October 16, 2015

પત્રકાર અને ઇતિહાસકાર

પત્રકાર કંઈક એવા ભ્રમમાં જીવતો હોય છે કે એ ઇતિહાસના સર્જનનો સાક્ષી હોય છે. પણ પત્રકાર ઇતિહાસકાર નથી. પત્રકાર વર્તમાનની આગળપાછળ જોઈ શકતો નથી. પત્રકારનું ગજું નથી અને ભારતીય કે ગુજરાતી પત્રકાર ઝાડના થડ પર ફરતા મંકોડાની જેમ જ રેંગતો હતો, નદીમાં રેલ આવી ગઈ એની એને ખબર ન રહી. થડ ડૂબ્યું ત્યારે સમજાયું કે નદીનો પ્રવાહ બદલાઈ ગયો છે.

ઇતિહાસકારને વર્તમાનમાં રસ નથી, આજના સમાચાર આવતી કાલની ઇતિહાસની જમીન માટે ખાતર છે. ઇતિહાસકારને પૂર્વગ્રહ હોતો નથી એટલે એ પત્રકારની જેમ ગભરાઈ જતો નથી. ઇતિહાસકારને વ્યક્તિઓ કરતાં પ્રજામાં વિશેષ રસ હોય છે. વોટના ટોટલ કરતાં સત્તાની સમતુલામાં વધારે રુચિ હોય છે, નવી દિલ્હીની દિશામાં સૂર્યનમસ્કાર કરવા કરતાં દિલ્હીમાં પસાર થઈ ગયેલા યુગો અને યુગપુરુષો સાથે આજના ઇતિહાસનું તુલનાત્મક અધ્યયન કરવામાં ગહરી દિલચસ્પી હોય છે! પત્રકાર કરતાં ઇતિહાસકાર વધારે પુખ્ત અને પરિપક્વ છે. એનું સત્ય ચોવીસ કલાકનું નહીં, પણ ચોવીસ સદીઓનું સત્ય છે. એને ત્રિકાળમાં રસ નથી, એને દ્વિકાળ અથવા બેકાળમાં રસ છે - અને એ છે ભૂત અને ભવિષ્ય!

(સંદેશ, 1980) (રાજકારણ-2)

1 comment:

  1. પત્રકારો માટે બક્ષી સાહેબે 1980માં લખેલ વાત આજના સમય માં પણ 100% સાચી છે.
    "થડ ડૂબ્યું ત્યારે સમજાયું કે નદીનો પ્રવાહ બદલાઈ ગયો છે."

    ખુબજ આભાર નેહલભાઈ -- બક્ષી સાહેબને ફરી માનસ પટ પર તાદ્દશ કરવા માટે

    ReplyDelete