August 3, 2013

દિલ્હી : સમાધિનગર, અંત્યેષ્ટિનગર કે નેતાનગર?

વાસનાની સીમા કઈ? પૈસા, જવાની, સાધનો, સત્તા, ભક્તો? એ બધાથી આગળ પણ એક મંઝિલ છે. ચારે તરફ જયજયકાર હોય અને સૂર્યાસ્તની ઊડતી ધૂળમાં જમનાને કિનારે લોકો ચિલ્લાતા હોય - જબ તક સૂરજ ચાંદ રહેગા, (જે નેતાનું નામ હોય એ) તેરા નામ રહેગા! દેશને માટે મરી ફીટનારા અનામ સૈનિક અથવા 'અનનોન સોલ્જર'ની જગતભરમાં સર્વત્ર સમાધિઓ છે પણ આપણે ત્યાં 'અનામ તેરા નામ રહેગા' બોલવું ફાવતું નથી, એ વિધાન જ એક વિરોધિતા છે. નામ ન હોય એ જ અનામ કહેવાય. અલબત્ત, આપણે ત્યાં પણ અમર જ્યોતિ સતત પ્રજ્વલિત છે એ અનામ સૈનિકની યાદમાં, જેણે ગઈકાલે પોતાના પ્રાણની આહુતિ આપી છે કે જેથી આજ રાતે આપણે પરિવાર સાથે ચેનથી સૂઈ શકીએ.

સૂરજ અને ચાંદ છે ત્યાં સુધી ઈન્દિરાજી અને સંજયજી અને ચૌધરીજી અમર રહેશે, એમનું નામ રહેશે. દિલ્હીમાં એક 'વી.આઈ.પી. સ્મશાનવાદ' ફેલાઈ રહ્યો છે એમ ગુજરાતીના શ્રેષ્ઠ પત્ર-તંત્રી હસમુખ ગાંધી લખે છે. જમના કે કિનારે, રો રો કે પુકારે, આકાશ કે તારે... એવું એક પાનવાળાની દુકાન પાસે કવ્વાલીમાં વર્ષો પહેલા સાંભળ્યું હતું. એ દિવસોમાં જમનાને કિનારે ફક્ત રાજઘાટ હતો. પછી તો શાંતિવન થયું, વિજય ઘાટ થયો, શક્તિસ્થળ આવ્યું, હવે કિસાનઘાટ તૈયાર થયો છે. ગાંધીજી, જવાહરલાલજી, લાલબહાદુર શાસ્ત્રીજી, ઈન્દિરાજી, સંજયજી અને હવે ચૌધરી ચરણસિંહજી....સમાધિઓ એટલી વધી રહી છે કે એ આખા કિનારાને સમાધિનગર કે અંત્યેષ્ટિનગર કે નેતાનગર જેવું કંઈક સરસ નામ આપવાનો વિચાર કરવો જોઈએ.

(અભિયાન, જૂન 22, 1987)
(રાજકારણ -2)

No comments:

Post a Comment