September 13, 2014

હિન્દુસ્તાનનું વર્ણન અતીતવન નવલકથામાંથી

[1]

આ હિન્દુસ્તાન હજારો વર્ષોથી જીવે છે. અહીં દુ:શાસકો આવી ગયા અને સુશાસકો આવી ગયા. પર્શીઅનોનો દરિયાવુશ આવ્યો અને યુનાનનો ઈસ્કન્દર આવ્યો. કુશાનોનો કેડફીસીસ આવ્યો અને બેક્ટ્રીઅનોનો મિનેન્દર આવ્યો. શકોનો નહપાણ આવ્યો, હૂણોના તોરમાણ અને મિહિરગુલ આવ્યા. અરબોનો ઈબ્ન કાસિમ આવ્યો અને ગઝનવીઓનો મુહમ્મદ આવ્યો. ગુલામ અને ખલજી અને તુઘલિક આવ્યા. તુર્ક-તાતાર-મંગોલ આવ્યા. અને હજી કેટલાય આવશે. કોને ખબર? પેઢીઓની પેઢીઓઆ હિન્દુસ્તાનની ધરતી નીચે દફન થઈને સૂઈ ગઈ છે અને એમની ઉપર દર વર્ષે ઘઉં અને બાજરાનાં ખેતરો લહેરાય છે. પાગલો આવશે અને જશે અને હિન્દુસ્તાન ઊગતા સૂરજની જેમ ચમકતું રહેશે. (પૃ. 174-175) 

[2]

પૃથ્વીના પટ પરથી કેટલા બધા દેશોના ઈતિહાસોને પૂર્ણવિરામો મુકાઈ ગયા છે. બેક્ટ્રીઆ અને પાર્થીઆ, કાર્થેજ, ફીનીશીઆ અને આસીરીઆ, બાબિલોનીઆ, રૂમ અને શામ, સુમેરિયા, યુનાન, મિસ્ર, સ્કીધીઆ...

પણ ભારત જીવે છે, જીવશે.

અને ચોમાસાના વરસાદની જેમ ભારતના ઈતિહાસ પર વિદેશીઓ વરસતા રહ્યા છે.

પર્શ્યનોના સાયરસ અને દેરિયસ, આસીરીઅનોની સેમિરામીસ, સીરીઅનોનો એન્ટીઓક્સ, યુનાનીઓના ઈસ્કંદર અને સેલ્યૂકોસ.

કુશાનોનો કેડેફીસીસ અને બેક્ટ્રીઅનોના ડીમીટ્રીઓસ અને મિનેન્દર-

શકોનો નહપાણ, હૂણોના તોરમાણ અને મિહિર ગુલ.

શ્રીલંકાનો પરાક્રમ બાહુ અને તિબ્બતનો સ્ત્રોંગ-સાન-ગામ્પો.

અરબોનો ઈબ્ન-કાસ્મિ, ગઝનવીઓનો મુહમ્મદ, મામલુક ઐબક, ખલજી અલાઉદ્દીન, તુઘલિક મુહમ્મદ.

સમરકંદનો તૈમુર, ફરઘાનાનો બાબર, તુર્ક-તાતાર-મંગોલ.;

ફિરંગીઓનો ડા'ગામા અને આલ્બુકર્ક, ફ્રેંચ દુપ્લે, અંગ્રેજ ક્લાઈવ-

ઈરાનીઓનો નાદિર કુલી અને અફઘાનોનો અબ્દાલી-

અને પાકિસ્તાનીઓના અય્યુબ અને યાહ્યા. બધા આવીને ફૂંકાઈ ગયા છે.

આ ધરતીની નીચે દટાયેલી વિદેશી સૈનિકોની પેઢીઓ પર દર શિયાળે ઘઉંની ફસલો લહેરાય છે, મેઘદૂતવાળો વરસાદ દર ચોમાસે બરાબર પડે છે, બેલાનાં ફૂલો દર ઉનાળાની રાતે બરાબર ફાટે છે, હજારો વર્ષોથી ગંગા અગણિત હિન્દુ પેઢીઓની અસ્થિઓ વહાવીને લઈ ગઈ છે અને હજારો વર્ષોથી આ હિન્દુસ્તાનની ધરતી પર હિન્દુનો પુનર્જન્મ થતો રહ્યો છે...(પૃ. 194-195) 

[3]

આ ધરતી વિશ્વ માટે સ્વપ્નભૂમિ હતી. આ ધરતી સુખ અને ઐશ્વર્યની, સોનાની અને રત્નોની હતી. દૂર દૂરથી આક્રમકો, વેપારીઓ, સૈનિકો, વિદ્વાનો, પ્રવાસીઓ આ ધરતીની શોધમાં પ્રત્યેક સદીએ આવતા રહ્યા છે. જુદા જુદા ધર્મના, જુદી જુદી પ્રકૃતિના માણસો આ ધરતી પર આવીને કૃતાર્થ થયા છે. શાંતિ અને યુદ્ધનું ચક્ર આ ભૂમિ પર ઋતુઓના પરિવર્તનની જેમ ફર્યું છે. આ ભારતની ધરતી સૃષ્ટિની પારાવાર પ્રજાઓને અને વ્યક્તિઓને એમની સાધનાઓ અને પિપાસાઓનાં ફળ આપતી રહી છે. (પૃ. 196) 


[4]

આપણે આધુનિક બનવામાં બહુ વાર લગાડીએ છીએ. 

ત્રણ હજાર માઈલનો સમુદ્રતટ હોવા છતાં આપણાં રાજ્યોએ નૌકાદળની પ્રણાલી ખીલવી નહીં. ગઝની અને ઘોરીના ઘોડાઓ આપણાં મેદાનો જીતી ગયા. બાબરની તોપોએ ભારતનું તકદીર સીવી લીધું. અંગ્રેજોના જહાજોએ આપણું ભવિષ્ય ઘૂંટી નાખ્યું. પણ આપણે આપણા યુદ્ધહાથીઓ અઢારમી સદી સુધી છોડ્યા નહિ, ઓગણીસમી સદી સુધી આપણાં ઢાલ-તરવાર છૂટ્યાં નહીં. સમુદ્ર ઓળંગીને આપણે જોયું નહિ - દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. બેહોશીમાંથી કળ વળતાં આપણે સદીઓ ગુજરવા દીધી. આપણી શાંતિપ્રિયતાને આપણે નપુંસકતા સુધી સડવા દીધી. વૃદ્ધત્વને, જડત્વને, વાસ મારી ગયેલી પ્રણાલિકાને આપણે મૂર્તિપૂજાના સ્વરૂપમાં ફેરવી નાખી.

આક્રમણ એ સંરક્ષણનો જ ભાગ છે. યુદ્ધ એ શાંતિનું જ અંગ છે. શૌર્ય એ ઔદાર્યનો જ એક હિસ્સો છે. અહિંસા શીખતાં પહેલાં પ્રતિહિંસા શીખવી એ આપણા અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે. નવસર્જન માટે સંહાર પણ લાઝમી બની જાય છે.

આ આપણો ઈતિહાસબોધ છે. (પૃ. 283)

No comments:

Post a Comment