થયેલા મુડદા જેવી બર્ફીલી નજરે મને જોયો અને સડેલા અવાજે થીજવી નાખે એવી ઠંડકથી કહ્યું : ‘ઠીક !’ મારું મસ્તક ફરી જવા માટે આટલું જ કાફી હતું. મને થયું મારી સામે માણસ નથી, પ્રેત ઊભું છે. કવિ સુન્દરમને સલામ. છેલ્લી સલામ. એક ચાહકના હકની…!’

બક્ષી પ્રેમાળ પણ એટલા. એ વખતે તે મુંબઈ હતા. હૃદયમાં ગરબડ થવાથી મારે સ્ટેન્ટ મુકાવવું પડ્યું હતું. એપ્રિલ 11, 2003ના પત્રમાં તેમણે લખ્યું હતું : ‘પ્રિય વિનોદબાબુ, જલ્દી જલ્દી સ્વસ્થ થઈ જાઓ એ પ્રાર્થના….’ – બક્ષી. આ એ બક્ષી છે જેમને ગુજરાત સાહિત્ય સભાના કહેવાથી મેં શ્રી રણજિતરામ સુવર્ણચન્દ્રક સ્વીકારવા દિલથી વિનંતી કરી હતી કે તમે પત્ની, દીકરી, પ્રકાશક કે કોઈ મિત્રને (જો હોય તો તેને) પૂછો, પછી નિર્ણય કરો. પણ આ વાત હમણાં આપણી વચ્ચે છે. બીજે દિવસે તેમણે મને સવિનય ના પાડી હતી. ઉમેર્યું હતું, ‘1960ની આસપાસ ચન્દ્રક આપ્યો હોત તો લીધો હોત.’ ટૂંકમાં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમણે નકાર્યો હતો. એ બહુ ઓછા લોકો જાણે છે, જોકે બક્ષીએ કોઈને કહ્યું નહોતું. બક્ષી શું છે એની બક્ષીને ખુદને ખબર હતી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાના માટે કહ્યું છે : ‘હું અહંકારી માણસ છું. અહંકારને હું ગુણ સમજું છું. મારે માટે અહંકાર એ ઓમકાર છે. એકાન્ત પ્રિય માણસમાં અહંકાર હોય જ….’

આજે આપણી પાસે બક્ષી તો શું, એમનો ડુપ્લિકેટ પણ નથી. છે ?

August 3, 2013

દિલ્હી : સમાધિનગર, અંત્યેષ્ટિનગર કે નેતાનગર?

વાસનાની સીમા કઈ? પૈસા, જવાની, સાધનો, સત્તા, ભક્તો? એ બધાથી આગળ પણ એક મંઝિલ છે. ચારે તરફ જયજયકાર હોય અને સૂર્યાસ્તની ઊડતી ધૂળમાં જમનાને કિનારે લોકો ચિલ્લાતા હોય - જબ તક સૂરજ ચાંદ રહેગા, (જે નેતાનું નામ હોય એ) તેરા નામ રહેગા! દેશને માટે મરી ફીટનારા અનામ સૈનિક અથવા 'અનનોન સોલ્જર'ની જગતભરમાં સર્વત્ર સમાધિઓ છે પણ આપણે ત્યાં 'અનામ તેરા નામ રહેગા' બોલવું ફાવતું નથી, એ વિધાન જ એક વિરોધિતા છે. નામ ન હોય એ જ અનામ કહેવાય. અલબત્ત, આપણે ત્યાં પણ અમર જ્યોતિ સતત પ્રજ્વલિત છે એ અનામ સૈનિકની યાદમાં, જેણે ગઈકાલે પોતાના પ્રાણની આહુતિ આપી છે કે જેથી આજ રાતે આપણે પરિવાર સાથે ચેનથી સૂઈ શકીએ.

સૂરજ અને ચાંદ છે ત્યાં સુધી ઈન્દિરાજી અને સંજયજી અને ચૌધરીજી અમર રહેશે, એમનું નામ રહેશે. દિલ્હીમાં એક 'વી.આઈ.પી. સ્મશાનવાદ' ફેલાઈ રહ્યો છે એમ ગુજરાતીના શ્રેષ્ઠ પત્ર-તંત્રી હસમુખ ગાંધી લખે છે. જમના કે કિનારે, રો રો કે પુકારે, આકાશ કે તારે... એવું એક પાનવાળાની દુકાન પાસે કવ્વાલીમાં વર્ષો પહેલા સાંભળ્યું હતું. એ દિવસોમાં જમનાને કિનારે ફક્ત રાજઘાટ હતો. પછી તો શાંતિવન થયું, વિજય ઘાટ થયો, શક્તિસ્થળ આવ્યું, હવે કિસાનઘાટ તૈયાર થયો છે. ગાંધીજી, જવાહરલાલજી, લાલબહાદુર શાસ્ત્રીજી, ઈન્દિરાજી, સંજયજી અને હવે ચૌધરી ચરણસિંહજી....સમાધિઓ એટલી વધી રહી છે કે એ આખા કિનારાને સમાધિનગર કે અંત્યેષ્ટિનગર કે નેતાનગર જેવું કંઈક સરસ નામ આપવાનો વિચાર કરવો જોઈએ.

(અભિયાન, જૂન 22, 1987)
(રાજકારણ -2)

July 31, 2013

તમે ગરીબીરેખાની નીચે છો કે અમીરીરેખાની ઉપર છો?

તમે ગરીબ, મધ્યવર્ગીય કે અમીર છો એ તમારે નક્કી કરવાનું નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અર્થશાસ્ત્રીઓ, આંકડાનિષ્ણાતો, મંત્રીઓના તંત્રીઓ આ બધું નક્કી કરે છે. હિન્દુસ્તાનમાં સુખી મધ્યવર્ગીય અથવા અ-ગરીબ કોને કહેવો? એક આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાએ આ વિષે ખૂબ વિચાર કર્યો - અમેરિકા કે જાપાનમાં તો આ બહુ સહેલું હતું. જે પરિવારમાં બે મોટરો કે બે ટી.વી. સેટ હોય એને મધ્યવર્ગીય કહી શકાય. પણ ત્યાં મધ્યવર્ગીય અને અમીરમાં એવો કોઈ તાત્ત્વિક ફર્ક નથી. ભારતમાં, સારે જહાં સે અચ્છા હિંદોસ્તામાં, આ ગુલશનની બુલબુલોમાં અમીર કોણ? અમીરીની કસોટી કઈ? બધા જ પ્રકારના અભ્યાસો કર્યા પછી એ સંસ્થા નિષ્કર્ષ પર આવી કે હિંદુસ્તાનમાં જે કુટુમ્બ પાસે પોતાનો ખાનગી બાથરૂમ છે એ સુખી અમીર છે! તમારો બાથરૂમ હોય જેમાં તમે નાગા થઈને નાહી શકો તો તમે અમીર છો. ગરીબ માણસ નાગો થઈ શકતો નથી, એને સામાજિક ઈજ્જતનો ખ્યાલ રાખવો પડે છે. એને નાહતી વખતે પણ તન પર વસ્ત્ર રાખવું પડે છે, સ્નાન એને માટે જાહેર જીવનનો એક ભાગ છે, એ ગરીબ છે... ગરીબી અને અમીરી વચ્ચેની આર્થિક ભેદરેખા સમજવા માટે ભારતમાં બાથરૂમ એક અદભુત ટેસ્ટ છે ! પણ સરકારી ભાષામાં આવા સામાન્ય ટેસ્ટ ચાલે નહીં. અર્થશાસ્ત્રીઓ 'ગરીબીરેખા' જેવાં શબ્દનો પ્રયોગ કરે છે. સફેદ રાજકારણીઓ અને વિરોધકારણીઓ સંસદ કે વિધાનસભામાં એકબીજા સામે મુક્કા ઉછાળીને કે પાટલીઓ પર હથેળીઓ પછાડી પછાડીને ગરીબીરેખા નીચે કેટલી પ્રજા છે એના આંકડા આપે છે ! છાપાંવાળા તંત્રીલેખો છાપે છે. પણ ગરીબીરેખા કેવી રીતે નક્કી થાય છે? દસ વર્ષ પહેલાં 1977-78ના સરકારી આંકડાઓ પ્રમાણે પંજાબમાં 15 ટકા લોકો ગરીબીરેખા નીચે હતા, બિહાર અને મધ્ય પ્રદેશમાં 57 ટકા લોકો ગરીબીરેખા નીચે હતા, ઉત્તર પ્રદેશમાં 59 ટકા લોકો ગરીબીરેખા નીચે હતા! ઘણા દેશનેતાઓને ખબર નથી કે ગરીબીરેખા કઈ રીતે નક્કી થાય છે. ગરીબીરેખા ભૂગોળનાં વિષુવવૃત્તની જેમ કોઈ સ્થિર રેખા છે? કે સ્ત્રીના દેહ પર પહેરાતી સાડીની જેમ કદ અને વય પ્રમાણે ઊંચીનીચી થતી રહે છે?

ગરીબીની સૌની અલગ અલગ વ્યાખ્યા છે પણ અર્થશાસ્ત્રીઓએ એક કાલ્પનિક ગરીબીરેખાનું નિર્માણ કર્યું છે. એની નીચે છે એ ગરીબ, ઉપર છે એ અમીર ! ગરીબો વધારે છે, એ વોટ આપે છે. લોકશાહી સફળ બનાવવા માટે પણ ગરીબો જોઈએ છે! અને સરકારી નિષ્ણાતોની આંખોમાં ગરીબીરેખા વિના ગરીબો દેખાતા નથી.

સન 1980ની દસમી ડિસેમ્બરે લોકસભામાં અ-તારાંકિત પ્રશ્ન નંબર 3220ના ઉત્તરમાં કહેવામાં આવ્યું હતું : ભારતમાં સરકારી સૂત્રો ગરીબીરેખા નક્કી કરવા માટે વ્યક્તિગત ઉપભોગખર્ચ અને દૈનિક ખાદ્યાન્નોમાં વપરાતી કૅલરીઓ સંલગ્ન કરીને ભૂમિકા નક્કી કરે છે (સરકારી ભાષા છે!). આ બંનેની નીચે ઉપભોગ કરનારને ગરીબી રેખાની નીચે મૂકવામાં આવે છે.

ઉપભોગ ખર્ચ (કન્ઝમ્પ્શન એક્સ્પેન્ડિચર) નક્કી કરવા માટે આવક અને ખર્ચની માહિતી હોવી જોઈએ. 1979-80માં આ રેખા નક્કી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિદીઠ માસિક 76 રૂપિયા ખર્ચ અથવા એથી ઓછા અને દૈનિક 2400 કૅલરી અન્ન અને નગર વિસ્તારોમાં વ્યક્તિદીઠ માસિક 88 રૂપિયા ખર્ચ અથવા એથી ઓછા અને દૈનિક 2100 કૅલરી અન્ન ! 

ગરીબીરેખા શબ્દ રોજ છાપામાં વાંચનારને આ આંકડાઓ જરા શૉક આપી જશે. જે ગ્રામીણ વ્યક્તિ મહિને 76 રૂપિયાથી વધારે ખર્ચ કરે છે એ ગરીબ નથી! અથવા દસ વર્ષ પહેલાં ન હતો ! અહીં એક આડવાત કરી લેવી જોઈએ - વસતિગણતરી થાય છે ત્યારે શિક્ષિત કે અશિક્ષિત એવાં બે ખાનાંઓ હોય છે. સરકારે શિક્ષિતની વ્યાખ્યા શું આપી છે? જે પોતાના હાથે પોતાની સહી કરી શકે એ શિક્ષિત ! એટલે હિંદુસ્તાનમાં અંગૂઠાછાપ એ અશિક્ષિત ગણાય છે અને સહીછાપ શિક્ષિત ગણાય છે....!

પુરુષને રોટી, કપડાં અને મકાન એ ક્રમમાં મળવાં જોઈએ, અને સ્ત્રીને કપડાં, રોટી અને મકાન એ ક્રમમાં મળવાં જોઈએ. અર્ધનગ્ન પુરુષ જાહેરમાં આવી શકે છે, અર્ધનગ્ન સ્ત્રી જાહેરમાં આવી શકતી નથી. સ્ત્રીને માટે વસ્ત્ર એ જીવનની પ્રાથમિકતા છે. ગરીબીરેખા નક્કી કરતી વખતે દૈનિક ઉપભોગ ખર્ચ અને સંલગ્ન ખાદ્યાન્ન કેલરીની સાથે ભારતીય માતાને તન ઢાંકવા માટે જોઈતા પાંચ વારના ટુકડાનો નૅશનલ સેમ્પલ સર્વેએ વિચાર કર્યો છે?

(અર્થશાસ્ત્ર)

(સમકાલીન, એપ્રિલ 1987)

પૂરક માહિતી માટે શતદલમાં 31, જુલાઈ 2013નાં રોજ પ્રકાશિત થયેલ ભવેન કચ્છીનો લેખ આ લિંક પર વાંચી શકાશે:

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vividha8413

July 30, 2013

હું-કાર, અહંકાર અને અસ્તિત્વનો સંઘર્ષ (કાજલ ઓઝા વૈદ્ય)



૨૧ જુલાઇએ 'રંગ મંડળ’ અમદાવાદમાં નાટક 'હું, ચંદ્રકાન્ત બક્ષી’ ભજવાઇ ગયું. આ નાટકમાં એક અનોખી 'મજા પડે’ એવી કૈફિયત હતી. એરકન્ડીશન વગરના હોલમાં અમદાવાદના જેટલા 'હુઝ હુ’ કહી શકાય તેટલા બધા લોકો બક્ષીને યાદ કરવા, મમળાવવા... ફરી એક વાર એમને મળવા હાજર હતા. આ ખીચોખીચ ભરેલું ઓડિટોરિયમ અને તખ્તા પરથી બોલાતી એમની લાઇન્સ ફરી એક વાર પુરવાર કરી ગઇ કે એમણે એમના સમયથી ઘણું આગળ અને એમની પેનમાં ભરાયેલી શાહીથી ઘણું વધારે લખી નાખ્યું છે.

ચંદ્રકાન્ત બક્ષી - ગુજરાતી સાહિ‌ત્યના એ રિબેલ પાયોનિયર, માથાફરેલ, તુંડ મિજાજી વગેરે વગેરે કહેવાતા નામની આગળ એક અક્ષર લખાતો હતો, વગર લખ્યે પણ સંભળાતો હતો... 'હું’ નાટક પણ 'હું, ચંદ્રકાન્ત બક્ષી’ એ 'હું’ શિશિર રામાવતની સ્ક્રિ‌પ્ટમાં સતત સંભળાતો રહ્યો. 'હું’કાર બનીને નહીં, પણ 'હ’કાર બનીને પ્રતીક ગાંધીના ઉર્દૂ, અંગ્રેજી અને બંગાળી ઉચ્ચારો પર જો થોડું વધારે કામ થઇ શક્યું હોત તો કદાચ વધારે 'મજા પડી’ હોત મનોજ શાહે કહ્યું કે, 'અમે બક્ષીને કોપી કરવાનો પ્રયત્ન નથી કર્યો.’ વાત રસપ્રદ છે...

પરંતુ જો અભિનેતા પોતાની જાતને 'હું ચંદ્રકાન્ત બક્ષી’ કહેતો હોય, તો એટલું જરૂરી છે કે બક્ષીની સ્ટાઇલ અને એના સાચા પોઝીસ સમજીને એમની એકોક્તિમાં યોગ્ય રીતે વપરાય. સ્ટાઇલનો માણસ, મહેફિલનો માણસ... જેણે ગુજરાતી ભાષાને પ્રથમ વાર એક તહેઝીબ-અદબ અથવા એલિગન્સ, ક્લાસ કે ઇમ્પેકેબલ પર્સનાલિટીની ઓળખ આપી એ માણસને એના પછીની પેઢી એ જ રીતે ઓળખે એ જરૂરી નથી? કેટલાક માણસો ઇતિહાસ થઇને જીવી જાય છે અને કેટલાક માણસો ઇતિહાસ રચે છે. ચંદ્રકાન્ત બક્ષી એક એવું નામ હતું કે જેણે ઇતિહાસને રિ-રાઇટ કર્યો. એમની પેઢીના સેનાનીઓ અને સમ્રાટો વિદાય થઇ ચૂક્યા પછી આવા અને આટલી હૂંફથી યાદ નથી રહી શક્યા.

બક્ષી વિશે જેટલું લખવું હોય એટલું લખાય અને ન લખવું હોય તો પણ એક વાક્ય તો લખવું જ પડે કે, 'બક્ષી હતા, છે ને રહેવાના છે.’ જે લોકો પોતાના સમયની આગળ જીવે છે એ બધા સામાન્યત: એક વિચિત્ર પ્રકારના સંઘર્ષમાંથી પસાર થાય છે. એમનો સમય એમને સ્વીકારતો નથી અને એમને જે સમય દેખાય છે - એમના વિઝનમાં કે વિઝડમમાં જે વાત એમને સમજાય છે એ વાત પોતાના સમયને ગળે ઉતારી શકતા નથી. બેહદ તરફડાટ હોય છે, આવા લોકોની ભીતરમાં. એમને ખબર હોય છે કે એ સાચા છે. એમને એવી પણ ખબર હોય છે કે એ જે લખી રહ્યા છે, જે કહી રહ્યા છે કે જીવી રહ્યા છે એ બધું જ એક-દોઢ દાયકા પછી અહોભાવની કક્ષાએ મૂકાવાનું છે.

એમણે જે લખ્યું, જે કહ્યું એ બધું જ આવનારાં વર્ષોમાં, આવનારી પેઢીઓ માટે બ્રહ્મવાક્ય બની જવાનાં છે - એની એમને લખતી વખતે કે કહેતી વખતે ખબર હોય છે, પરંતુ સદભાગ્યે કે દુર્ભાગ્યે એમનો સમય આ બધાને એમનો 'અહંકાર’ માની લે છે. ખરેખર, એમના 'અહં’નો આકાર એટલો ધુમ્મસિયો હોય છે કે એમનું કામ 'સ્કલ્પટિંગ ઇન ટાઇમ’ જેવું પુરવાર થાય છે. ધુમ્મસ ઓગળે, ત્યારે જ એમના કામનું મૂલ્ય સમજાય છે. આવા લોકો 'હતા’ થઇ જાય, 'ધુમાડો’ થઇ જાય કે એમની વાસ પણ હવામાં ઓગળી જાય તેમ છતાં એમનો હું-કાર-અર્જુનના ગાંડીવના ટંકારની જેમ હવામાં સંભળાયા કરે છે. સૌથી મોટા અફસોસની વાત એ છે કે જે લેખકો વાચકનો આવો પ્રેમ નથી પામી શક્યા કે આવા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચી નથી શક્યા એ સૌને આ જોઇએ છે... પરંતુ નહીં મળ્યાના અફસોસમાં આ પ્રસિદ્ધિ, સફળતા કે વાચકનો ભરપૂર સ્નેહ 'ખાટી દ્રાક્ષ’ની જેમ નકારીને એ બધા પોતાના 'સર્જન’નો મુગટ પહેરીને પોતાની જ આગવી દુનિયાના રાજા બનીને પ્રજા વગર રાજ કર્યાં કરે છે.

મોટા ભાગના લોકોને ખબર જ નથી કે દરેક હું-કાર અહંકાર નથી હોતો... દરેક અહંકાર તિરસ્કાર નથી હોતો... દરેક તિરસ્કાર વ્યાપાર નથી હોતો અને દરેક વ્યાપાર પ્રહાર નથી હોતો. અહંકારના પણ પ્રહાર હોય છે અને અહંકારનો પ્રહાર દરેક વખતે ઉઝરડા કરી જાય કે સામેનાનું સ્વમાન ઉતરડી નાખે એવો પણ નથી હોતો. બક્ષી કે બક્ષીની આસપાસ જીવેલા લોકો આ વાતને વધુ સારી રીતે સમજી શક્યા હતા 'ગીતા’માં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, 'સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ્ શરણં વ્રજ અહંત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શૂચ:’ ( સર્વ ધર્મ છોડીને તું મને એકને શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર.) એ અહંકાર નહોતો. અહંકાર સામાન્યત: મિથ્યા હોય છે, એની પાસે પ્રમાણો નથી હોતાં, પાયો નથી હોતો અને સમય આવ્યે એને પુરવાર પણ નથી કરી શકાતો.

ફુગ્ગા અને વિમાનમાં ફેર છે. બંને ઊડે છે, પણ એક પાસે દિશા છે, જવાબદારી છે અને બીજા પાસે ઊડયા વગર કોઇ છુટકો નથી માણસને જ્યારે એવી ખબર હોય કે પોતે જે કહે છે એ સત્ય છે... એણે એને વારંવાર ચકાસ્યું હોય, જાણ્યું હોય, અનુભવ્યું હોય, સૂંઘ્યું હોય, ચાખ્યું હોય, ચગળ્યું હોય, ચાવીચાવીને જેને પેટમાં ઉતારી દીધું હોય અને પચાવ્યું હોય એવા માણસને જ આવો અબાધિત અધિકાર મળે છે કે બીજાને કહી શકે કે બધું છોડીને મારું સાંભળ... મારું માન, અથવા મારી વાત સમજવાનો પ્રયાસ કર. એ સિવાયના લોકો આવું કહી શકે છે,

પરંતુ કહ્યા પછી પોતાના જ શબ્દો પર એમને ભરોસો હોતો નથી. બે-ચાર આડાઅવળા સવાલો પૂછવામાં આવે અથવા સંદેહ કરવામાં આવે તો કદાચ આવા લોકો પોતાની જ વાતથી ફરી બેસે છે આપણે આવા માટીપગા - બેકબોન વિનાના, ઢીલાઢાલા કે શ્રી. લોંદેશની વાત નથી કરતા... આપણે વાત કરીએ છીએ એવા માણસોની, જેમણે પોતાના જીવનને ભરપૂર જીવ્યું હોય, જે જીવ્યા હોય એ વિશે અફસોસ વગર વાત કરી શકવાની એમની હેસિયત હોય જે પોતાની ભૂલો વિશે પણ સજાગ હોય, એને સ્વીકારે... એમાંથી નીપજેલાં પરિણામોને ભોગવીને એ માણસ એક નવા પાઠ સાથે, નવી દિશા તરફ જવાની તાકાત અને તૈયારી ધરાવતો હોય... જેણે પોતાની નબળાઇને ઓળખી હોય અને પોતાના ગુણોનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હોય.

જે લડી શકે (ઝઘડી શકે એવા માણસની વાત નથી), જે સ્વસ્થતાથી સુખને માણી શકે અને સ્પષ્ટતાથી દુ:ખને જાણી શકે... જેને ખબર હોય કે પોતાની પાસે જે છે તે કેટલું મહત્ત્વનું છે અને એ આ ધરતી પર શું કરવા આવ્યો છે આ બધા પછી એક સૌથી અગત્યનો શબ્દ ઉમેરાય છે - સ્ત્રી આ બધું જો એક સ્ત્રી કરતી હોય તો તો ધરતી રસાતાળ જાય છે, અંગ્રેજીનો એક શબ્દપ્રયોગ 'ધ હેલ બ્રોક લુઝ’ (નર્ક તૂટી પડે) જેવું ખરેખર બને છે સંસ્કૃતિ, સભ્યતા, સમાજના નિયમો અને સુરુચિ જેવા શબ્દો પાયામાંથી હાલી જાય છે.

સ્ત્રીનું લખાણ સુષ્ઠુ અને સમાજે બનાવેલી કમ્પાઉન્ડ વોલની અંદર રહીને લખાવું જોઇએ, તો જ એને માન્યતા કે મોક્ષ મળી શકે એને માટે છાપેલી ગાઇડલાઇન ઉપલબ્ધ છે - 'ડુઝ’ અને 'ડોન્ટ્ઝ’ને ફોલો કર્યા વગર લખતી સ્ત્રી એના સમયથી પહેલાં લખે ત્યારે વાચક એને વધાવે છે, પરંતુ વિવેચન, એવોર્ડ કે સન્માનને માટે એણે પોતાના મૃત્યુની રાહ જોવી પડે છે આવા લોકો વારંવાર જન્મ નથી લેતા - આપણે માત્ર બક્ષીની વાત નથી કરતા... આપણે એવા માણસોની વાત કરીએ છીએ, જેમણે ચોઇસલેસ થવાને બદલે રિગ્રેટ્સ વગર ચુઝ કરવાનું પસંદ કર્યું, એટલે કે પસંદગી ન કરવાની નિર્વીયતા બતાવવાને બદલે પસંદ કરીને એના પરિણામ વિશે કોઇ અફસોસ રાખ્યા વગર પોતે કરેલી પસંદગી પર મુસ્તાક રહ્યા.

એવું નથી કે આવા લોકોને કંઇ નુકસાન નથી થયું. અંગત સંબંધોથી શરૂ કરીને સામાજિક પ્રતિષ્ઠા અને કંઇકેટલાય મળવા જોઇએ તેવા સન્માન અને સ્થાન એમણે ગુમાવ્યાં હોય, પરંતુ એમને આવા દુન્યવી નુકસાનનો બહુ અફસોસ નથી હોતો. એમના અસ્તિત્વની પહેલી શરત એ છે કે સ્વતંત્ર હવામાં શ્વાસ લેવો. બીજી શરત છે સ્વમાન અને સ્વત્વ... ત્રીજી શરત છે સ્વધર્મ અને ચોથી શરત એટલે સત્ય - પ્રામાણિકતા.

મજાની વાત એ છે કે એમની સ્વતંત્રતાને ઉચ્છૃંખલતા કે તોછડાઇમાં ખપાવી દેવામાં આવે છે, સ્વત્વ કે સ્વમાનને અહંકાર કહેવાય છે, સ્વધર્મને જીદ કે અણસમજુ હોવાનું લેબલ ચોંટાડવામાં આવે છે, એમના સત્યને નફટાઇ કે 'સુરુચિના ભંગ’ જેવા આક્ષેપો સાથે વધ:સ્તંભ સુધી લઇ જવામાં આવે છે. નિ:શંક વાત છે કે ભેદરેખા પાતળી છે, પરંતુ આ લેબલ, આક્ષેપો કે માન્યતાઓ વિશેનો નિર્ણય કોણ કરે? એ સમાજ, એ લોકો - જેમને જિંદગીના આ અગત્યનાં શબ્દો કે તત્ત્વો વિશે ખબર જ નથી.


(Source : http://www.divyabhaskar.co.in/article/MAG-i-ego-and-existence-of-the-conflict-4333824-NOR.html)

July 29, 2013

જનતા સમુદ્ર છે અને નેતા સમુદ્રે ફેંકેલું એક મોજું છે...

'રાજીવ પછી, કોણ' એ એક લોકરમતનું નામ છે. થોડાં થોડાં વર્ષે આ રમત રમાયા કરે છે. શરૂમાં આ રમતનું નામ હતું. 'નેહરુ પછી, કોણ?' વચ્ચે આ રમત 'ઈન્દિરા પછી, કોણ?' બની ગઈ હતી. રાજીવ ગાંધી એમની સમયમર્યાદાના અડધા માર્ગ સુધી પહોંચ્યા છે એટલે આ પ્રશ્ન અત્યારે બહુ સાંદર્ભિક નથી પણ આ રમત કે ગમ્મતમાં બધાને રસ છે જ. જ્યાં પ્રજાવાદ છે ત્યાં આનો ઉત્તર સ્પષ્ટ છે : પ્રજા જેને પસંદ કરે એ ! પણ હિન્દુસ્તાનનો પ્રજાવાદ એ પ્રકારનો છે જેવો જગતભરમાં ક્યાંય નથી. ચાલીસ વર્ષથી નાના, મમ્મી અને બેટો એમ એક જ વંશની વાંશિક પરિવારશાહી ચાલે છે અને એ જ ડેમોક્રસી કહેવાય છે ! માટે આ લોકગમ્મત : રાજીવ પછી, કોણ?

શ્રીમતી ગાંધીની હત્યા થઈ ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલસિંઘે રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવી દીધા હતા. આ પૂરી વિધિ અવૈધ હતી. પ્રથમ પ્રધાનમંત્રી નિમાયા અને પછી કોંગ્રેસ સાંસદીય પક્ષે રાજીવ ગાંધીને પક્ષના નેતા તરીકે ચૂંટ્યા ! ગાડીની સાથે ઘોડો જોડવાની ક્રિયા કરવાને બદલે આપણે પ્રથમ ઘોડો લઈ આવ્યા અને પછી એને ગાડી જોડી દીધી. લોકશાહીની પ્રણાલિકા એ છે કે પક્ષ નેતા ચૂંટે અને એ પક્ષ સંસદમાં બહુમતી ધરાવતો હોય માટે એ નેતાને રાષ્ટ્રપતિ મંત્રીમંડળ રચવા આમંત્રણ આપે. એ માણસ પ્રધાનમંત્રી બને. પણ પ્રધાનમંત્રી બનતાં પહેલાં એ માણસ બહુમતી પક્ષનો નેતા ચૂંટાય એ આવશ્યક હોય છે. અહીં ઊંધું થયું. 

ભારતની રાજનીતિ નેતાકેન્દ્રી છે જ્યાં જનતાએ ફર્જરૂપે નેતાના કહ્યા પ્રમાણે કરવાનું છે. નેતા હજી ઘેટાવાદમાં માને છે. એ પોતે કાયદાથી ઉપર છે અને એ ક્રૂર વાસ્તવ આપણે રોજ જોઈ રહ્યા છીએ. માઓ-ત્સે-તુંગનું વિધાન હતું કે, જનતા સમુદ્ર છે અને નેતા એ સમુદ્રમાંથી ઊઠેલું એક મોજું છે. આ મોજું સમુદ્રના ખળખળાટમાંથી જન્મે છે, ઊભરે છે, ઊંચાઈ પ્રાપ્ત કરે છે, કિનારા તરફ દોડે છે, આખા સમુદ્ર પર ક્ષિતિજથી ક્ષિતિજ સુધી છવાઈ જાય છે, પણ મોજાએ એક વાત ભૂલવાની નથી - એ સમુદ્રમાંથી જન્મ્યું છે, એણે કિનારાની રેતી પર પટકાવાનું છે, એની જે પણ ઊંચાઈ હોય એ સમુદ્રે એને આપી છે અને એની પાછળ બીજું નાનું મોજું જન્મી ચૂક્યું છે જે કાળક્રમે એ રીતે જ સમુદ્ર પર છવાઈને કિનારા પર પટકાવાનું છે. સમુદ્ર સનાતન છે, મોજું સામયિક છે. સમુદ્ર જીવે છે, મોજાએ મરવાનું છે. જનતા, જાગૃત અને ખળભળી ચૂકેલી જનતા, હંમેશા દરેક દેશમાં નેતા ફેંકતી રહેશે. જગતની દરેક પ્રજાને પોતાની જાગૃત કે અર્ધજાગૃત કે સુષુપ્ત અવસ્થા પ્રમાણે જ નેતા મળી રહે છે! લોકશાહી જો જનજાગૃતિની સજીવ, ચેતનવંત લોકશાહી હોય તો એ પોતાની જરૂર પ્રમાણે નેતા પસંદ કરી લે છે. આપણામાં કહેવત છે : 'ચોરો નિર્વંશ જતો નથી ! ચોરા પર બેસનારો મળી જ રહે છે.' બહુરત્ન વસુંધરા, પૃથ્વી રત્નો પેદા કરતી રહે છે, અને સમુદ્ર નેતાઓ ફેંકતો રહે છે.

માઓ-ત્સે-તુંગ કહે છે એમ સમુદ્ર એ જ અંતિમ સાતત્ય છે...

(અભિયાન, સપ્ટેમ્બર 21, 1987)

(રાજકારણ-1)

ધન અથવા સંપત્તિ વિશેના સંસ્કૃત સંદર્ભો

સંસ્કૃત સુભાષિતોમાં ધન અથવા સંપત્તિ વિશેના ઉલ્લેખો આજના સંદર્ભમાં જોવા જેવા છે. આ શ્લોકો સેંકડો કે સહસ્ત્રો વર્ષો પૂર્વે લખાયા હશે અને એ સમયે ધનનું મહત્ત્વ કે સાતત્ય આજ જેવું નહીં જ હોય ! આદાન-પ્રદાન કે દાન-અનુદાન પર આધારિત એક તત્કાલીન સમાજરચના હતી. આજની સમકાલીન કે સમસામયિક સમાજપ્રથા અર્થતંત્ર પર પૂર્ણત: અવલંબિત છે. પૈસાદાર નામનો શબ્દ એ કાળમાં ન હતો. છતાં પણ સંસ્કૃત શ્લોકો આજે પણ અત્યાધુનિક લાગે છે એ એમનું વૈશિષ્ટ્ય છે. 

એક શ્લોક છે - को न याति वशं लोके मुखे पिण्डेन पूरित... मृदंगो मुखलेपेन करोति मधुरध्वनिम...! આ શ્લોકનો અર્થ 1986માં પણ ભાષ્ય આપ્યા વિના સમજાય એવો સરળ છે. અર્થ થાય છે - મોઢામાં ખાવાનું ભરી દઈએ તો આ જગતમાં કોણ વશ થતું નથી? મૃદંગના મુખ પર લોટનો લેપ કરીએ તો એમાંથી પણ મધુર ધ્વનિ નીકળવા લાગે છે...

ધન વિષે આપણા પૂર્વજો આધુનિક હતા અને અત્યંત વ્યાવહારિક હતા એવું કેટલાંક સંસ્કૃત શ્લોકો પરથી ફલિત થાય છે. એક શ્લોકનો અર્થ છે - અતિથિ, બાળક, સ્ત્રીઓ, રાજા અને પાંચમો જમાઈ... આટલાને ધનનું શું મહત્ત્વ છે એ ખબર નથી. આજના કળિયુગના કાળાબજારિયાઓ માટે પણ ચાણક્યનીતિમાં એક શ્લોક આપેલો છે : આ શ્લોક આ પ્રમાણે છે - अन्यायोपार्जितं द्रव्यं दशवर्षाणि निष्ठति... प्राप्ते ऐकादशे वर्षे समूलं च विनश्यति ! આનો અર્થ સમજતાં પહેલાં એક વાત ધ્યાનાકર્ષક છે. કાળું નાણું એ યુગમાં પણ હતું ? હશે જ, નહીં તો ચાણક્ય આવી દૂરદર્શી વાત કેવી રીતે કરી શકે? વિચક્ષણ ચાણક્ય કહે છે કે અન્યાયથી ઉપાર્જન કરેલું ધન દશ વર્ષ સુધી રહે છે. અને અગિયારમું વર્ષ આવતાં એ ધન મૂળ સાથે વિનાશ પામે છે ! એટલે કાળા ધનિકોનો વિનાશ અને પ્રનાશ અને સર્વનાશ અવશ્યંભાવી છે ! માત્ર સંતોષનું એક જ કિરણ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. આજકાલ ફુગાવો વધી ગયો છે એટલે એ સમયનાં દસ વર્ષો એટલે આજનાં કેટલાં ગણવાનાં? વીસ કે પચ્ચીસ?

આદિ શંકરાચાર્યે 'ભજ ગોવિંદમ'માં વારંવાર કહ્યું છે - પુત્રાદપિ ધનભાજાં ભીતિં... સર્વત્રૈષા વિહિતા રીતિ: ! અર્થ થાય છે - ધનિકોને પોતાના પુત્રોનો પણ ભય લાગે છે. સર્વત્ર ધનની આ જ ગતિવિધિ છે.

આદિ શંકરાચાર્ય ધનવિરોધી છે. એ કહે છે - शुष्के नीरे क: कासार :....क्षीणे वित्ते क: परिवारो...! એમનું કહેવું છે કે જ્યારે પાણી ઊડી જાય છે ત્યારે સરોવરમાં શું રહી જાય છે? એકવાર ધન શેષ થઈ જાય છે પછી મનુષ્યનાં સગાંવહાલાં ક્યાં ચાલ્યા જાય છે? આદિ શંકરાચાર્ય સાધુ, સંન્યાસી, બાવા, જોગીઓને પણ આ ધનની લાકડીથી જ ફટકારે છે. એ કહે છે - जटिलो मुण्डी लुंछित कोश:... काषायम्बर बहुदतवेष:.... पश्यन्नपि च न पश्यति मूढो... ह्युदरनिमित्तं बहुकतवेष:...! એ કહે છે લાંબા ચોંટેલા વાળવાળા કે મુંડન કરેલા કે ખેંચી ખેંચીને વાળ તોડેલા કે ભગવાં કપડાંમાં રખડનારા આ મૂઢ કે મૂર્ખ જુએ છે પણ જોતા નથી. આ વેશ અન્ને આ બધાં પરિધાનો તો માત્ર પેટ ભરવાનાં નિમિત્ત કે બહાનાં છે.

ધન વિષે અને ભોગ્ય વસ્તુઓ વિષે સંસ્કૃતમાં ઘણા શ્લોકો ભિન્નભિન્ન પુસ્તકોમાં પડ્યા છે. વિદુરનીતિ કહે છે કે અત્યંત શ્રેષ્ઠ, અત્યંત શૂરવીર, બહુ જ  વ્રત-નિયમાદિનું પાલન કરનાર અને બુદ્ધિના ઘમંડમાં ચકચૂર મનુષ્ય પાસે લક્ષ્મી ભયને કારણે જતી નથી. 

અને એ જ વિદુર રાજા ધૃતરાષ્ટ્રને ઉદ્યોગપર્વના આઠમા અધ્યાયમાં સમજાવતાં કહે છે - 'यत पृणिव्यां व्रीहियवं हिरण्यं पशव: स्त्रीय:... नालमेकस्य तत सर्वमिति पश्यन्न मुह्यति...! અર્થ થાય છે - આ પૃથ્વી પર જે પણ ધાન્ય, જવ, સોનું, પશુઓ અને સ્ત્રીઓ છે એ બધાં જ એક પુરુષને માટે પણ પર્યાપ્ત નથી. આવો વિચાર કરવાવાળો મોહમાં ફસાતો નથી.

ધનને શી રીતે સમજવું જોઈએ? હિતોપદેશમાં જે આદેશ આપ્યો છે એ કદાચ સૌથી યથાર્થ છે. કથાકાર કહે છે - यद्दासि विशिष्टेभ्यो यच्चाश्नासि दिने दिने... तत्ते वित्तमहं मन्यी शेष: कस्यापि रक्षसि...! અર્થ થાય છે - જેટલું ધન તું પ્રતિદિવસ ભોગવે છે અથવા સુપાત્રને દાન આપે છે એટલું જ ધન તારું છે, બાકીનું ધન તો બીજા કોઈનું છે, જેની તું રક્ષા કરે છે. 

જે ભોગવવામાં આવે છે એ જ ધન આપણું છે. બાકીનું તો બીજાનું છે જે આપણે સાચવ્યા કરીએ છીએ. ઘણા ધનપતિઓ એટલા ઉત્સાહથી ધન ભેગું કરી રહ્યા છે કે બસો વર્ષ જીવવાના હોય ! કહેવાય છે કે લક્ષ્મી  નિર્વંશ હોય છે. 

સાઈકૉલૉજી અથવા માનસશાસ્ત્ર અર્વાચીન વિદ્યા છે પણ મનુષ્યસ્વભાવ પ્રાચીન છે. અને સંસ્કૃત સાહિત્યમાં મનુષ્યસ્વભાવનો ગહન અભ્યાસ છે. સંસ્કૃતાચાર્યોએ એ સુભાષિતોના ઉદધિમાંથી આધુનિક જીવનને સ્પર્શે એવા શ્લોકો કાઢવા જોઈએ. શ્લોકો એટલા બધા તાર્કિક હોય છે કે એમના પર કોઈ ટિપ્પણીનો અવકાશ રહેતો નથી. કોઈકે આ કર્મ કરવું જોઈએ - અને કર્મની પ્રકૃતિ કેવી છે? 

अज्ञ कर्माणि लिम्पन्ति तजज्ञं कर्म न लिम्पति,
लिप्यते रसनैवैका सर्पिषा करवद यथा - 

અર્થ થાય છે - અજ્ઞાનીને કર્મ ભારપૂર્વક ચોંટી જાય છે પણ જ્ઞાનીને કર્મનો ભાર લાગતો નથી. ઘી હથેળી પર ચોંટે છે પણ જીભને ચોંટતું નથી !

(સમકાલીન: મે 1986)

(અર્થશાસ્ત્ર : પૃ. 3 - 7)

પુરુષ અને પંડિત શબ્દોની વ્યુત્પત્તિ

સંસ્કૃત શ્લોકમાં લાઘવ સાથે લક્ષ્યવેધ હોય છે, જે સુરેખ કવિતાનું પ્રથમ લક્ષણ છે. શબ્દો બગાડ્યા વિના જે કહેવું એ સ્પષ્ટ અને વેધક રીતે કહેવાય છે. દરેક શબ્દની વ્યુત્પત્તિ હોય છે. 'પુરુષ' એટલે? ઉદ્યોગપર્વમાં પુરુષ શબ્દની વ્યાખ્યા સમજાવી છે: પૂરં વિષહતે યસ્માત્તસ્માત પુરુષ ઉચ્યતે ! અર્થ થાય છે - જે પ્રાણી પુર અથવા આવેશને સહન કરે છે એ પુરુષ કહેવાય છે....! કંઈક આ જ પ્રકારની એક વ્યાખ્યા પંડિત વિષેની છે. પંડિત વિષે અનગિનત વ્યાખ્યાઓ સંસ્કૃત સાહિત્યમાં વિખરાયેલી પડેલી છે. પણ મારી દ્રષ્ટિએ એક શ્લોકની બીજી અને અંતિમ લીટીમાં કદાચ પંડિત વિષેની યોગ્ય વ્યાખ્યા અપાઈ છે : આત્મશક્તિ સમં કોપં યો જાનાતિ સ પંડિત: ! અર્થ થાય છે - પોતાની શક્તિની સીમાની અંદર રહીને ક્રોધ કરવાનું સમજે છે એ જ પંડિત છે...

(અર્થશાસ્ત્ર, પૃ.2-3)

ના પાડવાના પ્રકાર

ક્યારેક ના પાડી દેવાથી ઘણી સમસ્યાઓ બહુ સરળતાથી પતી જાય છે. ઘણા ડાહ્યા માણસો ના પાડી શકવાની અશક્તિ કે અનિચ્છાને લીધે સ્વયં અથવા સપરિવાર  ત્રાસ ભોગવે છે. ડેલ કાર્નેગીએ સુખી થવાના જે માર્ગો બતાવ્યા છે એમાં એક માર્ગ છે: જીવનમાં ના કહેતાં શીખો ! એ કામ ડેલ કાર્નેગી ધારે છે એટલું સરળ નથી, કારણ કે આ ભારતીય સમાજ છે, જેમાં દંભની એક આખી ભાષા ઉત્પન્ન થઈ ચૂકી છે. કાળક્રમે અનુભવી માણસની જીભ પણ પ્રપંચ કરતાં શીખી જાય છે ! ના કેમ પાડવી? ખરાબ લાગશે ! અને હા પાદીશ  તો આપણને સંત્રાસ થશે. આપણે ના પાડી શકતા નથી માટે દુષ્ટ માણસો ક્યારેક આપણો દુરુપયોગ કરી જતા હોય છે...! અને પછી સતત કરતા રહે છે... 

શ્રેષ્ઠ માર્ગ છે સ્પષ્ટ સ્વરે કહીદેવું - ના! અને એ પ્રશ્ન ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. પણ વ્યાવહારિક માર્ગો સંસ્કૃતના શ્લોકોમાં છે. સંસ્કૃતનાં સુભાષિતોમાં ઘણી વાર આધુનિક સાઈકૉલૉજીની સમસામયિકતા જોઈ શકાય છે ! સંસ્કૃત અને સાઈકૉલૉજી (માનસશાસ્ત્ર)ને શું સંબંધ? સંસ્કૃતમાં એક વર્તણૂકશાસ્ત્ર (બિહેવરિઅરિઝમ) છે, નીતિશાસ્ત્ર (ઍથિક્સ) છે અને અલબત્ત માનસશાસ્ત્ર તો છે જ.

સંસ્કૃતના એક શ્લોકમાં ના પાડવાની છ રીતો બતાવી છે. શ્લોક છે:  मौन कप्ल विलम्बश्च प्रयाणं भूमिदर्शनम...भृकुट्यन्यमुखी वार्ता नकार: षडविथ: स्मृत: ! આમાં છ પ્રકારો વર્ણવ્યા છે : મૌન રાખવું અથવા બોલવું જ નહીં. ઉત્તર આપતાં સમયનો ગાળો રાખવો (મને...એમ કરોને ! આવતા ગુરુવારે ફોન કરશો?). ચાલ્યા જવું. (એક્સક્યુઝ મી. જરા સાહેબને મળવા જવું પડશે!). જમીન તરફ જોયા કરવું. ભવાં ખેંચીને બીજા તરફ જોઈને વાત કર્યા કરવી. અને છઠ્ઠો પ્રકાર - ના પાડી દેવી !

આ શ્લોક ભારતીય દેશકાળને અનુરૂપ છે અને સમય-અસમય આપણે આનો અનુભવ કરતા રહી છીએ (-અથવા કરાવતા રહીએ છીએ!).

(અર્થશાસ્ત્ર, પૃ.1-2)

July 10, 2013

જે તૂટતા નથી એ લોકો...

12 જુલાઈ 2013નાં રોજ ભારતીય દોડવીર મિલખાસિંઘના જીવન પર આધારિત ફિલ્મ "ભાગ મિલ્ખા ભાગ" રજૂ થઈ રહી છે ત્યારે બક્ષીબાબુએ દાયકાઓ પહેલાં જીવનની અંગત કરુણતાઓ છતાં ખુદ્દારીથી જીવનાર મિલખાસિંઘ સહિતની હસ્તીઓનાં વિશે લખેલો એક પ્રેરણાદાયક લેખ પ્રસ્તુત છે:

હું પાકિસ્તાનના લાયલપુર જિલ્લાના ગોવિંદપુરા ગામમાં જન્મ્યો હતો. મારા એક મોટાભાઈ સેનામાં હતા. હું પંદર વર્ષનો હતો ત્યારે જ આ ઘટના બની. હિંદુ-મુસ્લિમ હુલ્લડો થઈ ગયાં. મુસ્લિમોએ મારાં માતા, પિતા, ત્રણ ભાઈઓ, ત્રણ ભાભીઓ અને એમનાં સંતાનોને નિર્દોષ ઘેટાંઓની જેમ કતલ કરી નાંખ્યાં. હું કઈ રીતે જીવતો રહી ગયો અને ફેંકાતો ફેંકાતો હિન્દુસ્તાનમાં આવી ગયો એ મને ખબર નથી. લશ્કરમાંનો મારો મોટોભાઈ અને હું, અમે બે જ આ સંહારમાંથી જીવતા રહી શક્યા. હું તદ્દન તૂટી ગયો હતો. પૈસા બિલકુલ ન હતા, કંઈ કરવાની માનસિક સ્થિતિ પણ હતી નહીં - અને જિંદગી શરૂ થઈ.

મિલખા સિંઘ


આ શબ્દો છે ભારતના શ્રેષ્ઠ એથલીટ અથવા રમતવીર મિલખાસિંઘના ! મિલખાસિંઘની કક્ષાનો દોડવીર ભારતે આજ સુધી પેદા કર્યો નથી.

હવે બીજા એક માણસની વાત. 

એ માણસની વેદનાનો અંત ન હતો. જ્યારે મૂળ પ્રતની કોપી કરનારે પોતાના સાડા ત્રણ આના પ્રમાણે મહેનતાણું માંગ્યું (લગભગ વીસ પૈસા) ત્યારે એની પાસે એ પૈસા આપવાની સ્થિતિ ન હતી. એણે પોતે પોતાના હાથથી કોપીઓ કરી. એ જમાનામાં ઝેરોક્ષ કે ફોટો કોપી ન હતી. પણ એ માણસ તૂટવા માંગતો ન હતો. પછી વિધિના પ્રવાહ શરૂ થયા. 1947ના કલકત્તાનાં હિંદુ-મુસ્લિમ હુલ્લડોમાં એના મોટા પુત્રને કોઈ મુસ્લિમે છરો મારીને મારી નાંખ્યો. એનો નાનો પુત્ર એક લાંબા રોગમાં રિબાઈને જવાનીમાં જ મરણ પામ્યો. એની નાની પુત્રીએ લંડનમાં આત્મહત્યા કરી નાખી. એના બે જમાઈઓ જવાનીમાં મરી ગયા. પણ બૂઢો તૂટ્યો નહીં. એ એનું કામ કરતો રહ્યો.

સર જદુનાથ સરકાર

આ બૂઢો એટલે ભારતના શ્રેષ્ઠ ઈતિહાસકારોમાંનો એક : સર જદુનાથ સરકાર ! આજ સુધી ભારતમાં એની કક્ષાના બહુ જ ઓછા ઈતિહાસકારો પેદા થયા છે.

હવે ત્રીજા માણસની વાત.

એ માણસના મુકાબલાનો પત્રકાર આજે ભારતમાં નથી. એ લખે છે અને સિંહાસનો ડોલે છે. અચ્છા અચ્છાના રાજદંડો ધ્રુજી જાય છે. કૌભાંડોને પર્દાફાશ કરવાનો એ માહિર છે. એની ભાષા હલાલની છે. એ સંસદનું ત્રીજું ભવન છે, એની હિમ્મત આફરીન પોકારી જવાય એવી છે. એનું નામ છે - અરૂણ શોરી ! 'ઈન્ડિયન એક્સપ્રેસના' અરૂણ શોરીને કોણ ઓળખતું નથી? 

અરૂણ શૌરી

અરૂણ શોરીને એક જ પુત્ર છે. પુત્રનું નામ છે અદિત. પુત્ર વિકલાંગ છે. પેરીપ્લેજિક છે અને જીવનભર અવિકસિત રહેશે.

ઝિયા ઉલ હક

એ સરમુખ્તાર છે. બહુ કડક, ખયાલાતવાળો માણસ છે. એ એશિયાના સશક્ત શાસકોમાંનો એક છે. એનું નામ ઝિયા ઉલ હક, સદર-એ-પાકિસ્તાન ! જનરલ ઝિયાની એક જ પુત્રી છે અને એ બહેરી અને બોબડી છે. દર શુક્રવારની નમાઝમાં જનરલ ઝિયા પોતાની પુત્રીને બંદગી કરવા સાથે લઈ જાય છે.

અને હવે પાંચમી સ્ત્રીની વાત.

ઈટાલીયન અભિનેત્રી એના મેગ્નેની જેવી અભિનેત્રીઓ દુનિયાએ બહુ ઓછી જોઈ છે. કેટલાંકના મતે એ જગતની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. હિસ્ટીરિકલ અથવા ઉત્તેજિત સ્ત્રીનો અભિનય જોઈને દર્શકો ચીસ પાડી ઊઠતા! 'રોઝ ટેટુ' ફિલ્મમાં એણે જે અભિનય કરેલો એ જોઈને હોલીવુડ સ્તબ્ધ થઈ ગયેલું. 'વોલ્કેનો' ફિલ્મમાં એણે લગભગ પાગલ થઈ ગયેલી સ્ત્રીનો દર્દનાક અભિનય કરેલો.

એના મેગ્નેની

એનો એક જ પુત્ર હતો. જવાન, મોટો, સરસ તબિયતવાળો, તગડો પુત્ર ! એ પુત્ર ગાંડો હતો અને પાગલખાનામાં હતો. એના મેગ્નેની પોતાના પાગલ પુત્રને મળવા પાગલખાનામાં નિયમિત જતી હતી.

મિલખાસિંઘ કે સર જદુનાથ સરકાર કે અરૂણ શોરી કે જનરલ ઝિયા કે એના મેગ્નેની જેવી મેધાવી વ્યક્તિઓમાં એક સમાન અનુભવ જોવા મળે છે - વ્યક્તિગત ટ્રેજેડીનો! પોતપોતાના ક્ષેત્રમાં શિખર પર પહોંચવા માટે આવી ભયંકર કરુણતા જીવનમાં જરૂરી હોય છે? આ કારમા જખમો આવા માણસોને આસમાનની ઊંચાઈ સુધી ફેંકે છે? શા માટે આ માણસો તૂટતા નથી અને ભયંકર સખ્ત થઈ જાય છે?

આવા કેટલાય કેસો છે.લેખક આર. કે. નારાયણની બે જોડિયા પુત્રીઓ છે અને બંને વિકલાંગ છે. નારાયણ અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકોમાં શ્રેષ્ઠ મનાય છે.

જનતા સરકાર દરમિયાન સોલિસિટર જનરલ રહેલા સોલી સોરાબજીનો એક પુત્ર પણ વિકલાંગ છે.

ભારતીય સેનાના સર્વોચ્ચ સેનાપતિ જનરલ રેનાનો એકનો એક છોકરો, મોટર-સાઈકલ અકસ્માતમાં અવસાન પામ્યો હતો. 

રામનાથ ગોએન્કાના એકના એક પુત્રનું પણ બાપનાં જીવતાં જ અવસાન થયું હતું. ગોએન્કા 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના માલિક છે.

અને ઈન્દિરા ગાંધીને કેમ ભૂલી શકાય? જે પુત્ર પર જીવનની બધી જ આશાઓનો મદાર બાંધ્યો હતો એ પુત્ર એક સવારે પ્લેન દુર્ઘટનામાં ખતમ થઈ ગયો. એનું શરીર ઘરમાં પાછું આવ્યું ! સંજયના મૌતનો જખમ સહન કરીને જવાબદારી નિભાવતા જવું એ મર્દાના કામ હતું. ઈન્દિરા ગાંધીની સખ્તાઈ માટે એ 'આયર્ન લેડી' તરીકે ઓળખાય છે.

કેટલાકને વ્યક્તિગત ટ્રેજેડી પોલાદની જેમ સખ્ત બનાવી દે છે. એમના કામમાં એ વધારે ઊંડા ઊતરી જાય છે. એમની લગન અને તમન્ના એક જ દિશામાં કામ કરવા લાગે છે. રડવાના સમયે એ રડી લે છે પણ પોતાના લક્ષ્યથી ચલિત થતા નથી.

પાકિસ્તાનના દોડવીર અબ્દુલ ખાલિકની સાથે રેસમાં ઊતરેલા મિલખાસિંઘે જ્યારે લાહોરના આંતરરાષ્ટ્રીય જંગમાં ખાલિકને હરાવ્યો ત્યારે કદાચ વેરનો એક ભયાનક આનંદ ભભૂકી ઊઠ્યો હશે ! બીજો માખનસિંઘ હતો, અને ચેમ્પિયન ખાલિક ત્રીજો હતો ! 

પ્રગતિ માટે જીવનમાં કેટલી કરુણતા જરૂરી હોય છે?

(સાહસ)

(વધુ જાણકારી માટે, મિલ્ખા સિંઘ વિશે ભવેન કચ્છીના 10 જુલાઈ 2013નાં લેખની લિંક: 
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vividha-milkha) 

July 8, 2013

સેક્સ : વિજ્ઞાનની ટેસ્ટટ્યૂબ, કાનૂનનું ત્રાજવું

હંગેરીના વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એક નિષ્કર્ષ કાઢ્યો છે કે મોબાઈલ ફોનનું રેડીએશન નરના પુરુષત્વ પર નકારાત્મક અસર કરી શકે છે. સંશોધકોએ પુરુષોના પેન્ટનાં ખિસ્સાંઓમાં હેન્ડસેટ મુકાવીને ટ્રાયલ લીધી તો પરિણામ એ મળ્યું કે અન્ય પુરુષો કરતાં પેન્ટના પોકેટમાં રાખેલા હેન્ડસેટવાળા પુરુષોના જીવંત સ્પર્મ અથવા વીર્યકણો 1/3 ઓછા હતા. ગરમી વીર્યોત્પત્તિ પર નેગેટિવ અસર કરે છે. અન્ય એક અભ્યાસ લેપ-ટોપ વિશે થયો. જે લેપટોપ 70 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમીમાં ચાલતાં હોય અને ગોઠણો પર રાખીને વપરાતાં હોય એનાથી સ્ક્રોટમ ગરમાતું રહે છે અને તેને લીધે વીર્યની ઉત્પત્તિ ઓછી થતી જાય છે. વિજ્ઞાનની નવી શોધો અને યંત્રોથી આપણે ચકાચૌંધ થઈ ગયા છીએ, પણ આ પ્રકારનાં સંશોધનો આપણે ત્યાં થતાં નથી, કદાચ આંતરરાષ્ટ્રીય મલ્ટિનેશનલ કંપનીઓ આવું બધું કરવા દેતી નથી કારણ કે એનાથી એમના વિરાટ માર્કેટ પર કુઅસર થાય છે. સંશોધન વિષેના આ સમાચાર લંડનના 'ટાઈમ્સ' દૈનિકની માર્ચ 5, 2005ની 'બોડી ઍન્ડ સોલ' (શરીર અને આત્મા) નામની અત્યંત માહિતીસભર પૂર્તિમાં છપાયા હતા. 

સ્ત્રીઓને ગર્ભ રહે એ માટે આહારથી આસનો સુધીની વિશદ ચર્ચા તજજ્ઞોએ કરી છે. આપણા સમાજમાં આટલું ખુલાપણું નથી, સેક્સ કે ગર્ભાધાન જેવા વિષયો અંધારું કરીને સંતાડવાના વિષયો છે. લંડનનું 'ટાઈમ્સ' દૈનિક ઈંગ્લંડનું કદાચ સૌથી રૂઢિચુસ્ત અને પ્રતિષ્ઠિત દૈનિક સમાચારપત્ર છે, પણ આવા વિષય પર એ વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપી શકે છે. ગર્ભાધાન થતાં પહેલાંની પ્રક્રિયા સર્જનહારની કમાલ બતાવે છે. એક સામાન્ય પુરુષ વીર્યપાત વખતે 5 એમ.એલ. એટલે કે એક ટી-સ્પુનફુલ વીર્ય છોડી શકે છે, જેમાં 10થી 30 કરોડ સ્પર્મ કે શુક્રાણુઓ હોય છે. આમાંથી 1 લાખથી ઓછા શુક્રાણી સર્વીક્ષ કે યોનિમુખ દ્વારા અંદર પ્રવેશ કરી શકે છે. ગર્ભાશયમાં ફેલોપીઅન ટ્યૂબ સુધી માત્ર 200 શુક્રાણુ પહોંચી શકે છે અને સ્ત્રીના રજ અથવા ઈંડાને એક જ શુક્રાણુ ભેદી શકે છે ! છોકરાઓ પ્યુબર્ટી કે વય: સંધિકાળમાં આવે છે ત્યારે એક સેકન્ડના 1500 શુક્રાણુઓ પૈદા થતા જાય છે. પ્રત્યેક શુક્રાણુ 72 કલાક સુધી જીવી શકે છે.

સ્ત્રીના શરીરમાં કઈ પ્રક્રિયા ચાલતી હોય છે? સ્ત્રી 30 લાખ ઈંડા કે એગ્ઝ સાથે જન્મે છે અને રજસ્વલા થાય છે ત્યારે લગભગ 4 લાખ ઈંડા રહ્યાં હોય છે. આમાંથી થોડાં જ ઈંડા વિકસિત થાય છે અને એક સ્ત્રી એના સર્જનાત્મક કાલખંડમાં 400 કે એથી ઓછાં ઈંડા છોડી શકે છે. ફેલોપીઅન ટ્યૂબોના બંને સિટાઓ પર બે ઓવરીઝમાં હજારો ઈંડાઓ રહેલાં હોય છે. દર મહિને લગભગ 20 ઈંડા છૂટવા માટે પ્રયત્નશીલ હોય છે, પણ એક જ સશક્ત ઈંડું પુખ્ત થઈને છૂટે છે, બાકીનાં સુકાઈ જાય છે અને નાશ પામે છે. આ પુખ્ત ઈંડાંની ગર્ભાશયની દીવાલ પર ચોંટી જવાની એક પૂરી પ્રક્રિયા છે. પુખ્ત ઈંડું એક જ શુક્રાણુને લઈ શકે છે. અને બાકીના બધા જ શુક્રાણુને રોકી શકે છે. કરોડો શુક્રાણુઓ અને લાખો ઈંડાંઓમાંથી માત્ર એક જ શુક્રાણુ અને એક જ ઈંડું આ જબરદસ્ત સર્જનલીલાને ચાલુ રાખે છે ! પ્રકૃતિમાં કેવી ભયાનક હિંસાલીલા છે, પ્રકૃતિ મૂલત: કેટલી વિનાશક છે એ સમજવા માટે ધર્મ નહીં પણ વિજ્ઞાન જ કામ આવે છે. સૌથી સશક્ત શુક્રાણુ જ ઈંડાંને ભેદે છે અને જ્યારે એ શુક્રાણુ ઈંડાંમાં પ્રવેશ કરે છે ત્યારે શુક્રાણુની પૂંછડી, જેને લીધે એ અહીં સુધી તરતું-વહેતું આવી શક્યું છે, બહાર રહી જાય છે, અને આપોઆપ ખરી પડે છે. એક દીવાલ ઊભી થઈ જાય છે જે બીજા કોઈ શુક્રાણુને પ્રવેશવા દેતી નથી.

પશ્ચિમી વિજ્ઞાનવેત્તાઓ સંભોગ જેવી એક સમાધિકેન્દ્રીય ક્રિયાને પણ ઠંડા આંકડાઓમાં ઢાળી શકે છે. યુડીશ મેક્કે એક વિશેષજ્ઞ છે, અને એણે એક પુસ્તક લખ્યું છે : 'એટલાસ ઓફ હ્યુમન સેક્સ્યુઅલ બિહેવિયર' અથવા મનુષ્યની જિન્સી વૃત્તિનો નક્શો! લેખિકા આ પુસ્તકમાં આંકડા આપે છે. પૃથ્વી પર મનુષ્યોમાં પ્રતિ દિવસ 12 કરોડ સંભોગ થાય છે, જેના પરિણામે 9 લાખ 10 હજાર ગર્ભાધાન ગર્ભાધાન થાય છે, અને 4 લાખ પ્રસવ થાય છે. ડૉક્ટર ટોમસ સ્ટટફોર્ડ મનુષ્ય નારીની યોનિની રચના સમજાવતાં લખે છે કે યોનિ એક સ્થિતિસ્થાપક અવયવ છે જે પ્રસવ થઈ રહેલા શિશુના માથાને બહાર આવવા દેવા માટે ખેંચાઈને ખૂલી શકે છે. ફળદ્રુપતાના પ્રાચીન ગ્રીક દેવતા પ્રિયેપસના શિશ્નનું ડાયામિટર પણ આટલું ન હતું. યોનિ અને શિશ્નના કદ વિશે બજારોમાં માત્ર અફવાઓ ચાલતી રહેતી હોય છે...

સેક્સના સંબંધોમાં પરિવર્તન આવતાં સૌથી પ્રથમ અને મૂલાધાર અસર સમાજ પર પડે છે. જે સરકારો સતર્ક છે એ આ પરિવર્તનને અનુરૂપ કાનૂની ફેરફારો કરતી રહે છે. પશ્ચિમમાં 'સનસેટ લોઝ' નામની કાનૂની લક્ષ્મણરેખા છે, એટલે કે અમુક સમય પછી એ કાયદો આથમી જાય છે અથવા એના પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. જે ગઈકાલ સુધી ગૈરકાનૂની કે અવૈધ કે અનૈતિક હતું એ આજે બદલાયેલા સમાજ માટે અસ્વીકાર્ય રહ્યું નથી. લંડનના દૈનિક 'ટાઈમ્સ' પત્રના ઑક્ટૉબર 18, 2003માં આ વિશે રૂપરેખા આપવામાં આવી હતી. વિભિન્ન વિષયોના સેક્સ-કાયદાઓમાં પરિવર્તન લાવવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લઈ લીધો હતો. એક જમાનામાં કરારનામાઓ અને કાનૂનપત્રોમાં 'હસબન્ડ' અને 'વાઈફ' શબ્દો વપરાતા હતા, પછી 'સ્પાઉઝ' શબ્દ વપરાતો થયો, આજે માત્ર 'કમ્પેનીઅન' શબ્દ વપરાય છે. કમ્પેનીઅન એટલે મિત્ર, સુહૃદ, સાથી. સ્ત્રી અને પુરુષ પતિપત્ની જ હોય એવું કાનૂનનું માનવું નથી, અને કાનૂન ત્યાં સુધી આવીને અટકી જાય છે. એક પુરુષ અને એક સ્ત્રીના વ્યક્તિગત સંબંધો પ્રકાશિત કરવા કાનૂનને માટે આવશ્યક નથી.

બ્રિટિશ પાર્લમેન્ટ બ્રિટનના સેક્સ કાયદાઓમાં ફેરફાર કરીને એમને આજના જિવાતા જીવન સાથે સુસંગત અને પ્રસ્તુત બનાવવા માગે છે. સેક્સ વિષયક કાયદાઓ 19મી સદીના છે, રાણી વિક્ટોરીઆના જમાનાના છે. નવું 'સેક્સ્યુઅલ ઓફેન્સીસ બિલ' ખાનગી જીવનોમાં ફોજદારી કાનૂનના હસ્તક્ષેપને સીમિત રાખવાનો પ્રયાસ છે. એક આશય બાળકો અને કિશોર-કિશોરીઓને રક્ષા આપવાનો છે.

રેપના કાનૂનમાં ફેરફાર કરીને અત્યાચારની વ્યાખ્યામાં મૌખિક પ્રવેશનો પણ સમાવેશ કરી લેવાયો છે. આ કાનૂનનામાં 13 વર્ષ કે નીચેનાં બાળકો સાથે યૌનાચાર માટે અધિકતમ સજા આજીવન કૈદની છે. કોઈપણ પ્રકારનો બળાત પ્રવેશ હવે ગુન્હાહિત પ્રવૃત્તિ ગણાય છે, અને એને માટે સજા આજીવન કૈદની છે. ઈનસેસ્ટ અત્યાર સુધી માત્ર ભાઈ તથા બહેન વચ્ચેના યૌન સંબંધ માટે વપરાતો શબ્દ હતો. હવે ઈનસેસ્ટને બદલે ફેમિલી સેક્સ-એબ્યુઝ શબ્દપ્રયોગ થાય છે અને એમાં બાળકોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સજા 14 વર્ષની છે. લાશની સાથે યૌનસંબંધ રાખનાર માટે પણ બે વર્ષની સજા છે. જો કોઈ મકાનમાલિક પોતાના ભાડૂઆતને સંતાઈને કપડાં બદલતાં કે સમાગમ કરતાં જુએ અથવા કોઈ સ્ટોરમાં કપડાં બદલતી વ્યક્તિને આ રીતે 'પીપહોલ'માંથી જોયા કરે તો અધિકતમ બે વર્ષની સજાની વ્યવસ્થા નવા કાનૂનમાં છે. સૌથી મોટું પરિવર્તન 'ગે સેક્સ ક્રાઈમ્સ'ના ક્ષેત્રમાં લાવવામાં આવ્યું છે. અત્યાર સુધી પુરુષ અને પુરુષ વચ્ચેના લૈંગિક સંબંધો ગુનાના પરિઘમાં આવી જતા હતા અને સજાને પાત્ર હતા. હવે આ કાનૂન ઉઠાવી લેવાયો છે, અને બગરીથી ગે-સેક્સ સુધી ઘણીબધી તથાકથિત સમલિંગી હરકતોને મુક્ત કરવામાં આવી છે. કાનૂન હવે પુરુષ અને પુરુષ વચ્ચે અને સ્ત્રી અને સ્ત્રી વચ્ચે લગ્ન બાકાયદા સ્વીકારે છે અને આવાં લગ્નોને વૈધ મંજૂરી આપે છે.

એક મુક્ત સમાજ વધારે મુક્ત, સ્વતંત્ર કુટુંબ વધારે સ્વતંત્ર અને કેટલાકને ભય છે કે સ્વચ્છંદી વ્યક્તિ વધારે સ્વચ્છંદી બની જાય એવી કાનૂનરચના આકાર લઈ રહી છે. બીજી તરફ સ્પષ્ટ અભિગમ છે કે પેઢીઓ અને પરિવેશો બદલાઈ ગયા છે, ત્યારે વિક્ટોરીઅન જમાનાની જેમ જાજમની નીચે સરકાવીને મૂલ્યનિષ્ઠ નૈતિકતાને સંતાડવી હાનિકારક છે. સર્જનહારને પૃથ્વીના ભવિષ્યમાં શ્રદ્ધા હતી માટે એણે જીવસૃષ્ટિના અબજો જીવોમાં બે સેક્સોનું સર્જન કર્યું હશે...!

(યાર બાદશાહો...)