September 13, 2014

જોધપુર શહેર વિશે

"મારું નામ, તારું નામ" નવલકથામાંથી જોધપુર વિશેના વર્ણનો:


[1]

મીટર-ગેજ સૂર્યનગર એક્સપ્રેસ જોધપુર પહોંચી ત્યારે સૂર્ય તપી રહ્યો હતો. મારવાડ હતું, જેનો અર્થ થતો હતો, મૃત્યુનો દેશ. એક જમાનામાં આ મૃત્યુભૂમિ હતી. અહીંની ધરતી પર મૃત્યુના ઈતિહાસની લોહીલુહાણ છાયા સતત પડતી રહી હતી. મિટ્ટી ખાકના રંગની હતી, અને માણસોના લિબાસ રંગબેરંગી હતા. ચટ્ટાનો ફાડીને ઊગેલા કેકટસ અને લાલગુલાબી પથ્થરોના ટેકરાઓની વચ્ચેથી જોધપુર શહેર ખૂલી રહ્યું હતું. અનુશ્કા જોધપુર આવી ચૂકી હતી, એણે કહ્યું, "ડેડી, ઉનાળામાં પથ્થરોને લીધે આપનું શહેર બ્લાસ્ટ ફર્નેસની જેમ તપી જાય છે અને શિયાળામાં રણને લીધે ભયંકર ઠંડી પડે છે... !" 

તેજ હસ્યો, "અનુશ્કા ! તને રાજસ્થાનનો બહુ ચાર્મ છે !" 

"મારા બુટિક માટે રાજસ્થાન તો ખાણ છે. નવા વિચારો, નવી ડિઝાઈનો... અહીંથી ઘણું બધું આવે છે." અનુશ્કા ઝડપથી બોલતી ગઈ, "આટલા લાઉડ રંગો તમને બહુ ઓછા જોવા મળશે. જયપુર આખું શહેર ગુલાબી રંગનું છે. ઉદયપુર જાઓ તો શહેર સફેદ બની જાય છે, જેસલમેર પીળા રંગનું છે..." 

"અને જોધપુર?" બનાસે પૂછ્યું. 

"જોધપુર? જોધપુરને તું મહેરાનગઢની ઉપરથી જોજે. આખું શહેર બ્લુ છે, પણ સૂર્યાસ્ત થાય છે ત્યારે એ ગળીના વાદળી રંગ પર સૂર્યાસ્તનો સોનેરી રંગ ઢળી જાય છે. દૂરથી મોર બોલે છે. ઈટ્સ ફેન્ટેસ્ટિક !" 

બનાસ ઝૂમી ગઈ...."અનુશ્કા ! આઈ વિલ ડાન્સ ઍન્ડ ક્રાય..." (પૃ. 52) 

[2]

જોધપુર. આ રાજસ્થાનની ઉત્તર-પશ્ચિમ દિશા હતી. થારનું રણ બધી જ દિશાઓમાં ગોળ ફેલાયેલું હતું અને રણની છાતી ઉપર જોધપુર હતું. થારની રેગિસ્તાની ટીલાઓવાળી ધરતી પાકિસ્તાનની સરહદ ઓળંગીને ઊતરી જતી હતી. અહીં રાજપૂત રાઠોડ રાજ કરી ગયા હતા. લૂ વાતી હતી અને રેતીના ટીલા ઊડીને ગાયબ થઈ જતા હતા. કાંટાદાર કેકટસ, જુદી જુદી ઊંચાઈ અને ફૈલાવનાં, છૂટાં છૂટાં, સખ્ત જમીન ફાડીને ઊગી ગયાં હતાં. આકાશ ઊંચું ચાલ્યું જાય છે, ક્ષિતિજો દૂર ચાલી જાય છે, કાતિલાની સાંજ લાંબી ચાલે છે. લાલ લાલ સાંજ ધીરે ધીરે લોહી નીકળી ગયા પછીની સૂજન જેવી પર્પલ બનીને, કાળી બનીને, અંધકાર બની જાય છે. રણનો ઠંડો શ્વાસ ડૂબતી રાતમાં ભૂતિયો બની જાય છે. બપોરે તેતરો દોડીને, રસ્તો ઓળંગીને, કાંટાદાર ઝંખાડમાં ઘૂસીને અદ્રશ્ય થઈ જાય છે. થારની રાતમાં પૂરી બપોર સખ્ત તપેલી લાલ ચટ્ટાનો ગરમી છોડતી જાય છે, અને હવા બફારાથી બોઝિલ બની જાય છે. મેહરાનગઢના કિલ્લા પર જૂની તોપો દરકતાર ગોઠવેલી છે અને જૂનાં મકાનોની જર્જર દીવાલો પર ઘરથી સતી થવા નીકળેલી જવાન વિધવાઓનાં પંજાઓના થાપાનાં નિશાન છે. આ ધરતી પર મૌત ઊંટના મુલાયમ કદમોની જેમ સિફતથી, સુંવાળી ઝડપથી આવ્યું છે અને બદામી મૂછો ફૂટેલા જવાનોને દરેક ધર્મયુદ્ધમાં શહાદતના સેહરાઓથી નવાજતું ગયું છે. જોધપુર. દુનિયાભરના ઘોડેસવારોની બ્રીચીઝ માટે વપરાતા જોધપુર્સ શબ્દને આ નગરે જન્મ આપ્યો છે. આઠ દરવાજાઓની વચ્ચે એક પહાડ છે અને પહાડ પર મેહરાન ગઢ ફૉર્ટ ઊંચાઈ પર ઊભો છે - શહેરના પાલક દેવતાની જેમ. મેહરાનગઢ ફૉર્ટ જોધપુરનું ચટ્ટાની, પથ્થરી હૃદય છે જેની ઊંચાઈના ઝરૂખાઓ અને છત્રીઓની નીચે તૂટેલી રાંગો પર આજે પણ કબૂતરો એ જ રીતે સંવનન કરે છે, ઘૂઘવે છે, ઊડાઊડ કરે છે જે રીતે પાંચસો વર્ષ પહેલાં કરતાં હતાં. એ વાતાયનો, એ ઝરોખા, એ છત્રીઓ પર ચાંદની અને ધૂપ એમ જ પડે છે. જેમ પાંચસો વર્ષો પહેલાં પડતાં હતાં. ફક્ત બંધ અને દરારો પડી ગયેલી, ઉમસ અને સીલનને લીધે બંધિયાર લાગતી દીવાલોની અંદરના ઠંડા અંધકારમાં, પાંખોની ફડફડાહટની કંપન હવે લાંબી ચાલે છે. રાત્રે માણસો રહેતા નથી. રાત્રે પ્રેતોની મેહફિલ દબાતા કદમે નાચતી રહે છે. (પૃ. 54)

No comments:

Post a Comment