September 12, 2014

બક્ષીબાબુની નવલકથાઓમાં સામ્યવાદ વિશે...

[1] એકલતાના કિનારા

કમ્યુનિઝમ તરફનો મારો રસ્તો સીધો ન હતો. એ આડોઅવળો હતો અને ખૂબ લાંબો હતો. એક વાર ક્લાસમાં એક મુસલમાન છોકરાએ મને 'જંગે આઝાદી' નામની નજમ લખી આપી. એનો શાયર હૈદ્રાબાદનો કમ્યુનિસ્ટ હતો, એ કવિતામાં નવો જોશ હતો, નવા શબ્દો અને નવા વિચારો હતા, એમાં એક 'સુર્ખ સવેરા'ની વાતો હતી.

મરેલા વંદાઓ પર કીડીઓ ભેગી થવા માંડે એમ અમે ભેગા થઈ ગયા. બનારસ હિન્દુ યુનિવર્સિટીનો એક એન્જિનીઅરિંગ ભણતો છોકરો, પેટ્રોલનું કામ કરતા બે મુસલમાન છોકરાઓ, એક અભ્યાસી વકીલ, થોડા બેકારો અને હું. કમ્યુનિસ્ટ સાહિત્ય ફેલાવા માંડ્યું. મારી સામે એક નવી દુનિયા ખૂલતી ગઈ. કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, બુઝર્વા, ડાયાલેક્ટિકલ મટીરીઆલીઝમ, પંચવર્ષીય યોજનાઓ... એ શબ્દો ઝપાટાબંધ જૂના થતા ગયા.

ધર્મની અશ્રદ્ધાને કમ્યુનિઝમનો સંગીન ટેકો મળી રહ્યો હતો.

સંસારભરનાં, ઈશ્વર અને માણસે પેદા કરેલાં દુ:ખોનો આ જવાબ હતો. ઈશ્વરે આસમાનમાંથી ફેંકેલો આ ધર્મ ન હતો, માણસે જમીનમાંથી પેદા કરેલો આ ધર્મ હતો, એ ધર્મનો ઈશ્વર માણસ હતો, આ ધર્મની સામે એક વિરાટ ભવિષ્ય હતું...વાતો ઘણી મોટી, મોટી હતી અને મને ઝપાટાબંધ ગળે ઊતરી જતી હતી.

કૉલેજમાં - સેંટ ઝેવિયર્સ કૉલેજમાં - મને પહેલાં કમ્યુનિસ્ટો મળ્યા, બંગાળી છોકરાઓ અને થોડા કેરળના. એમની પાસે જાતજાતના દુ:ખોની બહુ સીધી ચાવી હતી. એ કોઈએ 'ડાસ કેપિટલ' વાંચ્યું ન હતું. મેં પ્રયત્નો કરીને મૂકી દીધું. મારી બુદ્ધિની બહારની વાતો હતી એમાં અને વાતો પુરાણી હતી.

રશિયાનો રાજદ્વારી ઈતિહાસ વાંચતા વાંચતા મારી આંખો સામે કત્લેઆમની એક કૂર તવારીખ ખૂલી ગઈ. એ કમ્યુનિઝમનો યથાર્થવાદ હતો. એમાં સારા-ખોટાનો સવાલ જ ન હતો, એમાં અસ્તિત્વનો પ્રશ્ન હતો. મને સમજાવવામાં આવ્યું કે, એ બધું બરાબર હતું. હું સમજી ગયો કે એ બધું બરાબર હતું.

સ્ટાલિન - ઈનામો જીતનાર સાહિત્ય મેં ખંખેરી જોયું. એક દયાજનક એકવિધતામાં હું અટવાઈ ગયો. કમ્યુનિઝમના રાજદ્વારી દર્શનથી બિલકુલ વિમુખ અસર મને એના સાહિત્યથી થઈ. મને લાગતું જ હતું કે રાજદ્વારી દુનિયાનો હું અભ્યાસી ન હતો અને એના સાહિત્યમાં મને દિલચસ્પી થઈ શકી નહીં. રાજનીતિનો અભ્યાસ પણ છોડી દીધો.

મને કમ્યુનિઝમ પણ, ધર્મની જેમ, લોકોના અફીણ (opium of the people) જેવું લાગ્યું છે. કમ્યુનિઝમનો એક નશો આવે છે અને પાગલ કરી મૂકે છે અને એ પાગલ થવા જેવી ચીજ પણ છે. (પૃ. 14) 


*                      *                       *                           *                    *

મારી સાથે પાછલી બેંચો પર ચર્ચાઓ કરનારા કરનારા વામપક્ષી મિત્રો આજે સારી સારી ઑફિસમાં બેસી ગયા છે. ઓક્ટરલોની મોન્યુમેન્ટ નીચે મિટિંગોમાં એ લોકો ભાગ્યે જ દેખાય છે. કોઈ કોઈને સારા ફ્લૅટો છે. લગભગ બધા જ સુખી છે. લગભગ બધા જ પરણી ગયા છે, એકબે પાસે ગાડીઓ પણ આવી ગઈ છે.

કમ્યુનિઝમના બુનિયાદી સિદ્ધાંત પ્રમાણે દરેકને પોતાની કાર્યશક્તિથી પોતાની જરૂરિયાત પ્રમાણે મળી ગયું છે. (પૃ. 15) 

*                      *                       *                           *                    *

કમ્યુનિસ્ટો કમ્યુનિસ્ટો જ રહ્યા હતા. ફક્ત તીખાશ વધી ગઈ હતી અને લાલાશ ઊડી ગઈ હતી. (પૃ. 40) 

[2] રીફ-મરીના:

માર્ક્સવાદનો સિદ્ધાંત છે - From each according to his ability, to each according to his needs! (પૃ. 63)

No comments:

Post a Comment