March 26, 2013

આત્મકથા લખવા માટે લાઇસન્સ કે પરમિટની જરૂર નથી

આત્મકથા લખવા માટે આપખુદ દેશોમાં પણ લાઇસન્સ લેવું પડતું નથી અને આત્મકથાઓ પર પ્રતિબંધ પણ નથી. ગમે તે માણસ, મન થાય ત્યારે, પોતાની આત્મકથા કે બીજાની જીવની લખી શકે છે. ભારતવર્ષમાં મ્યુનિસિપાલિટીમાં જઈને એ માટે પરમિટ કઢાવવી પડતી નથી કે પુલિસની અનુમતિ લેવાની જરૂર પડતી નથી. પણ ગુજરાતી ભાષામાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પુલિસ અફસરો, ન્યાયાધીશો, ચિત્રકારો, શિક્ષકો, વૈજ્ઞાનિકો, નર્તકીઓ, વકીલો, ડૉક્ટરો કે લેખકોમાં આત્મકથા લખવાનો બહુ ઉત્સાહ નથી. ગુજરાતી ભાષામાં પ્રમાણમાં બહુ જ ઓછી આત્મકથાઓ લખાઈ છે. કારણ?

ગાંધીજી અને મુનશી પ્રમુખ છે, મોરારજી દેસાઈ એ આત્મકથા લખી છે. ગાંધીજીની એક જ ભાગમાં છે. મુનશી અને મોરારજીની ત્રણ ત્રણ ભાગોમાં છે. ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા પાંચ ભાગોમાં છે. ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'ની આત્મકથા ત્રણ ભાગોમાં છે. કાકાસાહેબ કાલેલકરે 'સ્મરણયાત્રા' લખી છે. પંડિત સુખલાલજીએ એમનું જીવનવૃતાંત લખ્યું છે. મણિલાલ નભુભાઈનું આત્મવૃત્તાંત વિવાદાસ્પદ રહ્યું છે. નાનાભાઈ ભટ્ટ અને જુગતરામ દવેએ પણ આત્મકથાઓ લખી છે અને નર્મદની અવિસ્મરણીય 'મારી હકીકત' તો છે જ.

ગુજરાતી ભાષામાં આત્મકથાઓ ખોદી ખોદીને કાઢવી પડે છે. રવિશંકર રાવળે આત્મકથાનક ખંડ-1 પ્રકટ કર્યો હતો, બીજો ખંડ કદાચ પ્રકટ થયો નથી. ધૂમકેતુ અને રમણલાલ દેસાઈએ આત્મકથાઓ લખી છે. પણ એક ખરેખર સરસ આત્મકથા છે : કમળાશંકર પંડ્યાની 'વેરાન જીવન.' પાકિસ્તાનથી જાનમહંમદ દાઉદની 'મારાં સંસ્મરણો' આવી હતી. આ સિવાય સારી આત્મકથાઓ લખાઈ હશે પણ સંભવ છે કે આપણને ખબર ન હોય.

મરાઠીમાંથી 'મી. એસ. એમ...'નો ગુજરાતીમાં અનુવાદ થયો છે. એક જબરદસ્ત આત્મકથા હતી વિનાયક દામોદર સાવરકરની 'મારી જન્મટીપ'. મરાઠીમાં ફિલ્મી અભિનેત્રીઓની ચટપટીદાર આત્મકથાઓ કે આત્મકૌભાંડો પ્રકટ થયાં છે, લોકપ્રિય થયાં છે. ગુજરાતીમાં આવું કંઈ નથી. આત્મકૌભાંડ કે આત્મકાંડ લખી શકે એવા ઘણા છે પણ કોઈએ ખાસ લખ્યું નથી. ગુજરાતી સ્વભાવને છૂપું છૂપું ગોપનીય સામાન્ય રીતે માફક આવતું રહ્યું છે.

પણ આત્મકથાનું એક વિપુલ ભારતીય અને વિશ્વ સાહિત્ય છે.

સાર્ત્રની 'વર્ડ્ઝ એક ક્લાસિક ગણાય છે. રશિયામાં રસૂલ હમઝાતોવનું 'મારું દાધેસ્તાન' એક જુદી શૈલીની આત્મકથા છે. કામ્યુની આત્મકથા ડાયરી સ્વરૂપે પ્રકટ થઈ ચૂકી છે. પશ્ચિમી સાહિત્યમાં આત્મકથા એક કલાપ્રકાર તરીકે ભરપૂર વિકાસ પામી છે. રશિયાના ઈલ્યા એહરેનબર્ગથી અમેરિકાના આર્થર મિલર સુધી બંને વિશ્વોની બે પેઢીઓના લેખકો-પત્રકારોએ પોતાની જીવનકથા લખી છે. ઈલ્યા એહરેનબર્ગે જીવનને શતરંજની રમત સાથે સરખાવ્યું હતું. જીવતા રહી જવું એ એક અકસ્માત છે. કદાચ એ દિવસોમાં રશિયામાં મરવા કરતાં જીવવું એ વધારે મોટો અકસ્માત હતો.

આત્મકથા મોરારજી દેસાઈની પણ છે જેમાંથી દરેક પડઘાનો પ્રતિ-પડઘો ઊઠ્યા કરે છે : હું સાચો હતો, હું સાચો હતો, હું સાચો હતો ! આ મહાન આત્મકથાનું લક્ષણ નથી. આત્મકથા પોતાના હાથે પોતાનું વસ્ત્રાહરણ કરવાનું પાપ છે. આત્મકથા શાબ્દિક અર્થમાં આત્માની કથા હોય તો એ પ્રામાણિક રીતે લખવી બહુ કઠિન કામ છે. મહાન મનુષ્યોએ 'સ્વ'ને એક્સ-રે કરીને મહાન કૃતિઓ સર્જી છે. મને ક્યારેક ખરેખર આશ્ચર્ય થાય છે કે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા વિરલ માણસે એમની આત્મકથા શા માટે લખી નથી? અને હિટલર જેવા માણસે જીવનમાં એક જ પુસ્તક લખ્યું: માઇન કામ્ફ (મારું કાર્ય), જે એમની આત્મકથા છે! સંસ્મરણો લખવા અને સ્વકથા લખવી એ બે તદ્દન જુદી વસ્તુઓ છે. ગયાં વર્ષો, રહ્યાં વર્ષો જેવું શીર્ષક આપીને, આપણી આંખોને સાક્ષી બનાવીને ભૂતકાળના લેન્ડસ્કેપ પર ટોર્ચલાઇટ ફેરવી શકાય છે પણ એ દિલની વાતો નથી. લેગ-અમ્પાયર કોઈકની બોલિંગની વાત કરે એવી એ વાત છે. એમાં જીવેલા માણસનો રોષ, પ્રતિબદ્ધતા, ઉષ્મા કે 102 ડિગ્રી તાપમાન આવતું નથી. સંસ્મરણ એ ડિ-હાઈડ્રેટેડ અને કડક થઈ ગયેલી વાત છે. એના પેકેટ ઉપરની ડ્યુ-ડેટ (વાપરવાની અંતિમ તારીખ) ક્યારનીય પસાર થઈ ચૂકી છે. મોળાં મોળાં સંસ્મરણો લખવાં એ ધાણાની દાળ ફાકતા રહેવાનો વ્યાયામ છે. પણ કંઈ જ ન લખવા કરતાં કંઈક લખાવું એમાં કમથી કમ હળવી કસરતનો સંતોષ છે.

ફિલ્મ દિગ્દર્શક ઈન્ગમાર બર્ગમેને જ્યારે આત્મકથામાં લખ્યું કે જવાનીમાં હું જર્મનીની નાઝી પાર્ટી અને હિટરલરનો સમર્થક હતો ત્યારે બૌદ્ધિકોમાં તહલકો મચી જવો સ્વાભાવિક હતું. એ સત્ય કહેવાની હિમ્મત જ ખુશામતિયાને અને ખુદ્દારને જુદા પાડે છે. ગાંધીજી સેક્સ વિશે લખીને પણ સ્વર્ણની જેમ પવિત્ર નીકળી શકે છે. રુસો કે કાસાનોવા એમની રીતે સેક્સની વાત લખીને 'આદરણીય' પણ બની શકે છે. આપણી અમૃતા પ્રીતમ 'રેવન્યુ સ્ટેમ્પ'માં થોડી ઘુટન પરથી પડદો હટાવી શકે છે. પણ આત્મકથામાં સેક્સ આપણા સંદર્ભમાં જરા જટિલ છે. કદાચ આપણા જીવનોમાં સેક્સ એ ભાગ ભજવતું નથી. 'વાસના' જેવા ખુશ્બૂદાર શબ્દને પણ આપણે 'વિકાર'રૂપે જોઈ રહ્યા છીએ, કદાચ...

અમેરિકન નાટ્યકાર આર્થર મિલરે પોતાની 72 વર્ષના જીવનની કથા લખી છે: ટાઇમ બેન્ડ્ઝ! મિલર મહાન કલાકાર છે જે પણ એ અમેરિકાની સૌથી ઈચ્છનીય, ભોગનીય સ્ત્રી મેરેલિન મનરોને પરણ્યો હતો અને એમણે ચાર વર્ષનું લગ્નજીવન ગુજાર્યું હતું. મેરેલિનને મળીને મિલરે કહ્યું: મેં જોયેલી સ્ત્રીઓમાં તું સૌથી જુદી છે, યુ આર ધ સેડેસ્ટ (સૌથી વધુ વિષાદ છે). મેરેલિને કહ્યું: પુરુષોને ફક્ત ખુશખુશાલ છોકરીઓ જોઈતી હોય છે! પછી મેરેલિનને સમજાયું કે મિલર એની પ્રશંસા કરી રહ્યો હતો ! મિલર લખે છે : વેદના વિના સર્જન નથી.

જીવનના અંતમાં કંઈ જ રહેતું નથી. ફક્ત આપણો એકબીજાને જોયા કરવાનો સંબંધ જીવતો હોય છે. મિલર કહે છે એમ, વૃક્ષો પણ આપણને જોયા કરે છે.

રમતવીરો એક જ પુસ્તક લખે છે. વિશ્વનો શ્રેષ્ઠ બૉક્સર જો લુઈ 'માય લાઈફ' 1976માં લખીને 1981માં મરી ગયો. રમતવીર પાસે એક જ વાત હોય છે, એક નાના માણસનું મોટી દુનિયા જીતવાનું સ્વપ્ન. વિજય અમૃતરાજની આત્મકથા આવી રહી છે. એણે એની ફિલસૂફી એક વાક્યમાં કહી દીધી છે: જો મારે જૉન મેકેનરોની જેમ વર્તીને વિમ્બલ્ડન જીતવી પડે તો હું એ જીતવી પસંદ નહીં કરું! હોકીના મહાન ધ્યાનચંદે એની આત્મકથા લખી છે. એનું નામ છે કદાચ 'ધ ગોલ'! ધ્યાનચંદે જે ઈજ્જત, જે શોહરત, જે રૂતબો, જે મર્તબો પ્રાપ્ત કર્યો હતો એ ભારતના કોઈ જ રમતવીરે પ્રાપ્ત કર્યો નથી. હોકીનો દેવતા તો એ સામાન્ય કાળો ઠીંગણો માણસ, અને ભારતીય સેનામાં એક સામાન્ય સૈનિક હતો એ નમ્ર નિમ્નવર્ગીય માણસ. પણ જ્યારે હોકી સ્ટિક હાથમાં લઈને ડાબા ઘૂંટણ પર સફેદ પાટો બાંધીને દોડતો ત્યારે એ માણસ 'વિઝાર્ડ ઑફ ધ સ્ટિક' (હોકીનો જાદુગર) બની જતો. 1948માં મેં એને પ્રથમ રમતાં જોયો, પછી ત્રણ ચાર વાર એને રમતો જોવા ગયો છું. એ વખતે ધ્યાનચંદ વૃદ્ધ થઈ ચૂક્યો હતો. પણ બૉલ એની સ્ટિક પર ચોંટી જતો હતો! એની આત્મકથા ભારતીય હોકીની યશગાથા છે.

ક્રિકેટરો આત્મકથા લખતા નથી, બેસ્ટ-સેલરો લખે છે, પૈસો કમાય છે, જાહેરખબર થાય છે.

રાજનીતિજ્ઞો પણ લખે છે, સરસ લખે છે. ગાંધીજી, નેહરુ તો છે જ. કમલાપતિ ત્રિપાઠીએ 'સ્વતંત્રતા આંદોલન ઔર ઉસકે બાદ'માં વ્યક્તિગત સંસ્મરણો 286 પાનાં ભરીને લખ્યાં છે. દ્વારકાપ્રસાદ મિશ્રનું રાજકારણમાં બહુ મોટું નામ હતું. એ 85 વર્ષના થઈ ગયા, અંતે અંધ બની ગયા. પણ આંખોની રોશની બુઝાઈ જાય એ પહેલાં એમણે એમની આત્મકથાનો ત્રીજો ભાગ સમાપ્ત કરી લીધો હતો. બહુ ઓછા માણસોના નસીબમાં આત્મકથા આ રીતે પૂરી થતી હોય છે. હમણાં કમલાદેવી ચટ્ટોપાધ્યાયનો 85 વર્ષે દેહાંત થઈ ગયો, એમની આત્મકથા 410 પાનાંઓમાં છે, શીર્ષક છે: ઈનર રિસેસીઝ, આઉટર સ્પેસીઝ ! એક લાંબી જિંદગી, એક કર્મયોગ. વિજયાલક્ષી પંડિત અને રાજાજી બંનેએ સ્મરણો લખ્યાં હતાં પણ એ જેલનિવાસની ડાયરીઓ હતી. હમણાં બેનઝીર ભુટ્ટોની આત્મકથા આવી છે. આત્મકથાનું નામ છે: પૂર્વની પુત્રી (ડૉટર ઑફ ધ ઈસ્ટ).

આત્મકથા ક્યારેક આત્મકથા સિવાયના કારણસર પણ લખાય છે. અસલમ શેર ખાને 'ટુ હેલ વિથ હોકી' લખી છે જે નિમ્ન રુચિની છે. પાકિસ્તાની ઈમરાનખાને 'ઓલરાઉન્ડ વ્યુ' નામની સ્વકથા લખી છે, એ પણ કક્ષાની નથી, આરોપો અને પ્રતિઆરોપો છલકે છે.

રાજનીતિજ્ઞ ચાર્લ્સ દ'ગોલે બહુ ઊંચાઈ પરથી લખ્યું છે. ચાણક્યની આંખોમાં સહદેવદ્રષ્ટિ હોય એવો એ કથાનો સૂર છે. અત્યંત સુવાચ્ય, અત્યંત સાહસિક આત્મકથા છે. ફ્રાંસના પ્રમુખ ફ્રાંઝવા મિત્તરાંએ રાજકારણમાં 43 વર્ષો ગાળ્યાં પછી આત્મકથા લખી ત્યારે લોકોને ઘણી બધી ખબર પડી! મિતરાં બેલ્જિયમના મોરચા પર આઠ માસ લડ્યા હતા, પકડાયા હતા, જર્મનીમાં બંદી હતા, બે વાર ભાગવાનો પ્રયાસ કર્યો, પકડાઈ ગયાં, ત્રીજી વાર માંડમાંડ છટકી ગયા પણ મરતાં મરતાં બચી ગયા. પછી ભૂગર્ભમાં જર્મનો સામે લડતા રહ્યા. પ્રજાના હીરો માટે આટલું જ કાફી હતું.

સોવિયેટ રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આન્દ્રે ગ્રોમિકોની આત્મકથા બે ખંડોમાં પ્રકટ થઈ છે, અને એમાં મહાત્મા ગાંધીથી રાજીવ ગાંધી સુધીના ઉલ્લેખો છે. ગ્રોમિકો રશિયાના કદાચ સૌથી અનુભવી નેતા છે. યુદ્ધોત્તર ઈતિહાસની દરેક ક્ષણના એ ગવાહ રહ્યા છે, ઘણી વાર રાજકીય ઘટનાના બનવામાં પણ હિસ્સેદાર રહ્યા છે. માણસને જો આત્મકથા લખવી હોય તો રશિયામાં પણ લખી શકાય છે ! ગુજરાતી રાજકારણીઓમાંથી રાજનીતિજ્ઞો શોધવા તો મુશ્કેલ છે પણ કોઈ ગુજરાતી રાજકારણીએ એક પણ આત્મકથા ગુજરાતના જન્મથી આજ સુધી, 1960થી 1988 સુધીમાં લખી નથી.

આત્મકથા એવી હોવી જોઈએ જેમાં કંઈક બનવું જોઈએ. જીવન જિવાયું છે એ દેખાવું જોઈએ. બાકી તો માર્ક ટ્વેઈને લખ્યું છે એમ ઘણાખરાના જીવન વિશે એક જ વાક્ય લખી શકાય: એ 30 વર્ષે જન્મ્યો અને 60 વર્ષે દફન થયો...

(સમકાલીન : ડિસેમ્બર 11, 1988)
(પુસ્તક: સમાજ -1)

No comments:

Post a Comment