December 30, 2014

દીકરા, દીકરી, જમાઈ, ભત્રીજા લઈને ચાલો 21મી સદીમાં...

બેટા, બેટી, જમાઈ વગેરે ભારતવર્ષમાં જેટલી દેશ-સેવા કરે છે એટલી જગતભરમાં ક્યાંય કરતાં નથી. જગતનાં શ્રેષ્ઠ રાજનીતિક બેટા, બેટી, જમાઈઓ આપણે પેદા કરીએ છીએ. રામમોહન રાય આધુનિક ભારતના ભારતના પિતામહ ગણાય છે. રાજ રામમોહન રાયે પણ એમના સુપુત્ર રામપ્રસાદને રાજકારણ માટે તૈયાર કર્યો હતો અને બંગાળ ગવર્નરની કાઉન્સિલ માટે 1862માં અન્ય ત્રણ હિંદુસ્તાનીઓ સાથે એની પણ નિયુક્તિ થઈ હતી! બેટા માટે વારસામાં રાજકારણ મૂકી જવાની રઘુકુલરીતિ આધુનિક ભારતમાં રામમોહન રાયના સમયમાં પણ જોવા મળે છે.

પછી આ વાત વધી ગઈ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જાતજાતની ગમ્મતો જોવા મળે છે! ડૉ. રાજેન્દ્રપ્રસાદની તદ્દન નિરક્ષર અને તામસિક જીભવાળી બહેનને વિધાનસભામાં સ્થાન આપવું પડ્યું હતું અને જવાહરલાલ નહેરુના માલિશ કરનારા હરિને પણ વિધાનસભ્ય બનાવીને જ કોંગ્રેસે છોડ્યો હતો! હરિજીનો વ્યવસાય માલિશ કરવાનો હતો અને વિધાનસભામાં એમને ખાસ તકલીફ પડી ન હતી. અકાલી દળના સંત ફતેહસિંહનો ડ્રાઈવર કિકાર સિંહ પણ વિધાનસભામાં ચૂંટાઈને બેઠો હતો અને સંત હરચંદસિંહ લોંગોવાલનો ડ્રાઈવર ગોબિન્દસિંહ કાંજલા પણ ધારાસભ્ય બન્યો હતો.

કોણ કોનો દીકરો છે, કોણ કોની દીકરી છે, કોણ કોનો જમાઈ છે એ શોધી કાઢવું એક રાષ્ટ્રીય રમત બનવી જોઈએ. ટીવીવાળાઓએ એક આનો જ ક્વીઝ કાર્યક્રમ રાખવો જોઈએ, કારણ કે આખું ભારતવર્ષ, કોંગ્રેસ અને વિપક્ષો, બધાં જ બેટાવાદ, બેટીવાદ, જમાઈવાદમાં માને છે. બેટા, બેટી, જમાઈને લઈને ચાલો 21મી સદીમાં...

ક્યાંક બેટાબેટી રાજકારણમાં આવ્યાં નથી. પ્રધાન શિવાજીરાવ પાટીલની પુત્રી સ્મિતા પાટીલ ફિલ્મોને કારણે આખાય ભારતમાં પ્રતિષ્ઠા પામી છે! વસંતદાદાની એક બેટી નર્તકી છે.

જ્યોર્જ ફર્નાન્ડીઝ રહી ગયા! એમના સાસરા હુમાયુ કબીર વર્સો સુધી જવાહરલાલ નેહરુની સરકારના પ્રધાન હતા. પણ સગાવાદમાં સુગંધ ઉમેરે એવો એક કિસ્સો સંજય ગાંધીના જમાનામાં કલકત્તાના ડમડમ એરપોર્ટ પર બની ગયો હતો. કહેવાય છે કે સંજય ગાંધી કલકત્તા ઊતર્યા અને સિદ્ધાર્થ રાયને જોયા નહીં એટલે કહ્યું: સિદ્ધાર્થ રાયને ખબર નથી કે હું જવાહરલાલ નેહરુની દીકરીનો દીકરો છું? અને સિદ્ધાર્થ રાયે આ સાંભળ્યું ત્યારે કહ્યું કે હું પણ ભારતના ઇતિહાસની એક મહાન વિભૂતિની દીકરીનો દીકરો છું - સંજયને કહેજો...!

સિદ્ધાર્થ શંકર રાયની માતાના પિતાનું નામ: દેશબંધુ ચિત્તરંજનદાસ!

ક્લોઝ-અપ: હિન્દી ફિલ્મોની ગણમાન્ય અભિનેત્રી રેખા દક્ષિણ ભારતીય અભિનેતા જેમિની ગણેશનની બીજી પત્ની પુષ્પાવતીની પુત્રી છે. બાપબેટીને બનતું નથી. એક વાર રેખાએ કહ્યું હતું: "ઓહ, જેમિનિ ગણેશન...! એ તો મારી મમ્મીના પતિ છે!..."

(સમકાલીન: એપ્રિલ 13, 1986)

(રાજકારણ-1)

December 29, 2014

સેફોલોજિસ્ટો અને ચૂંટણીનું ગણિત

અંગ્રેજી છાપાંવાળાઓની દુનિયા જ ગજબ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી, મલયાલમ છાપાંઓ પાસે એ શબ્દ જ નથી. અંગ્રેજીવાળાઓ પાસે 'સેફેલોજિસ્ટો' છે! 'સેફોસ' એક ગ્રીક શબ્દ છે, પણ એનો અર્થ અત્યંત આધુનિક છે. સેફોસ એટલે ચૂંટણીનો વૈજ્ઞાનિક અભ્યાસ! અને એનો એ પ્રકારનો અભ્યાસ કરનારા દૂબળા દાઢીધારીઓ સેફોલોજિસ્ટ કહેવાય. નિર્વાચનના પહેલાં જ એ કહી દે કે કોણ જીતશે; કોણ હારશે, કેટલા ટકા 'સ્વિંગ' થશે. એ લોકો રાજનીતિચક્રશાસ્ત્રશિરોમણીઓ છે. જે બબ્બેની જોડીમાં ટીવી પર આવે છે એ સરકારી સેફોલોજિસ્ટો કહેવાય. એ હંમેશાં કોંગ્રેસની જીતની વાત કરે. અને કોંગ્રેસ હારવા માંડે તો ચર્ચા કરે કે આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસના વોટમાં આઠ ટકા 'સ્વિંગ' થયો છે એટલે કોંગ્રેસને 'માર્જિનલ સેટ-બેક' થયો છે. સેફોલોજિસ્ટોની એક ભાષા છે, જેમ કાગડાની ભાષા કાગડોજ સમજે એમ સેફોલોજિસ્ટની ભાષા બીજો સેફોલોજિસ્ટ જ સમજે. તમારે અને મારે એમની વાત ન સમજાવાને કારણે એમની વિદ્વતા 'જોઈને' ગદગદ થયા કરવાનું.

આ દેશમાં અંગ્રેજી છાપાવાળા જનતાને સમજે છે? ક્યારેય સમજ્યા છે? હરિયાણાએ સેફોલોજિસ્ટોને સાફસૂફ કરીને ફેંકી દીધા છે. જૂન-જુલાઈ સુધીમાં ભારતમાં કંઈક અઘટિત ઘટશે એવું કહેવા માટે જ્યોતિષ કે ભવિષ્યવેત્તા થવાની જરૂર નથી. હવામાંથી, છાપાંઓની ચીસો પાડતી હેડલાઈનોમાંથી, સિંહાસન પરથી રોજ બોલાતા એક જૂથમાંથી, માણસની ફરી ગયેલી આંખમાંથી ખબર પડી જાય છે કે જાનવર ઘાયલ થઈ ગયું છે. વિશ્વાસનો પડદો ચિરાઈ ગયો છે. રાજાની પ્રતિષ્ઠા શિયાળ જેવી વસ્તુ છે, એ નિષ્કલુષ હોય છે અથવા કલુષ હોય છે - એમાં વચ્ચેની સ્થિતિ નથી. જૂના જમાનામાં ચીનમાં એક અભિશાપ અપાતો હતો: તમે બહુ રસ પડે એવા દિવસોમાં જીવો! (May you live in interesting times!) આજે તો એ પણ સમજાતું નથી કે આ અભિશાપ છે કે આશીર્વાદ? પણ આપણે જરૂર ઈન્ટરેસ્ટિંગ ટાઈમ્સમાં જીવવાના છીએ!'

આપણે ત્યાં એક કહેવત છે કે બહુ જ જોઈ સંભાળીને કદમ મૂકનારો માણસ ઠોકર ખાતો નથી, પણ સીધો ભીંત સાથે જ અથડાય છે! હરિયાણાની બાબતમાં કોંગ્રેસ ભીંત સાથે અથડાઈ ગઈ છે. રાજીવ ગાંધીએ બંને હાથથી બક્ષિસો લૂંટાવી પણ લોકોએ વોટ ન આપ્યા! આ બધું કરવા પછી રાજીવ ગાંધીને જે મળ્યું છે એ પરાજય નથી, નામોશી છે. 'ડીફીટ' એક વસ્તુ છે, 'ડીસ્ગ્રેસ' બીજી વસ્તુ છે. જીતવું એક વસ્તુ છે અને ન હારવા માટે લડવું એ બીજી વસ્તુ છે. હરિયાણામાં કુરુક્ષેત્ર પણ છે અને પાણીપત પણ છે. પાણીપત એ જગ્યાનું નામ છે જ્યાં પાણી અને પ્રતિષ્ઠા (પત) બંને મપાઈ જતાં હતાં - માટે એ રણભૂમિનું નામ પાણીપત પડ્યું હતું. 

સેફોલોજીમાં બધું વૈજ્ઞાનિક છે. એક બહુ જ એડવાન્સ્ડ કમ્પ્યૂટર હોય છે. એમાં ભૂતકાળનાં નિર્વાચનોનો ડેટા (વિગતો) પૂરવામાં આવે છે. કમ્પ્યૂટર ભવિષ્ય ઉચ્ચારે છે. આમાં ભૂલ થવાનો સંભવ નથી. કહેવાય છે કે નિર્વાચનવાણી કહેવા માટે આ સૌથી સંબંધ્ય અને સુવ્યવસ્થિત કાર્યપ્રણાલી છે. આમાં નિર્વાચન પ્રક્રિયાનું ક્રમબદ્ધ પૃથક્કરણ અને સંયોજન (મોનિટરિંગ) થતું રહે છે. આમા પરિણામની સચોટ આગાહી કરી શકાય છે.

અને ત્યાં જ વિજ્ઞાન ક્યાંક ભૂલ કરે છે. જીવતા મનુષ્યનો પ્રતિક્રિયાત્મક વર્તાવ જીવંત હોય છે અને બદલાતો રહે છે. એ પત્થર કે વનસ્પતિ નથી અને એના ગુણદોષમાં જડત્વ નથી. વિશેષમાં, હિન્દુસ્તાનની પ્રજાએ પાંચ હજાર વર્ષથી ઠંડી અને ગરમી અને વરસાદો અને દુ:શાસકો અને આક્રમકો અને વિનાશ અનુભવ્યાં છે. હિન્દુસ્તાની માણસ કદાચ ભણેલો નથી, પણ ગણેલો છે. વેદનાની પરંપરાએ એને એક ડહાપણ આપ્યું છે. હરિયાણાની ભૂમિએ મહાભારતથી આજ સુધીનો ઇતિહાસ જોયો છે. નિર્વાચનમાં એવાં કેટલાંય તત્ત્વો છે જે સેફોલોજીને ફેઈલ કરી નાખે છે.

ઈંગ્લેન્ડમાં નિર્વાચન દિવસ પાસે આવે છે ત્યારે 'સ્વિંગ' શાસક પક્ષ તરફ્ હોય છે. હિન્દુસ્તાનમાં કદાચ વિપરીત હોય છે. હિન્દુસ્તાનનાં નિર્વાચનોમાં મૂર્ખ માણસ જ ભવિષ્યવાણી ઉચ્ચારવાનું દુસ્સાહસ કરે છે. અહીં રાજનીતિ પંડિતોને જનતામાં "વેવ" આવી ગયાં છે અને ખબર પડી નથી. 1971ના યુદ્ધ પછી, 1975ની કટોકટી પછી, 1980માં શ્રીમતી ગાંધીના પુનરાગમન સમયે, 1984માં શ્રીમતી ગાંધીની હત્યા બાદ...વેવ કે મોજું નહીં પણ ઘોડાપૂર આવ્યાં અને સેફોલોજિસ્ટોનાં કમ્પ્યૂટરોને ખબર પડી નહીં! દૂબળા દાઢીધારીઓ ચાંપલું ઈંગ્લિશ બોલીને આપણને નિર્વાચન સમજાવે છે પણ એ સ્વયં આ ધરતીની પ્રજાને સમજ્યા નથી.

ગ્રામ અને નાગરિક સમીકરણો જુદાં છે. કેટલાય માણસો વોટ આપવા જતા જ નથી, વૃદ્ધો અને જવાનો અને ખાસ કરીને જીવનમાં છેલ્લી અથવા પહેલી વાર વોટ આપનારા જરૂર વોટ આપવા જાય છે. ગરીબો વોટ આપવા જાય છે, પૈસાદારોને ઘેર વોટ લેવા આવે તો એ આપે પણ ખરા....જો એ બીઝી ન હોય તો! ગરમી, વરસાદ, વાવણી, ફસલની કટાઈની મૌસમ જેવાં કારણો પર મતદાનની ટકાવારી ઘણી વાર આધાર રાખે છે. અને રિગિંગ, મારામારી, મતકેન્દ્રો પર કબજો...આવાં પણ ઘણાં કારણો છે. આપણે ત્યાં ડેટા બૅન્ક કેટલી કામ આવી શકે છે એ પણ એક પ્રશ્ન છે! જવાહરલાલ નેહરુ છેલ્લી સાંજે કલકત્તામાં પ્રવચન આપી ગયા હતા અને લોકોનું માથું ફેરવી ગયા હતાં...એ જોયું-સાંભળ્યું છે. એ વખતે કમ્પ્યૂટર ન હતાં.

(સમકાલીન)

(રાજકારણ-1)

October 22, 2014

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (6)

પશ્ચિમ વિશે, પશ્ચિમના જીવન વિશે, પશ્ચિમની લાઈફસ્ટાઈલ વિશે લખનારા આપણે ત્યાં ગ્રોસને હિસાબે બજારમાં મળે છે. પશ્ચિમના સાહિત્ય અને નાટક વિશે લખનારા ડઝનોને હિસાબે મળે છે. પણ ખરેખર ગોરા લોકો સાથે જીવ્યા હોય એવા લોકો પ્રમાણમાં ઓછા મળે છે. પૂર્વ સારું છે અને પશ્ચિમ ખરાબ છે, એવું નથી. દરેક પ્રજાની જીવનરીત એની ભૂગોળ, એના ઇતિહાસ, અને આબોહવા, એના રક્ત મિશ્રણ પર આધારિત છે - આપણે જ શુદ્ધ, પવિત્ર, સંસ્કારી છીએ અને બીજા બધા મ્લેચ્છ કે યવન કે અનાસ (નાક વગરના. આર્યો અનાર્યોને "અનાસ" કહેતા હતા) છે એ તર્ક આપણી ક્ષતિઓ ઢાંકવા માટે અને થોડો આત્મવિશ્વાસ પ્રકટાવવા માટે ઠીક છે. બીજા ભિન્ન છે, નિમ્ન હોવા જરૂરી નથી. અને બીજા દેવતા છે અને આપણે દાનવો છીએ એવું પણ નથી. ગરીબી અને નિરક્ષરતા પણ જનચારિત્ર્યને ઘડવામાં બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. પૃથ્વી પર માણસ અને માણસ વચ્ચેનું રંગવૈવિધ્ય, વિચારવૈવિધ્ય, જીવનવૈવિધ્ય બહુ રસનો વિષય છે. આપણે એકબીજા વિશે શીખીએ છીએ. અને ચોપડાં વાંચીને કોઈનું જીવન જોવું અને સાથે જીવીને એ જીવનને અનુભવવું, એ બેમાં ફર્ક છે.

મને ગોરી ચામડીવાળાં સ્ત્રીપુરુષોની મહેમાનગીરી અનુભવવાનો મોકો મળ્યો છે અને ગોરી ચામડીવાળાં સ્ત્રીપુરુષો મહેમાન થઈને મારે ત્યાં રહી પણ ગયાં છે. આપણી જૂની ગુજરાતી કહેવત, સોનું જોઈએ કસીને અને માણસ જોઈએ વસીને, તદ્દન સાચી છે. સાથે વસીને માણસની જે કસોટી થાય છે એ ખરેખર તલસ્પર્શી હોય છે. પૂર્વ અને પશ્ચિમના માણસોનાં જીવન કેટલાં જુદાં છે એ મને સમજાયું છે. એ માટે મેહમાની અને મેઝબાની બંને અનુભવો જરૂરી છે.

દિવસના આરંભથી આપણું જીવન અને પશ્ચિમી જીવન જુદું પડે છે. આપણી સવાર દાતણથી શરૂ થાય છે. બ્રશ અથવા મંજન અને પછી ઊલ ઉતારવી. પશ્ચિમી જીવનમાં ઊલ ઉતારવાનું નથી. ફક્ત બ્રશ કરવામાં આવે છે. અને બ્રશ કરવું પણ જરૂરી નથી. સવારે ઊઠીને મોઢું ધોવું પણ જરૂરી નથી! આપણે આને ગંદકી ગણીએ તો ગંદકી સમજવી પણ સવારે ઊઠીને મોઢું ધોવું, બ્રશ કરવું, ઊલ ઉતારવી અને એ વખતે ગળામાંથી જાતજાતના દર્દનાક અવાજો કરવા એ વિધિ પશ્ચિમમાં નથી. બ્રશ કરવું એ એક અત્યંત શાંત વિધિ છે. બધા દાતણ કરતા નથી એવું કહેવાનો આશય નથી પણ બ્રશ કરવું એ વ્યક્તિગત ઇચ્છા પર નિર્ભર છે.

આપણી ચા ખૂબ મીઠી અને ખૂબ દૂધવાળી એમને લાગે છે. ચાનું પાણી, ખાંડ અને દૂધ જુદાં હોય અને એ ચા જ્યારે બનાવીને પિવાય છે ત્યારે આપણે માટે એ ચા લાગતી જ નથી! આપણે ટી-ઈન પૉટની ચા પણ "સ્પેશ્યલ" ચા જેવી ઘટ્ટ બનાવીએ છીએ. એમની ચામાં ચાની ફ્લેવર-ખુશ્બૂ પર વધારે આગ્રહ છે. ચીનાઓની મિન્ટ-ટીમાં પણ આ ખુશ્બૂનું જ મહત્ત્વ છે. ચીનાની ચા ગોલ્ડન રંગની હોય છે, "માઉથ-વોશ" માટે બરાબર છે એમ ચીના કહે છે. હિન્દુસ્તાનમાં બેડ-ટી, મિલ્ક-ટી, લાઈટ-ટી, પ્લેઈન-ટી, ટી-ઈન પૉટ, ટ્રે-ટી અને એટલા બધા પ્રકારની ચા મળે છે કે વિદેશી મહેમાન આશ્ચર્ય પામે છે. એ જ રીતે ઈંડાની વસ્તુઓનું વૈવિધ્ય અહીં ઘણું છે. પણ આપણા કોર્ન-ફ્લેક્સ એમને બહુ જ નીચી કક્ષાના લાગે છે. પશ્ચિમમાં કોર્ન-ફ્લેક્સ એક પોષક ખોરાક તરીકે નિયમિત લેવાનો રિવાજ છે. આપણા જીવનમાં દરેક જાતિ પાસે સવારે ખાવાનું એક વિભિન્ન નાસ્તાશાસ્ત્ર છે. પશ્ચિમમાં લગભગ સર્વત્ર નાશ્તો એક જ પ્રકારનો છે.

નાહવાનું હિન્દુઓમાં ધાર્મિક છે. આપણે માટે સવારે પાંચ વાગ્યાની ટ્રેન પકડવાની હોય તો પણ વહેલા ઊઠીને નાહીને જ સ્ટેશને જવું સ્વાભાવિક છે. બાળમંદિર કે કે.જી.માં જે બાળકો સવારે પહોંચાડવામાં આવ્યાં હોય એ લગભગ બધાંને નવડાવીને જ મોકલવામાં આવે છે. આ વાત કરી ત્યારે પશ્ચિમની સ્ત્રીને ખરેખર આશ્ચર્ય થયું હતું. એમને ત્યાં નાહવાનું બહુ જ ઓછું છે. જો કંઈ હોય તો પણ "વૉશ" છે, બાથ નથી. આખું શરીર પલાળી નાખવાવાળું નાહવું વિદેશીને ગમતું નથી, જરૂરી પણ લાગતું નથી. એ જરા વૉશ કરી લે છે, જો કરવું હોય તો. પછી કપડાં પહેરી લે છે. વાળની ટાપટીપ કરવી, મેક-અપ ચીતરવો અને ચીતર્યા કરવો, વાળ ઓળઓળ કર્યા જ કરવા, કપડાંના મૅચિંગ માટે કબાટની સામે ઊભા ઊભા વિચાર કર્યા કરવો, આ વાત એમનામાં નથી અને એ એમના શ્રેષ્ઠ ગુણો છે એવું મને લાગ્યું છે. મેં 21 વર્ષની છોકરી અને 55 વર્ષની સ્ત્રી બંનેમાં આ એક સામાન્ય લક્ષણ જોયું છે. વાળમાં તેલ નહીં નાખવાનું, વાળ ઓળવાના નહીં, કપડાં ઈસ્ત્રી-ટાઈટ અને ચમચમાટ હોય કે ન હોય એની ચિંતા નહીં કરવાની, ફિટિંગ ગમે તે હોય એ ચાલે. કપડાં કે વસ્ત્રો તન ઢાંકવા (કે ન ઢાંકવા કે અર્ધપ્રદર્શન કરવા) માટે છે! મેક-અપ આપણે લોકો આપણી કાળી-બદામી ચામડી પર વાપરી વાપરીને ચામડી રુક્ષ કરી મૂકીએ છીએ. પશ્ચિમની સ્ત્રી મેક-અપનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. એક વાર જ્યારે મેં પૂછ્યું કે લિપસ્ટિક શા માટે છે? ત્યારે ઉત્તર મળ્યો કે આજે ટ્રેનમાં પ્રવાસ કરવો છે અને હોઠ ફાટી ન જાય એ માટે લિપસ્ટિક લગાવી છે ત્યારે મને લિપસ્ટિકની મેડિકલ ઉપયોગિતા વિશે સમજ મળી! આપણી ગુજરાતી મનોવૃત્તિ ફિટિંગ, પ્રસાધનો, કેશવિન્યાસ પાછળ બહુ જ વધારે સભાન હોય છે.

રસ્તામાં કે બસમાં વાળ ઓળવાનું પશ્ચિમમાં નથી. હોટેલમાં જો તમે તમારા બાળકના પણ વાળ ઓળો તો કોઈ કહી શકે છે: મેડમ રેસ્ટરૂમમાં જાઓ. અહીં વાળ ઓળવાનો નિયમ નથી. ખાવામાં વાળ ન પડે એ માટે એ લોકો સખ્ત આગ્રહી હોય છે. લિફ્ટમાં ચડતી વખતે એ લોકો આયનામાં પણ જોતા નથી એ મેં સ્વયં જોયું છે. આપણા ગુજરાતી-ભારતીય જીવનમાં આયનાને આપણે જીવનનો એક અવિભિન્ન ભાગ બનાવી દીધો છે.

ટ્રેન કે બસમાં ભીડ હોય તો પણ માણસ માણસને અડીને ઊભો રહેતો નથી, અડીને બેસતો નથી. જરા અડી જવાય તો "સૉરી" કે "એક્સક્યુઝ મી" કહેવું જ પડે છે. ક્યારેય માણસ માણસને અડેલો મેં જોયો નથી. એ બધી બાબતોમાં એ લોકો બહુ જ વ્યવસ્થિત છે. દરવાજો ખોલીને પ્રવેશવા વિશે એક વાત ધ્યાન રાખવા જેવી છે. આપણે ત્યાં બંધ દરવાજો હોય તો એક માણસ એ ખોલે ત્યારે બીજો અપરિચિત તરત ઉંદરની જેમ પેસી જાય છે, અને દરવાજો ખોલનારો ઊભો રહી જાય છે. આપણે ત્યાં આ તદ્દન સ્વાભાવિક છે અને આપણે રોજ જોતા હોઈએ છીએ. પશ્ચિમમાં આ વસ્તુને બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. એક વ્યક્તિ જો દરવાજો ખોલે અને બીજો પેસી જાય તો એ વ્યક્તિ ખરેખર ભડકી ઊઠે છે કારણ કે આ વસ્તુ બહુ ખરાબ મેનર્સ ગણાય છે. જે દરવાજો ખોલે એ જ પ્રવેશે, બીજો નહીં. બસની સીટમાં પાછળથી ત્રિભંગ કરીને ઝડપથી બેસી જવાની ચતુરાઈ ત્યાં જોવા મળતી નથી. દરેક વ્યક્તિ પોતાના નાનામાં નાના હક વિશે સતર્ક છે, અને જો એના પર કોઈ તરાપ મારે તો એ વાતનો ઝૂકીને સ્વીકાર કરવાનું પશ્ચિમી ખૂનમાં નથી.

આપણે ત્યાં મહેમાન જો ચાર દિવસ રહે તો પૂરું ઘર થાકી જાય છે. સવારના ગરમ નાસ્તાથી રાત્રે પથારીઓ કરવા સુધી ગૃહિણી અથવા ઘરની સ્ત્રીઓ સતત વ્યસ્ત રહે છે. આપણો મહેમાન ખરેખર મહેમાન છે. પશ્ચિમી મહેમાનને કપડાં ધોવાની ખટપટ હોતી નથી. પોતાનાં નાનાં કપડાં પોતે સ્વયં ધોઈ લે છે, અને એ એમની તાલીમ છે. પોતાનો સામાન પોતે સ્વયં ઉપાડી લે છે. સૌ પોતપોતાની વસ્તુઓ પોતાની સાથે જ રાખે છે, એકબીજા પર નિર્ભર રહેવાનું ઓછું હોય છે. સૌ પોતાનું પૅકિંગ કરે છે. આપણને આશ્ચર્ય થાય એ રીતે મા અને દીકરી પણ પોતપોતાના પૈસા ખર્ચે છે. આત્મનિર્ભરતા અને સ્વાતંત્ર્ય એ હદ સુધી હોય છે કે દરેક પોતાના પૈસાની સિગારેટ ખરીદીને પીતો રહે છે, કોઈ બીજાને એની વ્યક્તિગત આદતો માટે ડાંટતો નથી. આપણા સંસ્કારોથી આ તદ્દન વિપરીત છે.

પણ વિદેશી મહેમાનનો ભાર લાગતો નથી. એને ગરમ ગરમ ખાવાનો શોખ નથી કારણ કે એમના જીવનમાં તવા પરથી ઊતરતી રોટલી નથી અને એ ઉતારી આપનારી ફુલ ટાઈમ "ભોજનેષુ માતા" બ્રાન્ડ પત્ની કે નવરી મોટી બહેન નથી. આપણા ગુજરાતી મહેમાનની અપેક્ષા ગરમ ગરમ ખોરાકની છે અને ગુજરાતી ભાણામાં જ્યાં સુધી પોણો ડઝન વ્યંજનો મૂક્યાં ન હોય ત્યાં સુધી આતિથ્ય અપૂર્ણ રહે છે. વિદેશીઓનો ખોરાક પ્રમાણમાં વધારે છે અને વૈવિધ્ય ઓછું છે. એમનું ધ્યાન રાખવાનો ભાર લાગતો નથી.

રાત્રે સૂતી વખતે આપણે માટે આપણા ઘરમાં પણ પૂરું શરીર ઢાંકીને સૂવું એ સંસ્કાર છે. અહીં પશ્ચિમી અને આપણી સંસ્કૃતિમાં એક બહુ મોટો ફર્ક જોવા મળ્યો છે. પશ્ચિમમાં રાત્રે સૂવું એટલે શરીર પર શક્ય એટલાં ઓછાં કપડાં પહેરીને સૂવું. પ્રવાસમાં પણ બહુ જ ઓછાં કપડાં સાથે લઈને સફર કરવાનો રિવાજ છે. એક વાર ટ્રેનમાં માત્ર ડ્રોઅર્સ (જાંઘિયા) પહેરીને બ્લેન્કેટો ઓઢીને સખ્ત ઠંડીમાં સૂતા પ્રવાસીઓ જોયા ત્યારે થોડી સમજ પડી. ભારતમાં જાહેરની વાત તો દૂરની છે પણ ઘરમાં પણ સૂતી વખતનો એક "ડ્રેસ" હોય છે.

બહુ પૈસાદારોનું જીવન જુદું હશે પણ સામાન્ય વિદેશી માણસો મહેમાનો તરીકે ભારે પડતા નથી. આ બાબતમાં આપણો આપણા મહેમાનોનો અનુભવ લગભગ સરખો છે. પ્રવાસમાં પણ આપણે ઘણાંબધાં કપડાં ધોતા રહીએ છીએ, કોઈ જ તકલીફ ન પડે એ માટે બધી જ નાનીમોટી વસ્તુઓ સાથે ઊંચકી ઊંચકીને ફર્યા કરીએ છીએ. ખાવાપીવામાં પણ આપણને બધી જ સગવડો જોઈએ છે. દિવસભર નાહવાની ઇચ્છા ન થતી હોય એ માટે પશ્ચિમનો ઠંડી અને હવા બરફનો અનુભવ જવાબદાર હશે. જમ્યા પછી હાથ ન ધોવા કે પાણી ન પીવું કે કુલ્લા ન કરવા કે શૌચાલયમાં ટૉઈલેટ-પેપર વાપરવો, આ લક્ષણો દરેક પશ્ચિમી વ્યક્તિમાં સામાન્ય છે. આપણે પાણીનો ઘણો વધારે ઉપયોગ કરીએ છીએ. પશ્ચિમમાં પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો છે.

બે જુદી દુનિયાઓ છે. પરંપરાઓનો ફર્ક છે, દહીં ઘરમાં જમાવી શકાય એનું પશ્ચિમીને આશ્ચર્ય છે, ત્યાંની હવામાં એ જામતું નથી. એ ચોંટાડેલો વરખ (સિલ્વર પેપર) હાથથી ઉખાડવાની કોશિશ કરે છે! ખાવાનું જમણા હાથથી જ હોય છે એ એને માટે ગમ્મતનો વિષય છે. હોટેલમાં જમતી વખતે પ્યાજની પ્લેટ મફત મળે એ એને સમજાતું નથી. અને એક વાર હિંદુસ્તાની ખોરાકના છ સ્વાદો જીભ પર ચડી ગયા પછી એને એનો પશ્ચિમી ખોરાક પણ "બ્લૅન્ડ" અથવા તદ્દન ફિક્કો લાગવા માંડે છે...!

(સમકાલીન: એપ્રિલ 1988)

(વિદેશ)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (5)

ગુજરાતી સાહિત્ય પરિષદ 1920ના એપ્રિલમાં ભરાવાની હતી અને ગાંધીજીએ 27 માર્ચ 1920ના "નવજીવન"માં એની નોંધ લીધી હતી: "સર રવીન્દ્રનાથ ટાગોર પોતાની હાજરીથી પરિષદને દીપાવશે એવા ખબર મળી ગયા છે...ભાઈ એંડ્રુસ પોતે એક કવિ છે ને તે માને છે કે તેમની જોડી આજે યુરોપમાં પણ નથી." ગાંધીજીનું ગુજરાતી આજે જરા કૉમિક લાગે એવું છે: પણ સ્પષ્ટ છે. આ નોંધમાં ગાંધીજી આગળ લખે છે. "...આપણે રસ્તા શણગારીએ તો તેમાંય પશ્ચિમતા નહીં પણ પૂર્વતા હોવી જોઈએ." ગુજરાતી વિદ્વજ્જનોનાં વિશ્લેષણોમાં પાશ્ચાત્ય અને પૌર્વાત્ય જેવા શબ્દો આવે છે પણ આવા સરળ અને અર્થસ્પર્શી શબ્દો શા માટે વપરાયા નથી? ગાંધીજીએ વાપરેલા શબ્દો પશ્ચિમતા અને પૂર્વતા લેખકોને પણ કેમ સૂઝતા નથી?

પશ્ચિમની વાતો કરવી જરૂરી છે કારણ કે ઘણાં ક્ષેત્રોમાં એમની પ્રગતિ ચકાચૌંધ કરી મૂકે એવી છે. પણ પશ્ચિમતા અને પૂર્વતાનો ભેદ સમજ્યા વિના માત્ર પશ્ચિમતાના પક્ષધર થવાથી આપણા પ્રશ્નોના હલ મળતા નથી પણ ક્યારેક પ્રશ્નો વધારે જટિલ થઈ જાય છે. પ્રજામાનસ અને દેશકાળને સમજ્યા વિના કરાયેલો પ્રયાસ ક્યારેક માત્ર પ્રયોગિતા બનીને રહી જાય છે.

મુંબઈ શહેરમાં એક બેડરૂમ, કિચન હૉલ કેટલી સાઈઝના મળે છે? એક રૂમ, કિચનની એક જ સ્ટાન્ડર્ડ સાઈઝ શા માટે નથી? ટુ બેડરૂમ, કિચન હૉલની કોઈ નિયત ચોરસ ફીટ મર્યાદા છે? એક બેડરૂમ, કિચન હૉલવાળો ફ્લૅટ સાડા ચારસોથી સાડા સાતસો ચોરસ ફીટ સુધી સેંકડો સાઈઝોમાં મુંબઈમાં બિલ્ડરો બનાવે છે અને મન ફાવે તેમ કાર્પેટ એરીઆ, બિલ્ટઅપ એરિઆ અને સુપર બિલ્ટઅપ એરીઆ ગણીને વેચે છે! રશિયામાં દરેક ફ્લેટ એક સ્ટાન્ડર્ડ સાઈઝની મર્યાદા પ્રમાણે જ બની શકે છે. અન્યત્ર પણ આવું છે. મુંબઈમાં કેમ નથી? એક બેડરૂમ, કિચન, હૉલવાળા ફ્લેટોની એક જ સાઈઝ હોવી જોઈએ એવું પ્રશાસન ન કરી શકે? કરવું નથી, દ્રષ્ટિ નથી, દાનત નથી, કદાચ બિલ્ડરો સાથે એક અપવિત્ર સાઝેદારી છે. શાસકોની ભ્રષ્ટતા એ આપણી પૂર્વતા છે. મધ્યવર્ગને સતત લૂંટતા રહેવાની ઠગવૃત્તિનો ઘરની તલાશમાં નીકળેલા દરેક મુંબઈગરા પરિવારને અનુભવ થતો રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમનો આ ફર્ક બહુ જ ધ્યાનાકર્ષક છે.

ઘરની જેમ કપડાં અને રોટીની બાબતમાં પણ જુદાઈઓ છે. હિંદુસ્તાનમાં પૈસાદારો અને ગરીબોના વસ્ત્ર-પરિધાનમાં ભેદ છે. અહીં ગરીબો સુતરાઉ કપડાં પહેરે છે. વિદેશોમાં એ અમીરોનો ડ્રેસ છે. કોટનનાં કપડાં ત્યાં બહુ મોંઘા હોય છે. અહીં ઈમ્પોર્ટેડ સિન્થેટિક માટે પડાપડી છે. વિદેશમાં પૈસાદારો સફેદ પોશાક પહેરી શકે છે. ભારતમાં તો મિસ્ત્રી-મજદૂર-કારીગર પણ સફેદ અને પાતળાં કપડાં પહેરીને કામ પર આવે છે! પશ્ચિમમાં મહેનતકશનાં કપડાં જાડાં અને રંગીન હોય છે. અમેરિકામાં સફેદ મોટરકાર પ્રમાણમાં સસ્તી હોય છે કારણ કે એ મેલી થઈ જાય છે. કાર વૉશમાં વધારે મોકલવી પડે છે. અહીં સફેદ કારવાળો શેઠિયો ગણાય છે. સફેદ કાર પદનો અહસાસ (સ્ટેટસ સિમ્બલ) કરાવે છે. આપણે ત્યાં શોકમાં સફેદ વસ્ત્રો પહેરવાનો ધારો છે જ્યારે વિદેશમાં શોક માટેનો રંગ કાળો છે. મૃત્યુ પછી ચર્ચ કે કબ્રસ્તાન તરફ જતી ગાડીઓના જૂલૂસમાં પણ અમેરિકામાં કાળી ગાડીઓ જ વધારે જોવા મળે છે. પશ્ચિમતા અને પૂર્વતા એ બે જુદી વસ્તુઓ થઈ જાય છે.

ગાંધીજીએ પશ્ચિમતાના વિરોધમાં પૂર્વતાનો પક્ષ લીધો હતો અને પૂર્વતાના પૂર્વની એક બીજી પણ સ્થિતિ છે: પૂર્વગ્રહતા!

(સમકાલીન: મે 1987)

(વિદેશ)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (4)

રાજ્યપાલોની બે ક્વોલિટી છે - એક પ્રશાસક છે, જેમણે જીવનભર શાસન કર્યું છે અને બહુ હોશિયાર છે. બીજી ક્વોલિટી છે - અશાસક, જે બહુ હોશિયાર નથી! પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી બી.ડી. પાંડે લોકમાન્ય પ્રશાસક છે, બુદ્ધિજીવી પણ છે. એમણે કલકત્તામાં એક પ્રવચન આપતાં એક પ્રસંગ કહ્યો: અમેરિકામાં બાળકોની "આઈ ક્યુ" (બૌદ્ધિક સ્તર) માપવા માટે ઘરમાં વપરાતી કેટલીક વસ્તુઓનાં ચિત્રો બતાવવામાં આવે છે. બાળકોએ આ ચિત્રો ઓળખવાનાં! હવે ભારતમાં આદિવાસી બાળકોની બુદ્ધિનું માપ કાઢવા આ જ ચિત્રો વપરાતાં હતાં! ગવર્નર પાંડેની વાત સાચી હતી. આ પ્રકારનો અભ્યાસ કે સંશોધન અર્થ વગરનાં છે કારણ કે ભારતના આદિવાસી બાળકને વેક્યુમ-ક્લીનર કે વેનીશીઅન બ્લાઈન્ડ્ઝ બતાવીને બુદ્ધિ માપવા બેસનાર, આપણા દેશી ગુજરાતી ભાષામાં, ભણેલો હશે પણ ગણેલો નહીં હોય...

અમેરિકન પદ્ધત્તિઓનું આંધળું અને એકેન્દ્રિય અનુકરણ ભારતીય દેશકાળ અને મિજાજને હંમેશાં અનુરૂપ હોય એવું બનતું નથી. આપણે ઉચ્ચ શિક્ષણમાં "સિમેસ્ટર સિસ્ટમ" ઉપાડી લાવ્યા. "ઓબ્જેક્ટીવ-ટેસ્ટ" લઈ આવ્યા, "હાયર મેથેમેટીક્સ" લઈ આવ્યા અને બધું ગોટાળે ચડી ગયું! અમેરિકાથી સાસુઓ વિષેની જોક્સ પણ ચોરી લાવ્યા અને છાપવા માંડ્યા, જે અમેરિકામાં મધર-ઈન-લૉ જોક્સ કહેવાય છે. પણ બહુ હસવું આવ્યું નહીં. કારણ સામાજિક છે. ભારતમાં મા-બાપ પુત્ર તથા પુત્રવધૂની સાથે રહે છે, અને પતિ માટે સાસુ એટલી ખરાબ હોતી નથી! અમેરિકામાં છોકરો બાપને રાખે, છોકરી સામાન્ય રીતે માતાને રાખતી હોય છે માટે જમાઈને માટે સાસુ ઉપર પડતી છે! જ્યાં કંઈક પણ પરિવાર રહ્યો છે ત્યાં આ સ્થિતિ છે. બાકી જૂની પેઢી આપણે ત્યાં તો દીકરીના ઘરનું પાણી પણ પીતી ન હતી! આપણે ત્યાં મધ્યવર્ગીય સંસ્કારી પરિવારોમાં સાસુ અને જમાઈને બનતું હોય છે, અને પુત્રવધૂ તથા સાસરાના ઝગડા ભાગ્યે જ હોય છે. કહેવત પણ છે ને: વાંકો ચૂકો, પણ વહુનો રોટલો?

અમેરિકામાં શિયાળો બહુ સખ્ત અને બર્ફીલો હોય છે જ્યારે ઉનાળામાં ધરતી પ્રફુલ્લિત થઈ ઊઠે છે. લોકો બહાર ફરતા થાય છે, સૂર્ય પ્રકાશનો આનંદ લુંટે છે. શિયાળો મનહુસ સફેદ મોસમ છે જ્યારે ઉનાળો રંગબેરંગી અને સહન કરી શકાય એવો હોય છે. "વિન્ટર ઑફ ડીસ્કોન્ટેન્ટ" નામનો શબ્દપ્રયોગ પણ વપરાય છે. હવે આપણા પત્રકારો અને લેખકો, જે શહેરોમાં રહીને ઋતુઓના ફેરફારો ભુલી ગયા છે અને અમેરિકન સાપ્તાહિકોમાંથી તરજુમા કરી એમની ફાઉન્ટન પેનોની ટાંક ઘસાઈ ગઈ છે, અમેરિકન શબ્દો ભારતીય સંદર્ભમાં વાપરે છે ત્યારે હાસ્યાસ્પદ લાગે છે! ઉનાળો ભારતમાં અસહ્ય છે, લૂ ફુંકાય છે. અમેરિકામાં લૂ નથી, શિયાળાનો ભયંકર બરફ છે, આપણે ત્યાં શિયાળો બહુ મજાનો છે - કસરત કરવાની, સરસ તાજાં શાકભાજી ખાવાની, સરસ પીણાની, ભૂખ લાગવાની, મજા કરવાની સિઝન છે! અમેરિકામાં શિયાળો ખરાબ છે, આપણે ત્યાં સરસ છે. અમેરિકામાં ઉનાળો સરસ છે, આપણો ઉનાળો અસહ્ય છે. અને ત્યાં "ફૉલ"ની મૌસમનું મહત્ત્વ છે, (જેમ રશિયામાં "થો" એટલે બરફ ઓગાળવાની મૌસમનું મહત્ત્વ છે), આપણે ત્યાં ચોમાસું કે વર્ષા છે જે બીજે નથી! અમેરિકન વાતો કે વર્ણનો કે શબ્દપ્રયોગો વાપરતા પહેલાં આ વિચારવું જરૂરી છે.

ક્યારેક હાસ્યાસ્પદ જાહેરખબરો જોવા મળે છે જે અમેરિકામાં પેદા થઈ છે. એવાં મકાનો અમે બાંધીએ છીએ જ્યાં કપડાં સૂકવવા તમારે "ડ્રાયર"ની જરૂર નહીં પડે, સૂર્યના તડકાથી જ કપડાં સૂકાશે! આ જાહેર ખબર અમેરિકા માટે બરાબર હશે. ત્યાં એ નવીનતા પણ હશે. ભારતમાં કપડાં તડકામાં જ સૂકવાય છે - પચીસ માળના મકાનમાં પણ! એક જાહેર ખબર જોઈ હતી: અમે "પેપર શ્રેડર" (કાગળને તદ્દન ઝીણી ઝીણી કરચોમાં કાપી નાંખતું મશીન, જે અમેરિકાની બધી જ મોટી ઑફિસો વાપરતી હોય છે) બનાવીએ છીએ. જરૂરી કાગળો ભારતમાં બાળી નાખવામાં આવે છે, શ્રેડર કોઈ વસાવતું નથી. અને બિનજરૂરી કાગળ માટે આપણે ત્યાં મહાન રદ્દી ઉદ્યોગ છે જ! અહીં જૂના કાગળો, છાપાં વગેરે વેચાય છે અને બહુ જ ઓછાં છાપાં "વેસ્ટ" થાય છે એ જોતાં એક અમેરિકન પાગલ થઈ ગયેલો! એણે કહેલું કે અમે તો આ "રીસાયક્લીંગ" (વાપરી લીધેલી વસ્તુને ફરી ઉપયોગી બનાવવી) માટે હમણાં હમણાં સતર્ક થયા છે જ્યારે તમે તો વર્ષોથી રીસાયક્લીંગ કરો છો! અમેરિકામાં રીસાયક્લીંગ એ લેટેસ્ટ વસ્તુ છે.

ભારતમાં હવે વેક્યુમ ક્લીનર બજારમાં આવ્યાં છે. અહીં એવું વેક્યુમ-ક્લીનર (કચરો ખેંચાઈને સાફ થાય એવું મશીન) જોયું જે હેર-ડ્રાયર કે વાળ સૂકવવાનું કામ પણ કરે છે. એક વાર એક ગુજરાતી શેઠનું ઢીલું ધોતિયું વેક્યુમ ક્લીનરમાં ખેંચાઈ ગયું હતું એવું પણ સાંભળ્યું છે - આ હકીકત છે કે જોક છે એ ખબર નથી, પણ વિજ્ઞાનની પ્રગતિ સાથે સાથે ભયસ્થાનો જ પેદા કરે જ છે...

અમેરિકન વિચારધારાને ભારતમાં ફીટ કરતાં જરા વિચારવું પડે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક અમેરિકન સૈનિક કલકત્તા આવેલો અને થોડો સમય રહીને બ્રહ્મદેશના મોરચા પર લડવા ચાલ્યો ગયો હતો. એ અમેરિકા ગયો ત્યારે એને પૂછવામાં આવ્યું: તને હિન્દુસ્તાન કેવું લાગ્યું? લોકો કેવા છે?

લોકો બહુ પૈસાદાર છે, અમેરિકન સૈનિકે કહ્યું. તમને કલ્પના નહીં આવે કે હિન્દુસ્તાનમાં સામાન્ય માણસ કેટલો પૈસાદાર છે! ત્યાં ગરીબમાં ગરીબ માણસ એકવાર ટુથબ્રશ વાપરીને ફેંકી દે છે! રોજ નવું ટુથબ્રશ.

અમેરિકન સૈનિક ભારતીયોને બાવળના દાતણથી રોજ સવારે દાંત સાફ કરતા જોઈ ગયો હતો!...

(વિદેશ)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (3)

દ્રષ્ટિકોણ નામની એક વસ્તુ છે. ચોગમ પછી એક સંવાદદાતા-પરિષદમાં શ્રીમતી ગાંધીએ એક વિદેશી પત્રકારને કહ્યું એમ લેબેનોન તમારે માટે "મિડલ-ઈસ્ટ" છે, પણ અમારે માટે "વેસ્ટ એશિયા" છે! પશ્ચિમ માટે જે મધ્ય-પૂર્વ છે એ આપણે માટે પશ્ચિમ એશિયા છે. પણ જગ્યા એક જ છે. જે જાપાનને માટે પશ્ચિમ "ફાર-ઈસ્ટ" અથવા દૂર-પૂર્વ વાપરે છે એ આપણે માટે માત્ર પૂર્વ છે. ભારત-બાંગ્લાદેશ વિસ્તારો અમેરિકન વિશ્વવિદ્યાલયમાં "સાઉથ એશિયા"ના શીર્ષક નીચે ભણાવાય છે. ભારતનો મુસ્લિમ, પાકિસ્તાનનો મુસ્લિમ, ઈરાનનો મુસ્લિમ પશ્ચિમ તરફ મક્કાની દિશામાં મોઢું કરીને નમાઝ પઢે છે...પણ ટ્યુનીસીઆનો મુસ્લિમ, લિબિયાનો મુસ્લિમ, ઈજિપ્તનો મુસ્લિમ પૂર્વ તરફ મોઢું કરીને નમાઝ પઢે છે કારણ કે એને માટે મક્કા પૂર્વમાં છે! અને ઉત્તરમાં રહે તો મુસ્લિમ કઈ દિશામાં મોઢું કરતો હશે?

દ્રષ્ટિકોણ નામની એક વસ્તુ છે. ફક્ત અંતરિક્ષમાં ફરતા કે ચંદ્રતલ પર કદમ ભરીને ચાલતા મનુષ્યે અવકાશમાં ફરતી, ચકરાતી પૃથ્વી જોઈ ત્યારે એને ખબર પડી નહીં કે પૂર્વ કયું અને પશ્ચિમ કયું? ચંદ્ર પરથી દેખાતી પૃથ્વીને પૂર્વ કે પશ્ચિમ નથી ત્યાંથી જોનારો માણસ માત્ર પૃથ્વી જ જોઈ રહ્યો છે...એક જ પૃથ્વી!

રાજ કપુરની ફિલ્મ "જિસ દેશ મેં ગંગા બહતી હૈ!"માં એક સંવાદ હતો. ભિખારી ભીખ માંગવા આવે છે અને આપણા દેશમાં "માફ કરો" કહેવાનો રિવાજ છે. રાજ કપૂર કહે છે કે આ એક જ દેશ એવો છે જ્યાં ભીખ માંગવા આવનારને આપણે કહીએ છીએ, ભાઈ, મારી પાસે તને આપવાના પૈસા નથી, મને માફ કર! આ પણ કદાચ એક દ્રષ્ટિકોણ છે.

(વિદેશ: પૃ. 47થી 50)

ભારતીય ભાષાઓમાં લખેલાં નાટકોનાં અંગ્રેજીકરણ વિષે

ભારતની ભાષાઓમાં લખેલાં નાટકોનું અંગ્રેજીકરણ શા માટે હંમેશાં જૂઠ્ઠું અને ફિક્કું લાગે છે? હિન્દુસ્તાનમાં બધાં જ મહાનગરોમાં અંગ્રેજી નાટકો ચાલતાં નથી! અને દોઢસો વર્ષો સુધી મિડલ સ્કૂલ, હાઈસ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટીમાં લગભગ દર વર્ષે શેક્સપિયર ભણાવાયા પછી આ હાલત છે! અંગ્રેજી નાટક આપણને ગળથૂથીમાં જ પાવામાં આવ્યું છે, આપણે ગુજરાતી, મરાઠી, બંગાળી, મળયાળમ, હિન્દી, કન્નડ નાટકો ભજવીએ છીએ અને જોઈએ છીએ. પૈસા ન હોય તો ટી.વી. પર જોઈએ છીએ. પણ અંગ્રેજી નાટક કેમ જોતા નથી? ભારતીય ભાષામાંથી અંગ્રેજીમાં રૂપાંતરિત થયેલાં નાટકો પણ કેમ જોતા નથી?

કારણ છે: દ્રષ્ટિકોણ! ભારતીય જીવન અને અંગ્રેજી દ્રષ્ટિકોણ સાથે ચાલી શકતા નથી કારણ કે નાટકને જીવાતા જીવન સાથે સંબંધ છે (આ જ કારણસર અંગ્રેજીમાં લખતા ભારતીય નવલકથાકારો બનાવટી અને જૂઠ્ઠા લાગે છે.) અંગ્રેજીમાં ભારતીય જીવન વિશે શબ્દો નથી. ક્યારેક બળજબરી કરીને શબ્દો વપરાય છે જે અનર્થ અથવા અર્થહીનતા પેદા કરે છે!

આપણે જ્યારે "કેમ છો?" પૂછીએ છીએ ત્યારે એનું અંગ્રેજી "હાઉ આર યૂ?"નથી! આપણે જ્યારે "કેમ છો" પૂછીએત્યારે એમાં એ વ્યક્તિ, એની પત્ની, બાળકો, બહેન, માતા-પિતા, ઘરગૃહસ્થી બધાની તબિયતના સમાચાર પૂછાય છે! એમાં માત્ર તબિયત જ નથી, દૈહિક સ્વસ્થતા જ નથી, એમાં સર્વના સુખ વિષે "ખબર-અંતર" પૂછાય છે. એક જ વ્યક્તિને ભોંકાયેલો એક તીક્ષ્ણ પ્રશ્ન નથી, સમગ્ર પરિવારને આવરી લેતી ઈન્ક્વાયરી છે. અંગ્રેજી નાટકમાં આ "કેમ છો" મૂકી શકાતું નથી...

આપણે મમ્મીના ભાઈને મામા અને પપ્પાના ભાઈને કાકા કહીએ છીએ! અને સાથે સાથે એક કહેવત પણ કહી શકીએ છીએ: મામા કોઈકના ખરાબ, કાકા કોઈકના સારા! કાકા કુટુમ્બ સંપત્તિના ભાગીદાર છે, મામા મુઠ્ઠીઓ ખોલીને આપે છે. આ બે પાત્રો જુદાં છે. મામાનો છોકરો મિત્ર છે, કાકાનો છોકરો થોડો અમિત્ર છે - કાલે ભાગ માંગવાનો છે! અરબીમાં તો ફોઈના છોકરા માટે "રકીબ" શબ્દ છે, એટલે કે એક જ પ્રિયા માટેનો આપણો હરીફ, દુશ્મન, જે 'રફીક' નથી! આવા આવા શબ્દોની મોટી સૂચિ બની શકે.

મામા અને કાકા માટે અંગ્રેજીમાં કેવો ફ્લેટ શબ્દ છે: અંકલ! અને રકીબ માટે છે કઝિન! ભારતીય જીવનમાં, પરિવારમાં કુટુમ્બમાં અંકલો અને આન્ટીઓ નથી...અહીં તો કૌરવો છે, પાંડવો છે, ઘરઘરમાં મીની-મહાભારત ખેલાતું હોય છે...

અંગ્રેજી ભાષાની નવલકથા કે નાટકમાં આપણું જીવન ન મૂકી શકાય.

(ગુજરાત સમાચાર: 1983)

(વિદેશ: પૃ. 50થી 52)

સાસુ-સસરા : સુખમાં સૌથી દૂર અને દુ:ખમાં સૌથી પાસે !

થોડાં વર્ષો પહેલાં એક વિદ્યાર્થી મળી ગયો. એ પરણવાનો હતો. કૉલેજમાં હતો ત્યારે પણ એ સ્માર્ટ હતો, હવે બીઝનેસમાં હોંશિયાર થઈ ગયો હોય એવું લાગતું હતું. એણે વાતો કરી - એની વાગ્દત્તાની, એની ફીઆંસીની...બધું, સરસ હતું પણ છોકરીનાં મમ્મી-પપ્પા સાથે બનતું ન હતું. વિદ્યાર્થી, જે સિંધી હતો, એણે કહ્યું: સર, તમે મધર-ઈન-લૉ વિષેની જોક્સ તો વાંચી જ હશે.

પશ્ચિમમાં, એટલે કે ખાસ કરીને અમેરિકામાં, મધર-ઈન-લૉ અથવા સાસુ બહુ, પ્રિય પાત્ર નથી, એ જમાઈને ઘરે આવે એટલે જમાઈને ગમે નહીં. આપણે ત્યાં પણ કોન્વેન્ટમાં ભણેલા અને સાસુ વિષેની જોક્સ વાંચીને "સ્નાતક" થયેલા (સ્નાતકનો મૂળ સંસ્કૃત અર્થ થાય સ્નાન કરેલા) એટલે કે "નાહી નાખેલા" ગ્રેજ્યુએટો અમેરિકન દ્રષ્ટિકોણથી જોતા હશે! સિંધી વિદ્યાર્થીને એના સાસુ-સસરા વિશે મજબૂત થઈ ચૂકેલો પૂર્વગ્રહ હતો.

કોઈપણ પ્રકારના અભિગ્રહ કે આગ્રહ વિના મેં કહ્યું કે તમારાં સાસુ-સસરાને હું ઓળખતો નથી, પણ એમને એમની પુત્રી માટે પ્યાર તો જરૂર હશે જ. સાસુની સંસ્થાને આપણે પશ્ચિમની રમૂજી દ્રષ્ટિએ જોઈએ એ પણ સારું છે પણ ભારતીય દ્રષ્ટિકોણ અને સામાજિક પરિવેશ જુદાં છે. સાસુને માટે ઉર્દૂમાં કયો શબ્દ છે? સાસુ એટલે "ખુશદામન"! જેની ખુશી જમાઈ પર હંમેશાં વરસતી રહે છે...! કદાચ ભારતની કોઈ ભાષામાં સાસુ માટે આવો મધુર શબ્દ નહીં હોય (અને બંગાળી જેવી મધુર ભાષામાં સાસુ માટેનો શબ્દ છે: સાસુડી!)

સાસુ સસરા પારાયણ કદાચ લાંબું ચાલતું પણ એનું સ્ટૉપ આવી ગયું. પણ એ દરમ્યાન મારી વાત હું કહી શક્યો. સાસુ-સસરા એટલે એવી વ્યક્તિઓ જે પોતાની પુત્રીને ચાહે છે અને એનું સુખ ઇચ્છે છે. એ સુખી થાય એ માટે મદદગાર થાય છે.સાસુ-સસરા તમારા સુખમાં સૌથી દૂર હોય છે. અને તમારા દુ:ખમાં સૌથી પાસે હોય છે. જ્યારે તમે હૉસ્પિટલમાં બેહોશ પડ્યા હો છો ત્યારે ઈમર્જન્સી વૉર્ડમાં સૌથી પહેલાં એ પહોંચી ગયા હોય છે અને તમે આંખો ખોલો છો ત્યારે માથા પર જે હાથ હોય છે એ કદાચ તમારી ખુશદામનનો હોય છે! મધર-ઈન-લૉ ત્યાં અમેરિકામાં કદાચ ઘેરે આવી ચડતી હશે અને જમાઈના મોઢાનો સ્વાદ ખરાબ થઈ જતો હશે, પણ આપણું તો એ ભારતવર્ષ છે જ્યાં ગઈ પેઢી સુધી સાસુ-સસરા એમની બેટીના ઘરનું પાણી પણ પીતા ન હતા...

(ગુજરાત સમાચાર, 1983)
 
(વિદેશ, પૃ. 47-48)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (2)

અંગ્રેજ કવિ રડયાર્ડ કિપલિંગે લખ્યું હતું કે પૂર્વ એ પૂર્વ છે અને પશ્ચિમ એ પશ્ચિમ છે, અને બંને ક્યારેય ભેગાં નહીં થઈ શકે. વર્ષોથી આ વાક્ય પર ચર્ચા થતી રહી છે. વિશ્વમનુષ્ય એક જ છે, આપણે એક જ વિશ્વમાં રહેવું છે. હવે તો જાપાન પણ પશ્ચિમના દેશો સાથે ગણાય છે. સોવિયત રશિયા યુરોપિયન છે. આપણાં મહાનગરોમાં પ્રજા પૅન્ટ પહેરતી થઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક જ છે એવું નેતાઓ કહે છે... અને આપણે પણ કહીએ છીએ. ચામડીને નીચે માણસનું હૃદય એક છે. અને લીલી નસોમાં એક જ લાલ રક્ત વહે છે. ભગવાનનાં નામ જુદાં છે. પણ ભગવાન એક જ છે... અને એવું બધું!...

પણ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ અને સંસ્કાર અને ઇતિહાસ અને જીવનયાપન અને મૂલ્યો અને વ્યવહાર અને માપદંડ જુદાં છે. નાની નાની વાતોમાં એ ફર્ક સ્પષ્ટ દેખાય છે. પશ્ચિમ પાસે પોતાનાં ધોરણો છે. જે કદાચ આપણે માટે અર્થહીન કે નકામાં છે. પશ્ચિમમાં જઈ આવેલો માણસ એક જમાનામાં આપણો માર્ગદર્શક હતો. જ્યારે આપણી ગુલામી ગ્રંથિ છલોછલ હતી. હવે તો જગત ખૂલી ગયું છે અને આપણે આપણી રીતે તટસ્થ વિચાર કરી શકીએ છીએ. રડયાર્ડ કિપલિંગના વિધાનનો પહેલો ભાગ- પૂર્વ પૂર્વ છે, અને પશ્ચિમ પશ્ચિમ છે - સ્વીકારવો પડશે...અને બીજો ભાગ - એ ક્યારેય ભેગાં નહીં થઈ શકે - વિષે જ મતાંતર હોઈ શકે.

માઉન્ટ એવરેસ્ટ પર ચડી આવેલા હિલેરીએ કહ્યું કે મેં એવરેસ્ટને જીતી લીધો! તેન્ઝીંગે શિખર પર ચડીને ઘૂંટણિયે પડીને ફૂલો મૂક્યાં અને પૂજા કરી. હિમાલય જિતાતો નથી, હિમાલયની પૂજા કરવાની હોય છે. બે સંસ્કૃતિનો ભેદ છે. ઈંગ્લૅન્ડમાં લેટરમાં યુનિવર્સિટીમાં ભણતી સાધના મટાણીએ કહ્યું કે અમારા વર્ગમાં એશ-ટ્રે મૂકી હોય છે પણ "ફૂડ ઍન્ડ ડ્રિન્ક્સ" એલાઉડ નથી ત્યારે એમના પિતા ચંદુભાઈને પણ આશ્ચર્ય થયું હતું. ક્લાસમાં એશ-ટ્રે પડી હોય અને વિદ્યાર્થિની સિગારેટ પીતી રહેતી હોય એ આપણા સંસ્કાર નથી. ખરાબ કે સારાની વાત નથી, પાંચ હજાર વર્ષની પરંપરાની વાત છે.

ઈંગ્લૅંડના ભીખુભાઈ શાહના પુત્રની વેલિંગ બોરો ક્રોયલેન્ડ કાઉન્ટી ઈન્ફન્ટ સ્કૂલની હેડમિસ્ટ્રેસે "ડિયર પેરન્ટ્સ" સંબોધન કરીને પત્ર લખ્યો હતો: "આવતું સત્ર મંગળવાર 2 સપ્ટેમ્બરથી આરંભ થાય છે. તમારું બાળક હવે જુનિયર કૉલેજમાં જશે અને મને વિશ્વાસ છે કે એને તરત જ ફાવવા માંડશે.... તમે કૃપયા નોંધ લેશો કે આગામી રજાઓમાં હું ફરીથી પરણી રહી છું અને મારું નવું નામ થશે - કપુર! બેસ્ટ વીશીઝ, યૉર્સ સિન્સિઅરલી, મેરીએન ઈ. પીઅર્સ, હેડમિસ્ટ્રેસ."

આપણા બાળકની સ્કૂલની હેડમિસ્ટ્રેસ આ વૅકેશનમાં ફરીથી પરણવાની હોય અને પોતાનું નવું નામ આપણને લખે એવું આપણે ત્યાં ન જ બને એવું નથી...પણ નથી બનતું! એવું બને તો એ સ્કૂલના ચારિત્ર્યને ધક્કો લાગી જાય...અને મેનેજમેન્ટના બધા જ સેફારી-સુટ શેઠિયા માટે ગૃહક્લેશની નોબત આવી જાય!

ધોરણોનો ફર્ક બહુ મોટો છે. અમેરિકામાં સ્ત્રીઓ હાથમાં સુંવાળું ગલૂડિયું-કૂતરું હોય અને છોકરું પાછળ પાછળ ઘસડાતું હોય. આપણે આપણાં બાળકોને પ્રેમ કરીએ જ છીએ એવું કહી ન શકાય પણ આપણાં સંતાન અને આપણા શ્વાન વચ્ચે આપણા સંતાનને વધારે પ્રેમ આપીએ છીએ એવું જરૂર કહી શકાય.

મુંબઈમાં કેળાં ફ્રીજમાં રાખીએ તો બગડી જાય. લંડનમાં પશ્ચિમ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝથી કેળાં આવે છે અને ફ્રીજની બહાર રાખે તો બગડી જાય. આપણે ત્યાં વરસાદ અન્યાય થયેલા જવાન માણસના રોષની જેમ વીંઝાય છે. ઈંગ્લેન્ડમાં વરસાદ કૂતરાના પેશાબની જેમ થોડો, વારંવાર દૂષિત પડી જાય છે. આપણો તડકો તાકાત આપે છે, ઈંગ્લિશ તડકો ચામડી પર કરડે છે.

અમેરિકામાં ફોન આવે - ન્યુયૉર્ક ટાઈમ્સમાંથી - અને પૂછે કે તમારે અમારું છાપું બંધાવવું છે? પેન્સિલવેનિયાના ફિનિક્સવીલ વિસ્તારમાં મર્સીડીઝ ગાડીમાં બેસીને છાપાવાળો એક એક બંગલાના એક એક પોસ્ટ બૉક્સમાં છાપુ નાખતો જતો હતો એ જોઈને આશ્ચર્ય થયું હતું. મર્સીડીઝ ગાડીમાં બેસીને છાપું નાખનારા અમેરિકન માણસને "ફેરિયાભાઈ" કહીશું? આપણો પૈસાદાર આપણે ત્યાં પીંછાં લગાવીને બે ઇંચ અદ્ધર ઉડતો હોય છે પણ એ બિચારો-બાપડો "ફોરેઈન" જાય છે ત્યારે નાક ઉપર ઘી ચોંટાડી દીધેલા બિલાડીના બચ્ચાની જેમ ખૂણામાં બેઠો બેઠો પોતાનું પૂંછડું અમળાવ્યા કરે છે, અને ઘીની ખુશ્બૂ ક્યાંથી આવે છે એ શોધવા મૂછો ફફડાવ્યા કરે છે. ન્યુયૉર્કની પાસે એવો એક અતિધનિક વિસ્તાર છે કે ત્યાં પોતાની પુલિસ છે, કોઈ ચાલતો દેખાય તો સિક્યુરિટી ગાર્ડ પૂછે છે કે કેમ ચાલો છો? કદાચ કોઈને ચાલવું પડે તો ઝડપથી જ ચાલવું પડે, અને તમે ધીરે ચાલવાના અધિકારી ત્યારે જ બનો જ્યારે તમે તમારા કૂતરાને ફેરવવા નીકળ્યા હો! પૂર્વ અને પશ્ચિમમાં ફર્ક છે. જે માણસ આપણે ત્યાં પોતાની જાતને પૈસાદાર સમજે છે એ અમેરિકામાં કડકો (આપણી ભાષામાં) ગણાતો હોય છે. આ એવી વાત છે કે મુંબઈમાં ફોર્ટમાં જવું હોય તો ફૅશનમાં આપણે કહીએ છીએ કે હું "ડાઉનટાઉન" જઉં છું! પણ ન્યુયૉર્કમાં, જ્યાંથી ડાઉનટાઉન શબ્દ આવ્યો છે, ત્યાં એ સૌથી ગંદો અને ઘટિયા વિસ્તાર છે...!

સોવિયેત રશિયામાં સ્ત્રીઓના પોશાકની વાત ચાલતી હતી. સ્વાભાવિક રીતે જ, વાત સાડી વિષે નીકળી. આપણે સાડીને સૌમ્ય અને ઈજ્જતદાર પોશાક કે પહેરવેશ સમજીએ છીએ. એક રશિયન સ્ત્રીમિત્રે કહ્યું: "સાડી સૌથી ખુલ્લો ડ્રેસ છે...એ સેક્સી કે બીભત્સ શબ્દ વાપર્યા વિના એ જ અર્થમાં કહેવા માગતી હતી) એમાં પેટ અને કમર ખુલ્લાં હોય છે. જગતમાં કેટલી સ્ત્રીઓ પેટ અને કમર ખુલ્લાં રાખીને કપડાં પહેરે છે?" રશિયન મિત્રે કોઈ દુરાશયથી કહ્યું ન હતું પણ એક તર્કશુદ્ધ વાત કરી હતી! આપણે તો સેંકડો વર્ષોથી માનતા આવ્યા છીએ કે સાડી એ મર્યાદાની ચરમસીમા છે! પણ પેટ અને કમર ખુલ્લાં રહે એવા જગતના કેટલા ડ્રેસ છે? પછી એક લગ્નમાં સારી જગ્યાએ બેસીને મેં સેંકડો સ્ત્રીઓનાં પેટ અને કમરનું વાઈડ એન્ગલ નિરીક્ષણ કર્યું, મિત્રની વાત કડવી લાગે એવી પણ સાચી હતી. વિરાટ પેટો અને વિપુલ કમરો બાદ કરી દઈએ તો પણ દર્શનીય, કમનીય, મનનીય અને અલબત્ત, પ્રદર્શનીય પણ ઘણું હતું...! સાડી જેવી નિર્દોષ પરિધાન વસ્તુમાં પણ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેટલો દ્રષ્ટિભેદ હોઈ શકે છે?

આવી જ એક ઘટના ફ્રાન્સમાં બની. આપણી ઝોંપડપટ્ટીઓ ભયંકર ગંદી છે એ આખું જગત જાણે છે અને આપણે પણ કબૂલ કરીએ છીએ. એક ફ્રેન્ચ સ્ત્રી મુંબઈના બાંદરાની ઝોંપડપટ્ટીમાં સેવા કરવા આવી હતી. એણે કહ્યું: તમારે ત્યાં કેટલી બધી સ્વચ્છતાની ભાવના છે? મેં બાંદરાની ઝોંપડપટ્ટીમાં જોયું છે. રોજ સવારે માતા પાણી લઈ આવે છે, બાળકને પોતે નવડાવે છે, પાઉડર લગાવીને, સ્કૂલનો યુનિફૉર્મ પહેરાવીને સ્વચ્છ કરીને સ્કૂલે મોકલે છે. યુનિફૉર્મ પણ પોતે ધૂએ છે, બાળકના વાળમાં તેલ નાખીને વાળ ઓળે છે! ફ્રાન્સમાં કોઈ માતા આટલું બધું કરે નહીં - પાણી ઊંચકીને લાવવું, નવડાવવું...અને સ્કૂલોમાં અમારે ત્યાં યુનિફૉર્મ પણ નથી...

આપણા હિન્દુસ્તાની દિમાગ માટે આ એક નવો આયામ છે. ફ્રેન્ચ સ્ત્રી કહે છે કે આપણા ઝૂંપડામાં કેટલી બધી સ્વચ્છતાની ભાવના છે! આપણી આંખોએ ઝૂંપડાની માતાની આ સ્વચ્છતાની ભાવના તો જોઈ જ ન હતી! એક વાર મુંબઈ ટીવી માટે સાન્ટાક્રુઝની ગોલીબાર ઝોંપડપટ્ટીની એક ટીવી ફિલ્મ ઉતારવાનો મોકો મળ્યો હતો ત્યારે મેં એક વસ્તુ જોઈ હતી. દરેક ઝુંપડામાં એક ખૂણામાં ભગવાન કે ખુદા કે જિઝસ હતા, એ ખૂણામાં ધાર્મિક કેલેન્ડરો હતાં, એ ખૂણામાં ધૂપ-બત્તી હતાં, એ ખૂણો અત્યંત સ્વચ્છ હતો. અને આ સત્ય દરેક ઝૂંપડાને લાગુ પડતું હતું. દરેક ઝૂંપડાનો એક ખૂણો પવિત્ર હતો...

અમેરિકન પરિવારમાં કમાતી છોકરી પોતાના હિસ્સાનો કુટુંબખર્ચ આપી દે, જે "કીપિંગ-મની" કહેવાય છે. એ પછી એની જવાબદારી નહીં. ઘરમાં બોલાતી ભાષામાં બાપ અને બેટી "માય મની" અને "યોર મની" શબ્દો છૂટથી અને બેરોકટોક વાપરે. જરા આગળ વધે તો માતાને "ઓલ્ડ કાઉ" (બૂઢ્ઢી ગાય) અને પિતાને "ઓલ્ડ મૅન" કહે! પૂર્વ અને પશ્ચિમનો ફર્ક "માતૃદેવો ભવ" અને "ઓલ્ડ કાઉ"નો ફર્ક છે.

પૂર્વ પૂર્વ છે અને પશ્ચિમ પશ્ચિમ છે. આપણે છોકરાં ઉપાડીએ છીએ, પશ્ચિમમાં "પ્રેમ" અથવા પેરામ્બ્યુલેટર અથવા બાબાગાડીનો વપરાશ છે. આપણે શાકભાજી ઉપાડી લાવીએ છીએ, થેલા ઊંચકીએ છીએ, પશ્ચિમમાં કાર્ટ કે ટ્રૉલીમાં ભરીને ખેંચી લાવવાની પ્રથા છે. પશ્ચિમ જ્યાં પણ જરૂર હોય ત્યાં પૈડાંનો ઉપયોગ કરે છે. પાણી ઓળંગવા માટે હોવરક્રાફ્ટ વપરાય છે, ઊતરવા-ચડવા માટે એસ્કેલેટર છે. મશીનને માણસની સગવડ માટે વાપરવામાં આવે છે. ભારતવર્ષ બદલાવામાં માનતું નથી. આટલો મોટો દરિયો છે પણ આપણે સમુદ્રમાર્ગ નામની વસ્તુમાં સમજ્યા નથી. ઈંગ્લિશ ચેનલ પણ હોવરક્રાફ્ટમાં ઓળંગાય છે અને હવે તો ચેનલની નીચેથી ભૂગર્ભ માર્ગ બનાવ્યા છે. લેનિનગ્રાદથી પેત્રોદ્વરિત્ઝ (પીટરનો મહેલ) હાઈડ્રોફ્રોઈલમાં ગયો ત્યારે મને સમજ પડી કે આ કેવું જરૂરી સમુદ્રી વાહન છે. પણ અહીં સરકાર કરી શકવાની નથી અને બીજાને કરવા દેવાની નથી. અને આપણાં હોડકાં શું ખોટાં છે?

ન્યુયૉર્કમાં હેમાંગ પટેલને પૂછ્યું: 'તમારી પાસે નેઈલકટર છે?'

એમણે પૂછ્યું: કયું આપું? હાથનું કે પગનું?

એટલે પગના નખ માટે જુદું હોય છે...હેવી હોય છે! આંગળીઓનું લાઈટ હોય છે - હેમાંગ પટેલે કહ્યું.

પશ્ચિમ દરેક નવી સ્થિતિ માટે નવી વસ્તુ પેદા કરતું રહે છે. વૉશિંગ મશીનમાં સ્નીકર્સ (કૅનવાસના બૂટ) પણ નાખીને ધોઈ નાખે છે અને પગના નખ માટે જુદું નેઈલ કટર પણ બજારમાં મૂકી દે છે. આપણી વાત જુદી છે...આપણે બ્લેડ કે કાતરથી પણ નખ કાપી શકીએ છીએ...

(સમકાલીન: ઓગસ્ટ 1986)

(વિદેશ)

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (1)

લંડનની એક સભામાં પ્રવચનને અંતે એક શ્રોતા મિત્રે વિવાદ કર્યો: પશ્ચિમનાં ધોરણો પ્રમાણે-

મારાથી પ્રતિપ્રશ્ન થઈ ગયો: પહેલાં આપણે નક્કી કરી લઈએ કે પશ્ચિમી ધોરણ એટલે શું? અને જો એવું કોઈ ધોરણ હોય તો પણ મારે શા માટે એ ધોરણ માનવું જોઈએ?

આપણે ત્યાં અર્ધબુદ્ધિઓ વારંવાર પશ્ચિમની વાતો કરતા રહે છે. કેટલીક વાર એ સાંદર્ભિક હોય છે પણ ઘણી વાર પશ્ચિમી ધોરણ સાથે આપણે કોઈ સંદર્ભ કે સંબંધ હોતો નથી. ઈંગ્લૅંડમાં કે યુરોપમાં કે અમેરિકામાં એમના દેશકાળ, હવામાન, સ્વભાવ-સંસ્કાર પ્રમાણે એમના ગૃહીતો અને સત્યો નક્કી થાય છે. આપણા દેશકાળ, હવામાન, સ્વભાવ-સંસ્કાર પ્રમાણે એમના ગૃહીતો અને સત્યો નક્કી થાય છે. આપણા દેશકાળ, હવામાન, સ્વભાવ-સંસ્કારના જીવનવિધાન એ ગૃહીતો અને સત્યો કદાચ તદ્દન નકામાં અથવા વિપરીત હોઈ શકે છે. આ વાતનું જ્ઞાન અથવા અભિજ્ઞાન ઈંગ્લેંડ-ફ્રાંસ-અમેરિકાના 1986ના જુલાઈ-ઑગસ્ટ પ્રવાસ દરમિયાન થયું! અને જેમ જેમ હું વિચાર કરતો ગયો એમ એમ આ વિષય વધુ રસિક બનતો ગયો...

ઈંગ્લૅંડમાં બી.બી.સી.ના ટેલિવિઝન પર "ધ આફ્રિકન્સ" નામની એક શ્રેણી આવતી હતી. એમાંથી એક અંશ જોવા મળ્યો. મોમ્બાસાના અલી મઝુરી નામના વિદ્વાને આ શ્રેણી પ્રસ્તુત કરી છે. ખૂબ સરસ છે. એમણે આ મુદ્દો ઉઠાવતાં એક વાત કરી: પશ્ચિમ અને આફ્રિકાના અનુભવો જુદા છે, નિષ્કર્ષો જુદા છે. ઈંગ્લેંડમાં વર્ડ્ઝવર્થ અને કોલરીજે કહ્યું હતું કે કવિએ સામાન્ય મનુષ્યની ભાષામાં લખવું જોઈએ! આફ્રિકામાં એમ કહેવાય છે અને મનાય છે કે સામાન્ય મનુષ્યે કવિની ભાષાની ઊંચાઈ પ્રાપ્ત કરવી જોઈએ! આ વાત બે ભિન્ન સંસ્કૃતિઓના વિચારભેદની છે, સંસ્કારભેદની છે. ક્યારેક બે વિચારોમાં પૂર્વ અને પશ્ચિમ જેટલો ફર્ક છે.

આપણાં અને પશ્ચિમનાં ધોરણો જુદાં છે. દર વખતે પશ્ચિમનું ધોરણ આપણે માટે માપદંડ બની શકે નહીં. ભારતના આંગ્લવાદીઓ અને અંગ્રેજી છાપાંઓમાં લખનારા અને ઈંગ્લિશ ટેસ્ટટ્યુબોમાં પેદા થયેલાં ઈંગ્લિશ માનસસંતાનો આ સમજવા માટે મંદબુદ્ધિ છે. એમને માટે જે સ્વાભાવિક કે આવશ્યક હોય એ આપણે માટે પણ હોવું જરૂરી નથી.

પાણી જેવી એક તદ્દન સામાન્ય વસ્તુને લઈએ. આપણા સંસ્કારમાં પાણી અને શરીરને પાંચ હજાર વર્ષોથી સંબંધ છે. મુએં-જો-ડેરો ખોદીને આપણે જોયું કે પાંચ હજાર વર્ષ પહેલાં નગરસંસ્કૃતિ પાસે સ્નાનાગાર હતાં, એક અદભુત ડ્રેઈનેજ સિસ્ટમ હતી જેમાં ગંદું પાણી વહાવીને લઈ જવાની લગભગ યાંત્રિક વ્યવસ્થા હતી. નદી કે કૂવા પર જઈને નાહવું એ આપણા સંસ્કાર છે. શૌચ શબ્દ પણ શુચિ પરથી આવ્યો છે. આપણે આજે પણ રાત્રે ત્રણ વાગ્યે બસ પકડવી હોય તો એક વાગ્યે ઊઠીને નાહીને જ આપણી ગતિવિધિ શરૂ કરીએ છીએ.

ફ્રાંસમાં એક એવી સ્ત્રી જોઈ જેનાં બે ફ્લૅટો પેરિસમાં અને એક દેશમાં (કન્ટ્રી) હતો. આ ખૂબસૂરત સ્ત્રી છ માસથી નાહી ન હતી. ટીપટોપ કહી શકાય એવી આધુનિક સ્ત્રી ટુવાલનો પંજો અથવા હાથમોજા જેવી એક વસ્તુથી સાબુનું ફીણ બનાવીને શરીર ઘસી નાખે અને પછી એ જ પંજાને ગરમ પાણીમાં બોળીને સાબુ સાફ કરી નાખે! ફ્રાંસમાં આ પ્રકારના "સ્નાન"ને "ડુશ" કહે છે. ફ્રેન્ચો ડુશ લેતા હોય છે. શરીરમાંથી વાસ ન આવે એ માટે પરફ્યુમ કે "પારફૂમ" છાંટ્યા કરે! ફ્રેન્ચ પ્રજામાં પરફ્યુમનો અમર્યાદ શોખ છે એની પાછળનું કારણ આ છે! નાહો નહીં એટલે પરફ્યુમ છાંટ છાંટ કરવું પડે. આપણી ઈમ્પૉર્ટેડ વસ્તુઓની શોખીન લલનાઓને કદાચ આ વાતની ખબર નહીં હોય. પેરિસનાં ઘણાં મકાનોમાં બાથરૂમ નથી- લગભગ અડધાં મકાનોમાં અને શનિ-રવિવારે પબ્લિક ડુશમાં લાઈનો લાગે. ભાવ સાડા ત્રણથી ચાર ફ્રૅન્ક (સાડા પાંચથી સાડા છ રૂપિયા) આપવો પડે-

પશ્ચિમમાં પાણી શરીરને ઓછામાં ઓછું અડાડવાનો રિવાજ છે. શૌચ પછી પાણી વપરાતું નથી, પણ ટૉઈલેટ પેપર વપરાય છે (એક ચરોતરી પટલાણી એમના બાબાને લઈને અમેરિકાથી ટૉઈલેટ-પેપરનાં બંડલો ભરીને ભારતવર્ષની ધરતી પર દર બે વર્ષે ઊતરે છે. એમનો અભિપ્રાય "મારા બાબાને ઈન્ડિયન ટૉઈલેટ-પેપર ફાવતા નથી, યુ સી!" પશ્ચિમમાં ક્યાંય જમ્યા પછી પાણી પીવાનો રિવાજ નથી. બ્રિટિશ એરવેઝમાં આ વખતે લંચની ટ્રેમાં મિનરલ વૉટર ફ્રૉમ હાઈલૅન્ડ્ઝ"ની પ્લાસ્ટિક વાટકી પણ મૂકી હતી, કારણ કે પ્લેન મુંબઈ હૉંગકૉંગ જતું હતું અને પ્રવાસીઓ ભારતીય અને ચીના હતા! જમ્યા પછી પાણીથી મોઢું ધોવાતું નથી કે કોગળા કરતો નથી. અર્થ એ કે આપણે જ કરીએ છીએ એનાથી બધું જ ઊંધું એ લોકો કરે છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અંગ્રેજો બસો વર્ષ પહેલાં પણ પાણીથી એટલા ગભરાતા હતા કે એમણે વ્હીસ્કીમાં હિન્દુસ્તાની પાણી નહીં પણ સોડા (એરેટેડ-વૉટરને) નાખીને પીવો શરૂ કર્યો! આજે પણ એમની ક્રિકેટ ટીમો એમના મિનરલ વૉટરની બૉટલો લઈને પૂરું હિન્દુસ્તાન ફરે છે અને અંગ્રેજો પણ આપણને જોઈ જોઈને નહાતાં શીખ્યા - એ પહેલાં એમને ખબર ન હતી કે નિયમિત નાહવું જોઈએ.

પૂર્વ અને પશ્ચિમ શબ્દો પણ ક્યારેક તદ્દન ભ્રામક હોય છે. પાકિસ્તાનમાં એક સવારે મેં એક મિત્રને પૂછ્યું: તમે અહીં કારને રોજ ધોતા નથી? મિત્રે નીચે ઊભેલી મોટરકાર તરફ જોતાં સસ્મિત કહ્યું: અમે અહીં માણસને પણ રોજ ધોતા નથી!....અઠવાડિયે એક વાર ધોઈએ છીએ...!

આ જ રીતે પશ્ચિમમાં પણ પશ્ચિમનાં ધોરણો નથી. અમેરિકાના એક કૅન્ડી સ્ટોરના માલિકે ગોરાઓનાં ધોરણોનો તાત્ત્વિક ભેદ સમજાવ્યો. કોકાકોલા કે પેપ્સી કોલાના એલ્યુમિનિયમનાં ડબલાં મળે છે. આ ડબલાંમાં પણ વૈવિધ્ય હોય છે - કોક, ડાયટ-કોક (જેમાં ચીની ઓછી હોય છે), ક્લાસિક-કોક (એટલે?) વગેરે! આ સિવાય કોક અથવા કોકા-કોલા બોટલમાં પણ મળે છે. અમેરિકામાં પણ જાતિઓમાં કેવા સંસ્કારભેદ છે એ લોકોની આદતોથી સમજાય છે. ધોળિયા (ગૌરવર્ણી) લોકો ખાંડનું પ્રમાણ ઓછું હોય એવા ડાયટ-કોક ડબલામાંથી પીવાનું પસંદ કરે છે, જ્યારે કાળિયા (શ્યામવર્ણ) ખાંડના વધારે પ્રમાણવાળી કોક બોટલમાંથી પીવાનું પસંદ કરે છે! પ્રમાણમાં ગરીબ પણ ગૌરવર્ણ સ્પેનીઆ (હિસ્પેનિક પ્રજા) પાછા કાળિયાની જેમ બોટલો પસંદ કરે છે અને એમને ડાયાબિટીઝની ચિંતા નથી! એશિયન પાકિસ્તાની રોજ નાહતો નથી પણ એશિયન હિન્દુસ્તાની રોજ નાહે છે એ પ્રકારની આ વાત છે. એટલે પશ્ચિમમાં પણ એક જ ધોરણ કે એકવાક્યતા હંમેશાં હોય એવું બનતું નથી.

પશ્ચિમમાં મનુષ્યના શરીરને પાણી ઓછું અડાડવામાં આવે છે એનું એક કારણ એમનું બંધ જીવન અને એમની ઠંડી હશે. આપણે ખુલ્લા તડકાના દેશવાસીઓ છીએ અને પાણી આપણે માટે જીવનસ્રોત છે. પણ આપણી અંગ્રેજિયત એટલી બહેકી ગઈ છે કે ગંગાને સ્વચ્છ કરવા માટે પણ આપણે અંગ્રેજ એક્સપર્ટોને પકડી લાવીએ છીએ. અને જો અંગ્રેજોને નદીઓ શુદ્ધ કરતાં આવડતી હોત તો થેમ્સ નદી આટલી ગંદી ન હોત! મારી જિંદગીમાં મેં થેમ્સ જેવી ગંદી નદી જોઈ નથી. એ ઈંગ્લેન્ડની મોટામાં મોટી નદી છે અને હિન્દુસ્તાનની નાનામાં નાની નદી કરતાં નાની લાગે છે. વરસાદના દિવસોમાં અમારા પાલનપુર પાસે લડબી નદીમાં પણ વધારે પાણી આવતું હતું! પણ અંગ્રેજી ગોરા ચામડાની હજી નવી દિલ્હીની લૉબીઓમાં કિંમત ઊપજે છે...એ માનવું પડશે.

પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો ભેદ મોટો છે. પશ્ચિમના ધોરણો એટલે? આપણે માથામાં તેલ નાખીએ છીએ, કેશગુંફન અને કેશવિન્યાસ કરીએ છીએ, વાળ ઓળીએ છીએ. ફ્રાંસ, ઈંગ્લૅંડ, અમેરિકા, પશ્ચિમના દેશોમાં યુવા પેઢીમાં કોઈ માથામાં તેલ નાખતું નથી. દરેકના વાળ લુખ્ખા, ભુખરા, બરછટ, ચકલીના માળા જેવા, ઊડાઊડ કરતા હોય છે. ટૂંકમાં ભૂત જેવા હોય છે....! વાત ફૅશનની નથી, રિવાજની છે, સંસ્કારની છે.

કદાચ વધારે અને વધારે ફરવાથી હિન્દુસ્તાન વધારે સમજાય છે!

(સમકાલીન : ઓગસ્ટ 1986)

('વિદેશ'માંથી)

September 13, 2014

જોધપુર શહેર વિશે

"મારું નામ, તારું નામ" નવલકથામાંથી જોધપુર વિશેના વર્ણનો:


[1]

મીટર-ગેજ સૂર્યનગર એક્સપ્રેસ જોધપુર પહોંચી ત્યારે સૂર્ય તપી રહ્યો હતો. મારવાડ હતું, જેનો અર્થ થતો હતો, મૃત્યુનો દેશ. એક જમાનામાં આ મૃત્યુભૂમિ હતી. અહીંની ધરતી પર મૃત્યુના ઈતિહાસની લોહીલુહાણ છાયા સતત પડતી રહી હતી. મિટ્ટી ખાકના રંગની હતી, અને માણસોના લિબાસ રંગબેરંગી હતા. ચટ્ટાનો ફાડીને ઊગેલા કેકટસ અને લાલગુલાબી પથ્થરોના ટેકરાઓની વચ્ચેથી જોધપુર શહેર ખૂલી રહ્યું હતું. અનુશ્કા જોધપુર આવી ચૂકી હતી, એણે કહ્યું, "ડેડી, ઉનાળામાં પથ્થરોને લીધે આપનું શહેર બ્લાસ્ટ ફર્નેસની જેમ તપી જાય છે અને શિયાળામાં રણને લીધે ભયંકર ઠંડી પડે છે... !" 

તેજ હસ્યો, "અનુશ્કા ! તને રાજસ્થાનનો બહુ ચાર્મ છે !" 

"મારા બુટિક માટે રાજસ્થાન તો ખાણ છે. નવા વિચારો, નવી ડિઝાઈનો... અહીંથી ઘણું બધું આવે છે." અનુશ્કા ઝડપથી બોલતી ગઈ, "આટલા લાઉડ રંગો તમને બહુ ઓછા જોવા મળશે. જયપુર આખું શહેર ગુલાબી રંગનું છે. ઉદયપુર જાઓ તો શહેર સફેદ બની જાય છે, જેસલમેર પીળા રંગનું છે..." 

"અને જોધપુર?" બનાસે પૂછ્યું. 

"જોધપુર? જોધપુરને તું મહેરાનગઢની ઉપરથી જોજે. આખું શહેર બ્લુ છે, પણ સૂર્યાસ્ત થાય છે ત્યારે એ ગળીના વાદળી રંગ પર સૂર્યાસ્તનો સોનેરી રંગ ઢળી જાય છે. દૂરથી મોર બોલે છે. ઈટ્સ ફેન્ટેસ્ટિક !" 

બનાસ ઝૂમી ગઈ...."અનુશ્કા ! આઈ વિલ ડાન્સ ઍન્ડ ક્રાય..." (પૃ. 52) 

[2]

જોધપુર. આ રાજસ્થાનની ઉત્તર-પશ્ચિમ દિશા હતી. થારનું રણ બધી જ દિશાઓમાં ગોળ ફેલાયેલું હતું અને રણની છાતી ઉપર જોધપુર હતું. થારની રેગિસ્તાની ટીલાઓવાળી ધરતી પાકિસ્તાનની સરહદ ઓળંગીને ઊતરી જતી હતી. અહીં રાજપૂત રાઠોડ રાજ કરી ગયા હતા. લૂ વાતી હતી અને રેતીના ટીલા ઊડીને ગાયબ થઈ જતા હતા. કાંટાદાર કેકટસ, જુદી જુદી ઊંચાઈ અને ફૈલાવનાં, છૂટાં છૂટાં, સખ્ત જમીન ફાડીને ઊગી ગયાં હતાં. આકાશ ઊંચું ચાલ્યું જાય છે, ક્ષિતિજો દૂર ચાલી જાય છે, કાતિલાની સાંજ લાંબી ચાલે છે. લાલ લાલ સાંજ ધીરે ધીરે લોહી નીકળી ગયા પછીની સૂજન જેવી પર્પલ બનીને, કાળી બનીને, અંધકાર બની જાય છે. રણનો ઠંડો શ્વાસ ડૂબતી રાતમાં ભૂતિયો બની જાય છે. બપોરે તેતરો દોડીને, રસ્તો ઓળંગીને, કાંટાદાર ઝંખાડમાં ઘૂસીને અદ્રશ્ય થઈ જાય છે. થારની રાતમાં પૂરી બપોર સખ્ત તપેલી લાલ ચટ્ટાનો ગરમી છોડતી જાય છે, અને હવા બફારાથી બોઝિલ બની જાય છે. મેહરાનગઢના કિલ્લા પર જૂની તોપો દરકતાર ગોઠવેલી છે અને જૂનાં મકાનોની જર્જર દીવાલો પર ઘરથી સતી થવા નીકળેલી જવાન વિધવાઓનાં પંજાઓના થાપાનાં નિશાન છે. આ ધરતી પર મૌત ઊંટના મુલાયમ કદમોની જેમ સિફતથી, સુંવાળી ઝડપથી આવ્યું છે અને બદામી મૂછો ફૂટેલા જવાનોને દરેક ધર્મયુદ્ધમાં શહાદતના સેહરાઓથી નવાજતું ગયું છે. જોધપુર. દુનિયાભરના ઘોડેસવારોની બ્રીચીઝ માટે વપરાતા જોધપુર્સ શબ્દને આ નગરે જન્મ આપ્યો છે. આઠ દરવાજાઓની વચ્ચે એક પહાડ છે અને પહાડ પર મેહરાન ગઢ ફૉર્ટ ઊંચાઈ પર ઊભો છે - શહેરના પાલક દેવતાની જેમ. મેહરાનગઢ ફૉર્ટ જોધપુરનું ચટ્ટાની, પથ્થરી હૃદય છે જેની ઊંચાઈના ઝરૂખાઓ અને છત્રીઓની નીચે તૂટેલી રાંગો પર આજે પણ કબૂતરો એ જ રીતે સંવનન કરે છે, ઘૂઘવે છે, ઊડાઊડ કરે છે જે રીતે પાંચસો વર્ષ પહેલાં કરતાં હતાં. એ વાતાયનો, એ ઝરોખા, એ છત્રીઓ પર ચાંદની અને ધૂપ એમ જ પડે છે. જેમ પાંચસો વર્ષો પહેલાં પડતાં હતાં. ફક્ત બંધ અને દરારો પડી ગયેલી, ઉમસ અને સીલનને લીધે બંધિયાર લાગતી દીવાલોની અંદરના ઠંડા અંધકારમાં, પાંખોની ફડફડાહટની કંપન હવે લાંબી ચાલે છે. રાત્રે માણસો રહેતા નથી. રાત્રે પ્રેતોની મેહફિલ દબાતા કદમે નાચતી રહે છે. (પૃ. 54)

હું + ચાલાકી + વાચકની વફાદારી = ગુજરાતી પ્રવાસ વર્ણન

"આભંગ" પુસ્તકમાંથી પ્રવાસ વર્ણનો વિશેના અવલોકનો:

[1]

હમણાં હમણાં ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ-વર્ણનોનો ઉપદ્રવ વધ્યો છે. યાતાયાતનાં સાધનો અને પ્રવાસની સગવડો વધ્યાં છે. ગુજરાતી લેખકોને એરોપ્લેનોમાં બેસીને વિદેશયાત્રાઓ કરવાની તકો વધી છે. લેખક માટે પ્રવાસ ઘણીવાર 'ક્રૅશ કોર્સ' કે 'રિફ્રેશર કોર્સ'નું કામ આપે છે. જૂના જાળાં સાફ થઈ જાય છે, નવી દ્રષ્ટિ ખૂલે છે. થોડું અભિમાન કે અભિજ્ઞાન પણ આવી શકે છે. વળી ચાર-પાંચ વર્ષો સુધી લખ્યા કરાય એવું ભાથું મળી જાય છે. ફલત: સાહિત્યમાં પણ હિન્દી ફિલમની જેમ હવે 'ફોરેઈન'ની ચમત્કારિક અસર આવી છે. લેખક હોય, પ્રવાસ કર્યો હોય, વાચકો મોઢું ફાડીને બેઠા હોય પછી વર્ણનો પાછળ રહી શકે નહિ. એ ખોટું પણ નથી, સાહિત્યનું એક નવું ક્ષેત્ર ખેડાય છે. પણ દરેક પ્રવાસી સારો પ્રવાસ વર્ણન લેખક બને એ જરૂરી નથી. ઘણી વાર લેખકને માટે - સજાગ લેખકને માટે - એક વિકટ પ્રશ્ન એ હોય છે કે શેના વિશે ન લખવું? સારા સાઉન્ડ રેકર્ડિસ્ટ અથવા ફિલ્મ એડિટરની આ સમસ્યા હોય છે - કઈ કઈ વસ્તુઓ પર ક્રૂરતાથી કેંચી ચલાવી દેવી? પ્રવાસવર્ણનો લખનારને માટે શું શું ન લખવું ને શું લખી નાખવું કરતાં વધુ મહત્વનું હોવું જોઈએ, એવું મારું માનવું છે. નહિ તો પ્રવાસવર્ણન લેખક પેરિસનું સોં સેલીઝે વર્ણવતો હોય અથવા સ્વિટઝરલેન્ડના ઝ્યુરિકમાં ફરતો હોય અને વાચકને કંટાળાનાં બગાસાં આવ્યા કરતાં હોય. પ્રવાસ વર્ણન પ્રામાણિક, રસિક વાચ્ય તો હોવું જ જોઈએ. કહેનારને વાત કહેતા આવડવી જોઈએ. સારુ પ્રવાસવર્ણન એરલાઈન કંપનીનું બ્રોશર નથી, સંવાદદાતાએ લખી મોકલેલો અખબારી રિપોર્ટ નથી, ભણવા ગયેલા વિદ્યાર્થીનો વિદેશથી આવેલો અને સંમોહિત અવસ્થામાં લખાઈ ગયેલો પત્ર નથી, પૈસા કમાવા માટે વર્તમાનપત્રો-સામયિકોમાં ઢસડેલી દંભી હપ્તાબાજી નથી. બે પગ નીચે ખૂંદેલી ધરતી અને બે આંખોથી પીધેલી દુનિયાને કલાકારની તુલિકા દ્વારા ઉપજાવેલી પ્રતિચ્છાયામાં ઓગાળવી એ પ્રવાસવર્ણનોનો હેતુ છે.

અંશત: દરેક સુવાચ્ય પ્રવાસવર્ણન દર્શકની આંખોમાં પડેલું પ્રતિબિંબ છે. વ્યક્તિગત છે. જ્યાં ખંડિયેરોના લીલ બાઝેલા પથ્થરો કરતાં બગીચામાં તડકો ખાતી વૃદ્ધાના ચહેરાની ઝુર્રીઓ વધુ 'ઐતિહાસિક' છે, કોઈ કોઈ વખત. (પૃ. 183-184) 

[2]

વચ્ચે ગુજરાતી સાહિત્યમાં આત્મકથાઓ લખવાની સીઝન હતી. ગઠરિયાં બાંધીને કંઈક નીકળી પડ્યા હતા. હમણાં પ્રવાસ વર્ણનોની ફેશન છે. પ્રવાસ વર્ણન આત્મ કથાનું એક નિર્દોષ અંગ છે અથવા કહો કે આત્મકથાનો 'સ્ટંટ' ભાગ છે. હું + ચાલાકી + વાચકની વફાદારી = ગુજરાતી પ્રવાસ વર્ણન એવું કોષ્ટક બેસી શકે. કોઈ નીલ ગગનની નીચેની વાતો કરે છે. કોઈક કોતરો અને કંદરાઓમાં ગાઈડેડ ટુર કરાવી રહ્યા છે, ક્યાંક અલગારીઓ રખડપટ્ટી - કાગળ, પેન્સિલ લઈને - કરી આવ્યા છે. વિદેશના પ્રવાસ વર્ણનમાં ઘણી મજા છે. વાચકને મૂઢમાર જેવી અસર થઈ જાય છે. અંગ્રેજી ઉચ્ચારો પણ સાચા ન બોલનારા, ફ્રેંચ ઉચ્ચારો સાચા કેમ થાય એ વિશે લખે છે અને આપણું જ્ઞાન વધવાનો ભય પેદા થાય છે. વિદેશમાં જોવા જેવું ઘણું છે એની ખાતરી થઈ જાય છે. આ ફેશન જરા વધારે ચાલી તો આપણે વિદેશીઓ કરતાં પણ વિદેશ વિશે વધુ ઘણા જ્ઞાની થઈ જઈશું એવી શક્યતા છે. કદાચ બાપદાદાઓએ કરેલાં પુણ્યને કારણે આપણે પણ વિદેશ જવાનું થાય તો આપણને એ સુખદ આશ્ચર્ય થશે કે આપણે જે વિદેશ વિશે વાંચ્યું હતું એ વિદેશ ક્યાં ખોવાઈ ગયો? પણ ગમે તે હોય, પ્રવાસ થયો તો એનું વર્ણન લખવું જ જોઈએ. વાર્તાઓ, નાટકો લખીને, પ્રવચનો આપી આપીને પણ લેખક કંટાળે છે ત્યારે આ પ્રવાસ લખાણો ફાવે છે. (પૃ. 201-202)

ફરીદા ખાનમ - 19મી સદીનો અવાજ

"તેજ ! તેં ફરીદા ખાનમને સાંભળી છે? સાંભળી હશે, પણ હું તને એક કેસેટ સંભળાવું છું... બિલકુલ મારા મિજાજની ચીજ છે. મને બહુ ગમે છે.'

"ફરીદા ખાનમ વિશે સત્યજિત રાયે કહ્યું હતું કે..." તેજ બોલ્યો, "આ અવાજ 19મી સદીનો અવાજ છે !"

"એનો અવાજ બહુ જ હોન્ટ કરે છે !" વાગ્દેવી બોલતી ગઈ, "સત્યજિત રાયની વાત તદ્દન સાચી છે."

વાગ્દેવીએ ક્રિસ્ટલના બેઠા ગ્લાસમાં વ્હિસ્કી રેડીને, બરફના બે ક્યૂબ નાખીને, તેજને આપ્યો. એણે એક નાજુક, નાના ગ્લાસમાં શેરી લીધી, ફરીદા ખાનમની કેસેટ મ્યુઝિક સિસ્ટમ પર મૂકી. લાઈવ પ્રોગ્રામની કેસેટ હતી. શરૂમાં તાળીઓના ગડગડાટ આવ્યા. બંને ચૂપ થઈ ગયા. પછી ઘૂંટાયેલો, મંજેલો, મધુર દર્દથી તરાશેલો, ગહરાઈઓમાં ડૂબીને બહાર આવેલો અવાજ આવવા લાગ્યો અને મદ્ધિમ રોશનીમાં ફેલાઈને ગુંજવા લાગ્યો: આજ જાને કી જિદ ના કરો...યૂં હી પહલૂ મેં બૈઠે રહો...!

"ધિસ ઈઝ ફરીદા ખાનમ !...તેજ ધ્યાનથી સાંભળજે !" વાગ્દેવી ભાવુક થઈને તેજના ચહેરાને જોતી રહી.

અવાજ ફેલાતો ગયો:

આજ જાને કી ઝિદ ના કરો/ યૂં હી પહલૂ મેં બૈઠે રહો/ તુમ સોચો જરા ક્યું ન રોકે તુમ્હે/જાન જાતી હૈ જબ ઉઠ કે જાતે હો તુમ/ તુમકો અપની કસમ જાને જાં/ બાત ઈતની મેરી માન લો/ વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર/ ચન્દ ઘડિયાં યહીં હૈ જો આઝાદ હૈ/ કલ કી કિસકો ખબર જાને જાં/ હૌસલા આજ કી રાત કા હૈ...

અવાજ ખોવાતો ગયો, ટેપમાંથી તાળીઓના અને વાહવાહના પડઘા ઊઠ્યા અને શમી ગયા. તેજ સ્તબ્ધ થઈને વાગ્દેવીને જોતો રહી ગયો હતો. વાગ્દેવી ફક્ત તેજ સાંભળે એમ ગુનગુનાતી હતી: વક્ત કી કૈદ મેં ઝિન્દગી હૈ મગર/ ચન્દ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ/ કલકી કિસકો ખબર જાને જાં - 

ફરીથી ફરીદા ખાનમનો અવાજ ખામોશી ફાડીને ઊભરતો ગયો: મેરે હમનફસ, મેરે હમનવા, મુઝે દોસ્ત બન કે દગા ન દે/ મૈં હૂં દર્દે ઈશ્ક કી જાંતલબ મુઝે ઝિંદગી કી દુઆ ન દે...

"દર્દી ઈશ્ક કી...શું કહ્યું?" તેજ બોલ્યો

"એ મને પણ સમજાતું નથી-" વાગ્દેવીએ કહ્યું, "આગળ સાંભળ !"

ટેપમાંથી અવાજ ખૂલતો ગયો: મેરે દાગે-દિલ સે હૈ રોશની ઈસ રોશની સે હૈ ઝિંદગી/મુઝે ડર હૈ મેરે ચારાગર, યહ ચિરાગ તૂ હી બુઝા ન દે/મેરા અઝમ ઈતના બુલંદ હૈ, કિ પરાયે શોલોં કા ડર નહીં/ મુઝે ખૌફ આતિશે ગુલ સે હૈ, કિ કહીં ચમન કો જલા ન દે...

કેસેટ પૂરી થઈ, તેજ ચૂપ થઈ ગયો હતો. વ્હિસ્કીની એક ઘૂંટ ભરીને એ ખામોશ રહ્યો.

"ઘણીવાર એવું થયું છે...રાત્રે કલાકો સુધી ઊંઘ આવી નથી અને આ કેસેટ સાંભળતી રહી છું. વચ્ચે એકવાર વિચાર આવી ગયો હતો કે તને ભેટ આપું...પછી થયું નહીં....એમ સાંભળવાની મજા જ નહીં આવે. આપણે બંને સાથે સાંભળીશું....અને..." વાગ્દેવી અટકી ગઈ.

"હા."

"ગમી?"

"તારા મનની વાત આ અવાજે કહી દીધી છે." તેજે કહ્યું.

"હું પણ... મને લાગે છે અંદરથી 19મી સદીની સ્ત્રી છું...! બહારથી 21મી સદીની." વાગ્દેવીનો અવાજ નરમ થઈ ગયો. "આપણી જિંદગી 20મી સદીમાં બંધ થઈ ગઈ છે...વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર...ચન્દ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ...

(મારું નામ, તારું નામ: પૃ.243-244)

એકલતાના કિનારામાં લગ્ન વિશેના વિચારો

'એકલતાના કિનારા' નવલકથામાંથી લગ્ન વિશેના વિચારો:

[1]

કોઈ કોઈ વાર મને વિચાર આવતો કે હું એવી છોકરીને પરણીશ, જે વાળ ટૂંકા રાખતી હશે અને હોઠ પર ઘેરી લિપસ્ટિક લગાવતી હશે, એ ખૂબ આધુનિક હશે અને પોતાની મેળે કમાતી હશે અને મારી સાથે નહીં ફાવે તો તલાક લઈ લેશે. ઘણી વાર મને વિચાર આવતા કે અમે ખૂબ મજા કરીશું અને ખૂબ ઝઘડશું અને અમે દિવસ-રાત અંગ્રેજીમાં જ વાતો કરીશું.

મારા વિચારો આવતા અને મારા આચરણ પર કોઈ જ અસર મૂક્યા વિના ખરી પડતા. (પૃ.13) 


[2]

રામા મારી ખૂબ જ પાસે હતી - ડાબો હાથ લંબાવું એટલી પાસે. પણ મારો ડાબો હાથ મેં એક જ છોકરી માટે રાખ્યો હતી; મને પરણનારી છોકરી માટે...

હું માનતો હતો કે મારી પત્ની એવા છોકરાને પરણવાની હતી કે જેનું શરીર તાજું હશે, એ શરીર પર કોઈ છોકરીના હાથ ફર્યા નહીં હોય, એણે કોઈ પણ છોકરીનો ઉપયોગ કરી લેવાના આશયથી એની શક્તિ અને હોંશિયારીનો ઉપયોગ નહીં કર્યો હોય - હું એ જ છોકરીના શરીર પર હાથ ફેરવવાનો હતો જેને પરણવાની મારી તૈયારી હતી. નાદાન છોકરીઓ સાથે ખૂણાઓમાં અને અંધારામાં અડપલાં કરી લેવાનું વીરત્વ મારામાં હતું નહીં અને લગ્નની રાતે હું મારી પત્નીને વ્યક્તિત્વ અને શરીરની ભેટ આપવાનો હતો...કે જેથી એને લાગે કે દુનિયામાં એક અકબંધ શરીર એનું પોતાનું હતું, જેને એ જિંદગીનો એક દિવસ પ્યાર કરી શકે.

રામા જેવી ભૂખી છોકરી પણ નિરાશ થઈ જાય એવા પ્રસંગો બની ગયા. છેવટે એને મારા પર નફરત થઈ ગઈ. મારો પણ પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. (પૃ. 41) 

[3]

નાઈટલૅમ્પના પ્રકાશથી ટેવાઈ ગયેલી આંખોને બધું જ ઝાંખું ઝાંખું પણ સ્પષ્ટ દેખાતું અને અમારા ઘરમાં બાર બાય દસના ક્ષેત્રફળમાં જ સાંસારિક સ્વપ્નો આવી જતાં હતાં. (પૃ.58) 

[4]

લગ્નની શરૂઆતના દિવસોમાં જ હું એક વિચિત્ર વિવશતામાં ફસાઈ ગયો. મેં મારી બધી જ સમસ્યાઓના ઈલાજ તરીકે લગ્નને સ્વીકાર્યું હતું, પણ લગ્ન મારે માટે નવા નવા પ્રશ્નો પેદા કરી રહ્યું હતું. જેની મેં કલ્પના કરી ન હતી અને તૈયારી પણ રાખી ન હતી. નીરા ઠંડી છોકરી હતી. એ એનો પ્રેમ એક છોકરાને આપી ચૂકી હતી અને એ છોકરો એના જીવનમાંથી ચાલ્યો ગયો હતો; નિરાશાનો, પરાજયનો ધુમાડો છોડીને અને થોડી મીઠી મીઠી સ્મૃતિઓનો ભાર મૂકીને. મને લાગ્યું, મારે વાસ્તવિકતા સ્વીકારવાની હતી, એક અનિવાર્યતા, એક લાચારી, એક દુ:ખ જે મારા પૂરા ભવિષ્યને ઘેરી વળ્યું હતું. માનસિક ગ્રંથિઓથી નાસીપાસ થઈ જાઉં એ પ્રકારનો હું ન હતો, પણ મારી અતૃપ્ત ઈચ્છાઓ મને કોરી રહી હતી અને મને અમારી વચ્ચેના વધતા જતા અંતરનું ભાન થતું જતું હતું.

નીરાને હું બે પ્રસંગોએ બરાબર સમજી શકતો - એ વખતે એ, મેં વર્ષો સુધી સેવેલા આદર્શને અનુરૂપ બની જતી : બહાર ફરતી વખતે અને રાત્રે પથારીમાં. એની ઈચ્છાઓ સ્વતંત્ર રીતે બહાર આવતી, એનું સ્વત્વ સળવળી ઊઠતું. મને થતું, એના વ્યક્તિત્વમાં ચેતન આવી જતું અને એ મુંબઈની નીરા વકીલ બની જતી. પણ એ બધું થોડા સમય માટે ટકતું અને ફરી એ શાંત પડી જતી. મારો ઉત્સાહ ઠરી જતો અને એના પર માનસિક કે શારીરિક 'બળાત્કાર' કરતાં હું અચકાઈ જતો. એ સમજતી અને મને લાગ્યા કરતું કે એ મને જીતી લેવાની કોશિશ કરતી ન હતી. એની પાસે પ્રયત્ન કે ઈચ્છા જ ન હતી. એની ભૂખ ભાગ્યે જ ઊઘડતી અને ત્યાં સુધીમાં મારી ગરમી તરફડીને ઠંડી પડી જતી. એ બધું દુ:ખદ હતું. એમાં શારીરિક અતૃપ્તિ અને માનસિક એકલતા હતી અને પારાવાર નિરાશા હતી. નિરાશામાંથી ગુસ્સો પેદા થતો અને ગુસ્સો જુદાઈ લાવતો અને જુદાઈ ધીરે ધીરે નિરાશામાં પરિણમતી. (પૃ. 64) 

[5]

હંમેશા અમે સિનેમા જોઈને બહાર નીકળતાં અને હું પૂછતો, 'કેમ, ચિત્ર કેવું લાગ્યું?' 

એ એક ક્ષણ થોભીને મારો ચહેરો સમજીને મને ફરી ફરીને એક જ સવાલ કરતી, 'તને કેવું લાગ્યું?' હું ચૂપ થઈ જઈ મનમાં સમસમી જતો કે એક ચિત્રના અભિપ્રાયને પણ એ કેટલી ભીરુતા અને સંભાળથી જોઈ રહી હતી. એમાં એના અસ્થિર વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડતું હતું અને મને એની સાથે વિશેષ પ્રશ્નોત્તર કરવાની ઈચ્છા મરી જતી. એ પણ કંઈ જ ન બન્યું હોય એમ ચુપચાપ ચાલ્યા કરતી. (પૃ. 65)

કલકત્તા: હિંદુસ્તાનનું મોટામાં મોટું ગામડું

'એકલતાના કિનારા' નવલકથામાંથી કલકત્તા વિશેના અવલોકનો:

[1]

કલકત્તા એ હિંદુસ્તાનનું મોટામાં મોટું ગામડું છે. (પૃ. 23) 


[2]

મોટી મોટી વાતો કરનારા, કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓની આ રાજધાની હતી. ગંદકીવાળા વાસી કડવા તેલમાં, સડકો પર સુકાતા છાણમાં, હૂગલીના માટીવાળા પાણીમાં ઘેરઘેર બફાતાં સસ્તાં માછલાંમાંથી છૂટતી બદબૂમાં કલકત્તાનો આત્મા સબડતો હતો. રાતના દસ પછી મોટા મોટા રસ્તાઓ પર વેશ્યાઓના દલાલોનો બજાર ખૂલી જતો અને શહેરની ધબકતી જિંદગી બંધ દરવાજાઓની પાછળ સરકી જતી. હિંદુસ્તાનના કોઈ પણ મોટા શહેર કરતાં વધારેમાં વધારે ઔરતો શરીર વેચીને અહીં રોટલા કમાતી હતી.

બંગાળીઓ લગભગ દરેક ક્ષેત્રમાં પોતાને હિંદુસ્તાનના શ્રેષ્ઠ ગણાવતા હતા અને લગભગ ભૂખમરાના ધોરણ પર જીવતા હતા. વાસ્તવિકતા-અવાસ્તવિકતા સમાંતર ચાલતાં હતાં, બડાબજારની પ્રતિ ઈંચ જગ્યામાં સંપત્તિ છલકાતી હતી અને બેહિસાબ ગંદકી વર્ષોથી જામતી જતી હતી. દુનિયાના ધનિકમાં ધનિક અને ગંદામાં ગંદા વિસ્તારોમાંનો એ એક હતો. એક શહેર નછૂટકે ટકી રહ્યું હતું, ઈચ્છા વિરુદ્ધ. ચીડિયાખાનાંઓની જેમ બસો-ટ્રામો દોડતી હતી. ઉનાળો શરૂ થતાં જ દર વર્ષે શીતળા, કૉલેરા, પ્લેગ નિયમિત રીતે આવતાં અને થોડી બસ્તીઓ ખેદાનમેદાન કરીને ચાલ્યાં જતાં. વરસાદ પડતો અને બધા રસ્તાઓ પર પાણી ભરાઈ જતું અને ટ્રાફિક અટકી જતો. ગરમીમાં પીવાનું પાણી ખારું થઈ જતું અને રાતે તકિયાની ખોળીઓ પસીનાથી ભીંજાઈ જતી. રસ્તાઓ પર ઓગણીસમી સદીની ગૅસલાઈટો ઐતિહાસિક રીતે ટિમટિમાતી હતી અને સાંજ પડતાં જ આખા શહેર પર ધુમાડો, અંધકાર, વજન અને નિરાશા છવાઈ જતાં.

કલકત્તા વિચિત્ર હતું. વર્ષો ગુજાર્યા છતાં હજી હું એને સમજતો ન હતો. એને માટે નફરત હતી. અહીંથી ભાગીને દૂર ચાલ્યા જવાની ઈચ્છા છતાં હું ખસી શકતો ન હતો. અહીંના જીવનમાં મુંબઈ કરતાં વધુ વૈવિધ્ય હતું. અહીંનાં હવાપાણીમાં, ખોરાકમાં, લેબાસમાં, વિચારોમાં, નીતિમત્તાનાં ધોરણોમાં મુંબઈ કરતાં વિચિત્રતા વધુ હતી અને પાગલ કરી મૂકે એટલી બધી ગંદકી અને ભ્રષ્ટાચાર પણ અહીં બેફામ ફાલ્યે જતાં હતાં. કલકત્તા કોઈનું ન હતું અને એ બધાનું હતું અને દ્વિધામાં, અણસમજમાં વર્ષો જતાં હતાં. (પૃ. 68-69) 


[3]

નીરાએ મને પૂછ્યું, 'તમે લોકો આટલાં વર્ષોથી કલકત્તામાં કેવી રીતે રહી શકો છો?'

'કેમ?'

'આ રહેવાની જગ્યા છે? કેવા માણસો જીવે છે અહીં? આને મોટું શહેર જ કેમ કહેવાય?'

નીરાની વાત ખરી હતી અને એનો એક જ જવાબ હતો - પાંચ હજાર માઈલ દૂર સ્કૉટલૅન્ડથી ડૂગલી કિનારાની જ્યુટ મિલોમાં કામ કરવા આવનાર સ્કૉટ અને અઢીસો માઈલ દૂરના ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાંથી આવતા ઉડિયા મજૂર સુધી દરેક પાસે આનો એક જ જવાબ હતો. કલકત્તામાં પૈસા સસ્તા હતા, જ્યારે પૈસો મોંઘો થશે ત્યારે કલકત્તા મરી જશે... અને બધા જ અહીં આવતા હતા - શિયાળામાં આવતા શાસ્ત્રીય સંગીતજ્ઞો, સિઝન પર રમતા ફૂટબૉલ-હૉકીના ખેલાડીઓ, પ્રદર્શિનીઓ ભરનારા ચિત્રકારો, એન્જિનિયરો, વેપારીઓ, આંતરરાષ્ટ્રીય દાણચોરો, વ્યાજ વસૂલ કરનારા કાબૂલીઓ, બિકાનેરના વેરાનમાંથી ઊતરી પડેલા મારવાડીઓ, સફાઈદાર કાળા મદ્રાસીઓ, મુંબઈની જીવલેણ હરીફાઈ અને અદેખાઈથી ડહોળાયેલી વેપારી દુનિયાથી ભાગી આવીને અહીં સહેલાઈથી સફળ થઈ ગયા પછી મુંબઈની કલ્પના કરીને છટપટતા મુલાયમ ગુજરાતીઓ. બધાનો ગુજારો અહીં થઈ જતો હતો. હિંદુસ્તાનનાં ગંદામાં ગંદા શહેરમાં બીજા કોઈપણ શહેર કરતાં, રાજધાની દિલ્હી કરતાં પણ વધુ યુરોપિયનો રહેતા હતા, એ એક હકીકત હતી. (પૃ. 69-70) 

[4]

કલકત્તા પાસે આપવાનું, સમજવાનું ઘણું હતું - ઘણું જે હું પણ બહુ ઓછું સમજ્યો હતો.

કીપ્લિંગ અને થેકરેથી જહોન માસ્ટર્સ સુધીના સાહિત્યિકોની એક યશસ્વી કતાર કલકત્તા સાથે વણાયેલી હતી. અહીંની કૉન્ટીનેન્ટલ હોટેલમાં માર્ક ટ્વેઈન આવી ચૂકેલો હતો. મિશન રોમાંથી અંધારી રાતોએ ડેલહાઉસીનું ભૂત દબદબા સાથે સવારીમાંથી નીકળતું એમ બુઢ્ઢા દરવાનો આંખો ઝીણી કરીને યાદ કરતાં. દિલ્હી દરબારમાંથી આવેલા પાંચમા જ્યોર્જના મનોરંજન માટે કાચની કર્શવાળા મહેલમાં રાતભરમાં બબ્બે લાખ રૂપિયા ફેંકીને ધનાઢ્ય હિંદુ વેપારીઓએ નગ્ન પરીઓને નચાવેલી. એ જ એશના કૅફમાં ઊભા થયેલા મલ્લિકના પેલેસમાં અંધારા ઓરડાઓમાં કલાસ્વામી, રૂબેન્સ, મ્યુરીલો અને સર જેશુઆ રેનોલ્ડ્ઝનાં વિરાટ, અમૂલ્ય અપ્રાપ્ય કૅન્વાસો ગમગીનીમાં જડાયેલાં ઊભાં હતાં. આસપાસ ફેલાયેલા બંગાળી જમીનદારોની અગણિત મહેલાતોનાં ખરી રહેલા ખંડિયેરોમાંથી બુઢ્ઢી થઈ ગયેલી, સંસ્કારિતાનો, સિતમનો, પલંગો પર સુવાડી સુવાડીને ભોંયરામાં દફનાવી દીધેલી ગોરી કમસિનોના રૂંધાયેલા શ્વાસનો, ખવાઈ ગયેલા ઐશ્વર્યનો કરુણ ઈતિહાસ ઝરતો હતો. કલકત્તા જીવતું હતું અને તવારીખના આંચકાઓ પસાર થઈ જતા હતા. (પૃ. 72-73)

હિન્દુસ્તાનનું વર્ણન અતીતવન નવલકથામાંથી

[1]

આ હિન્દુસ્તાન હજારો વર્ષોથી જીવે છે. અહીં દુ:શાસકો આવી ગયા અને સુશાસકો આવી ગયા. પર્શીઅનોનો દરિયાવુશ આવ્યો અને યુનાનનો ઈસ્કન્દર આવ્યો. કુશાનોનો કેડફીસીસ આવ્યો અને બેક્ટ્રીઅનોનો મિનેન્દર આવ્યો. શકોનો નહપાણ આવ્યો, હૂણોના તોરમાણ અને મિહિરગુલ આવ્યા. અરબોનો ઈબ્ન કાસિમ આવ્યો અને ગઝનવીઓનો મુહમ્મદ આવ્યો. ગુલામ અને ખલજી અને તુઘલિક આવ્યા. તુર્ક-તાતાર-મંગોલ આવ્યા. અને હજી કેટલાય આવશે. કોને ખબર? પેઢીઓની પેઢીઓઆ હિન્દુસ્તાનની ધરતી નીચે દફન થઈને સૂઈ ગઈ છે અને એમની ઉપર દર વર્ષે ઘઉં અને બાજરાનાં ખેતરો લહેરાય છે. પાગલો આવશે અને જશે અને હિન્દુસ્તાન ઊગતા સૂરજની જેમ ચમકતું રહેશે. (પૃ. 174-175) 

[2]

પૃથ્વીના પટ પરથી કેટલા બધા દેશોના ઈતિહાસોને પૂર્ણવિરામો મુકાઈ ગયા છે. બેક્ટ્રીઆ અને પાર્થીઆ, કાર્થેજ, ફીનીશીઆ અને આસીરીઆ, બાબિલોનીઆ, રૂમ અને શામ, સુમેરિયા, યુનાન, મિસ્ર, સ્કીધીઆ...

પણ ભારત જીવે છે, જીવશે.

અને ચોમાસાના વરસાદની જેમ ભારતના ઈતિહાસ પર વિદેશીઓ વરસતા રહ્યા છે.

પર્શ્યનોના સાયરસ અને દેરિયસ, આસીરીઅનોની સેમિરામીસ, સીરીઅનોનો એન્ટીઓક્સ, યુનાનીઓના ઈસ્કંદર અને સેલ્યૂકોસ.

કુશાનોનો કેડેફીસીસ અને બેક્ટ્રીઅનોના ડીમીટ્રીઓસ અને મિનેન્દર-

શકોનો નહપાણ, હૂણોના તોરમાણ અને મિહિર ગુલ.

શ્રીલંકાનો પરાક્રમ બાહુ અને તિબ્બતનો સ્ત્રોંગ-સાન-ગામ્પો.

અરબોનો ઈબ્ન-કાસ્મિ, ગઝનવીઓનો મુહમ્મદ, મામલુક ઐબક, ખલજી અલાઉદ્દીન, તુઘલિક મુહમ્મદ.

સમરકંદનો તૈમુર, ફરઘાનાનો બાબર, તુર્ક-તાતાર-મંગોલ.;

ફિરંગીઓનો ડા'ગામા અને આલ્બુકર્ક, ફ્રેંચ દુપ્લે, અંગ્રેજ ક્લાઈવ-

ઈરાનીઓનો નાદિર કુલી અને અફઘાનોનો અબ્દાલી-

અને પાકિસ્તાનીઓના અય્યુબ અને યાહ્યા. બધા આવીને ફૂંકાઈ ગયા છે.

આ ધરતીની નીચે દટાયેલી વિદેશી સૈનિકોની પેઢીઓ પર દર શિયાળે ઘઉંની ફસલો લહેરાય છે, મેઘદૂતવાળો વરસાદ દર ચોમાસે બરાબર પડે છે, બેલાનાં ફૂલો દર ઉનાળાની રાતે બરાબર ફાટે છે, હજારો વર્ષોથી ગંગા અગણિત હિન્દુ પેઢીઓની અસ્થિઓ વહાવીને લઈ ગઈ છે અને હજારો વર્ષોથી આ હિન્દુસ્તાનની ધરતી પર હિન્દુનો પુનર્જન્મ થતો રહ્યો છે...(પૃ. 194-195) 

[3]

આ ધરતી વિશ્વ માટે સ્વપ્નભૂમિ હતી. આ ધરતી સુખ અને ઐશ્વર્યની, સોનાની અને રત્નોની હતી. દૂર દૂરથી આક્રમકો, વેપારીઓ, સૈનિકો, વિદ્વાનો, પ્રવાસીઓ આ ધરતીની શોધમાં પ્રત્યેક સદીએ આવતા રહ્યા છે. જુદા જુદા ધર્મના, જુદી જુદી પ્રકૃતિના માણસો આ ધરતી પર આવીને કૃતાર્થ થયા છે. શાંતિ અને યુદ્ધનું ચક્ર આ ભૂમિ પર ઋતુઓના પરિવર્તનની જેમ ફર્યું છે. આ ભારતની ધરતી સૃષ્ટિની પારાવાર પ્રજાઓને અને વ્યક્તિઓને એમની સાધનાઓ અને પિપાસાઓનાં ફળ આપતી રહી છે. (પૃ. 196) 


[4]

આપણે આધુનિક બનવામાં બહુ વાર લગાડીએ છીએ. 

ત્રણ હજાર માઈલનો સમુદ્રતટ હોવા છતાં આપણાં રાજ્યોએ નૌકાદળની પ્રણાલી ખીલવી નહીં. ગઝની અને ઘોરીના ઘોડાઓ આપણાં મેદાનો જીતી ગયા. બાબરની તોપોએ ભારતનું તકદીર સીવી લીધું. અંગ્રેજોના જહાજોએ આપણું ભવિષ્ય ઘૂંટી નાખ્યું. પણ આપણે આપણા યુદ્ધહાથીઓ અઢારમી સદી સુધી છોડ્યા નહિ, ઓગણીસમી સદી સુધી આપણાં ઢાલ-તરવાર છૂટ્યાં નહીં. સમુદ્ર ઓળંગીને આપણે જોયું નહિ - દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. બેહોશીમાંથી કળ વળતાં આપણે સદીઓ ગુજરવા દીધી. આપણી શાંતિપ્રિયતાને આપણે નપુંસકતા સુધી સડવા દીધી. વૃદ્ધત્વને, જડત્વને, વાસ મારી ગયેલી પ્રણાલિકાને આપણે મૂર્તિપૂજાના સ્વરૂપમાં ફેરવી નાખી.

આક્રમણ એ સંરક્ષણનો જ ભાગ છે. યુદ્ધ એ શાંતિનું જ અંગ છે. શૌર્ય એ ઔદાર્યનો જ એક હિસ્સો છે. અહિંસા શીખતાં પહેલાં પ્રતિહિંસા શીખવી એ આપણા અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે. નવસર્જન માટે સંહાર પણ લાઝમી બની જાય છે.

આ આપણો ઈતિહાસબોધ છે. (પૃ. 283)

હિન્દુસ્તાનનું વર્ણન સુરખાબ નવલકથામાંથી

હિન્દુસ્તાન-આવતા ભવમાં જન્મવાનું મન થાય એવું હિન્દુસ્તાન ફેલાયેલું પડ્યું હતું. આકાશ અને પથ્થરો, રેતી અને આમ્રકુંજો, વરસાદો અને કોયલો, ચિતાઓ અને બર્ફ, લૂ અને કબરો-ઈતિહાસ અને યથાર્થનું ધૂપછાહી હિન્દુસ્તાન, કાળી આંખોવાળી મુગ્ધાઓનું અને તારાઓ ભરેલા આકાશવાળું અને ઘંટારવોના ધ્વનિઓ વહાવીને લઈ જતી નદીઓવાળું હિન્દુસ્તાન, અડધી દુનિયા ફરીને જે ખરાબીઓ અને સારાઈઓ જોઈ ન હતી. એ આ ધરતી પર જોઈ હતી. પાંચ હજાર વર્ષનાં દુ:ખોએ જડ, અમાનુષિક બનાવી દીધેલા માણસો અહીં હતા, હાથીઓના કદની સુસ્તગી હતી, માખીઓનો ગણગણાટ અને તડકાને ઝલઝલાવી દેતો મોરગુચ્છોનો કલાપ હતો, ભાંગમાં ધોળાયેલી પ્રવાહી સાંજો હતી અને જટાઓમાં ખોવાઈ ગયેલી વાસનાઓ હતી. હિન્દુઓની શ્વેત પવિત્રતાઓ આંખોમાં ખૂંચ્યા કરતી હતી અને ખંજરની ધાર પર સત્તાઓના નૃત્ય-દાવો ખેલાઈ રહ્યા હતા...

અને આ દેશ પછડાટ ખાઈ ચૂક્યો હતો. કંઈક જબરદસ્ત કમી હતી આ દેશમાં, જ્યાં જવાની એ સૌથી મોટું પાપ હતું અને વૃદ્ધત્વથી વધીને બીજું સાતત્ય ન હતું. જૂઠ કલાસ્વરૂપ બની ચૂક્યું હતું, દંભ રૂંએ-રૂંઆમાંથી પરાગની જેમ હિન્દુસ્તાની ત્વચામાંથી ઝરી રહ્યો હતો. સદાચાર અને દુરાચારની વ્યાખ્યાઓ માણસ પોતાની વ્યવસ્થા પ્રમાણે સજાવી લેતો હતો. જ્યાં સ્ત્રીઓ પર કરોડો અન્યાય ગુજારીને એને માતૃત્વનું વરિષ્ઠ પદ આપીને પુરુષ-સંચાલિત સમાજ નીતિની સોદાબાજી કરવામાં કોઈ જ સંકોચ અનુભવતો નહોતો. શતકો ગુજરતા જતા હતા અને માણસ નાનો બનતો જતો હતો અને ભૂતકાળના ગૌરવને એક પીડાની જેમ સહલાવી રહ્યો હતો. આગ્રહી અ-સત્ય દરેક ત્યાગી નિર્લજ્જતાથી ઉચ્ચારતો જતો. ફેફસાંઓમાં કાળો શ્વાસ ભરેલા, ફદફદી ગયેલા ધનપતિઓ સમયના નવા દેવતાઓ હતા. હિન્દુસ્તાની માણસ વર્તમાનથી ડરી રહ્યો હતો. એક ગ્રંથિમાં એક લજ્જામાં થરથરી રહ્યો હતો, એનું વીરત્વ સીમટી સંકોચાઈને પુરુષની મૂછોના વળ પર આવીને અટકી ગયું હતું. નપુંસકતા પ્લેગ કે શીતળાના રોગની જેમ સમસ્ત પ્રજાને રુગ્ણ બનાવી ચૂકી હતી. ભાંગ, ભગવો અને ભૂતકાળના ત્રિવિધ કવચ નીચે એ બેહોશ થઈ જતી હતી ત્યારે એને શાંતિ મળતી હતી. 

અને સુરખાબો હતી હિન્દુસ્તાનમાં. અપવાદો નિત્ય આવતા રહેતા હતા આ ધરતી પર, રણમાં ખીલી જતા એકાદ રંગીન ફૂલની જેમ કે સફેદ મોરની જેમ જે ગ્રીષ્મની વૃષ્ટિની જેમ અને ઈતિહાસનો, જનજીવનનો, સાંપ્રતનો, સમતલ પ્રવાહ એ જ મંથર ગતિથી ભેંસના શ્વાસની જેમ, ગુજર્યા કરતો. ઈશ્વરે એક મહાન ધરતી પર ગૌણ પ્રજાનું સર્જન કર્યું હતું, જેનામાં આખી જિંદગી ભૂખે મરીને સમયના અંત સુધી જીવતા રહ્યા કરવાની જિદ્દી જીજીવિષા હતી, જેની આંખોમાં ઈન્સાનનું ભવિષ્ય એ કરોડો જોજનો દૂર ટિમટિમાતા ગ્રહો-નક્ષત્રોની રમતનો એક જ્યોતિષી અખાડો હતો, જે સ્ત્રીના પેટમાંથી પુત્ર પેદા કરી આપનારી બંદરી પ્રવૃત્તિને પુરુષત્વની સીમા સમજતી હતી.

અને છતાંય હિન્દુસ્તાનિયત હતી આ દેશમાં, પાંચ હજાર વર્ષ પુરાણી હિન્દુસ્તાનિયત: તુલસી અને સાપ, સ્મશાન અને યોગ, માયા અને અગરબત્તી અને લિંગ, છાશ અને બીડી અને દશેરા અને પાન, શતરંજ, મેંહદી, લાજ, ચારપાઈ, મદારી, શંખ, શર્બત, વડવાઈઓ, પતંગો, શીર્ષાસન, મંડપ, તાંત્રિકો, બરફી, અસ્થિ-વિસર્જન. જગતમાં બહુ ઓછી જગ્યાઓ પર હતું એવું બધું કેટલુંય, રંગો-વાસો-ઉષ્માઓ-ઠંડકો, મિજાજો, સંસ્કારો, રક્ષાબંધન અને શ્રાદ્ધ અને ઓમ તત સત...

(સુરખાબ: પૃ. 165-166)

એક નવલકથાકારના અંગૂઠાની વાત

નવલકથા લખવાની મને હમેશાં મજા આવી છે. માટે જ મારાં ચોપન પુસ્તકોમાં એકવીસ નવલકથાઓ છે. પહેલાં વાર્તાઓ લખવાની મજા આવતી હતી. સવા બસો-અઢીસો જેટલી લખી. 1951થી આજ સુધીમાં - દેશભરની ભાષાઓમાં છપાઈ. પછી નેપાલી, ઉર્દૂ, પૂર્વ યુરોપની ભાષાઓમાં છપાઈ. ગમ્યું. અને ગુજરાત સરકારે કેસ ઠોકી દીધો એટલે મેં વાર્તા લખવી બંધ કરી દીધી. એમાં પૈસા મળતા નથી, સરકાર ઈનામો પણ આપતી નથી. વાચકો વાંચીને ભૂલી જાય છે અને સરકાર પુલિસ કેસ કરીને ભૂલી જાય છે...અંતે એમાં ખુવાર થવાનું છે.

ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા મરી ગઈ છે એનું હવે દુ:ખ રહ્યું નથી. 

નવલકથા જુદી વસ્તુ છે. વાચકોએ જબરદસ્ત પ્રેમ કર્યો છે. પ્રકાશક ખુશ છે, તંત્રી ખુશ છે, હું પણ ખુશ છું. હું ધારાવાહિક નવલકથાઓનો લેખક છું. મારી છેલ્લી તેર નવલકથાઓ ધારાવાહિક છપાઈ છે. દર રવિવારે લગભગ 3 લાખ પરિવારોમાં પહોંચતું સમાચારપત્ર અંદાજે 30 લાખ વાચકો સુધી પહોંચે છે, એટલે કે દર રવિવારે મારી નવલકથા જગતના દસ ટકા ગુજરાતીઓ સુધી પહોંચી શકે છે.

'લીલી નસોમાં પાનખર' છપાઈ રહી હતી ત્યારે 25 માર્ચ 1984ના રવિવારના અંકમાં 20મા પ્રકરણની સાથે 19મું પણ ફરીથી બીજી વાર પૂરું છાપવું પડ્યું કારણ કે અમદાવાદમાં ફેરિયાઓની હડતાળ પડવાથી ગુજરાતના વાચકોને એ હફ્તો મળ્યો ન હતો! કોઈ પણ વર્તમાનપત્રને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ રવિવારે એક આખું પાનું ભરીને જાહેરખબરો ન છાપવી પોષાય નહીં...પણ ગુજરાતી નવલકથાના પ્રકરણ માટે હજારો રૂપિયાની જાહેર ખબરો ખસેડાય છે એ વસ્તુની નોંધ લેવી જોઈએ!

ગુજરાતી નવલકથાના ઈતિહાસમાં આ ઘટના કદાચ પહેલી વાર બની છે. 

વાચકો વિના કોઈ નવલકથા હોતી નથી. આજે ગુજરાતી નવલકથાકારોમાં સરસ મજા પડે એવું ગંભીર લખનારા નવલકથાકારો ઓછા છે. ઘણાખરા શેઠાશ્રયી, સરકારાશ્રયી, પરિષદાશ્રયી, પ્રતિષ્ઠાનાશ્રયી નવલકથાકારો છે. ખોખલા છે અંદરથી. જ્યારે ગુજરાતીના તથાકથિત મહાન નવલકથાકારોનો વિચાર કરું છું ત્યારે મને 'પંચ'માં જોયેલું એક કાર્ટુન રહી રહીને યાદ આવ્યા કરે છે: એક મંચ પર આઠ લગભગ નગ્ન 'કેન-કેન' નર્તકીઓ પગ ઉછાળીને એક કતારમાં નાચતી હતી. એક નગ્નિકા બીજી નગ્નિકાને પૂછે છે: તને એવી 'હોરીબલ ફીલિંગ' થતી નથી કે કોઈ તારી સામે જોતું નથી?...લોકો જેમને વાંચતા નથી એ મહાન ઈનામવિજેતા નવલકથાકારોની 'હોરીબલ ફીલિંગ' હું સમજી શકું છું! તમે નાગા થઈને પગ ઉછાળવા માંડો માટે જ દર્શક તમને જુએ એવું બનતું નથી...નવલકથામાં ખાસ !

લેખક નવલકથાનો પાઈલટ છે, વાચક એનો નેવીગેટર છે. નેવીગેટરના ખોળામાં પૂરા આસમાનનો નક્શો ખુલ્લો પડ્યો છે. એક ચાલક છે, બીજો માર્ગદર્શક છે, રહનુમા છે. વાચક લઈ જાય છે એ ઊંચાઈએ કથાકાર પહોંચી શકે છે. કોકપીટમાં એ પણ તમારી સાથે બેઠો છે, એનું મુકદ્દર પણ તમારી સાથે જોડાયેલું છે. નવલકથા અંશત: વાચકની કલાવિદ્યા છે...

કવિ પોતાના રોદણાં રડી શકે છે એકલો એકલો. સેક્સની ભાષામાં કહીએ તો રતિ કર્યા કરે, ક્રીડા ન કરે, અથવા ન કરી શકે. એક આખી પ્રજાની વેદનાને વાચા આપનારો ગુજરાતી કવિ આવતી પેઢીમાં કદાચ પૈદા થશે. ગુજરાતી કવિને ત્રણ કરોડ ગુજરાતી પ્રજાના સુખદુ:ખ સાથે એવો કયો સંબંધ છે?

નવલકથા જુદી વસ્તુ છે. એ મર્દાઈનો ખેલ છે. નવલકથાકાર ફૂલને પીંછીથી રંગી શકે છે, ફૂલનો અર્ક ટપકાવી શકે છે, ફૂલનો એક્સ-રે લઈ શકે છે, ફૂલને બાળીને એમાંથી અત્તર કાઢી શકે છે, અને ફૂલને સ્પર્શની પણ હિંસા કર્યા વિના એને સૂંઘી પણ શકે છે. એ ગરૂડની જેમ એક પગ પર એકલો ઊભો રહી શકે છે, એ વાંદરાની હથેળીની રેખાઓ જોઈને ભવિષ્ય કહી શકે છે, એ વિલમ્બિત તીન તાલમાં હસી શકે છે, એ શ્વાસ અને વિશ્વાસના 'નો મૅન્સ લૅન્ડ'માં જાગતો રહી શકે છે, એ શબ્દોના લેન્સ બદલીને મંથરાની આંખે રામાયણ જોઈ શકે છે, એ ઘાસની કૂંપળને ફૂટતી સાંભળી શકે છે, એ બૂઝાતી આંખોમાંથી છટકી જતી જિંદગીને બંધ આંખોમાં કેદ કરી શકે છે! દરેક વ્યક્તિના શરીરમાં એક 'સિમ્પેથેટિક નર્વસ સિસ્ટીમ' હોય છે પણ નવલકથાકારની સિમ્પેથેટિક નર્વ્ઝ વધારે આર્દ્ર હોય છે. કારણ કે અન્ય કલાકારો કરતાં નવલકથાનો લેખક જીવાતા જીવનની વધુ નિકટ હોય છે...એને રહેવું જ પડે છે, જીવનને જોવું, અનુભવવું, સહન કરવું પડે છે, જીવનની વાર્તા કહેતાં શીખવું પડે છે. 

ગુજરાતી નવલકથા અ-બ્રાહ્મણ રહી છે, જ્યારે કવિતા પર બ્રાહ્મણોનો કબજો રહ્યો છે. અને માટે જ એક અત્યંત વલ્ગર વિધાન ગુજરાતી ભાષામાં કરવામાં આવે છે: વાર્તા કવિતાની ઊંચાઈએ પહોંચી છે! કુમારના ચંદ્રકોથી સાહિત્ય અકાદમીની સોગાદો સુધી જુઓ - ડઝનો ઈનામો અકરામો અપાય છે. એમાં કવિઓ કેટલા બધા છે? કવિતાઓમાંથી વટલાઈને નવલકથાકાર બનેલા કેટલા છે? અને માત્ર નવલકથાનું ત્રિશૂળ ઉપાડીને બલિ થઈ ગયેલા નવલકથાકારો કેટલા છે? પંદરમી સદીના યુરોપીય જીવનમાં કેથલિક ધર્મગુરુઓ જે રીતે મનમાની કરતા હતા એમ જ ગુજરાતી સાહિત્યમાં નબળા કવિઓ ઘણાખરા લાભ ઉઠાવી ગયા છે. નવલકથાની એક સશક્ત કલાસ્વરૂપ તરીકે ગુજરાતનાં પ્રતિષ્ઠાનોએ ક્યારેય ઈજ્જત કરી નથી. નવલકથાને એક શૂદ્ર પ્રવૃત્તિ તરીકે જોવામાં આવી છે પણ નવલકથા એના ધર્મ પ્રમાણે આખા સાહિત્યનું સમુદ્રતલ ફાડીને, 35000 ફીટના મહાસાગરની જલરાશિ ચીરીને, જ્વાલામુખીની જેમ પાણીની સતહ ઉપર આવીને ફાટે છે અને આગ ફેંકી શકે છે...સૂર્યની દિશામાં!

ગુજરાતી નવલકથાને ગુજરાતી પ્રજાએ છાતીથી લગાવી છે. હિંદી કે બંગાળીમાં ધારાવાહિક નવલકથા આ હદે સફળ થઈ શકી નથી! છે, પણ ગુજરાતી જેવી નહીં. મરાઠીમાં ધારાવાહિક નવલ નથી. દક્ષિણની મલયાલમ, તામિલ, કન્નડામાં છે. કદાચ ગુજરાતીમાં ધારાવાહિક નવલ સૌથી સફળ પ્રકાર છે. સાપ્તાહિક રવિવારની દરેક પૂર્તિ ધારાવાહિક છાપે છે. મારા અંદાજ પ્રમાણે આપણી એક ડઝન રવિવારીય પૂર્તિઓ અને અડધો ડઝન સાપ્તાહિકના નવલકથાકારો ભૂજથી મુંબઈ સુધી દર સપ્તાહે દોઢથી બે કરોડ ગુજરાતી વાચકો સુધી પહોંચે છે! સાહિત્યની દુનિયામાં આનાથી વધુ સફળ, સશક્ત અને લોકપ્રિય સાહિત્યપ્રકાર બીજો કયો છે?

પણ બુદ્ધિજીવી પ્રોફેસરો અને દુર્બુદ્ધિજીવી વિવેચકોને આ વાતની હજી સુધી ખબર પડી નથી!

નવલકથા બે પ્રકારની લખાતી હોય છે. એક જે લોકો વાંચે છે, અને બીજી જે લોકો નથી વાંચતા. લોકો એટલે? ગુજરાતી ભાષાનાં અડધો ડઝન સાપ્તાહિકો અને એક ડઝન છાપાં ખરીદીને વાંચતા ગુજરાતીઓ! લોકો એટલે જેમણે મને 1951થી 1984 સુધી એકવીસ નવલકથાઓ સુધી જીવતો રાખ્યો છે એ ત્રણ ગુજરાતી ભાષી પેઢીઓ! લોકો એટલે પર્સમાં પૈસા લઈને શાક લેવા જતી મધ્યવર્ગીય ગૃહિણી, જે મનપસંદ વાચનસામગ્રી ખરીદી શકે છે, જે બપોરે સૂતી સૂતી વાંચી શકે છે! લોકો એટલે એ ગુજરાતી માતા અને પત્ની અને એનો પરિવાર...! લોકો એટલે વિવેચનો નથી વાંચતા એ લોકો!

દરેક નવા વાચકની સાથે લેખકનો પણ પુનર્જન્મ થતો હોય છે.

1954-55માં હું મારી પ્રથમ નવલકથા 'પડઘા ડૂબી ગયા' શરૂ કરતો હતો, 1984માં મેં મારી એકવીસમી નવલકથા 'લીલી નસોમાં પાનખર' પૂરી કરી છે. મેં લખવું શરૂ કર્યું ત્યારે કનૈયાલાલ મુનશી હતા, રમણલાલ દેસાઈ હતા, ધૂમકેતુ હતા. ત્રીસ વર્ષ પહેલાં એમની રિયાસત હતી. પછી ઘણાં નામો આવ્યાં, આવતાં ગયાં. ચુનીલાલ મડિયા અને પન્નાલાલ પટેલની જાનપદી કથાઓ આવી, બીજા આવ્યા, અમે આવ્યા, અમારા પછી બીજા આવ્યા, મુઘલ દરબારમાં નવાજેશ થતી હતી એમ ઘણાને સિર-ઓ-પા (શિરપાવ) આપીને લાદી દેવામાં આવ્યા અને એ નવલકથાકારો એમાં જ દફન થઈ ગયા. ગુજરાતી નવલકથા ફિનીક્સ પક્ષીની જેમ પોતાની જેમ જ ખાકમાંથી જન્મીને ઊઠતી રહી. નવલકથામાં એ જ જીવ્યા જેમને લોકોએ સ્વીકાર્યા. નવલકથાકાર સરકારને ખોળે બેસવાથી જીવતો રહી શકતો નથી. એ જિંદગીભર 'ફેરેક્સ બેબી'ની જેમ જીવી શકે નહીં, સિંહના બચ્ચાની જેમ એણે પોતાનો શિકાર શોધવા નીકળવું પડે છે, પોતાના જખમ પોતે ચાટતા રહેવું પડે છે. નવલકથાકાર સરકારી રાજ્યસભાનો માણસ નથી, એ લોકોની લોકસભાનો પ્રતિનિધિ છે...

બહુ જ અઘરું હોય છે એ કહેવું કે નવલકથા કેવી રીતે જન્મે છે? કઈ નવલકથા પ્રિય, કઈ શ્રેષ્ઠ? શબ્દ સાથે કેવો સંઘર્ષ કર્યો? અનુભવ કેટલો જરૂરી? શૈલીનું કેટલું મહત્વ? નવલકથા લેખનમાં યોજના કે આયોજન કેવી રીતે કરો છો? અંગ્રેજીમાં કહે છે એ 'રાઈટર્સ બ્લૉક'નો અનુભવ કર્યો છે? થાક લાગ્યો છે? કોઈ સંદેશ, રૂપક, પ્રતીક, બિમ્બ ક્યાંય વાપર્યું છે? લેખન સાહજિક હોય છે? વાંચો છો. મથામણ થઈ છે, મનોમંથન થયું છે? પાત્રો જીવંત હોય છે? સફળતાની કોઈ ફૉર્મ્યુલા છે? કેવી રીતે લખો છો?...

આવા બેશુમાર પ્રશ્નો પૂછી શકાય અને ન સમજાય એવી દીર્ઘસૂત્રી ભાષામાં ઉત્તરો પણ આપી શકાય. પણ કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે. કલાકાર તરીકે અને નવલકથાકાર તરીકે હું માનું છું કે જીવનને ભોગવવું પડે છે, પછડાવું પડે છે, માર ખાવો પડે છે, માનહાનિમાંથી ગુજરવું પડે છે, જેમને પ્રેમ કર્યો છે એમને માટે ખુવાર થવું પડે છે, પસાર થયેલાં વર્ષોના જખમો સાચવવા પડે છે, મૃત્યુની સાથે શતરંજ રમી લેવી પડે છે, હસવું પડે છે...અને એકલા બેસીને લખવું પડે છે. ખૂબ લખવું પડે છે, ખૂબ ખૂબ ખૂબ લખવું પડે છે. કિસ્મત હોય તો થોડી સફળતા મળે છે. અને થોડી સફળતા મળે એને હું ખુશકિસ્મતી કહું છું.

મારી નવલકથાઓ મારી કલકતાની દુકાનના કાઉન્ટર પર લખાઈ હતી. હું વ્યવસ્થિત ગુજરાતી પણ ભણ્યો નથી. મારો જીવનનો અનુભવ સુખી ગુજરાતીનો નથી. મારી ભાષા પણ સાફ નથી. મને વ્યાકરણ આવડતું નથી, જરૂર પણ નથી. પણ મારી ભાષા, મારી વાત, મારો અનુભવ, મારી દ્રષ્ટિ ઈમાનદાર છે. નવલકથાકાર પાસે એક વસ્તુ હોવી જ જોઈએ - ઈમાનદારી! ઈમાનદાર લેખક વાચકના દિલ સુધી પહોંચી શકે છે, વાચક એને વફાદાર રહે છે. લેખકની ઈમાનદારી અને વાચકની વફાદારી એક એવો સંબંધ છે જે લેખકની આંખો મીંચાઈ ગયા પછી અને લેખકની ખાક ઊડી ગયા પછી પણ જીવે છે. નવલકથાના લેખક અને વાચકનો સંબંધ ફક્ત ઉઘાડી આંખોની શરમનો વ્યવહાર તો નથી! બૂઢાપામાં લેખક થાકતો હોય તો પણ વાચક એની ખાનદાની રાખતો હોય છે, માફ કરી દેતો હોય છે એવો મારો અનુભવ છે....

ગુજરાતી નવલકથાનો ઈતિહાસ એકસો વર્ષ જેવો કહી શકાય. ત્રીસ વર્ષ પહેલાં હું નવલકથામાં આવ્યો અને આવતીકાલે આંખો મીંચાશે ત્યારે મને કોઈ રંજ નહીં હોય. ત્રીસ વર્ષ પહેલાંની અને આજની નવલકથામાં જે ફર્ક હશે એમાં મારું એક યોગદાન હશે. અને મારા વિશે એક લીટી પણ ન લખાય તો મને વાંધો નથી. પૂરા ગુજરાતી સાહિત્યના ફલક પર મેં ફક્ત ત્રણ માણસો સામે ગર્દન ઝુકાવી છે: નર્મદ, મુનશી અને મેઘાણી. એ મારા પૂર્વજો છે...અને એકલવ્યની જેમ મેં મારો અંગૂઠો આ પ્રતિમાઓના ચરણમાં મૂકી દીધો છે...

(મે 10, 1984) ('લીલી નસોમાં પાનખર'ની પ્રસ્તાવના)

તમે જે ભાષા બોલો છો એ ગુજરાતી છે?

ભાષા જીવનભર પ્રેમ કરવાની વસ્તુ છે અને બુદ્ધિમાન માણસ એકભાષી નથી હોતો. એક જૂની વિદેશી કહેવત પણ છે કે, સ્ત્રી અને ભાષા પર કોઈનો એકાધિકાર નથી હોતો. ભાષાનો અભ્યાસ વિસ્મયનું વિશ્વ છે. જેણે આશ્ચર્ય પામવાની નિર્દોષતા ખોઈ નાખી છે, એણે ભાષાનો પાતાળપ્રદેશ ન કરવો જોઈએ. ભાષા દરેક શિશુ લખતાં પહેલાં બોલતાં શીખી જાય છે અને દરેક મનુષ્ય છેલ્લા દમ સુધી શીખતો રહે છે. ભાષા કાનથી, આંખોથી, આંગળીઓથી, ગળાથી શીખવાની વસ્તુ છે. ભાષા લખાયેલો કે લેખિત શબ્દ છે, બોલાયેલો વાચિક શબ્દ છે, અભિનય કરાયેલો કે અભિનીત શબ્દ છે, દરેક બોલાયેલા વાક્યનો દરેક મનુષ્યનો એક સ્વગ્રાફ હોય છે, એક લય હોય છે, એક રિધમ હોય છે, એક રવાની હોય છે, એક ધ્વનિનો કાર્ડિયોગ્રાફ હોય છે, એક સંગીતલિપિ હોય છે. લખાયેલું વાક્ય મહાન હોઈ શકે છે પણ બેજાન હોય છે, બોલાયેલું વાક્ય કિમાન હોઈ શકે છે પણ જાનદાર હોય છે.

આપણે ઉચ્ચારણને ગુજરાતી ભાષામાં હજી અભ્યાસ ક્ષેત્ર બનાવ્યું નથી. એ તરફ આપણું બહુ ધ્યાન પણ ગયું નથી. જાપાની ભાષામાં 'દ' અને 'ત' છે. રશિયન ભાષામાં 'હ' નથી, 'ટ' નથી, 'ડ' નથી. સુરત-ભરૂચમાં "ઓ"નો પહોળો ઉચ્ચાર નથી, રશિયનમાં પણ નથી. (રશિયનમાં મોલોતોવ શબ્દમાં બધા જ ઉચ્ચાર સાંકડા કરવાના). ડૉ. ગીઅર્સને ગુજરાતી ઉચ્ચારણ વિશે લગભગ સો વર્ષ પહેલાં અભ્યાસ કર્યો હતો. ઉત્તર ગુજરાતમાં 'ક' બદલાઈને 'ચ' થઈ જાય છે (ચેટલાક, ચેટલો) 'છ'નું 'સ'માં પરિવર્તન થાય છે. (સોકરો, પસે) 'સ'ના ઉચ્ચારણના એકથી વિશેષ પરિવર્તનો જોવા મળે છે. (માણહ, હરખું, હમજ્યો) 'સ'નો 'હ' ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી લગભગ સર્વત્ર છે. (હુરટ, વરહાદ, હારું) ગુજરાતી ઉચ્ચારણમાં ઓકારાંત ગ્રામ્ય આંચલોમાં છે (વોણીઓ, નોંખ્યો, પોંચ) ટ, ઠ, ડ, ઢ, ણ ઉચ્ચારણોમાં બહુ જ અરાજકતા છે અને ત, થ, દ, ધ, ન સાથે બદલાઈ જાય છે. (સંસ્કૃતના મૂર્ધન્ય અને દંત્ય) આ પારસ્પરિક ફેરફારોનાં બેશુમાર દ્રષ્ટાંતો છે. (બઢા, ટેઠી, ધનો, ડાણો, એકથું, ટરવું, તાઢ) ચરોતરના ઉચ્ચારણમાં ફેરફારો માત્ર એકાક્ષરી નથી (ચ્યમ, ચ્યો, ચાંણે).

ગુજરાતી ભાષામાં જે ભેદઅંતરો છે એ ઉચ્ચારણ અને વ્યાકરણને લીધે જન્મ્યા છે. થોડાં વાક્યો : હું આવટો છે...બીક ની મલે...હું ટમુને કહી ડેવા....ઢીરેઠી...જોય છે કોન છે...! આ એક કિનારો છે. બીજે કિનારે વિદેશસ્થિત ગુજરાતીઓની ભાષા છે. એક સામ્પલ: (બે સ્ત્રીઓ ટૅલિફોન પર વાતો કરે છે એમાં એક સૂચના આપે છે). યૂ મેઈક મગની દાળ એન્ડ સમથિંગ હૉટ, સમ બૅક્ડ ડિશ ઍન્ડ ખિચડી, મેઈક બિગ કચોરી વિથ ચટની, બિગ મગ બુંદી એન્ડ ધ કચોરી થિંગ...! આ બીજો સિરો છે. વચ્ચે ક્યાંક ગુજરાતી ભાષા છે.

ગુજરાતી ભાષામાં 13 સ્વરો છે, 34 વ્યંજનો છે અને 4 સંયુક્ત વ્યંજનો છે (ક્ષ, જ્ઞ, ત્ર, શ્ર). આધુનિક સંસ્કૃતજ્ઞોમાં એક એવો પણ મત પ્રવર્તે છે કે સ્વરો 'ઐ' અને 'અ' સ્વતંત્ર સ્વરો નથી પણ બે સ્વરોનું મિશ્રણ છે માટે એમનું અસ્તિત્વ ન હોવું જોઈએ. આધુનિક ભાષાશાસ્ત્રીઓએ સ્પષ્ટ વર્ગીકરણ કર્યું છે કે ગળાની અંદર અને જીભ હલાવ્યા વિના સ્વર બોલી શકાય છે જ્યારે વ્યંજન બોલવા માટે જીભ કે હોઠ હલાવવા પડે છે. મેં આફ્રિકાની સ્થાનિક કાળી પ્રજાની ભાષાઓમાં નવાં ઉચ્ચારણો સાંભળ્યાં જે સંસ્કૃતમાં પણ નથી. અત્યાર સુધી હું એમ માનતો હતો કે સંસ્કૃતમાં દરેક ઉચ્ચારણ છે પણ કાળા આફ્રિકન લોકો જીભથી ડચકાર કરતા હોય એમ જે ઉચ્ચારો કરે છે એ આપણે ત્યાં નથી. દ્રષ્ટાંતરૂપે 'મ્પ', 'ન્ગ', 'મ્બ', 'ન્ડ' જેવા ઉચ્ચારો આપણે કરી શકતા નથી, જે ત્યાં સામાન્ય છે. 

ભાષાનું એક ધ્વનિશાસ્ત્ર કે ફોનેટીક્સ હોય છે. ગુજરાતી શબ્દ 'વારુ' ક્યાંથી આવ્યો છે? મરાઠીમાં 'બર' નામનો શબ્દ છે. આપણે ત્યાં બરોબર જે બરાબર શબ્દ છે. આ બર અને આપણા વારુ ને સંબંધ છે?

ગ્રામીણ ગુજરાતીમાં સ્વીકાર માટેનો શબ્દ છે "હોવે". આ હોવેને લોકો 'હા'ના અર્થમાં વાપરે છે. હોવેની વ્યુત્પત્તિ અઘરી છે કારણ કે આવા એકાક્ષરી કે ધ્વનિઆધારિત શબ્દો કાળક્રમે વિકાસ પામે છે. પણ ચીની ભાષામાં આપણા હોવેને મળતો એક શબ્દ મને મળ્યો છે. એ છે: હવૈ! હવૈ એટલે હા, હું કરી શકું છું. ગુજરાતી ભાષામાં કેટલા ચીની શબ્દો છે? મને ખબર છે એટલા આ પ્રમાણે છે: ચા (ત્ચા), લીચીફળ (લી-ચી), ભાતની કાંજી (કોં-જી). આમાં હોવેને સ્થાન મળવું જોઈએ!

અરબીમાં આવી જ એક રોમાંચક વાત વાંચી હતી. અરબી ભાષામાં જ્યારે 'જ' અને 'ન' સાથે આવે ત્યારે અદ્રશ્યતાનો ભાવ અચૂક આવી જાય છે. દાખલા તરીકે, 'જિન', જે એક અદ્રશ્ય જાતિ છે. "જુનૂન" (ઝનૂન) એટલે એવી સ્થિતિ જેમાં બુદ્ધિ અદ્રશ્ય થઈ જાય છે. આના પરથી જ મજનૂન કે મજનૂ શબ્દ આવે છે. મજનૂમાં શું અદ્રશ્ય હોય છે એ દરેક બુદ્ધિશાળી સમજે છે! જન્નત એટલે સ્વર્ગ અને એક અર્થ એવો નીકળે છે કે આ સ્થાને એટલા બધાં વૃક્ષો છે કે ધરતી દેખાતી નથી. રેગિસ્તાની આરબ ધરતીના લોકો માટે સ્વર્ગ વૃક્ષાચ્છાદિત હોય એ કલ્પના સંભવ છે.

અને આ જ તર્કને આગળ વધારીએ કે જ્યાં 'જ' અને 'ન' સાથે આવે ત્યાં કંઈક અદ્રશ્ય હોવું જોઈએ તો જિન્નાહ શબ્દનું કેવી રીતે અર્થઘટન કરીશું? જિન્નાહ (મહમદઅલી ઝીણા) શબ્દમાં હિંદુસ્તાનની થોડી ધરતી અદ્રશ્ય થઈ ગઈ એ નિહિત છે?

ગુજરાતી ભાષાને પણ ગુજરાતી પ્રજાનો કરકસરનો નિયમ લાગુ પડે છે! ગુજરાતી ભાષામાં સંસ્કૃત અને હિંદીની ખડીપાઈ (પૂર્ણ વિરામને સ્થાને વપરાતી સીધી ઊભી લીટી) ન હતી. સંસ્કૃતમાં અલ્પવિરામ માટે એક અને પૂર્ણવિરામ માટે બે લીટીઓ વાપરવાનો રિવાજ હતો. હિન્દીએ એક લીટી અપનાવી લીધી. ગુજરાતી ભાષાએ અંગ્રેજીમાંથી સીધું પૂર્ણવિરામ અપનાવી લીધું. મરાઠી પાસે લિપિ નાગરીની છે પણ પૂર્ણવિરામ ગુજરાતી જેવું છે. હવે હિન્દીવાળાઓએ પણ પૂર્ણવિરામ અપનાવી લીધું છે કારણ કે છાપકામમાં એ વધારે ફાવે છે. ગુજરાતી લિપિમાં અમેરિકનોની જેમ સીધી સચોટતા છે. દરેક અક્ષર સંસ્કૃત અને હિન્દી જેવો છે પણ ઉપરથી માથાં કાઢી લીધાં છે. જેને લીધે ગુજરાતી ભાષા ઝડપથી લખી શકાય છે. બોલવામાં પણ ગુજરાતીઓ ચાર અક્ષરોને સ્થાને સાડા ત્રણ અક્ષરો બોલે છે, દાખલા તરીકે: લગભગ, હિન્દીવાળા 'અનુભૂતિ' શબ્દનો બરાબર 'અનુભૂતિ' જેવો ઉચ્ચાર કરે છે. હ્સ્વ અને દીર્ઘ છૂટા પાડે છે, ગુજરાતીઓ આ બધામાં માનતા નથી. ગુજરાતીઓ લખે છે દિલીપે પણ બોલે છે દિલિપ! છેલ્લાં અક્ષરનો પૂરેપૂરો ઉચ્ચાર કરવો એ ગુજરાતી સ્વભાવમાં નથી. અડધો ટકો વટાવ કે કમિશન કદાચ આપણને માફક આવે છે! જો કે સંસ્કૃત અક્ષર જે ગુજરાતી અક્ષરનો આદિ પિતા છે. આ બાબતમાં વૈજ્ઞાનિક રીતે બોલાય છે. સંસ્કૃતમાં 'વ' ત્રણ રીતે ઉચ્ચારી શકાય: અનુદાત્ત 'વ' જેનો ઉચ્ચાર નીચો છે. પછી ઉદાત્ત "વ" જેનો ઉચ્ચાર સામાન્ય છે. અને ત્રીજો સ્વરિત "વ" જેનો ઊંચો ઉચ્ચાર થાય છે. સંસ્કૃતમાં "ઋ" અને "લૃ" પણ સ્વર છે, વ્યંજન નથી.

મધ્યયુગીન યુરોપનાં વિશ્વવિદ્યાલયોમાં ભાષા બે રીતે શીખવવામાં આવતી હતી. એક વ્યાકરણ રૂપે, જેમાં લખાતી ભાષામાં ક્યાં ક્યાં અટકવું જોઈએ એ પણ શીખવાતું હતું. આ ગ્રામર હતું, બીજી વાચિક ભાષા શીખવાતી હતી જે વક્તૃત્વ અથવા ઓરેટરી હતી. આમાં બોલતી વખતે ક્યાં ક્યાં અટકવું, ક્યાં ભાર મૂકવો, વગેરે શીખવવામાં આવતું. આ બોલાતી ભાષાનું વ્યાકરણ હતું. આજે ભાષાશાસ્ત્ર અનેક રૂપરંગોમાં ખીલી ચૂક્યું છે. ફોનેટીક્સ અથવા ધ્વનિશાસ્ત્ર, મોર્ફીમ અથવા ધાતુશાસ્ત્ર, ઈટીમોલૉજી અથવા વ્યુત્પત્તિ, સિમેન્ટિક્સ અથવા શબ્દાર્થશાસ્ત્ર વગેરે. આ સિમેન્ટિક્સમાં પણ સિમીઓટિક અથવા સંજ્ઞાશાસ્ત્રની પ્રશાખા છે. ભાષા ડઝનો રીતે અને શાસ્ત્રીય પદ્ધત્તિઓથી સમજવાના વિજ્ઞાનો ખીલ્યાં છે ઉચ્ચારણ એ ભાષાના અનેક આયામોમાંનો એક આયામ માત્ર છે, પણ એ એક આવશ્યક આયામ છે.

અંગ્રેજી બોલનાર ઑસ્ટ્રેલિયન જો અંગ્રેજી બોલનાર સ્કોટલેન્ડવાસી સ્કોટને મળે છે તો બંને એકબીજાની ભાષા સમજતા નથી. ઘણી વાર આપણે પણ અંગ્રેજી બોલનાર દક્ષિણ ભારતીયને સમજી શકતા નથી. હું માનું છું કે ઉચ્ચારણ જ પ્રજાને એક વ્યક્તિત્વ આપે છે, માટે ઉચ્ચારણની ભિન્નતાને કારણે કોઈ હીનતાગ્રંથિ ન હોવી જોઈએ. જે ગુજરાતીઓમાં ખાસ છે! ગુજરાતીઓને અંગ્રેજી ઉચ્ચારો માટે લઘુતાગ્રંથિનું કોઈ કારણ ન હોવું જોઈએ. કેટલીક પ્રજાઓના કેટલાક સામાન્ય અંગ્રેજી શબ્દોના ઉચ્ચારો આ પ્રમાણે છે: ઑસ્ટ્રેલિયનો ટેઉન (ટાઉન), નેઉ (નાઉ), આઈટ (એઈટ) બોલે છે. મેં રશિયનોને બોલતા સાંભળ્યા છે: પ્લુસ (પ્લસ), હીર (હિયર).ફ્રેંચોના અંગ્રેજી શબ્દો: (પબ્લિક), ઝી (ધી, જેનો અંગ્રેજી સ્પેલિંગ છે: ટી-એચ-ઈ). અમેરિકન ઉચ્ચારણ: ગાડ (ગોડ), હાટ (હૉટ), ડાય (ડે). એટલે ગુજરાતીઓને ગાંધીજીના આદેશ પ્રમાણે મનપસંદ જોડણી લખવાનો અધિકાર નથી પણ મનપસંદ બોલવાનો અધિકાર જરૂર છે!

જો કે મનપસંદ ઉચ્ચારણ ક્યારેક કષ્ટ આપી શકે છે, જાપાનીઝો "લ"ને બદલે "ર" જ બોલી શકે છે. જ્યારે જ્યારે જાપાન ઍરલાઈન્સનું પ્લેન ઊતરે છે ત્યારે ઍરહોસ્ટેસનો મધુર જાપાની અંગ્રેજી અવાજ સંભળાય છે: વી હોપ યૂ હેવ ઍન્જૉય્ડ યોર ફ્રાઈટ ! (ફ્લાઈટ એટલે ઉડાન, અને ફ્રાઈટ એટલે ફફડાટ!) આશા રાખીએ આ ફફડાટની તમને મઝા આવી હશે...

ક્લોઝ અપ:

એકવાર અકબરે બિરબલને કહ્યું: બિરબલ! મને એક તોહફો લાવી આપ જે મેં ક્યારેક જોયો ન હોય. મારી પાસે ન હોય, એક અજાયબી હોય...! બિરબલે કહ્યું: હુઝૂર, એક વર્ષનો સમય આપો, કોશિશ કરું. બિરબલે એક વર્ષ પુરા હિન્દુસ્તાનમાં ફરીને એક માણસને પકડીને અકબર પાસે હાજર થઈ ગયો.

અકબર ચમક્યો: બિરબલ! આ તો તારા મારા જેવો આદમી છે! આમાં અજાયબી શું છે? બિરબલે કહ્યું: હુઝૂર! આ આદમી છે પણ ચિડિયાની ભાષા બોલે છે! પછી એણે એક કાંટાદાર સળિયો માણસના નિતંબમાં ઘોંચી દીધો. માણસ ચિત્કાર કરતો બોલી ઊઠ્યો: "કિ કોચ્ચો? કિ કોચ્ચો?" અકબર ખુશ થઈ ગયો...

માણસ બંગાળી હતો. કિ કોચ્ચો એટલે શું કરે છે? શું કરે છે?...

(જન્મભૂમિ/પ્રવાસી: જાન્યુઆરી 21, 1990)

('સંસ્કાર'માંથી)

સામાન્ય અંગ્રેજી વાક્યો અને તળપદી ગુજરાતી ભાષાંતર

ફૉરેનથી આવતા ગુજરાતી ટીનએજરોને બોલચાલનું અંગ્રેજી આવડે છે પણ એનું પર્યાયવાચી દૈનિક બોલચાલનું દેશી ગુજરાતી આવડતું નથી. શુદ્ધ, ઉચ્ચભ્રૂ, સાહિત્યિક ગુજરાતી આ માટે નકામું છે. થોડાક સામાન્ય અંગ્રેજી વાક્યપ્રયોગોને તળપદી ઘરેલુ ગુજરાતીમાં મૂકવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ શબ્દશ: અનુવાદ નથી, પણ ઊછળતું ફ્રી કરીબી ગુજરાતી છે!

વિદેશસ્થિત ગુજરાતીઓ સ્થાનિક સુરતી, ચરોતરી કાઠિયાવાડી બોલીઓ બોલતા હોય છે, સુશ્લિષ્ટ ગુજરાતી નહીં. એટલે એ દ્રષ્ટિએ પર્યાયો મૂક્યા છે:

આર યૂ કમિંગ? = આવટો છે?

ઍક્સક્યૂઝ મી = જાવા દે, લ્યાં

બિહેવ યૉર સેલ્ફ = કેમ અલ્યા? માબહેન નથી તારે? 

લિસન = હું શું કહું છું...

કિપ ક્વાયટ = એક પડશેને તો બત્રીસી બહાર આવી જશે.

ડોન્ટ યૂ વરી = ટેસ કરો, તમતમારે...

ગેટ લોસ્ટ! = હાલતો થા, હાલતો!

સૉરી, રૉંગ નંબર = અરે, બાપ રે!

મે આઈ કમ ઈન = આવું કે?

વ્હેર ઈઝ પશાભાઈઝ હોમ? = પશાભાઈનું ઘર કઈ બાજુ?

પશાભાઈઝ હોમ ઈઝ અરાઉન્ડ હિઅર = આ શું રહ્યું?

આયમ બીઝી = ભાળતો નથી?

આયમ સૉરી = આવા શબ્દો ગુજરાતીમાં વપરાતા નથી

ડોન્ટ બી લેટ = ટાઈમ એટલે ટાઈમ

હેલો! = જી!

યોર્સ ફેઈથફૂલી = લિખિતંગ

ટેઇક ઈટ ઈઝી = શોંતિ રાખો, શોંતિ રાખો!

ગો અહેડ! = હૅઁડ! હૅઁડ...!

ઓ.કે. = સારું

બિલીવ મી! = વાત માનવાની, શું?

કૉન્ગ્રેચ્યુલેશન્સ = મોટો થજે, અને ડાહ્યો થજે!

ચિઅર્સ = પીઓ, સાલે!

ધિસ ઈઝ ટૂ મચ = બેસ હવે, ડાહ્યો થા મા!

વ્હેન ડિડ યૂ કમ = ચાંણે આયો, ભઈ!

હિ ઈઝ એક્સ્પેક્ટેડ એની મોમેન્ટ = આયા જ હમજો!

ડિઅર સર = સાહેબ વહાલા

આયમ ફાઈન = લ્હેર છે

લિવ મી અલોન = ચલ ભાગ

લેટ અસ ક્રૉસ અવર ફિંગર્સ = ભગવાન કરે તે ખરું.

આઈ મેઈક અ મૂવ = સારું ત્યારે....રજા લઉં?


(-એ-બી-સી થી -એક્સ-વાય-ઝી-: પૃ.30-32)