May 18, 2013

ગુજરાતી કવિઓ....

પત્રકાર ખુશવંતસિંઘે એક વાર સ્વયં પ્રશ્ન પૂછીને સ્વયં ઉત્તર આપ્યો હતો. સ્ત્રીઓને નેવી કે નૌકાદળના માણસો શા માટે ગમે છે? કારણ કે એ હાફપેન્ટ પહેરે છે! ચડ્ડીઓમાં ફરનારાઓ માટે સ્ત્રીઓને શા માટે વહાલ ઊભરાઈ જતું હોય છે...?

કવિઓ ચડ્ડી પહેરીને ગુજરાતી કવિતાઓ કવિસંમેલનોમાં ગાતા હોય તો કદાચ મહિલા શ્રોતાઓ પર વધારે અસર કરી શકત, એવું મારું નમ્ર મંતવ્ય છે. કવિને અસરકારક થવા માટે તખલ્લુસ, દાઢી, ચશ્મા, બગલથેલો આદિ કરણ-ઉપકરણો અને સામાન-અસબાબની જરૂર પડતી રહેતી હોય છે. પદ્ય સ્ત્રૈણ હોય છે, અને ગદ્ય પૌરુષિક હોય છે. નિયમ નથી, અનુમાન છે. કવિ જેટલો ગંદો અને લઘરવઘર હોય એટલો જલદી સ્ત્રીઓની નર્વ્ઝને ઝંકૃત કરી મૂકે છે એવો પણ એક અભિમત પ્રવર્તે છે. ઉમાશંકર જોષી મને મહાન ગુજરાતી કવિ લાગવાનાં ઘણાં કારણોમાં બે કારણો એ છે કે એમણે દાઢી કે તખલ્લુસ રાખ્યા વિના સરસ કવિતાઓ લખી, જે જમાનામાં તખલ્લુસ કે ઉપનામ રાખવાની ફૅશન હતી. ઉમાશંકર જોષી 'સત્યમ' કે ઉમાશંકર જોષી 'શિવમ' જેવું નામ હોત તો 1998માં ત્રિભોવનદાસ લુહાર 'સુન્દરમ' જેવા 'દલિત' કવિ સામે ટક્કર ઝીલી શકત? અને કવિ જેટલો સ્ત્રૈણ હોય એટલો એને ટેનિસની રમતમાં ઍડવાન્ટેજ મળે એમ ઍડવાન્ટેજ મળતો રહે છે. ઘણા સ્ત્રૈણ અને ખૂબસૂરત ગુજરાતી કવિઓ મહાન કવિઓ તરીકે સ્થાપિત થયા છે અને એમણે ઈનામો, ઍવોર્ડો, ચાંદ જીત્યા છે. એકલા મુંબઈના ગુજરાતીઓ દર વર્ષે શુમારે 2000 જેટલાં ઈનામો, ઍવોર્ડો, ચાંદ આપસમાં એકબીજાને આપતા રહે છે અને બપોરિયાંઓમાં કાળાકાળા ફોટાઓ છપાવતા રહે છે.

(પુસ્તક: યાદ ઈતિહાસ, પૃ.10)

No comments:

Post a Comment