April 25, 2013

વેજિટેરિયન ખોરાક વિશે

ગુજરાતીઓની સૌથી મોટી વિદેશી સમસ્યા હોય છે : ખાવું ! ઉચ્ચ વર્ગવાળા ગુજરાતીઓ શાકાહારી અથવા વધારે યોગ્ય શબ્દો વાપરીએ તો દાળભાતાહારી કે વનસ્પતિઆહારી (વનસ્પત્યાહારી) છે. અંગ્રેજી શબ્દો વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન છે. વિદેશમાં વેજિટેરિયન શબ્દ ઘણા સમજતા નથી. એક શબ્દ છે 'રેગ્યુલર', એટલે કે બધું જ ખાઓ છો અથવા સર્વાહારી છો. બીજો શબ્દ છે વેજિટેરિયન. વેજિટેરિયનમાં ઈંડા ઘણી જગ્યાએ ગણી લેવામાં આવે છે. સમુદ્રનો ખોરાક અથવા મરીન-ફૂડ અમુક પ્રકારની માછલી પણ વેજિટેરિયનમાં ગણાય છે એટલે શુદ્ધ શાકાહારીઓની સમસ્યાઓનો પાર નથી અને શુદ્ધિવાદીઓ ખાસ કરીને વિદેશમાં જઈને વધારે પવિત્ર જિદ્દીઓ બની જાય છે, અને એ સારું છે. જેણે માંસ-મત્સ્ય-મદ્યમાં રસ લીધો નથી એણે કંઈ ખોવાનું નથી. ઘણાની જીભને, હોજરીને, સ્વભાવને કે તબિયતને આવો ખોરાક ફાવતો નથી. કેટલાકને એ ખાવાની અરુચિ જ હોય છે, પણ બીજા પાસે બેસીને ખાતા હોય તો વિરોધિતા હોતી નથી. તન મનથી એ લોકો તંદુરસ્ત છે.

વેજિટેરિયન ખોરાક હિંદુસ્તાન જેવો અદભુત કોઈ દેશને આવડતો નથી. જેનેટિક્સ અથવા વંશવિષયના વિશારદ જે.બી.એસ હેલ્ડેને એક વાર કહ્યું હતું કે જગતમાં ત્રણ ખોરાકો શ્રેષ્ઠ છે: ફ્રેંચ, ચાઈનીઝ અને દક્ષિણ ભારતીય ! રવા અથવા ચાવલ અથવા અડદની દાળમાંથી ઢોસા કે ઈડલી જેવી 'ફિનિશ્ડ પ્રોડક્ટ' બની શકે એ જ કોઈ વિદેશી માની શકતો નથી. મારી એક નિકટના સગાની અંગ્રેજ પત્નીએ થાળીમાં ફૂલેલી પૂરીઓ જોઈને અત્યંત વિસ્યમથી પ્રશ્ન કર્યો હતો : તમે આમાં હવા કેવી રીતે ભરો છો?.... 

તો. વેજિટેરિયન રસોઈ એ જાદુનો ખેલ છે. આપણે પૂરીમાં હવા ભરી શકીએ છીએ, જ્યારે વિદેશીઓને મટનમાં હવા ભરતાં આવડતી નથી. જાતિભાઈઓ કે શાકભાઈઓને ખુશ કરવા આ લખતો નથી, પણ ખરેખર વેજિટેરિયન ખોરાક બનાવનાર આપણી માતાઓ, બહેનો, પુત્રીઓ, પત્નીઓ, પ્રિયાઓ ચાર હાથવાળી દેવીઓ છે. સ્વાદિષ્ટ વેજિટેરિયન રસોઈ બનાવી શકનાર ગૃહિણીને ચાર હાથ હોય જ છે એમ હું નમ્રતાપૂર્વક માનું છું...

("રશિયા રશિયા" પુસ્તકમાં "શું ખાવું? - વિદેશ જતા ગુજરાતીઓની સૌથી મોટી સમસ્યા" શીર્ષકના લેખમાંથી)

1 comment:

  1. ખરેખર વેજિટેરિયન ખોરાક બનાવનાર આપણી માતાઓ, બહેનો, પુત્રીઓ, પત્નીઓ, પ્રિયાઓ ચાર હાથવાળી દેવીઓ છે.

    ગુરુ ગોવિંદ દોનો ખડે.. કીસકો લાગું પાય..
    બલિહારી ગુરુકી જીસને ગોવિંદ દેયો બતાય...

    ReplyDelete