April 28, 2014

1942ના જયંતી ઠાકોર અને 1975ના નરેન્દ્ર મોદી: બે ગુજરાતી ખમીરકથાઓ

શ્યામજી કૃષ્ણવર્મા. દયાનંદ સરસ્વતી. મોહનદાસ ગાંધી. મહંમદઅલી જિન્નાહ. મોરારજી દેસાઈ. કનૈયાલાલ મુનશી. વલ્લભભાઈ પટેલ. રજની પટેલ. આ બધાં નામો ગુજરાતી છે અને આ બધા એવા નેતાઓ છે જે પૈદા કરવાની ગુજરાતની પરંપરા નથી. ગુજરાતનું પાણી ખડતલ ક્રાન્તિકારીઓને કેમ માફક આવતું નથી? લગભગ દરેક ક્ષેત્રમાં સમાધાનવાદી સોફ્ટીઓ ગુજરાતની આબોહવામાં લજામણીના છોડની જેમ પનપે છે, લાભપ્રાપ્તિ કરે છે. ગર્દન કપાવનારા, તબાહ થઈ જનારા પાછળના બધા જ પુલો જલાવીને નીકળનારા ગુજરાતી માણસો બહુ ઓછા હોય છે. અને જો કોઈ હોય તો એ ભાગ્યે જ પોતાના સ્વાનુભવ વિષે લખે છે. ઈન્દુલાલ યાજ્ઞિકે લખ્યું છે. મેં વાંચ્યું નથી. કમલાશંકર પંડ્યાની "વેરાન જીવન" વાંચી છે અને ગુજરાતી ભાષાની પ્રથમ કક્ષાની સરસ વાચ્ય રાજનીતિક આત્મકથાઓમાં એને સ્થાન આપું છું. મોરારજી દેસાઈની આત્મકથા વાંચવી નથી કારણ કે એનાથી બીમાર થઈ જવાનો ભય છે. ઈશ્વર સાથે જેમની સીધી હોટ-લાઈન હોય છે એમની વાતો વાંચવાની મને બહુ મજા આવતી નથી. પણ હમણાં બે સંસ્મરણો વાંચ્યાં જે ગુજરાતના રાજકીય સંસ્મરણ સાહિત્યમાં પ્રથમ કતારમાં મૂકી શકાય એવાં છે: (1) આઝાદી જંગની મંજિલ...લેખક: જયંતી ઠાકોર, (2) સંઘર્ષમાં ગુજરાત...લેખક નરેન્દ્ર મોદી. આ બંને સ્મરણકથાઓ ભારતવર્ષના ઇતિહાસના બે કાલખંડો પર પ્રકાશ ફેંકે છે અને એમનું ઐતિહાસિક મહત્ત્વ છે. જયંતી ઠાકોર 1942ના ભૂગર્ભ સંઘર્ષ વિષે લખે છે. નરેન્દ્ર મોદી 1975ની કટોકટીના ભૂગર્ભનિવાસ વિષે અત્યંત રોચક શૈલીમાં બયાન કરે છે. જયંતી ઠાકોર અને નરેન્દ્ર મોદી બંને એટલું સરસ ગુજરાતી લખે છે કે ગુજરાતી ભાષાના લેખકોએ ભાષા સુધારવાના રિફ્રેશર કોર્સ તરીકે આ બંને પુસ્તકો વાંચી જવાં એવું મારું અનમ્ર સૂચન છે.  

જયંતી ઠાકોરે આરંભમાં એક વાક્ય લખ્યું છે: ઓલ મેન આર બોર્ન ફ્રી (બધા જ મનુષ્યો સ્વતંત્ર જન્મ્યા છે)! નરેન્દ્ર મોદીએ એક હિંદી ઉચ્ચારણ મૂક્યું છે: इतिहास गवाह है राज महलों और संसदो ने इतिहास नहीं बनाया है... संसर पर दस्तक देने वालों ने संसद भी बनाया है, इतिहास भी बनाया है ! 1942ના વિન્ટેજ વિપ્લવી જયંતી ઠાકોર, એમનું પુસ્તક અર્પણ કરે છે: સપ્રેમ અર્પણ ભારત માતાના અને ગુજરાતના નામી અનામી શહીદો વીરવીરાંગનાઓ સહકાર્યકરોને...! અને નરેન્દ્ર મોદી 1975ના એ અંધારયુગમાં માત્ર 26 વર્ષના હતા અને આ એમનું પ્રથમ સાહિત્યિક સર્જન છે, એમણે અર્પણ કર્યું છે...જેમના જીવનવ્યવહારે જીવનમૂલ્યોના જતન કાજે જીવવાનું, ઝઝૂમવાનું, જોમ અર્પ્યું - સ્વ. વસંતભાઈ ગજેન્દ્ર ગડકરને...! દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જનરલ મેક આર્થરના સૈનિકો વિષે કહેવાતું હતું એ વાક્ય આ બંને ગુજરાતી વિપ્લવીઓ માટે બેરોકટોક વાપરી શકાય: અસામાન્ય શૌર્ય એ સામાન્ય ગુણ હતો...

કોઈપણ કૃતિનું સુવાચ્ય હોવું એ હું પ્રથમ ગુણ ગણું છું. વાંચતાં કંટાળો અથવા એકસાથે બે બગાસાં ન આવવાં જોઈએ. આ બંને પુસ્તકો રોચક છે, અને રોમાંચક છે. સત્તા સામે ઝૂઝવું અને ઝૂઝતા રહેવું, એ બધાના બસની વાત નથી. જયંતી ઠાકોર 1942ના આંદોલન દરમિયાન અમદાવાદના શહેરસૂબા તરીકે એક લેજન્ડ બની ગયા હતા, "જયાનંદ" એમનું છદ્મનામ હતું. એ ભાગતા ફરતા હતા, આદેશો આપતા હતા, બ્રિટિશ સરકાર સામે વિદ્રોહ ભડકાવતા હતા. એ દિવસો હતા, બોમ્બ ફૂટતા હતા, ગોળીઓ છૂટતી હતી, એક સમાંતર સરકાર ચલાવવાના છૂટક પ્રયોગો થતા હતા. નરેન્દ્ર મોદીની સ્મરણકથામાં મહત્ત્વની વાત એ છે કે જે વિરોધ હતો એ સરકાર કાળા હિન્દુસ્તાનીઓની બનેલી હતી અને વર્ષ 1975નું હતું. શ્રીમતી ગાંધીની કટોકટીમાં એક જ અસ્તિત્વ કાર્યક્રમ હતો, છટકી જવું, ન પકડાવું, અને નિરાશ, હતાશ, વિવશ થઈ ગયેલી પ્રજામાં ચેતનાનો પુનર્સંચાર કરતા રહેવું જે ખરેખર દુશ્વાર હતું અને આમાં ગુજરાતનું શું યોગદાન હતું એ આ સંઘર્ષકથાનો મુખ્ય હેતુ છે. ઘણાંખરાં નામો આજે જીવે છે અને માટે નરેન્દ્ર મોદીની વાત એક આધુનિક દ્રશ્યકથા જેવી લાગે છે, જયંતી ઠાકોરની વાત ભૂતકાળની નવલકથા જેવી લાગે છે. અને બંનેની પાછળ સત્યનું 98.4 ડિગ્રી તાપમાન છે. નરેન્દ્ર મોદીની સંઘર્ષકથામાં એવું વાક્ય આવી શકે છે: બેઠક પછી તરત જ શ્રી નાથાલાલ જગાડા, શ્રી શંકરસિંહ વાઘેલા અને હું ગાંધીનગર પહોંચ્યા (પૃષ્ઠ 112). જયંતી ઠાકોરના 1942માં ગાંધીનગરનો જન્મ થયો ન હતો. એમનામાં વાક્ય આવે છે: ખાડિયામાં સતત ભૂગર્ભમાં રહેવું મારા માટે જોખમકારક હતું (પૃષ્ઠ 203). ભૂગર્ભજીવનનો આ બંને સ્વાતંત્ર્યયોદ્ધાઓનો અનુભવ જાણવા માટે પણ આ બંને પુસ્તકો નવી પેઢીના ગુજરાતીઓએ જોઈ જવા જેવાં છે. 1942 અને 1975 વચ્ચે ગોરી સત્તા અને કાળી સત્તા વચ્ચેના જુલ્મની ફેશન કેટલી બદલાઈ હતી?

1978માં પ્રકટ થયેલા નરેદ્ર મોદીના "સંઘર્ષમાં ગુજરાત" પુસ્તકના પ્રથમ સંસ્કરણ (3000 પ્રતો)ની તારીખ જાન્યુઆરી 14, 1978 છે, અને બીજી આવૃત્તિ (ફરીથી 3000 પ્રતો) માર્ચ 7, 1978એ પ્રકટ કરવી પડે છે. એ ઈમર્જન્સીના દિવસોમાં લોકોની જ્ઞાનભૂખ અને માહિતીભૂઓખ ચરમસીમા પર હતી, અને આ પુસ્તક માહિતીસભર છે. આજે જે નામો શીર્ષસ્થ છે એ લોકો એ ઈમર્જન્સીના દિવસોમાં ગળાઈ રહ્યા હતા, તળાઈ રહ્યા હતા, પુખ્ત બની રહ્યા હતા. જે નક્કર હતા એ ટકી ગયા ને ભીરુ હતા એ તૂટી ગયા. નામો વાંચતાં જ એ સમજ પડી જાય છે. (આ નિયમ 1942ના સંઘર્ષને પણ એટલો જ લાગુ પડે છે) નરેન્દ્ર મોદી પાસે એક સમસામયિક ઇતિહાસકારની દ્રષ્ટિ છે, જે રિપોર્ટર કરતાં વધારે દૂરગામી છે, અને એક શૈલીકારનો કસબ છે, જે એક ડિસ્પેચ મોકલનાર સ્ટ્રીંગર કરતાં વધારે રોચક-રોમાંચક છે...25મી ડિસેમ્બરે (ક્રિસ્ટમસ દિવસ) વાજપેયીનો જન્મદિવસ હતો. જેલમાં અટલજીનું સ્વાસ્થ્ય પણ બગડી ગયું હતું....ત્રણ-ત્રણ ઓપરેશનો થયાં હતાં (પૃષ્ઠ 99)...શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ અને શ્રી જયસુખલાલ હાથીને ઈંગ્લંડ મોકલવામાં આવ્યા હતા. શ્રી દેસાઈને અનેક સંસ્થાઓ તરફથી શ્રી મકરંદભાઈ દેસાઈ સાથે એક જ પ્લેટફોર્મ પર...પ્રવચન કરવા નિમંત્રણો આવ્યાં, પણ તેઓ હિંમત ન કરી શક્યા. (હિતુભાઈ અને શ્રી હાથીએ) અલગ કાર્યક્રમો ગોઠવ્યા, તેમાં પણ તેમની ફજેતીઓ થઈ. ધીમે ધીમે તેમણે જાહેરમાં આવવાનું જ છોડી દીધું. હોંશે હોંશે લંડન પહોંચેલા બિચારા હિતેન્દ્રભાઈને ઈંગ્લંડના રોકાણ દરમિયાન અન્ડરગ્રાઉન્ડ જ રહેવું પડ્યું (પૃષ્ઠ 152)...મહેસાણામાંથી શ્રી શંકરસિંહ વાઘેલાના નાના ભાઈ કનુસિંહ વાઘેલા અને સંઘના બીજા એક કાર્યકર શ્રીકાંત કાટદરેની ધરપકડ થઈ. ધરપકડ માટે પોલીસને ઈનામ આપવામાં આવ્યું. આ બંનેને રિમાન્ડ ઉપર લઈ ખૂબ જ માર મારવામાં આવ્યો (પૃષ્ઠ 137)...પોલીસવાળાઓ પેરોલ પર છોડાવવા માટે રૂ 300ની લાંચ માંગે. પૈસા લાવવા ક્યાંથી? (પૃષ્ઠ 127)

કટોકટીએ કેટલાકને હીરો બનાવી દીધા હતા. આજે 1994માં એ હીરો નેતાઓ એક કમનસીબ ટ્રેજેડી રૂપે ઊભરી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી લખે છે: અમારી વાતચીત ચાલુ જ હતી ત્યાં એક પીળા રંગની ફિયાટ બારણા પાસે આવીને ઊભી રહી. અંદરથી એક પડછંદકાય શરીર, ઈસ્ત્રી કર્યા વગરનો લખનવી ઝભ્ભો, માથે લીલા રંગનું કપડું, ચોકડીવાળી લુંગી, હાથમાં સોનેરી ચેઈનવાળી ઘડિયાળ, મોં પર ખાસ્સી વધી ગયેલી દાઢી સાથે મુસ્લિમ ફકીરની પ્રતિભા ઊભી કરતા "બાબા" નામથી ઓળખાતા જ્યોર્જ અંદર પ્રવેશ્યા (પૃષ્ઠ 38).

આ છદ્મવેશે ભૂગર્ભવાસ કરી રહેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ હતા.

આ બંને પુસ્તકો સમાધાનવાદી સોફ્ટી આત્મવૃત્તાંતોથી જુદાં પડે છે. ગુજરાતી ખમીરકથાઓ રૂપે આવકાર્ય. ફર્સ્ટ રેટ.

(ગુજરાત સમાચાર : જાન્યુઆરી 2, 1994)

(અસ્મિતા ગુજરાતની)

નરેન્દ્ર મોદીના પુસ્તક વિશે વધુ માહિતી માટે શ્રી રજનીભાઈ અગ્રાવતની બ્લૉગ પોસ્ટની લિંક:
http://rajniagravat.wordpress.com/2012/08/29/doc-on-emergency-modi/

2 comments:

  1. જયંતી ઠાકોરનું 'આઝાદી જંગની મંજિલ' વાંચ્યું નથી પણ હવે ઉત્કંઠા થઇ છે. અને મોદીનાં 'સંઘર્ષમાં ગુજરાત' વિશે બક્ષી એ લખ્યું છે એમ - "ભૂગર્ભજીવનનો આ બંને સ્વાતંત્ર્યયોદ્ધાઓનો અનુભવ જાણવા માટે પણ આ બંને પુસ્તકો નવી પેઢીના ગુજરાતીઓએ જોઈ જવા જેવાં છે."

    મારું તો ત્યાં સુધી માનવું છે કે અગર મોદી નામથી એલર્જી હોય તો પણ એકવાર એ નામ ને ભૂલી ને વાંચી જવી.

    ReplyDelete